Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 2 રેસનો ઘોડો (નવલિકા)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 2 રેસનો ઘોડો (નવલિકા)
પાઠ-પરિચય
‘રેસનો ઘોડો’ નવલિકાનું શીર્ષક પ્રતીકાત્મક છે. આજની શિક્ષણપદ્ધતિને વર્ષા અડાલજાએ એક પ્રકારની રેસ કહી છે. એની દોડમાં બાળક(ઘોડા)નું બાળપણ, કહો કે જીવન, ખુદ મા-બાપ કે વાલી દ્વારા કેવી રીતે છિનવાઈ જાય છે એની કલાત્મક અભિવ્યક્તિ પ્રસ્તુત નવલિકામાં જોવા મળે છે. ઊંચા માર્ક્સ મેળવી પ્રથમ નંબરે આવવું, અનેક ડિગ્રી મેળવવી, સ્પર્ધામાં ચંદ્રક લાવવા, કમ્પ્યૂટર ક્લાસમાં જવું, કૉચિંગ ક્લાસ ભરવા, ટીવી કે વર્તમાનપત્રોમાં મુલાકાત આપવી અને તેમાં ફોટા આવવા વગેરેમાં મા-બાપ બાળકોને રચ્યાંપચ્યાં રાખે છે. આથી બાળક આવા શિક્ષણના તેમજ મા-બાપની અંગત આશા-આકાંક્ષાના ભાર નીચે દબાઈ જાય છે.
આ નવલિકામાં સૌરભ અને અંકિત નામનાં બે બાળકોની પણ એવી જ સ્થિતિ લેખિકાએ સ્ફુટ કરી છે. મા-બાપનાં સખત દબાણ અને આગ્રહને કારણે બાળકોનો વિકાસ થતો નથી, એનું બાળપણ છિનવાઈ જાય છે; પરંતુ મા-બાપ એની પરવા કરતાં નથી, એ સામે લેખિકાએ લાલબત્તી ધરી છે. અંકિતની મા આ બાબતે જુદી પડે છે. અંકિતને એ દોડમાંથી છોડાવી પોતાની રીતે તાલીમ આપે છે, અથવા કહો કે વાતાવરણ ઊભું કરે છે. એ અન્ય મા-બાપ માટે એક મિસાલ છે. આજના શિક્ષણે બાળકને રેસનો ઘોડો બનાવી દીધો છે, ત્યારે આ નવલિકા જીવનમૂલ્યની રખેવાળી સંદર્ભે સુંદર બોધ આપી જાય છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) ‘રેસનો ઘોડો’ વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો.
ઉત્તર : ‘રેસનો ઘોડો’વાર્તામાં સંજય-નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા-મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ-ઘડતરની વાત લેખકે સ-રસ ક્થાગૂંથણી દ્વારા ફ્રૂટ કરી આપી છે. વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ, શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબહેન સિફતપૂર્વક અંક્તિને પોતાની તરફ લઈને, એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે.
આમ, બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો – પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. વિનુકાકા સૌરભને, રેસના ઘોડાની જેમ, એનાં સ્વતંત્રતા અને બાળપણને ભોગે, પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે, પણ મા-બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબહેન અંતિને, એનાં સ્વતંત્રતા અને બાળપણ આપીને, મા-બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. તે સારો માણસ બને છે. પરિવાર સાથે રહે છે. પ્રેમ, સમય ને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા, બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે.
(2) “આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે.” આ વિધાન વિગતે સમજાવો.
ઉત્તર : “આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે.” આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતનાં મમ્મી નીનાબહેનની વિધાયક દૃષ્ટિ રજૂ કરે છે. નીનાબહેને પોતાના પુત્ર અંક્તિને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યાં. સાથે રહીને પોતે બાળસહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ- મહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુમ્બિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. અંક્તિને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યો. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું. વિનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા, એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો. નીનાબહેન માનતાં હતાં કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંક્તિ પુરવાર કર્યું.
(3) ‘અંતિ’ વિશે પાત્રાલેખન કરો.
ઉત્તર : અંક્તિ સંજય અને નીનાબહેનનો પુત્ર છે. એ શરીરે નબળો : છે એટલે નીનાબહેન એનું વિશેષ ધ્યાન રાખે છે, પ્રકૃતિનું સાંનિધ્ય એને ગમે છે. નીનાબહેન પણ ઇચ્છે છે કે તે પરીક્ષાના ભારણમાં જીવે તે ઠીક નથી. ભલે તે બે ટકા ઓછા લાવે પણ સારો, ઉમદા માણસ બનવો જોઈએ. પરીક્ષામાં એના મિત્ર સૌરભ કરતાં ઓછા નંબરે પાસ થાય છે. નીનાબહેન એને રામાયણ-મહાભારતની બાળકથાઓ વાંચવા આપે છે. એને એથી વાંચનનો પણ શોખ લાગે છે. એનામાં સમજણ અને સદ્ગુણોની ખિલવણી થાય છે. ભણવાની સાથે કુટુંબનાં સભ્યો સાથે લાગણીના તંતુથી જોડાયેલો રહે છે.
એની મમ્મીની માંદગીમાં એનું ધ્યાન રાખવું, શાળાએથી આવીને જાતે જ દૂધ પી લેવું, મમ્મીને રસોઈમાં મદદ કરવી, લાડથી બહેનનું નામ ફોરમ પાડવું, ફોરમને કમળો થયો ત્યારે ભણતરને ગૌણ કરી બહેનની ખૂબ સેવા કરવી વગેરે અંક્તિની નિઃસ્વાર્થ સેવાભાવનાને વ્યક્ત કરે છે. એને 68% માર્ક્સ આવ્યા ત્યારે તેને એમ લાગ્યું કે તે એનાં મા-બાપનું સ્વપ્નું પૂરું ન કરી શક્યો, એનો એને ગમ હતો, પણ નીનાબહેનને તો ગર્વ હતો કે તેનો દીકરો અંકિત એક ઉમદા માણસ બન્યો છે. પિતા સંજયના મૃત્યુ પછી પણ મમ્મી અને બહેનને સાચવી લીધાં. તેમને કોઈ ખોટ સાલવા દીધી નહિ. પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંક્તિ સર્વપ્રકારે સુખી છે. બીજી બાજુ પડોશમાં રહેતા વિનુકાકા અને મંજુકાકીને સૌરભે તરછોડી દીધાં હતાં, એ સૌને પણ અંતિ અને એની બહેન ફોરમ પ્રેમથી સાચવે છે. આમ, સાચા અર્થમાં અંકિત સાલસ પ્રકૃતિ ધરાવતો ઉમદા માણસ છે.
(4) ‘વિનુકાકા’ વિશે પાત્રાલેખન કરો.
ઉત્તર : ‘રેસનો ઘોડો’ નવલિકા પ્રતીકાત્મક શીર્ષક ધરાવે છે. ‘વિનુકાકા’ વાર્તાનું અગત્યનું તેમજ પાયાનું પાત્ર છે. સામાન્ય મનુષ્યના જીવનને તેઓ જીવન માનતા નથી. જીવનમાં ઊંચા આસને બેસવા માટે ઊંચાં નિશાન તાકવાં પડે. જીવન મળ્યું છે તો કંઈક અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ, એવું તેઓ માને છે. આજના સ્પર્ધાત્મક યુગમાં જે જીતે છે તેની પ્રશંસા થાય છે, હારનારની સામે કોઈ જોતું નથી. વિનુકાકા, સમાજનાં એવાં મા-બાપનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ પોતાનાં સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક રેસમાં ઘોડાની જેમ જોતરીને, પોતાના વિચારો તેમજ આગ્રહો તેમના ઉપર લાદે છે. બાળકો જાણે પોતાની ઇચ્છા પૂરી કરનારાં યંત્રો છે.
વિનુકાકા એમના પુત્ર સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે. સૌરભ ઉચ્ચ ડિગ્રીઓ મેળવે, ચંદ્રકો હાંસલ કરે, મીડિયામાં એનું નામ ઝળહળે એમ તેઓ ઇચ્છે છે. વિનુકાકાની ઇચ્છા પ્રમાણે સૌરભનું પરિણામ ન આવે તો તેઓ તેને ઉતારી પાડે છે. સૌરભ રેસના ઘોડાની જેમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે – ડૉક્ટર બને છે. અમેરિકામાં સ્થાયી થાય છે. ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરે છે – બંગલો, ગાડી, પ્રતિષ્ઠા બધું એને મળે છે, પણ જીવવા માટેની સંવેદના એનામાં નથી. મા-બાપને સમજવા કે એમની પાસે બેસવાનો એની પાસે સમય નથી. શિક્ષણક્ષેત્રે વિજયી થયેલો સૌરભ સંસ્કારક્ષેત્રે પરાજય પામ્યો.
વિનુકાકાને પોતાની ભૂલ સમજાય છે, પણ ઘણું મોડું થઈ ગયું છે. તેઓ અફસોસની આંધીમાં અટવાય છે.
(5) ‘સૌરભ’ વિશે પાત્રાલેખન કરો.
ઉત્તર : સૌરભ મંજુકાકી અને વિનુકાકાનો દીકરો છે. વિનુકાકા એને માથે બેસીને હોમવર્ક કરાવતા. ટીવી પર નૅશનલ જિયૉગ્રાફિક કે ડિસ્કવરી ચૅનલ એને બતાવતા. સૌરભ પોતે પણ કમ્પ્યૂટર ક્લાસમાં જશે તો તેના ક્લાસમાં તેનો વટ પડશે એમ માનતો હતો. સૌરભે કમ્પ્યૂટરની પરીક્ષામાં સર્ટિફિકેટ ઑફ મેરિટ મેળવ્યું હતું. પિતા વિનુભાઈની કડક દેખરેખ હેઠળ તેની શૈક્ષણિક પ્રગતિ તેજ ગતિએ આગળ વધવા લાગી હતી. આગળ જતાં સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું. તેના પિતાની ઇચ્છા હતી કે દીકરો લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક મેળવે. સૌરભે એ સિદ્ધિ હાંસલ કરી. વિનુભાઈ પોતાના દૃષ્ટિકોણથી દીકરાની મૂર્તિ કંડારતા ગયા અને લક્ષ્યાંક પર પહોંચવા માટે સૌરભરૂપી ઘોડાને દોડાવતા રહ્યા. પરિણામે એસ.એસ.સી.માં સૌરભે 92 % મેળવ્યા. તે સાયન્સમાં દાખલ થયો. એ પછી તે અમેરિકા જઈ ડૉક્ટર બન્યો. તેની પાસે વિશાળ બંગલો, કાર વગેરે બધું જ છે, પણ તેની પાસે તેનાં મા-બાપ માટે સમય નથી. આમ, સૌરભ ભૌતિક દૃષ્ટિએ ઊંચા શિખરે પહોંચ્યો, પણ તે ઉમદા માણસ બની શક્યો નહિ.
(6) અંકિત પ્રત્યેનો મંજુકાકી તેમજ નીનાબહેનનો જીવનલક્ષી અભિગમ સ્પષ્ટ કરો.
ઉત્તર : અંકિત, સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર છે. સૌરભ, વિનુકાકા અને મંજુકાકીનો પુત્ર છે. વિનુકાકા, પોતાના પુત્ર સૌરભની સાથે, પાડોશમાં રહેતા અંક્તિને પણ પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં જોતરીને, પોતાના વિચારો એમની ઉપર લાદી દેનાર મા-બાપનું પ્રતિનિધિત્વ કરે છે. વિનુકાકા બાળકોના ઘડતરને નામે જે અત્યાચાર ગુજારે છે, એની સામે મંજુકાકી માત્ર હૈયાવરાળ કાઢીને અટકી જાય છે. મંજુકાકીથી જ્યારે બાળકો પ્રત્યેની અપેક્ષાઓને કારણે થતી યાતનાઓ સહન થતી નથી ત્યારે નીનાબહેનને કહે છે : “ટાંણાં ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી?” આખરે નીનાબહેનનો જીવ અકળાઈ ઊઠે છે. નીનાબહેન ઇચ્છે છે કે પોતાનો પુત્ર અંક્તિ રેસના ઘોડાની જેમ દોડીને સ્પર્ધામાં વધુ ગુણ મેળવે એના કરતાં માણસ તરીકે ગુણવાન બને તેમ કરવું જોઈએ. નીનાબહેન એ દિશામાં પ્રયત્ન કરે છે. વાંચનનો શોખ કેળવવા અંકિતને સારાં પુસ્તકો વાંચવા આપે છે. દરિયાકિનારે ફરવા લઈ જાય છે. જીવન જીવવામાં આનંદ મેળવી એવી પ્રવૃત્તિઓમાં અંકિતને સાહજિક રીતે જોતરે છે. અંકિત પણ મમ્મીને મદદ કરે છે, જાતે ઘરનાં કામો કરે છે. નાની બહેન ફોરમને લાડ કરે છે. આમ નીનાબહેન, વિનુકાકા જે રીતે સૌરભને રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એમાંથી સલુકાઈપૂર્વક પોતાના અંતિને સારા માણસ બનાવવાની પ્રવૃત્તિ મા તરીકે સ્વયં કરે છે. અંકિત મંજુકાકીની પરીક્ષામાં પાસ થયો તેથી તેઓ અંતિ માટે કેક લઈ આવે છે. સૌરભ ડૉક્ટર બને છે. વિનુકાકા ને મંજુકાકીને તરછોડે છે. ઉમદા માણસ બનેલો અંકિત એમને પ્રેમથી સાચવે છે. નવલિકામાં નીનાબહેન અને મંજુકાકીનાં પાત્રો દ્વારા લેખિકાએ જીવનલક્ષી અભિગમને પ્રગટ કરવા માટે વાર્તાનાં રસલક્ષી બિંદુઓની સ-રસ ગૂંથણી કરી છે.
(7) ‘રેસનો ઘોડો’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.
ઉત્તર : ‘રેસનો ઘોડો’ શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકા એ વાર્તાનું મહત્ત્વનું પાત્ર છે. પોતાનાં સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં, રેસના ઘોડાની જેમ જોતરીને, પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા-બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુકાકા ઇચ્છે છે. એમાં સૌરભ ઊણો ઊતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હૉસ્પિટલમાં કામે લાગી ગયો. એની નામના વધી. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી; પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી. મા-બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો. આમ, સૌરભ શિક્ષણક્ષેત્રે ‘રેસનો ઘોડો’ જીતી ગયો, પણ સંસ્કારક્ષેત્રે તે હારી ગયો. આ દૃષ્ટિએ ‘રેસનો ઘોડો’ શીર્ષક યથાર્થ છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) વિનુકાકા અંકિતને બાજુમાં બેસાડી શું સમજાવતા?
ઉત્તર : વિનુકાકા અંક્તિને પ્રેમથી બાજુમાં બેસાડી, ધીરજથી કહેતા, બેટા! જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ. ભણે છે તો બધા જ, પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન પણ બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય. એ માટે મોટી ડિગ્રીઓ, ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ. ચંદ્રકો મળવા જોઈએ, ટીવી, અખબારોમાં ઇન્ટરવ્યૂ ને ફોટા આવવા જોઈએ.
(2) વિનુકાકા સૌરભ અને અંકિત પાસે શી શી પ્રવૃત્તિઓ કરાવતા?
ઉત્તર : વિનુકાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચૉકલેટ આપતા હતા. સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા. પછી ટીવી પર નૅશનલ જિયૉગ્રાફિક કે ડિસ્કવરી ચૅનલ તેમને બતાવતા હતા.
(3) બાળકોના વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા?
ઉત્તર : બાળકોના વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાંથી જેમ ઘડવી પડે એમ બાળકો નાનાં હોય ત્યારે એમને ઘડવાં પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે. બાળકે હંમેશાં પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી.
(4) અંકિતનાં મમ્મી-પપ્પાને વિનુકાકાનો ક્યો વિચાર ગમ્યો?
ઉત્તર : વિનુકાકા સૌરભની સાથે અંકિતને પણ કમ્પ્યૂટરના ક્લાસ કરાવવા માગતા હતા. અંકિતનાં મમ્મી-પપ્પાને વિનુકાકાનો આ વિચાર ગમ્યો. અંકિતને પણ સૌરભ સાથે કમ્પ્યૂટરના ક્લાસમાં દાખલ કર્યો.
(5) મંજુકાકીએ અંકિતની મમ્મી આગળ શી હૈયાવરાળ કાઢી? :
ઉત્તર : મંજુકાકીએ અંકિતની મમ્મી આગળ પોતાની હૈયાવરાળ કાઢતાં કહ્યું કે ઘરમાં પોતે બાપ-દીકરાથી વિખૂટાં પડીને જાણે ઊંબરે ઊભાં છે, બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. સૌરભ એની ઉંમરના છોકરાં સાથે ૨મીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી. બાપ સતત દીકરા ઉપર ભણવા અંગે દબાણ કરે છે. જાણે સૌરભને જેલમાં પૂરી દીધો હોય!
(6) નીનાબહેને બાલમંદિરમાં ભણાવવાનું કામ કેમ છોડી દીધું?
ઉત્તર : વિનુકાકાના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કમ્પ્યૂટર ક્લાસમાં દાખલ કર્યો હતો. તેની ફી સામાન્ય વર્ગને પોષાય એમ નહોતી. આથી નીનાબહેને ભારે હૈયે બાલમંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યૂશન શરૂ કર્યાં.
(7) “ટાંકણાં ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી?” આ વાક્ય કોણ બોલે છે? શા માટે?
ઉત્તર : ‘ટાંકણાં ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી?” આ વાક્ય મંજુકાકી નીનાબહેનને કહે છે. બાળકોના ઘડતરને નામે વિનુકાકા જે માનસિક અત્યાચાર ગુજારે છે, તે સહન ન થતાં મંજુકાકી આમ બોલે છે.
(8) અંકિતનાં માતા-પિતાને તેની કઈ બાબતથી ભારે આઘાત લાગ્યો?
ઉત્તર : અંકિત એનાં માતા-પિતા સાથે એક સાંજે દરિયાકિનારે ખૂબ રમ્યો, પાણીમાં ભીંજાયો. નીનાબહેને સહજ રીતે તેને પૂછ્યું, “બેટા અંતિ! તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો.” હાથમાંનો ફુગ્ગો હવામાં ઉડાડીને એ અચાનક જોરથી બરાડ્યો, “મને વિનુકાકા જરાય નથી ગમતા.’ આમ, એકાએક વિનુકાકા પ્રત્યેના અંકિતના ધિક્કારની બાબતે તેનાં માતા-પિતાને ભારે આઘાત લાગ્યો.
(9) નીનાબહેન સાંજના સમયે શી પ્રવૃત્તિ કરતાં હતાં?
ઉત્તર : નીનાબહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાલમંદિરમાં જતાં. ત્યાં ગરીબ વસ્તીનાં બાળકોને ઉમળકાથી ભણાવતાં હતાં. એ કામ તેઓ સેવાભાવથી કરતાં હતાં.
(10) ફોરમને શી તકલીફ થઈ?
ઉત્તર : ફોરમ નાની હતી ત્યારે તેને કમળો થયો. થોડા સમયમાં દવાથી કમળો મટી ગયો, પણ કોઈ કારણસર શરીરે ફોડલીઓ ફરી નીકળી. આમ, નાની ફોરમ સ્વાસ્થ્યસંબંધી મોટી તકલીફમાં મુકાઈ ગઈ.
(11) અંકિતના પરિણામ પછી સંજય-નીનાબહેને શો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો?
ઉત્તર : અંકિતના પરિણામ પછી સંજય-નીનાબહેને અંકિતને લઈને, અંકિત માટે જ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખ્યો હતો. અંકિતના પિતા સંજયે એ માટે એક નાના હિલસ્ટેશન પરના સૅનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. ત્યાં ટ્રેકિંગની વ્યવસ્થા હતી. ત્રણેય જણાંએ ત્યાં આનંદ કરવા, હ૨વા-ફરવાનું નક્કી કર્યું હતું.
(12) એસ.એસ.સી.ના પરિણામ પછી અંકિત કેમ ઉદાસ થઈ ગયો?
ઉત્તર : એસ.એસ.સી.માં અંકિતને ઓછા ગુણ આવ્યા. જોકે નીનાબહેન અને સંજયભાઈએ પરિણામની ખુશીમાં અંકિતને ઘડિયાળ ભેટ આપ્યું. અંકિત ઓછા પરિણામને કારણે ઉદાસ થઈ ગયો. એને થયું કે પોતે મા-બાપનાં સ્વપ્નો પૂરાં કરી શક્યો નથી.
(13) સાથે રહેતા હોવા છતાં, સંજય અને વિનુભાઈ વચ્ચે શાથી અંતર વધી ગયું?
ઉત્તર : બાળકોના અભ્યાસ અંગે, સંજય અને વિનુભાઈના વિચારોમાં અંતર વધતું ગયું. પરિસ્થિતિ પણ એવી નિર્માણ થઈ. અંકિત તેમજ સૌરભના વર્ગ જુદા જુદા થયા. કૉલેજમાં બંનેની લાઇન બદલાઈ ગઈ. નીનાબહેન પણ દીકરીના જન્મ પછી એના ઉછેરમાં પડ્યાં; અંકિતને એની મસ્તીમાં, ખુશ જોઈને આનંદ પામતાં રહ્યાં. આમ, સંજય અને વિનુભાઈ વચ્ચે લિફ્ટમાં મળે તો પણ હાથ ઊંચો કરવા જેટલો જ સંબંધ રહ્યો, બંને સાથે રહેતા હોવા છતાં અંતર વધી ગયું.
(14) અંકિતે પોતાનું ઓછું પરિણામ આવતાં વ્યક્ત કરેલી દિલગીરી બદલ નીનાબહેને શું કહ્યું?
ઉત્તર : પોતાનું પરિણામ ઓછું આવતાં અંકિતે કહ્યું, “સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો!’ ત્યારે નીનાબહેને કહ્યું, “બેટા, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને ઇચ્છીએ છીએ, ને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે.”
(15) નીનાબહેનના પતિ મૃત્યુ પામતાં, પુત્રએ પરિવારની જવાબદારી શી રીતે નિભાવી?
ઉત્તર : નીનાબહેનના પતિ સંજય મૃત્યુ પામતાં, પુત્ર સંજયે પરિવારની જવાબદારી નિભાવવા બૅન્કમાં નોકરી લીધી. સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યાં. નીનાબહેનને ફોરમની કાળજી લીધી. મોભી તરીકેની કશી ખોટ પડવા દીધી નહિ.
(16) “હવે અમેરિકા ક્યારે જશો?” પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : ‘હવે અમેરિકા ક્યારે જશો?” એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધુણાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો.
(17) “બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું.” વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો.
ઉત્તર : “બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું,’ વિનુકાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણી-ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા-પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું.
પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) અંકિતની લાંબી ગન શાની બનેલી હતી?
ઉત્તર : અંતિની લાંબી ગન પ્લાસ્ટિકની બનેલી હતી.
(2) વિનુકાકાએ અંકિત પાસેથી ગન કેમ લઈ લીધી?
ઉત્તર : અંકિતે ઝુમ્મર સામે નિશાન તાક્યું હતું. તેથી વિનુકાકાએ તેની પાસેથી ગન લઈ લીધી.
(3) સૌરભ અને અંકિતને વિનુકાકા ટીવી પર કઈ ચૅનલ જોવાનું કહેતા હતા?
ઉત્તર : સૌરભ અને અંકિતને વિનુકાકા ટીવી પર ‘નૅશનલ જિયૉગ્રાફિક’ તેમજ ‘ડિસ્કવરી’ ચૅનલ જોવાનું કહેતા.
(4) મંજુકાકીની દૃષ્ટિએ બાળકોના ચહેરા પર શાના કારણે આનંદ છે?
ઉત્તર : મંજુકાકીની દૃષ્ટિએ બાળકોને આઇસક્રીમ મળ્યો એને કારણે એમના ચહેરા પર આનંદ છે.
(5) સૌરભ અને અંકિતને કયા ક્લાસમાં દાખલ કરવાનો વિનુકાકાનો આગ્રહ હતો?
ઉત્તર : સૌરભ અને અંક્તિને કમ્પ્યૂટરના ક્લાસમાં દાખલ કરવાનો વિનુકાકાનો આગ્રહ હતો.
(6) સૌરભને કમ્પ્યૂટર શા માટે શીખવું છે?
ઉત્તર : કમ્પ્યૂટર શીખવાથી ક્લાસમાં વટ પડે એ માટે સૌરભને કમ્પ્યૂટર શીખવું છે.
(7) નીનાબહેન અને સંજય પોતાને શા માટે નસીબદાર માનતાં હતાં?
ઉત્તર : વિનુકાકા જેવા પાડોશી, પોતાના દીકરાની દેખરેખ ને કાળજી રાખતા હતા તેથી નીનાબહેન અને સંજય પોતાને નસીબદાર માનતાં હતાં.
(8) ગરીબ વસ્તીનાં બાળકોને ભણાવવાનું નીનાબહેને કેમ છોડી દીધું?
ઉત્તર : નીનાબહેન અંકિતની ફી માટે પૈસાથી ટ્યૂશન કરવા માંગતા હતાં. તેથી તેમણે ગરીબ વસ્તીનાં બાળકોને ભણાવવાનું છોડી દીધું.
(9) એક દિવસ મંજુકાકીએ રીતસર કોની પર હલ્લો કર્યો?
ઉત્તર : એક દિવસ મંજુકાકીએ નીનાબહેન ઉપર રીતસર હલ્લો કર્યો.
(10) મંજુકાકી શા કારણે એકલાં પડી ગયાં છે?
ઉત્તર : મંજુકાકીના પતિ, એમના દીકરા સૌરભને, રેસના ઘોડાની જેમ દોડાવે છે, એ જોઈને એકલાં પડી ગયાં છે.
(11) બારણે ઉપરાછાપરી કોણે ઘંટડી વગાડી?
ઉત્તર : બારણે અંકિતે ઉપરાછાપરી ઘંટડી વગાડી.
(12) અંકિતનો ચહેરો કેમ નિમાણો લાગતો હતો?
ઉત્તર : સખત તાવને કારણે અંકિતનો ચહેરો નિમાણો લાગતો હતો.
(13) મંજુકાકીના ગયા પછી તૈયાર થતાં નીનાબહેનની સાડીની પાટલી કેમ હાથમાં રહી ગઈ?
ઉત્તર : મંજુકાકીની વ્યથાની નીનાબહેન ઉપર એટલી ઘેરી અસર થઈ કે તૈયાર થતાં તેમની સાડીની પાટલી હાથમાં રહી ગઈ.
(14) અંકિતને તાવ હતો, છતાં વિનુકાકા શો આગ્રહ રાખતા હતા?
ઉત્તર : અંકિતને તાવ હતો, છતાં તે કમ્પ્યૂટર ક્લાસમાં આવે એવો આગ્રહ વિનુકાકા રાખતા હતા.
(15) તાવમાં અંકિતને નહીં મોકલવા માટે મક્કમ એવા નીનાબહેન શા માટે બારણામાં જ ઊભાં રહી ગયાં?
ઉત્તર : વિનુકાકા અંકિતને લેવા કદાચ ઘરમાં આવી જાય એ ડરથી નીનાબહેન બારણામાં જ ઊભાં રહી ગયાં.
(16) સાંજના રસોઈમાં નિમગ્ન નીનાબહેનને ટીવીનો અવાજ સાંભળતાં શી નવાઈ લાગી?
ઉત્તર : સાંજના રસોઈમાં નિમગ્ન નીનાબહેનને, ટીવી પરના કોઈ ગીતને અંકિત રસપૂર્વક સાંભળી રહ્યો હતો, એ જોઈને નવાઈ લાગી.
(17) તાવ ઊતરી જતાં, નીનાબહેન અંકિતને શા માટે બગીચામાં લઈ ગયાં?
ઉત્તર : તાવ ઊતરી જતાં, નીનાબહેન અંકિતને બગીચામાં લઈ ગયાં, કારણ કે તેઓ અંકિતને રેસનો ઘોડો બનાવવા માગતાં નહોતાં.
(18) નીનાબહેન તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માગ્યું?
ઉત્તર : નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું શૈશવ માગ્યું.
(19) ‘હાથમાંનો ફુગ્ગો અંકિતે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઊડતો જોઈ રહ્યો.’ આ વિધાન અંકિતની કઈ મનઃસ્થિતિ સૂચવે છે?
ઉત્તર : ‘હાથમાંનો ફુગ્ગો અંકિતે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઊડતો જોઈ રહ્યો.’ આ વિધાન અંકિતને બાળસહજ સ્વતંત્રતા અને મુક્તિ ગમે છે એવું સૂચવે છે.
(20) વિનુકાકા ભણાવતા તેમાં અંકિત શા માટે ધ્યાન આપતો નહોતો?
ઉત્તર : વિનુકાકા અંકિતને ભણાવતાં વારંવાર ઉતારી પાડતા હતા. તેથી તે ભણવામાં ધ્યાન આપતો નહોતો.
(21) અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયાં પુસ્તકો ભેટમાં મળ્યાં હતાં?
ઉત્તર : અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ- મહાભારતની બાળકથાઓનાં પુસ્તકો ભેટ મળ્યાં હતાં.
(22) ‘રેસનો ઘોડો’ કૃતિમાં નીનાબહેન અને સંજયને શાથી હાશ થઈ?
ઉત્તર : ‘રેસનો ઘોડો’ કૃતિમાં નીનાબહેન અને સંજયને, અંકિત- સૌરભનો વર્ગ જુદો થવાથી હાશ થઈ.
(23) અંકિતે લાડથી એની નાની બહેનનું નામ શું પાડ્યું હતું?
ઉત્તર : અંકિતે લાડથી એની નાની બહેનનું નામ ‘ફોરમ’ પાડ્યું હતું.
(24) નીનાબહેનનું મન કોને જોઈને અજબ સુખનો અનુભવ કરતું હતું?
ઉત્તર : અંકિતને ફોરમ પર ઓળઘોળ થતો જોઈને નીનાબહેનનું મન અજબ સુખનો અનુભવ કરતું હતું.
(25) મંજુકાકી અંકિત માટે કેક શા માટે લઈ આવ્યાં?
ઉત્તર : અંક્તિ મંજુકાકીની પરીક્ષામાં પાસ થયો હતો. તેથી તેઓ અંક્તિ માટે કેક લઈ આવ્યાં.
(26) એસ.એસ.સી. પછી અંકિતે શામાં ઍડ્મિશન લીધું?
ઉત્તર : એસ.એસ.સી. પછી અંકિતે કૉમર્સમાં ઍડ્મિશન લીધું.
(27) એસ.એસ.સી.માં પાસ થતાં, અંકિતને તેનાં મમ્મી-પપ્પાએ શી ભેટ આપી?
ઉત્તર : એસ.એસ.સી.માં પાસ થતાં, અંકિતને તેનાં મમ્મી-પપ્પાએ કીમતી ઘડિયાળ ભેટ આપી.
(28) અંક્તિને ઘડિયાળ ભેટ મળી છતાં એના ચહેરા ઉપર શા માટે ઉદાસી છવાઈ ગઈ હતી?
ઉત્તર : અંકિતને ઘડિયાળ ભેટ મળી છતાં એના ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ, કારણ કે તે એનાં મમ્મી-પપ્પાનું સ્વપ્ન પૂરું કરી શક્યો નહોતો.
(29) નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ શાથી થયું?
ઉત્તર : નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ કિડની ફેઇલ થવાથી થયું.
(30) અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી?
ઉત્તર : અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાનાં માતા- પિતા માટે સમય નથી.
(31) કોની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠે છે?
ઉત્તર : વિનુકાકા-મંજુકાકીની આંખના ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠે છે.
(32) સૌરભ ડૉક્ટર થઈને ક્યાં સ્થિર થયો હતો?
ઉત્તર : સૌરભ ડૉક્ટર થઈને અમેરિકામાં સ્થિર થયો હતો.
(33) વિનુકાકા અને મંજુકાકીની ઉંમર એકદમ કેમ વધી ગઈ?
ઉત્તર : ભૌતિક સુખ હૃદયને આંતરિક સહારો કે સુખ આપી શકતાં નથી, ત્યારે વિનુકાકા અને મંજુકાકીની ઉંમર એકદમ વધી ગઈ.
(34) ‘કોઈ વાર થાય કે’ વાર્તાસંગ્રહના સર્જકનું નામ જણાવો.
ઉત્તર : ‘કોઈ વાર થાય કે’ વાર્તાસંગ્રહના સર્જકનું નામ વર્ષા અડાલજા છે.
(35) ‘રેસનો ઘોડો’ વાર્તા કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે?
ઉત્તર : ‘રેસનો ઘોડો’ વાર્તા ‘કોઈ વાર થાય કે’ નામના વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here