Gujarat Board | Class 10Th | Gujarati Writing | Model Question Paper & Solution | Chapter – 4 નિબંધલેખન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati Writing | Model Question Paper & Solution | Chapter – 4 નિબંધલેખન

નિબંધલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
  1. આપેલા બે કે ત્રણ વિષયોના મુદ્દાઓ વાંચી એવો નિબંધ પસંદ કરો કે જેને તમે યોગ્ય ન્યાય આપી શકશો એવી તમને શ્રદ્ધા હોય.
  2. યોગ્ય નિબંધ પસંદ કરી, કાચી નોંધરૂપે એને મુદ્દાઓ / પેટામુદ્દાઓમાં વિભાજિત કરો.
  3. નિબંધની શરૂઆત અનેક રીતે થઈ શકે. તમે વિષયને અનુરૂપ સુવાક્ય કે કંડિકા પસંદ કરીને નિબંધની શરૂઆતમાં મૂકી શકો.
  4. શરૂઆતના મુખ્ય મુદ્દાના પેટામુદ્દાઓને ક્રમશઃ લખો. દરેક પેટામુદ્દાને લખતાં નીચેની બાબતો ધ્યાનમાં રાખો :
    1. વાક્યો ટૂંકાં, સરળ, સચોટ અને તમારા મુદ્દાને યથાર્થ રીતે અભિવ્યક્ત કરતાં હોવાં જોઈએ.
    2. લેખનરૂઢિ અને લેખનસજ્જતાના તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને, કાળજી તેમજ ચોકસાઈથી લખો. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરો.
    3. અક્ષરો સુઘડ, સ્વચ્છ ને સુવાચ્ય, ચેક-ચાક વિનાના હોવા જોઈએ.
    4. યોગ્ય અલંકારોનો ઉપયોગ, સહજ રીતે થાય તો કરવો.
  5. એક મુદ્દો પૂરો થતાં પરિચ્છેદ પાડો. પરિચ્છેદમાં વિચારવિકાસને ધ્યાનમાં રાખીને વાક્ય-વાક્ય વચ્ચે અર્થનો મેળ રહે તેમ કરવું.
  6. તમારા મૌલિક વિચારો, યોગ્ય રીતે વ્યક્ત થાય તે માટે પ્રયત્નશીલ રહેવું.
  7. એનો એક મુદ્દો કે વિચાર, પુનરાવર્તન ન પામે તે જોવું. ન સમજાય એવાં વાક્યો કે ન સમજાય એવા શબ્દોનો ઉપયોગ ન કરવો.
  8. નિબંધ લખી લીધા પછી ફરી નિબંધ વાંચવો, ભૂલ હોય તો સુધારી લેવી. એકાદ મુદ્દો પાછળથી સૂઝે તો ટૂંકમાં નોંધ કરવી.

નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો :

1. હાય રે! કોરોના મહામારી (May 21)
મુદ્દાઓ : પ્રસ્તાવના – વિશ્વના દેશોની સ્થિતિ – બેજવાબદારી – શહેરથી ગામડા સુધી સંક્રમણ – બચવાના ઉપાય – સરકારશ્રીના પ્રયત્નો – કોરોના વૉરિયર્સ – આરોગ્ય કર્મચારી – પોલીસ – સફાઈ કર્મચારી – શિક્ષકોની ભૂમિકા – સામાજિક જાગૃતિ – સાવચેતી – ઉપસંહાર
ઉત્તર : માનવજાતે, પ્લેગ, ઓરી, શીતળા, ટી.બી., રક્તપિત્ત, મેલેરિયા, ટાઇફૉઇડ, સ્પેનિસ ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા, એચ.આઈ.વી., એઇડ્સ જેવી અનેક મહામારીઓનો સામનો કરેલો છે. ભૂતકાળમાં આ પ્રત્યેક મહામારીમાં હજારો, લાખો, કરોડો લોકોનાં મોત થયાં હતાં. ભારતમાં ઓગણીસમી સદીના આખરના દાયકામાં પ્લેગની મહામારીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. આશરે બે દાયકા સુધી એની અસર રહી હતી. એકલા મુંબઈ અને બંગાળ પ્રાંતમાં એક કરોડ લોકો મૃત્યુ પામ્યાં હતાં. હાલની કોરોનાની મહામારીએ તો સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધો છે.
કોરોના કઠણાઈએ વિશ્વના બધા દેશોને કુદરતી કોપની જેમ જીવનની ક્ષણભંગુરતાનું ભાન કરાવી દીધું. વિશ્વના દેશો હજુ એ નક્કી નથી કરી શક્યા કે આ માનવસર્જિત આપત્તિ છે કે કુદરતી આપત્તિ. આપણું વિજ્ઞાન અને આપણું ડહાપણ પળવારમાં ધરાશાયી થઈ ગયાં.
માનવજાતની બેદરકારીનું આ પરિણામ છે કે ઈશ્વરે માનવજાતને કરેલી સજા ! … વિશ્વ વિકાસ કર્યો, કારખાનાં, બીલ્ડિંગો, આયુધો, ધુમાડો ઓકતાં વાહનોએ હાહાકાર મચાવ્યો. ભૌતિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ, એકલપટો માણસ એમાં ૨મખાણ થયો, હવા-પાણી અને જમીનનો બેફામ ઉપયોગ કર્યો. શું કોરોના એથી ઉદ્દભવ્યો? કોઈ એ રહસ્યનો તાગ મેળવી શક્યું નથી. શહેરથી ગામડા સુધી કોરોનાનું સંક્રમણ થયું. જીવન ક્ષણભંગુર લાગ્યું. ધન, પૈસો કે સંપત્તિ નિરર્થક લાગ્યાં. જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં સૌ ઓસિડયાં વાટીને પીવા લાગ્યાં.
વિશ્વમાં કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે વૅક્સિન. અમેરિકા, ચીન, બ્રિટન, ઇઝરાયલ અને ભારત એ પાંચ દેશો રસીકરણમાં મોખરે રહ્યાં. 2020માં ભારતમાં કોરોના સંક્રમણનો દર શહેરોમાં 70 ટકા અને ગામડામાં 30 ટકા હતો. એક વરસ પછી, એપ્રિલ 2021માં શહેરોમાં 60 ટકા અને ગામડામાં 40 ટકા દર રહ્યો.
આ કોરોના કટોકટી સ્પષ્ટપણે મેડિકલ, સામાજિક, આર્થિક તેમજ ચેપીરોગ –કોરોના – સંદર્ભે હતી. કોરોના વૉરિયર્સ, આરોગ્ય કર્મચા૨ીઓ, પોલીસ, સફાઈકામદારો તેમજ શિક્ષકોએ ખડે પગે, માનવજાત ઉપર આવી પડેલી આ આપત્તિ સામે, પ્રજારક્ષણનું કામ કર્યું. 2020માં કોરોના કાળમાં વાસ્તવિકપણે જે બન્યું તે બન્યું છે, પણ એ ભવિષ્યમાં ન બને માટે સામાજિક-આર્થિક મુદ્દે નીતિ ઘડવાની જરૂર છે. જોકે તે પણ યથાશક્તિ થઈ રહ્યું છે.
2020નું આખું વરસ મહામારીની ભીષણ યાતનાઓ વચ્ચે પસાર થયું, આજે આ મહાવ્યાધિ એકવીસમીની અધવચ્ચે પણ ડરામણા ભય સાથે ખોંખારી રહ્યો છે. કોરોનાએ માણસમાત્રને જીવનની સ્વયંશિસ્ત શીખવી દીધી છે. સાદું જીવન, સાદો ખોરાક અને સકારાત્મક વિચારો એ જ જીવનની આખરી મૂડી છે, એ અંગે સામાજિક જાગૃતિ કેળવાઈ છે. સાવચેતીનાં તમામ પગલાં, જે સરકારે સૂચવ્યાં છે, એનું પાલન માણસ કરવા લાગ્યો છે.
આ એક દુસ્વપ્ન હતું, વાસ્તવ હતું, એ ફરીથી જીવંત થઈ શકે છે એવી શીખ સાથે જીવવું એ જ કદાચ માનવજાતની નિયતિ છે.
2. વસંત – વનમાં અને જનમાં
મુદ્દાઓ – : પ્રસ્તાવના – ભારતનો ઋતુક્રમ – વસંતનું માદક વાતાવરણ – વસંત અને માનવજીવન – વસંત – એક અજોડ ઋતુ – ઉપસંહાર
ઉત્તર : “આ ડાળડાળ જાણે કે રસ્તા વસંતના; ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં.”
– મનોજ ખંડેરિયા
કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો ને ચોમાસું એ ત્રણ મુખ્ય ઋતુઓ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ છ પેટા-ઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય હોય છે. તેમાં પણ વસંત તો ઋતુરાજ છે. બધી ઋતુઓમાં વસંતનો વૈભવ સૌથી નિરાળો છે.
શિશિરઋતુ પછી વસંતઋતુનું આગમન થાય છે. વસંતઋતુની શરૂઆતથી જ ધરતીના અંગેઅંગમાં અનેરી સ્ફૂર્તિનો સંચાર થાય છે. પ્રકૃતિને માંડવે વસંતને વધાવવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે. વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલાઓમાં નવું ચેતન રેલાય છે. આમ્રઘટામાં મંજરીઓ મહોરી ઊઠે છે. ખાખરાનાં વૃક્ષો ૫૨ કેસૂડાંનાં લાલચટક ફૂલો ખીલી ઊઠે છે. કમળનાં ફૂલોથી સરોવરો શોભી ઊઠે છે. આમ, વસંતઋતુમાં ભાતભાતનાં પુષ્પો ખીલે છે. તેમનાં મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે. ભમરા પોતાના મધુર ગુંજારવથી અને કોયલ તેના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે. ખરેખર, વસંતઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવન પૂર્ણપણે ખીલી ઊઠે છે.
વસંતઋતુ માનવહૃદય ૫૨ અનેરું કામણ કરે છે. એની માદક અસરથી માનવમન આનંદવિભોર થઈ જાય છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણા દેશમાં આ ઋતુમાં વસંતપંચમી, હોળી અને ધુળેટીના ઉત્સવો ધામધૂમથી ઊજવાય છે. આ તહેવારોમાં ચોમેર ઊછળતાં અબીલ-ગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ, ત્રાંસા અને મૃદંગના તાલ સાથે ગવાતાં વસંતનાં ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારોની પીંછીને સર્જનની અવનવી કેડીઓ તરફ દોરી જાય છે. મનોજ ખંડેરિયાએ વસંતનું આબેહૂબ શબ્દચિત્ર આપ્યું છે :
‘‘મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લે, ‘
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના.’
વસંતઋતુ સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે નિહ. શરદનું પોતીકું સૌંદર્ય છે એ ખરું, પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ એ શીતળ સૌંદર્ય ફિક્કું લાગે છે. વર્ષાઋતુના વૈભવ કરતાં પણ વસંતનું ઉન્માદક સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે.
વસંતઋતુ સમગ્ર પ્રકૃતિને નવી તાજગી બક્ષે છે. ખરેખર, વસત ઋતુરાજ છે.
3. વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો
મુદ્દાઓ : પ્રસ્તાવના – વૃક્ષોની ઉપયોગિતા – વસ્તીવધારા સાથે ઊભા થયેલા પ્રદૂષણના પ્રશ્નો – પ્રદૂષણના પ્રશ્નોનો ઉકેલ અને ઉપસંહાર
ઉત્તર : આઝાદી પછીનાં 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 102 કરોડ થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જંગલોનો વિનાશ કર્યો અને ત્યાં સિમેન્ટ, ક્રોંક્રીટનાં જંગલો ઊભાં કર્યાં. આથી હવા, પાણી અને અવાજનાં પ્રદૂષણ વધ્યાં છે. માનવજીવન ભયમાં મુકાઈ ગયું છે. પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્ત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછેર. વૃક્ષો વાવો, જીવન બચાવો.
વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં લીલાં પાંદડાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળાંને ઠંડાં પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે તેમજ બાળકો ૨મે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જડ લાગે છે.
વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે. કેટલાંય વૃક્ષોનાં મૂળિયાં અને પાંદડાં ઔષધિ તરીકે વપરાય છે.
કેટલાંક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતાં. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતાં હતાં. જંગલોથી એ પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું. જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદ વરસતો. આમ, જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતાં. પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતાં વસાહતો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ. વળી, બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે લાકડાંની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલાં વૃક્ષો કપાયાં તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ. પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું. ભૂગર્ભજળનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે. પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જ જાય છે.
આજે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે. સાથેસાથે આપણામાં વસ્તીવિસ્ફોટ ૫૨ અંકુશ રાખવાની સભાનતા પણ આવી છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યાં છે ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળક, એક ઝાડ’ વગેરે. આ બધાં સૂત્રો દ્વારા વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.
5મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચાવિચારણા થાય છે. તેમાંય વૃક્ષારોપણને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વર્ષાઋતુ દરમિયાન વનમહોત્સવ પણ ઊજવાય છે. તે વખતે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બન્ને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે. એના લીધે સૃષ્ટિસૌંદર્યમાં પણ વધારો થશે. વળી, આપણા આજના જટિલ પ્રશ્નો – હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણને પણ દૂર કરી શકાશે. વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપે છે. આપણે વધુ ને વધુ વૃક્ષો ઉગાડીને પ્રદૂષણને ઘટાડવાનું એટલે કે આપણા પોતાના હિતનું અને પરોપકારનું કામ કરીએ. વૃક્ષો ઉગાડીને આપણી ધરતીમાતાએ આપણા પર કરેલા અનેક ઉપકારોનો બદલો વાળી શકીશું.
4. જીવનમાં રમતગમતનું મહત્ત્વ (August 20)
મુદ્દાઓ : પ્રસ્તાવના – રમતગમત – સહજ તેમજ સ્વાભાવિક – રમતગમતથી સ્વાસ્થ્યની જાળવણી – ૨મતગમતની અસર – રમતગમત વડે સ્થપાતાં આંતરરાષ્ટ્રીય સૌહાર્દ અને વિશ્વશાંતિ – ઉપસંહાર મન પર
ઉત્તર : આપણા જીવનઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતાં હોય છે. રમતગમત પણ એક અગત્યનું પરિબળ છે.
માનવજીવનની શરૂઆત જ રમતગમતથી થાય છે. બાળક ચાલતાં શીખે એટલે રમવાનું શરૂ કરે. સંતાકૂકડી, સાતતાળી અને લંગડી જેવી રમતો રમતાં રમતાં તે ક્રિકેટ, ટેનિસ અને ફૂટબૉલ જેવી રમતો તરફ આકર્ષાય છે. ગામડાંના કિશોરો મહદંશે ગિલ્લીદંડા અને હુતુતુ જેવી રમતો રમે છે; જ્યારે શહેરોમાં ક્રિકેટ, હૉકી, ટેનિસ, બૅડમિન્ટન જેવી ૨મતોનું ચલણ વધુ હોય છે. રમતગમત પ્રત્યે મનુષ્યને સ્વાભાવિક પ્રેમ છે. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસની સાથે માનવની ખેલવૃત્તિએ નવી નવી રમતગમતો શોધી કાઢી છે.
રમતગમતથી તંદુરસ્તી મળે છે. ૨મતગમતના પ્રતાપે અંગેઅંગમાં તાજગી અને ચૈતન્ય ઊભરાય છે.
સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન નિવાસ કરે છે. સ્વસ્થ મન સદાય આશાભર્યું રહે છે. સાચો રમતવીર જીવનને પણ રમત સમજી ખેલદિલીપૂર્વક જીવે છે.
રમતગમત દ્વારા યશ અને ધન પણ પ્રાપ્ત થાય છે. કેટલાય ક્રિકેટવીરો ક્રિકેટ મૅચની કમાણી વડે સાધનસંપન્ન બની ગયા છે. ફૂટબૉલ, ટેનિસ, બૉક્સિંગ કે કુસ્તી વગેરેની સ્પર્ધાઓમાં વિશેષ સિદ્ધિ મેળવનારા રમતવીરો અઢળક સંપત્તિ પ્રાપ્ત કરે છે.
આજે રમતગમત પ્રત્યેની આપણી દૃષ્ટિ ખૂબ જ વિશાળ બની ગઈ છે. ક્રિકેટ, હૉકી, ફૂટબૉલ અને ટેનિસ જેવી રમતોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ દ્વારા આજે વિશ્વમાં એકતા અને વિશ્વબંધુત્વની ભાવના વિકસી છે. આમ, વિશ્વશાંતિ માટે રમતગમતનું વિશેષ મહત્ત્વ છે.
ચારિત્ર્યઘડતરમાં પણ રમતગમતનું વિશિષ્ટ સ્થાન છે. શિસ્ત, સાહસ, સંયમ, સહિષ્ણુતા, સહકાર અને ખેલદિલી જેવા ઉત્તમ ગુણો ખીલવવામાં રમતગમત અનન્ય ભાગ ભજવે છે. યુવાપેઢીના વ્યક્તિત્વના ઘડતરમાં રમતગમતનો ફાળો નાનોસૂનો નથી.
5. પ્રાર્થના – જીવનનું બળ
મુદ્દાઓ : પ્રસ્તાવના – ઈશ્વરના ઋણી – વિવિધ ધર્મોમાં પ્રાર્થના – પ્રાર્થનાની શક્તિ અને તેનાં ઉદાહરણ –પ્રાર્થનાના સંસ્કાર – ઉપસંહાર
ઉત્તર : શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્ત્વિક ખોરાક જરૂરી હોય છે, તેમ હ્રદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે.
ઈશ્વરે આપણને મનુષ્યદેહ આપીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે. વળી, ઈશ્વર આપણને હવા, પાણી અને પ્રકાશ પૂરાં પાડે છે. હજાર હાથવાળા પ્રભુના ઉપકારનો બદલો વાળવા માટે બે હાથવાળો માનવી સમર્થ નથી. તેથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીને તેનો આભાર માનીએ છીએ.
દરેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું મહત્ત્વ છે. ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. મુસલમાનો દિવસમાં પાંચ વાર નમાજ પઢે છે. હિંદુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજનકીર્તન કરે છે.
પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે. પ્રાર્થના આપણા હૃદયને શુદ્ધ બનાવે છે. પ્રાર્થના આપણા મનમાંથી મલિન વિચારોને દૂર કરે છે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી, દયાળુ અને સ્વાર્થરહિત બનાવે છે. ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે. પ્રાર્થનાથી મનુષ્યને દુ:ખનો સામનો કરવાનું બળ મળે છે. પ્રાર્થનાથી મનુષ્ય નમ્ર બને છે. પ્રાર્થના કરવાથી આપણે આપણા દોષો શોધી શકીએ છીએ.
ઘણા સંતો અને ભક્તોના જીવનમાં પ્રાર્થના થકી અદ્ભુત ચમત્કારો સર્જાયા છે. ભક્ત ભગવાનને પોકારે ત્યારે તેણે ભક્તની સહાય કરવા આવવું પડે છે. દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે તેને નવસો નવ્વાણું ચીર પૂરાં પાડ્યાં હતાં. સતી સાવિત્રીની પ્રાર્થના વડે તેના પતિને જીવતદાન મળ્યું હતું. ભગવાને પ્રત્યક્ષ હાજર થઈને નરસિંહ મહેતાનાં અનેક કામો કરી આપ્યાં હતાં. તેણે શામળશા શેઠ નામ ધારણ કરીને નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી તેમજ કુંવરબાઈનું મામેરું કર્યું હતું. બાબર ખુદાની બંદગી કરીને મરણ- પથારીએ સૂતેલા પોતાના દીકરા હુમાયૂને બચાવી શક્યો હતો. મીરાંને રાણા દ્વારા આપવામાં આવેલું ઝેર મીરાંની પ્રાર્થના અને ભક્તિ વડે અમૃતમાં ફેરવાઈ ગયું હતું.
પ્રાર્થનાનું આપણા જીવનમાં આટલું બધું મહત્ત્વ હોવાથી આપણે કોઈ પણ શુભ કાર્ય પ્રાર્થનાથી શરૂ કરીએ છીએ. બાળકોમાં પ્રાર્થના કરવાનાં સંસ્કાર કેળવાય તે માટે દરેક શાળામાં નિયમિત પ્રાર્થના કરવામાં આવે છે. ગાંધીજી પણ સવાર-સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા. ગાંધીજી કહેતા કે, “ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી.” ગાંધીજી સાથે અનેક લોકો પ્રાર્થનામાં જોડાતા હતા. પ્રાર્થના મોટેથી ગાઈને અથવા મનોમન પણ કરી શકાય. ભજનકીર્તન અને સત્સંગ એ બધાં પ્રાર્થનાનાં જ વિવિધ સ્વરૂપો છે.
આપણે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ. આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે ભૌતિક સુખોની માગણી કરવાને બદલે મનની શાંતિ માગવી જોઈએ. ઉમાશંકર જોશીએ એક કાવ્યમાં કહ્યું છેઃ
“ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક ને હાથ.
બહુ દઈ દીધું નાથ! જા, ચોથું નથી માગવું.’
6. સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય
મુદ્દાઓ : પ્રસ્તાવના – પરિશ્રમનું મહાત્મ્ય – શાળાઓમાં શ્રમનું – ગૌરવ – શિક્ષિત સમાજની વૃત્તિ – વિદેશોમાં શ્રમનું ગૌરવ – મહાપુરુષોનો શ્રમયજ્ઞ – ઉપસંહાર
ઉત્તર : ‘‘૩દ્યમેન દિ સિન્તિ ાર્યાળિ ન મનોરથ: ।”
કોઈ પણ કાર્ય શ્રમ વિના સિદ્ધ થતું નથી. જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા જવું જ પડે છે.
કોઈએ ઠીક જ કહ્યું છે : ‘મનુષ્ય મહેનત કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.’ જે પરિશ્રમ કરે છે તેને જ ભોજન ક૨વાનો અધિકાર મળે છે. ભગવદ્ગીતામાં પણ શ્રમ કર્યા વિના ભોજન નહીં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીએ પણ શ્રમનું ગૌરવ કર્યું હતું. સત્યાગ્રહ આશ્રમમાં તેઓ નિયમિત શ્રમયજ્ઞ કરતા અને તમામ આશ્રમવાસીઓને એ શ્રમયજ્ઞમાં સામેલ કરતા હતા.
જે વ્યક્તિ કોઈની દયા પર જીવે છે તેને લાંબા ગાળે ઘણું નુકસાન થાય છે. જે વ્યક્તિ શ્રમ-આધારિત જીવન ગુજારે છે તે સુખ અને સંતોષ પામે છે. બાળકોમાં શાળાજીવન દરમિયાન જ, શ્રમ કરવાની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગસફાઈ, મેદાનની સફાઈ, બાગકામ વગેરે શ્રમની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
સમાજનો શિક્ષિત વર્ગ મોટે ભાગે શ્રમથી દૂર ભાગે છે. આવા લોકો પરિશ્રમ વિશે આલંકારિક ભાષામાં સુંદર લેખ લખી શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે શ્રમ કરવાનું પસંદ કરતા નથી. લોકો કડિયા, સુથાર, લુહાર, દરજી કે ખેડૂતના શ્રમને આજે પણ હલકું કામ સમજે છે. ઑફિસમાં અધિકારીઓ અને કારકુનો ખુરશીમાં બેઠાંબેઠાં પોતાનાં કાર્યો બીજા લોકો પાસે કરાવવામાં જ પોતાની મહત્તા સમજે છે. શારીરિક શ્રમ પ્રત્યેની સૂગ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે. શારીરિક શ્રમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. બેઠાડુ જીવન જીવનાર વ્યક્તિઓ અનેક રોગોના ભોગ બને છે; આવા લોકો તન અને મનથી સ્વસ્થ રહી શકતા નથી.
વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જુદી પરિસ્થિતિ છે. ત્યાં શ્રમનું ગૌરવ કરવામાં આવે છે. ત્યાં દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે જ કરે છે. ઘરકામ માટે લોકો ભાગ્યેજ નોકર-ચાકર રાખે છે. અમેરિકામાં દરેક જણ પોતાની ગાડી જાતે જ ધુએ છે. વિદેશમાં કોઈ કામને નાનું કે હલકું ગણવામાં આવતું નથી. ત્યાં જો કોઈ વ્યક્તિ પોતાનું કામ જાતે ન કરે તો તેનો રોજિંદો જીવનવ્યવહાર જ ખોરવાઈ પડે. આપણા દેશમાંથી પરદેશ ગયેલા ઘણા લોકો હૉટલમાં કપરકાબી ધોવાથી માંડીને શેરીઓ વાળવા સુધીનાં કામો પણ કરે છે. વિદેશ ગયેલો ભારતીય નાગરિક ત્યાં શારીરિક શ્રમ કરે છે, પણ એ અહીં પરત આવે ત્યારે વળી પાછો ‘શેઠ’ થઈ જાય છે.
પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ દ્વારા સ્થાપવામાં આવેલી આશ્રમશાળાઓમાં શ્રમનો ખૂબ મહિમા હતો. આપણા દેશના ઘણા મહાપુરુષોએ શ્રમનું વિશેષ ગૌરવ કર્યું છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા વગેરેએ તેમના જીવનમાં સાદાઈ અને શ્રમને જ પ્રાધાન્ય આપ્યું છે.
કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણે પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શથી જ સુખી થઈ શકીએ. આથી આપણે શ્રમ કરવા માટે હરહંમેશ તત્પર રહેવું જોઈએ.
7. મારા પ્રિય સર્જક
મુદ્દાઓ : પ્રસ્તાવના – પ્રિય સર્જક – મેઘાણી – જન્મ અને જીવન : – પદ્યક્ષેત્રે તેમનું પ્રદાન – ઉપસંહાર
ઉત્તર : ગુજરાતી સાહિત્ય અતિ સમૃદ્ધ છે. તેમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, મનુભાઈ પંચોળી, ૨મણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મિડિયા, ઉમાશંકર જોશી, સુન્દરમ્ જેવા અનેક લેખકો અને કવિઓ થઈ ગયા છે. તેમણે ગદ્ય /પદ્યક્ષેત્રે અતિ સુંદર ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે.
મારા પ્રિય લેખક ઝવેરચંદ મેઘાણી છે. તેમણે સોરઠની ધરતી ખૂંદી વળીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું સંપાદન કર્યું છે.
ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના બગસરા ગામના વતની હતા. તેમનો જન્મ ઈ. સ. 1897માં થયો હતો. તેમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલમ ચલાવીને ગુજરાતને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતાં તેમનાં કાવ્યોનો સંગ્રહ એટલે ‘યુગવંદના’. તેઓ બુલંદ કંઠે ગાઈ પણ શક્તા. મુંબઈના રસ્તાઓ ઉ૫૨ એમને કાવ્ય ગાતા સાંભળવા પુષ્કળ માનવમેદની એકઠી થતી. એમને લીધે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જતો. તેમની રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું હતું.
જેમ પન્નાલાલ પટેલે ઈશાનિયા પ્રદેશની તળપદી બોલીમાં ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’ જેવી યશસ્વી નવલકથાઓ લખી છે; તેમ ઝવેરચંદ મેઘાણીએ સોરઠી ભાષામાં ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘વેવિશાળ’ અને ‘તુલસીક્યારો’ જેવી નવલકથાઓ આપી છે. આ નવલકથાઓમાં આપણને સોરઠની તળપદી બોલીની મીઠાશ માણવા મળે છે. તેમણે ટૂંકી વાર્તા, નાટક અને ચરિત્ર જેવા સાહિત્યપ્રકારોમાં પણ નોંધપાત્ર ખેડાણ કર્યું છે. તેમણે ગુજરાતના મૂકસેવક પૂ. શ્રી રવિશંકર મહારાજના અનુભવોને એમના મુખેથી સાંભળીને તેને ‘માણસાઈના દીવા’ નામના પુસ્તકમાં કલાત્મક રીતે રજૂ કર્યા છે.
ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યના સંશોધન-સંપાદનનું કાર્ય એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે. તેમણે ગામડેગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને તેને જુદાજુદા અનેક ગ્રંથોમાં પ્રગટ કર્યું છે. સોરઠી સ્ત્રી-પુરુષોમાં રહેલી મર્દાનગી, પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોની કથાઓ એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર’. આ વાર્તાઓ દ્વારા આપણને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાનો અને ત્યાંની બળકટ લોકભાષાનો પરિચય થાય છે. મેઘાણીએ તેમાં સૌરાષ્ટ્રની બોલીના લહેકા અને લઢણોનો તથા દુહાઓનો સમાવેશ કરીને એમાં અસલ વાતાવરણ જમાવ્યું છે. તેમણે આવી સુંદર વાર્તાઓ દ્વારા આપણને સહજ રીતે મૂલ્યવાન બોધ આપ્યો છે. તેમની વાર્તાઓ આપણને બહાદુરી, હિંમત, સ્વદેશાભિમાન અને માણસાઈ જેવા ગુણોનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે.
ઈ. સ. 1947માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું પણ તેઓ પોતાના અમર સાહિત્યને લીધે સદાય યાદગાર રહેશે. ગુજરાતની કદરદાન જનતા તેમને કદી ભૂલી શકશે નહિ.
8. મારું પ્રિય પુસ્તક
મુદ્દાઓ : પ્રસ્તાવના – પ્રિય પુસ્તક ગીતાનો પરિચય, પૂર્વકથા – પુસ્તકમાં રહેલો બોધ – પુસ્તકની વિશેષતા – ઉપસંહાર
ઉત્તર : સારાં પુસ્તકોનું વાંચન આપણા જીવનને ઉન્નત બનાવે છે. સારાં પુસ્તકો મિત્ર, ગુરુ અને ભોમિયાની ગરજ સારે છે. આથી હું હંમેશાં સારાં પુસ્તકો મારી પાસે રાખું છું. મેં મારી રુચિ પ્રમાણે કેટલાંક પુસ્તકોનું વાંચન અને મનન કર્યું છે. એ બધાં પુસ્તકોમાં ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’નું પુસ્તક મને ખૂબ જ પ્રિય છે.
બાઇબલ ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છે; કુરાન મુસલમાનોનું ધાર્મિક પુસ્તક છે; તેમ શ્રીમદ્ ભગવદ્ગીતા, રામાયણ અને મહાભારત હિંદુઓનાં ધાર્મિક પુસ્તકો છે. રામાયણમાં રામની કથા આવે છે. તેમાં રામરાજ્યની વાત રજૂ કરવામાં આવી છે. મહાભારતમાં પાંડવો અને કૌરવોના મહાયુદ્ધની કથા છે. આ બંને પુસ્તકો આપણા માર્ગદર્શક બની શકે તેમ છે. પરંતુ નાની હોવા છતાં અત્યંત પ્રેરણાદાયક એવી શ્રીમદ્ ભગવદ્ગીતા મારું અત્યંત પ્રિય પુસ્તક છે. તેમાં વિષ્ણુનો અવતાર ગણાતા ભગવાન શ્રીકૃષ્ણે અઢાર અધ્યાયમાં અર્જુનને જીવન, મૃત્યુ અને જગત વિશે તાત્ત્વિક બોધ આપ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલા શ્લોકો અને તેમાં રજૂ થયેલા સરળ જીવનબોધને લીધે તે મારું પ્રિય પુસ્તક બની ગયું છે.
પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્યની વહેંચણી અંગે ખટરાગ ઊભો થયો હતો. બાર વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ પછી પણ દુર્યોધને પાંડવોને તેમનું રાજ્ય પાછું આપવાની સાફ ના પાડી દીધી. પાંડવો તરફથી કરવામાં આવેલા સંધિના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. સંધિનો સંદેશ લઈને હસ્તિનાપુરમાં ગયેલા શ્રીકૃષ્ણનું પણ દુર્યોધને અપમાન કર્યું. છેવટે પાંડવોને ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’નો માર્ગ અપનાવવો પડ્યો. પાંડવો અને કૌરવોની સેના કુરુક્ષેત્રના મેદાન પર સામસામે ગોઠવાઈ ગઈ. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથિ બન્યા. યુદ્ધના મેદાન પર પાંડવોની સામે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, વડીલો, કાકા, મામા, મિત્રો, સસરા વગેરેને લડવા માટે ઊભેલા જોઈને અર્જુન હતાશ થઈ જાય છે. યુદ્ધ કરવાની ના પાડે છે, શસ્ત્રો હેઠાં મૂકી દે છે. તે કહે છે કે સ્વજનોને મારીને મને સ્વર્ગનું રાજ્ય મળવાનું હોય તો તે પણ મારે જોઈતું નથી.’
અર્જુનને સગાં-સંબંધીઓથી મોહ ઉત્પન્ન થયેલો જોઈને ભગવાન શ્રીકૃષ્ણ તેને બોધ આપે છે. આ બોધનું પુસ્તક એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. તેમાં તે અર્જુનને નિમિત્ત માત્ર હોવાનું કહે છે. તે અર્જુનને જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સુંદર બોધ આપે છે. બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. શ્રીકૃષ્ણ ફળની અપેક્ષા રાખ્યા વિના નિષ્કામ કર્મ કરવાનું જણાવે છે. વળી, તે રાગ અને દ્વેષથી પર રહેવાનું પણ કહે.છે. એને અનાસક્તભાવે લડવાનું કહે છે. ગીતાનાં ટૂંકાંટૂંકાં સરળ વાક્યો આપણને સુંદર જીવનબોધ આપી જાય છે. જેમ કે યોગ: ર્મસુ નૌશતમ્। સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો મયાવદ: । વગેરે.
શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોકો સરળ રીતે યાદ રાખીને તેનું પઠન થઈ શકે છે અને ગાઈ પણ શકાય છે. આ શ્લોકોનો ગુજરાતી અનુવાદ વાંચતાં ગીતાનું તત્ત્વજ્ઞાન સારી રીતે સમજી શકાય છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથોમાં તેને સ્થાન મળ્યું છે. દુનિયાની બધી જ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે.
અમારા ઘરમાં મારા દાદાજી અને મારા પિતાજી દરરોજ ગીતાના એક અધ્યાયનો પાઠ કરે છે. હું પણ છેલ્લાં બે વર્ષથી રોજ ગીતાના એક અધ્યાયનો પાઠ કરું છું. મને ગીતાના કેટલાક શ્લોકો મોઢે થઈ ગયા છે. ગીતાની મહત્તા સમજાવતાં એક સંસ્કૃત કવિએ કહ્યું છે કે, ગીતા સુગીતા ર્તવ્યા મિત્રૈ: શાસ્ત્રવિસ્તરે:। અર્થાત્ ગીતાને જ સારી રીતે ગાવી જોઈએ, બીજાં અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી.
9. મારો પ્રિય તહેવાર
મુદ્દાઓ : પ્રસ્તાવના – આપણા તહેવારો – નવરાત્રિનું ધાર્મિક મહત્ત્વ – નવરાત્રિની ઉજવણી – તહેવાર પ્રિય હોવાનું કારણ અને ઉપસંહાર
ઉત્તર : દરેક દેશની પ્રજાને પોતાના આગવા તહેવારો હોય છે. સંસ્કૃતમાં કહ્યું છે : ‘૩ભવા વસ્તુ પ્રિયા માનવા।’ – પ્રજા ખરેખર ઉત્સવપ્રિય હોય છે. તેમાંયે ભારતના લોકોને તહેવારોની ઉજવણી કરવાનું સૌથી વધારે ગમે છે. એકધારા જીવનથી આપણે કંટાળીએ નહિ તે માટે તહેવારોનું આયોજન કરવામાં આવેલું છે.
આપણે વર્ષ દરમિયાન જન્માષ્ટમી, ગણેશચતુર્થી, પર્યુષણ, સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન, નવરાત્રિ, દશેરા, દિવાળી, ઉત્તરાયણ, શિવરાત્રિ, રામનવમી, નાતાલ, હોળી, ઈદ વગે૨ે તહેવારો ઉજવીએ છીએ. આટલા બધા તહેવારો દુનિયાના બીજા કોઈ દેશમાં ઉજવાતા જોવા નહિ મળે. ધાર્મિક તહેવારો આપણી ધર્મભાવનાને પોષે છે. સામાજિક તહેવારો આપણા અરસપરસના સંબંધોમાં મીઠાશ લાવે છે. રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવનાને વિકસાવે છે. મને ધાર્મિક તહેવારો ગમે છે, અને એમાંય નવરાત્રિ એ મારો પ્રિય તહેવાર છે.
નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઊજવાય છે. આ તહેવારની ઉજવણી પાછળ એક ધાર્મિક માન્યતા રહેલી છે. દેવોને રંજાડનારા મહિષાસુરને મારવા અંબામાતાએ તેની સાથે નવનવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. દસમા દિવસે માતાજીને હાથે મહિષાસુરનો વધ થયો. તેની ખુશીમાં નવરાત્રિ ઊજવાય છે. મહિષાસુરના વિનાશમાં માનવીની અંદર રહેલા ષડ્રપુ(છ શત્રુ)ઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનો નાશ કરવાનો ગૂઢાર્થ પણ રહેલો છે.. નવરાત્રિ વિશે બીજી પણ એક માન્યતા પ્રચલિત છે : ત્રેતાયુગમાં ભગવાન રામે રાક્ષસરાજ રાવણ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો હતો. તેની યાદમાં નવરાત્રિનો તહેવાર ઊજવવામાં આવે છે.
આસુરી (અસત્ય) તત્ત્વો સામે દૈવી (સત્ય) તત્ત્વોનો વિજય થયો. આથી લોકો નવ દિવસ સુધી શક્તિની આરાધના કરે છે. કેટલાક લોકો નવેનવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે. આઠમના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવે છે. લોકો નોમને દિવસે હવન પણ કરે છે. નવનવ દિવસ સુધી અનેરું ધાર્મિક વાતાવરણ સર્જાય છે.
નવરાત્રિમાં ઠેરઠેર મંડપો બાંધવામાં આવે છે. આ મંડપોમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. તેમાં દીવો અને ધૂપ કરવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતાજીની આરતી કરવામાં આવે છે. આરતીને અંતે પ્રસાદ વહેંચાય છે. માતાજીના ગરબા ગવાય છે. ગામડાઓમાં અને શહેરની પોળોમાં ઠેરઠેર પરંપરાગત શેરીગરબાનું આયોજન કરવામાં આવે છે.
જોકે શહેરોમાં નવરાત્રિના તહેવારમાં વેપારી વૃત્તિ પેસી ગઈ છે. ઠેકઠેકાણે સંગીતમંડળીઓને બોલાવવામાં આવે છે. ગાયક કલાકારો મધુર કંઠે ગરબા અને રાસ જ નહિ, ફિલ્મી ગીતો પણ ગાય છે. એમના સહાયકો વાજિંત્રોના સૂર અને તાલની ૨મઝટ જમાવે છે. યુવાનો, યુવતીઓ અને બાળકો સુંદર વેશભૂષામાં સજ્જ થઈને ગરબે ઘૂમે છે. રોશનીની ઝાકમઝોળ અને યુવાનોની દાંડિયારાસની રમઝટ જોવા લોકોનાં ટોળેટોળાં ઊમટે છે. મોડી રાત સુધી દાંડિયારાસની રમઝટ જામે છે. ગરબાના રસિયાઓમાં અભૂતપૂર્વ હર્ષોલ્લાસ જોવા મળે છે. ગુજરાતના ગરબા દેશ અને દુનિયામાં ખૂબ જાણીતા છે.
મને પણ ગરબે ઘૂમવાનો અને દાંડિયારાસનો ખૂબ શોખ છે. ભારતીય તહેવારોમાં વિશિષ્ટ મહત્તા ધરાવતો ‘નવરાત્રિ’ મારો અતિ પ્રિય તહેવાર છે. હું મારી બહેનપણીઓ સાથે ગરબાહરીફાઈમાં પણ ભાગ લઉં છું. આવી ઘણી સ્પર્ધાઓમાં મને ઇનામ પણ મળ્યાં છે. મને ઘણી વાર એવો વિચાર આવે છે કે નવરાત્રિનો તહેવાર વારંવાર આવતો હોય તો કેવું સારું?
10. સ્વચ્છતા
મુદ્દાઓ : પ્રસ્તાવના – શરીરની સ્વચ્છતા – ઘર અને મહોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો – ગામડાં અને શહેરોની સ્થિતિ – ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો – સ્વચ્છતાની જવાબદારી – વિદેશોમાં સ્વચ્છતા – ઉપસંહાર
ઉત્તર : આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવાં જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એવું સૂત્ર આપ્યું.
શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવાં જોઈએ. સ્નાન કરતી વખતે શરીરનાં બધાં અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણાં કપડાં પણ સ્વચ્છ હોવાં જોઈએ. સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે.
જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરનાં બારીબારણાં, ભોંયતળિયું, છત, દીવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ.
આપણો દેશ ગામડાઓનો બનેલો છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણાં ગામડાંમાં ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરનાં આંગણાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂંકે છે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાંના લોકો અનેક રોગોના ભોગ બની જાય છે. શહેરની ચાલીઓ અને પોળોમાં પણ લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તે છે.
ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈકામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈકામમાં જોડાતા. કેટલીક નિશાળોમાં શિક્ષણકાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ‘નર્ફ તાલીમ સારૂં સે શુરૂ હોતી હૈ’ એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે. વળી, શ્રમશિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞકાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે.
સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડાંમાં પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે. તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અનેક કર્મચારીઓ અને સફાઈ-કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથસહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો જાગ્રત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય.
અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખુબ સભાન અને જાગ્રત હોય છે. ત્યાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. માખી મચ્છરનું તો નામનિશાન પણ ોતું નથી. અમેરિકામાં એક વાર ફ્લૂના કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે.
આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવાં પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે, સાથેસાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો વડીને સરકારે તેનો સખતાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ-ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય. ઠેરઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે.
11. ધરતીનો છેડો ઘર
મુદ્દાઓ : પ્રસ્તાવના – ઘર એક આશ્રયસ્થાન – ઘર કોને ન કહેવાય? – ધરતીનો છેડો ઘર’ એ ઉક્તિનું રહસ્ય – ઉપસંહાર
ઉત્તર : સવારે દાણા ચણવા ગયેલાં પંખીઓ સાંજે પોતપોતાના માળામાં પાછાં ફરે છે. સવારે નોકરીધંધે ગયેલા લોકો સાંજે પોતપોતાને ઘેર પાછા ફરે છે. સવારે ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂતો સાંજે ઘેર પાછા ફરે છે. સવારે ચારાની શોધમાં નીક્વેલા ગોવાળિયાઓ અને ગાયોનાં ધણ પણ સાંજે ઘર ભણી પાછાં વળે છે. આમ, માનવી હોય કે પશુપંખી, સાંજે તેમને પોતાના ઘરે પાછાં ફરતાં આનંદ થાય છે.
ઘર એ માનવીનું, માળો એ પંખીનું, તો ગુફા એ સિંહ જેવાં પ્રાણીઓનું આશ્રયસ્થાન છે. દરેક જીવને પોતાના ઘરમાં કે આશ્રયસ્થાનમાં નિરાંતનો અનુભવ થાય છે. માનવી સાંજે ઘરે આવીને જમીપરવારીને આરામ કરે છે. તે પોતાનાં બાળકો અને પત્ની સાથે બેસીને પોતાની દિવસભરની પ્રવૃત્તિઓની તથા સુખદુઃખની વાતો કરે છે. સાંજે બાળકો પણ માબાપ અને અન્ય કુટુંબીજનો સાથે મોકળા મને વાતચીત કરે છે. ઘરના વાતાવરણમાં બાળકોને સહજ રીતે જ કેટલીક તાલીમ મળે છે. તેમનામાં માબાપના સારા સંસ્કારો ઊતરે છે. ઘર અને નિશાળ એ બંને બાળક્ની તાલીમશાળાઓ છે. બાળક્નો વધુમાં વધુ વિકાસ તેના ઘરમાં જ થાય છે. ઘરમાં કોઈ સાજુંમાંદું થાય ત્યારે ઘરના સભ્યો તેની સેવા કરે છે. સંયુક્ત કુટુંબમાં માબાપ, કાકાકાકી, ઘાઘી વગેરે સાથે રહેતાં હોય છે. આથી એ સૌને એકબીજાની હૂંફ મળી રહે છે.
જે ઘરના સભ્યો યંત્રવત્ જીવન જીવતાં હોય, એમને એક્બીજા પ્રત્યે લાગણી ન હોય અને એમનામાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય, તે ઘરને ઘર કહી ન શકાય. જ્યાં સતત કજિયાકંકાસ થતા હોય, કુટુંબના સભ્યો પરસ્પર અવિશ્વાસ રાખતાં હોય, કોઈકોઈની માનમર્યાદા સાચવતું ન હોય, કુટુંબના દરેક સભ્યના મનમાં માત્ર સ્વાર્થની જ ભાવના હોય, એક્બીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય તો તે ઘર નથી, નિર્જીવ મકાન છે.
Hands make House, Hearts make Home.
પોતાનું ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પરંતુ માનવીને પોતાના ઘરમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. આવો અનુભવ તેને બીજે ક્યાંય થતો નથી. તે પોતાના ઘરમાં સર્વત્ર મુક્ત રીતે હરીફરી શકે છે. માનવી દુનિયાના ગમે તે દેશમાં જાય અને ત્યાં ગમે તેટલી સારી સગવડો ભોગવે, છતાં તેને તેના જીવનમાં કંઈક ખૂટતું હોય તેમ લાગે છે. આથી તે બેચેની અનુભવે છે. જ્યારે તે પોતાના ઘરમાં આવી પહોંચે છે, ત્યારે જ તેને ‘હાશ’નો અનુભવ થાય છે. માતાને પોતાના બાળક પ્રત્યે જેવી લાગણી હોય છે, એવી જ લાગણી માનવીને પોતાના ઘર પ્રત્યે હોય છે. ભાંગ્યુંતૂટ્યું પણ પોતાનું ખોરડું માણસને અતિ પ્રિય હોય છે. માટે જ ધરતીનો છેડો વર’ એમ કહેવાય છે.
આ બાબતને વિશાળ અર્થમાં લઈએ તો એવું કહી શકાય કે, વતનની ધૂળમાં આપણને જે મજા આવે છે તે પરદેશની પાકી સડકો પર પણ નથી આવતી. કવિશ્રી આદિલ મનસૂરીએ લખ્યું છે :
“વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
ફરી આ ધૂળ, ઉમ્રભર મળે ન મળે.’’
વતનના ખોરડામાં આપણને જે સુખશાંતિનો અનુભવ થાય છે. એવો અનુભવ પરદેશના આલીશાન બંગલામાં પણ નથી થતો. વતનના રોટલામાં જે મીઠાશ રહેલી છે, તે પરદેશના પકવાનમાં પણ નથી હોતી. માટે જ એક કવિએ કહ્યું છેઃ
“મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહિ રે જાવું.”
12. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર
મુદ્દાઓ : પ્રસ્તાવના – અંધશ્રદ્ધા – ઘર-કુટુંબ અને સમાજનો દુરાગ્રહ – લાચાર યુવતીની મનોદશા – પુત્રની લોલુપતા – હત્યા – ઊભી થયેલી સામાજિક અસમાનતા – ઉપાયો
ઉત્તર : સ્વતંત્રતાપ્રાપ્તિનાં ઘણાં વર્ષો પછી પણ આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમો જેવાં સામાજિક દૂષણો પ્રવર્તે છે, જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે. તે દેશના વિકાસને આડકતરી રીતે રુંધવાનો પ્રયત્ન કરે છે. ઊંચનીચના ભેદ, અસ્પૃશ્યતા-શોષણ, જાતીય અસમાનતા, દહેજપ્રથા તથા ભ્રૂણહત્યા-આ સામાજિક દૂષણો કેટલાંક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલાં છે. ધીરેધીરે આવાં દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે, જે આપણા માટે ગંભીર બાબત છે.
ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતાં ભ્રૂણહત્યા કરાવતાં દંપતીઓની સંખ્યા દિવસેદિવસે ઘણી વધી ગઈ છે. ડૉક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવાં જઘન્ય કૃત્યો કરતાં જરા પણ અચકાતા નથી. ભ્રૂણહત્યા મોટે ભાગે દીકરીઓની જ થતી હોય છે, જેથી કન્યાજન્મનું પ્રમાણ દિન-પ્રતિદિન ઓછું થતું ગયું છે. વર્ષ 2001ની વસ્તીગણતરી પ્રમાણે સ્ત્રી-પુરુષનું જાતીય પ્રમાણ 933 : 1000 છે. આ આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ છે. આ પ્રમાણ 2008ના વર્ષના તારણ પ્રમાણે ઘણું નીચું ગયું છે. અત્યારે અંદાજે 833 : 1000નું પ્રમાણ જોવા મળે છે. છેલ્લાં સાત વર્ષના ગાળામાં જ સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી છે, જે ખૂબ જ ચિંતાજનક છે.
આપણી પુરુષપ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર-પુત્રીની ભેદરેખા ભૂંસી શકેલ નથી. દીકરી હોવાનું માલૂમ પડતાં જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઇચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની ભ્રૂણહત્યા કરાવવામાં આવે છે. પુત્રજન્મની ઘેલછા એટલા માટે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાનો વંશવેલો આગળ વધારી શકશે, અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ. પુત્રી પિંડદાન કરી શકે નહીં, તેવી માન્યતાઓ પ્રવર્તે છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી. પુત્રીને આર્થિક અને સામાજિક બોજો ગણવામાં આવે છે. તેને સાપનો ભારો અને પારકી થાપણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજપ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા-બાપ માટે બોજારૂપ બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર-પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાઈ છે. અત્યારે સ્ત્રી-ભ્રૂણહત્યા માટે આ બધાં પરિબળો જવાબદાર છે.
અત્યારે સમાજમાં સ્ત્રી-પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાને છોકરી મળવી સંભવ નથી. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો, બળાત્કારની ઘટનાઓ બનશે. સ્ત્રી-સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રીશોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો વગેરે જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણાજનક બની જશે. સમાજે ઊભી કરેલી લગ્નસંસ્થાઓને જબરદસ્ત ફટકો પડશે. લગ્નસંસ્થાઓ તૂટશે. સામાજિક સમસ્યાઓથી સમાજવ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે, જે દેશને ભારે નુકસાન પહોંચાડશે.
સમાજમાં સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમોવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને મહાત કરવા (દરેક કાર્ય કરવા) તૈયાર છે. આવી બાબતોની પ્રતીતિ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ પ્રકારનાં કાર્યો હાથ ધરવાં જોઈએ. તબીબો માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી-ભ્રૂણહત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે ‘બેટી બચાવો’ અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે.
13. મારો યાદગાર પ્રવાસ
મુદ્દાઓ : પ્રસ્તાવના – જીવનમાં પ્રવાસનું મહત્ત્વ – જોયેલા સ્થળનું વર્ણન – અનુભવો – ઉપસંહાર
ઉત્તર : ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી …”
– ઉમાશંકર જોશી
“પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ.’’
– કાકા કાલેલકર
ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઑક્ટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહીધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે બે જોડ કપડાં, પ્યાલો, ટૉર્ચ, નાની શેતરંજી, ચોરસો વગેરે લીધાં હતાં. અમે સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા પછી પદયાત્રાની શરૂઆત કરી. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાંને કીડીવેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાનાં નાનાં અનેક મંદિરો તથા દેરીઓ આવતાં હતાં. સૌ યાત્રાળુઓ ‘જય ગિરનારી’નો નાદ ગજવતા ચાલતા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી, અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની પથારી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો.
સવારે ચાર વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયાં. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. ત્રણ દિવસમાં ત્રણ પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યાં. મંદિરની પડખે જ એક ખેતર હતું. ત્યાં પાણીનો બોર હતો. બે દિવસ હાડમારી વેઠ્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતાં અમે રાજી રાજી થઈ ગયાં. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળુ કર્યું. રાતે ખુલ્લા મેદાનમાં સૂવાનો લહાવો પણ અમે લીધો.
વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા-નાસ્તા બાદ અમે પાછી રિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડાટેકરા, ગીચ ઝાડી અને ઠેર ઠેર વહેતાં ઝરણાં વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું. સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવી બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. ‘બાપા પ્રેમથી જમજો’ એવું કહીકહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે’ એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યાં.
સાંજે અમે જૂનાગઢ પાછાં આવ્યાં. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યાં. લોકોની ધાર્મિક ભાવના, નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો. આ ત્રણ દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા-સાંભળ્યા નહોતા છતાં અમને એની ખોટ જરીકે સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશાં યાદ રહેશે.
14. મારું વતન
મુદ્દાઓ : પ્રસ્તાવના – વતનની વિશેષતા – વતનપ્રેમની વાતો – સંસ્મરણો – ઉપસંહાર
ઉત્તર : નનની નન્મભૂમિશ્ચ સ્વર્ગાપિ ગરીયસી।
(માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ ચડિયાતાં છે.)
માતા અને માતૃભૂમિ (વતન) તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે, આપણે સૌ એનાં ઋણી છીએ. માતૃભૂમિ (વતન) સાથે અભિન્ન એવી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્ત્વની છે : માતૃભાષા અને માતૃસંસ્થા (શાળા).
આજે વતનથી ઘણો દૂર છું પણ વતનનાં સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોચર ખૂણે જીવનની અખૂટ મૂડીરૂપે સચવાયેલાં પડ્યાં છે. મારું ગામ શમેળા તળાવને કાંઠે વસેલું છે. પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે, તે ઐતિહાસિક છે. ચાર યુગ જૂનું છે એમ કહેવાય છે. આ ગામ પહેલાં નગર તરીકે ઓળખાતું. નગરને ફરતો ચારે બાજુ કોટ છે, છ દરવાજા છે. કીર્તિતોરણ છે. અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો, પછી શરીરમાં અગ્નિ પ્રગટ્યો. એ અગ્નિને મલ્હાર રાગ ગાનાર તાનારીરી નામની બે બહેનોની દેરીઓ છે. દર વર્ષે સંગીત સમારોહ થાય છે. નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકીયુગનું મંદિર છે. આજુબાજુ એટલાં બધાં મંદિરો અને તળાવો છે કે ન પૂછો વાત!
મા મીઠી છે, તો માતૃભૂમિ (વતન) પણ મીઠી છે. બાળપણનાં મિત્રો, શાળાજીવનનાં વર્ષો, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હૃદય સાથે જડાઈ ગયેલાં છે. ગમે તેટલા મોટા થઈએ, આર્થિક-સામાજિક કે રાજકીય દૃષ્ટિએ સમૃદ્ધિ ને પ્રતિષ્ઠા મેળવીએ પણ વતનની ધૂળમાં આળોટ્યાનો આનંદ એની તોલે આવી શકે એમ નથી.
વતને શું નથી આપ્યું? શું ભૂલું, શું યાદ કરું? મા-બાપનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન, મોભી-વડીલોએ શીખવેલાં કર્તવ્યનિષ્ઠા ને ઉત્તરદાયિત્વ ! વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણોની પોટલી, જ્યારે જરૂર પડી ત્યારે ખોલી છે ને જીવનને પોષક એવાં મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે.
તળાવ – વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે. એમાં જૂનાં શિલ્પો છે, સ્થાપત્યની દૃષ્ટિએ એનું મૂલ્ય જગજાહેર છે. અર્જુનબારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશસ્તિનો શિલાલેખ છે. કુમારપાળે અગિયારમી સદીમાં નગરની ફરતે કોટ બંધાવ્યો હતો, તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે.
‘માણ્યું એનું સ્મરણ કરવું,
એય છે એક લ્હાણું.’
ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જાહોજલાલીનો સુવર્ણકાળ ! સ્મરણપોથીનું એક-એક પૃષ્ઠ કેટલું મજાનું !
‘चिन्ता-रहित खेलना खाना, वह फिरना निर्भय स्वच्छंद ।
कैसे भुला जा सकता है, वतन का अतुलित आनंद।।’
પણ ખેર ! ભવભૂતિનું વાક્ય ‘તે દ્દિ નો વિસા ાતા:’ યાદ કરીને, સંસ્મરણોનું અમૃતપાન કરવા સિવાય બીજો કોઈ માર્ગ હવે નથી! આદિલ મનસૂરીએ પોતાનું વતન છોડતાં રચેલી પંક્તિઓ યાદ આવે છે ઃ
વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે.
15. મારા શૈશવનાં સંસ્મરણો
મુદ્દાઓ : પ્રસ્તાવના – બાળપણની ટેવો – બાલમંદિરનાં સંસ્મરણો – પહેલા ધોરણનાં સંસ્મરણો – પ્રાથમિક શાળાનાં સંસ્મરણો – રજાઓનાં સંસ્મરણો – ઉપસંહાર
ઉત્તર : ‘પ્રવાસસ્થ થા રમ્યા’ એટલે કે પ્રવાસની કથા સુંદર હોય છે. એ ઉક્તિ જેવી જ બીજી ઉક્તિ છે : શૈશવસ્ય થા રમ્યા અર્થાત્ બાળપણની કથા સુંદર હોય છે. મારા બાળપણના રમ્ય દિવસોની સ્મરણકથા પણ રસપ્રદ અને યાદગાર છે. હું મારા બાળપણને મારા જીવનનો સુવર્ણકાળ ગણું છું.
“માણ્યું એનું સ્મરણ કરવું,
એય છે એક લ્હાણું.’’
ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જાહોજલાલીનો સુવર્ણકાળ ! સ્મરણપોથીનું એક-એક પૃષ્ઠ કેટલું મજાનું !
હું ત્રણેક વર્ષનો થયો, ત્યારપછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ યાદ છે. બાળપણમાં મારી બધી ચિંતા મારાં માતા-પિતા અને દાદાદાદી કરતાં હતાં. સૂર્યોદય થયા પછી પણ નિરાંતે ઊઠવાનું; મમ્મી માથાકૂટ કરીને થાકી જાય ત્યારે બ્રશ કરવાનું; મારા માટે ગરમ કરેલું દૂધ ઠંડું થઈ જાય પછી ફરીથી મમ્મી ગરમ કરી આપે ત્યારે પરાણે પીવાનું અને મમ્મી મને ખેંચીને બાથરૂમમાં લઈ જાય એટલે રડતાં રડતાં નાહવાનું – આ મારો રોજનો ક્રમ હતો. આખો દિવસ પાડોશીનાં છોકરાંની સાથે રમ્યા કરવાનું, બધાં સાથે દાદાગીરી કરવાની, દોસ્તોની સાથે વારંવાર ટ્ટિા-બુચ્ચા કર્યા કરવાની, ક્યારેક કોઈ વસ્તુ મેળવવા માટે મમ્મી આગળ જીદ કરવાની, એના બદલામાં ક્યારેક મમ્મીના હાથનો માર પણ ખાવાનો અને છેવટે રડતાં રડતાં ઊંઘી જવાનું – બાળપણમાં હું આવો નાદાન અને જિદ્દી હતો. –
ત્રણ વર્ષ પૂરાં થતાં મને બાલમંદિરમાં મૂકવામાં આવ્યો. રોજ મમ્મી મને શાળામાં મૂકવા આવતી, ત્યાં મારું રડવાનું શરૂ થઈ જતું. બાલમંદિરનાં બહેન ખૂબ પ્રેમાળ હતાં. મારા તરફના તેમના પ્રેમાળ વર્તનને લીધે ધીમે ધીમે મને બાલમંદિરે જવાનું ગમવા લાગ્યું. પછી તો બાલમંદિરનાં બીજાં બાળકો સાથે મારે ભાઈબંધી થઈ ગઈ. અમે બધાં સાથે રહીને ભણતાં, ગીતો ગાતાં અને રમતાં. અમને વર્ષમાં બે-ત્રણ વાર નજીકના કોઈ સ્થળના પ્રવાસે લઈ જવામાં આવતાં.
હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને થોડું થોડું લખતાં-વાંચતાં આવડી ગયું હતું. હું મોટા મોટા અક્ષરોવાળી વાચનમાળા મારી જાતે વાંચતો થયો. શરૂઆતથી જ મારા અક્ષર સારા હતા. હું પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયો. મારા આનંદનો પાર ન રહ્યો. પિતાજીએ મને એક સરસ બૅટ ભેટ આપ્યું.
રજાઓમાં અમે ક્રિકેટ મૅચ ગોઠવતા. મમ્મી મને થોડા દિવસ મામાને ત્યાં રહેવા લઈ જતી. ત્યાં મને ખૂબ મજા આવતી. મામા અમને દ૨૨ોજ સાંજે ખેતરે લઈ જતા. ત્યાં આંબા પરથી કાચી કેરીઓ પાડવાની, પાણીની કુંડીમાં કૂદાકૂદ કરવાની, ઘાસની ગંજી પરથી લપસવાની અને થપ્પો રમવાની મને ખૂબ મજા પડતી.
‘चिन्ता-रहित खेलना खाना, वह फिरना निर्भय स्वच्छंद ।
कैसे भुला जा सकता है, वतन का अतुलित आनंद।।’
બાળપણના એ સોનેરી દિવસો આજેય મને યાદ આવે છે. મારી બાલ્યાવસ્થામાં મારું જીવન કેવું નફકરું અને મોજમસ્તીવાળું હતું ! ‘બસ, ખાઓ, પીઓ અને મજા કરો.’ હવે તો પરીક્ષા, પરીક્ષા અને પરીક્ષા. વર્ગમાં સારા ક્રમે આવવાની કાયમ ચિંતા. ત્યારે મારું મન પોકારી ઊઠે છે કે,
“ફરી બનવા ચાહું હું પ્રભુ ! બાળ નાનું !”
પણ પછી તરત જ સંસ્કૃતના કવિ ભવભૂતિની એ પંક્તિ યાદ આવે છે – ‘તે દ્દિ નો વિવસા નૈતા: ।’ અર્થાત્ એ દિવસો તો હવે ચાલ્યા ગયા.
16. મિત્રતાની મીઠાશ
મુદ્દાઓ : મૈત્રીનો મહિમા – મિત્રની મહત્તા સાચા મિત્રોથી થતા લાભ – આદર્શ મૈત્રીનાં પ્રાચીન ઉદાહરણ – સુખદુઃખનો સાથી – ઉપસંહાર
ઉત્તર : મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
અંગ્રેજીમાં એક કહેવત છે, Tell me who are his friends, And I will tell you, which type of man he is. અર્થાત્ તમે મને એ કહો કે તેના મિત્રો કોણ છે તો હું તમને એ જણાવીશ કે તે કેવી વ્યક્તિ છે! એટલે કે કોઈ પણ વ્યક્તિના મિત્રોને આધારે તેના ગુણદોષોનું અનુમાન થઈ શકે છે. ગુજરાતીમાં પણ ‘સંગ તેવો રંગ’ અને ‘સોબત તેવી અસર’ જેવી કહેવતો જાણીતી છે.
જીવનમાં એકાદ સારો મિત્ર હોવો જરૂરી છે. આવો મિત્ર આપણા સુખ અને દુઃખમાં આપણી પડખે ઊભો રહે, આપણને સારી બાબતો શીખવી શકે, ક્યારેક માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન પણ આપી શકે. સારા મિત્રની સોબત આપણને સુખી, સમૃદ્ધ અને ઉત્તમ બનાવી શકે. જોકે સારો અને સજ્જન મિત્ર શોધવાનું કામ સહેલું નથી. કારણ કે
‘શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક
જેમાં સુખદુઃખ વામીએ, તે લાખોમાં એક.’
એટલે કે શેરી મિત્રો અને તાળી મિત્રો તો ઘણા મળે છે, પણ આપણા સુખદુ:ખના સાથી બની શકે એવા મિત્ર તો લાખોમાં એક જ હોય છે. આમ છતાં આપણા સમાજમાં પ્રસંગોપાત્ત આદર્શ મૈત્રીનાં ઉદાહરણો જોવા મળે છે. કૃષ્ણ-સુદામા અને રામ-સુગ્રીવની મૈત્રી આજે પણ શ્રેષ્ઠ અને અજોડ મનાય છે. કૃષ્ણ અને સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે રહીને ભણ્યા હતા. કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને પૂજાપાઠનું કામ કરતા સુદામા ગરીબ રહી ગયા. સુદામાનાં પત્નીએ તેમને કૃષ્ણ પાસે મદદ માગવા માટે મોકલ્યા. સંકોચને કારણે સુદામા શ્રીકૃષ્ણની પાસે કશું માગી શક્યા નહીં. પણ શ્રીકૃષ્ણ સુદામાને વણમાગ્યે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ભેટમાં આપી દીધી. એ પણ તેમને જણાવ્યા વિના તેમના ઘેર મોકલી આપી.
આ જ રીતે રામ અને સુગ્રીવે એકબીજાને મદદ કરી અને પોતાનો મિત્રધર્મ નિભાવ્યો હતો. રામે વાલિ જેવા અજેય યોદ્ધાને હણીને સુગ્રીવને તેના ત્રાસથી મુક્તિ અપાવી તો સુગ્રીવે રામને રાવણ સામેના યુદ્ધમાં તમામ મદદ કરી.
નાત-જાત-ધર્મ કે ભાષા જુદાં હોવા છતાં બે વ્યક્તિ મિત્રતાના સંબંધથી જોડાય છે. સ્વભાવ અલગ હોવા છતાં એકબીજાને અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. એકમેકની પસંદગીનો ખ્યાલ રાખે છે. એકબીજાના પ્રત્યે નિસ્વાર્થ સ્નેહની ભાવના રાખે છે. મિત્રતા એ કોઈ પણ સગાઈ વિનાનો, અપેક્ષા અને શરત વિનાનો અદ્ભુત સંબંધ છે. મિત્રતા, એ મનુષ્યને માગ્યા વગર ઈશ્વરે આપેલું વરદાન છે.
જેને એક પણ સાચો મિત્ર હોય, તે કદી એકલો પડતો નથી. સુખ અને દુઃખ બંને સ્થિતિઓમાં સાચો મિત્ર સાથ નિભાવે છે. પરિવારનાં સભ્યો આપણને ક્યારેક સાથ ન પણ આપે, પણ મિત્ર આજીવન આપણો સાથે નિભાવે છે. ખરેખર મિત્રતાની મીઠાશ અનોખી છે.
17. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા (March 20)
મુદ્દાઓ : ભારતમાં એકતાનું રૂપ – પ્રાંતવાદનું ઝેર – એકતાનું મહત્ત્વ — વિદેશી આક્રમણો અને રાષ્ટ્રીય એકતા – એકતા માટે જરૂરી પ્રયાસો – દેશવાસીઓની સમજદારી – ઉપસંહાર
ઉત્તર : “હ૨ એક હિંદી હિંદ છે, હર એક હિંદી હિંદની છે જિંદગી.’’
– ઉમાશંકર જોશી
કોઈ પણ દેશની પ્રગતિનો આધાર તે દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ૫૨ રહેલો છે. વિવિધતાથી ભરપૂર એવા આપણા વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે રાષ્ટ્રહિત માટે અનિવાર્ય છે.
આપણા દેશમાં વિવિધ ધર્મ, કોમ અને જાતિના લોકો રહે છે. તેઓની ભાષા, આહાર, રીતરિવાજો વગેરેમાં અપાર ભિન્નતા રહેલી છે. છતાં, આપણા દેશની એકતા અને અખંડિતતાને ક્યારેય આંચ આવી નથી. ભારતીય સંસ્કૃતિનું આ એક વિશિષ્ટ લક્ષણ છે. ‘ભારત મારો દેશ છે અને આપણે સૌ ભારતીયો છીએ’ એવી ભાવના દરેક ભારતવાસીના હૃદયમાં રહેલી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી કોમવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદ આપણા દેશની એકતા અને અખંડિતતાને નુકસાન કરનારાં પરિબળો માથું ઊંચકી રહ્યાં છે. દેશમાં અવારનવાર ધર્મ કે સંપ્રદાયના નામે તોફાનો ફાટી નીકળે છે. રાજ્યોની સીમાના પ્રશ્ને વિખવાદો ઊભા થાય છે. નદીઓના પાણીની વહેંચણીની બાબતે કે કુદરતી સંપત્તિના વપરાશની બાબતે વિવાદો થયા કરે છે. આવા પ્રસંગોએ પ્રાદેશિક અને રાજકીય પક્ષો પણ પોતાનો રોટલો શેકી લેવા માટે લોકોને ભડકાવવાનું કામ કરે છે. અસામાજિક તત્ત્વો અને વિદેશી રાષ્ટ્રો પણ ઘણી વાર તોફાનો કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને માટે ખતરો પેદા થાય છે.
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખરી કસોટી અન્ય દેશના આક્રમણ સમયે થાય છે. ભારત પર ચીન અને પાકિસ્તાનનાં આક્રમણો થયાં ત્યારે આપણા દેશની જનતાની ખરી કસોટી થઈ હતી. એ વખતે આપણા દેશનો એકેએક નાગરિક દેશની પડખે ઊભો રહ્યો હતો. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રભાવનાનું પ્રચંડ મોજું આવ્યું હતું. સૌએ પોતાના આંતરિક મતભેદો ભૂલી જઈને ‘અમે ભારતીયો એક છીએ.’ એવી ભાવનાનો પરચો બતાવ્યો હતો. પરંતુ શાંતિના કાળમાં એકતા અને અખંડિતતાની ભાવના કોણ જાણે ક્યાંય લુપ્ત થઈ જાય છે. આવા સમયમાં વ્યક્તિગત સ્વાર્થ આગળ તરી આવે છે.
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા કાયમ જળવાઈ રહે તે માટે આપણે સક્રિય પ્રયત્નો કરવા પડશે. ધર્મ કે કોમના નામે પ્રજાને ભડકાવનારાં તત્ત્વોને ખુલ્લાં પાડવાં પડશે. આપણે આવાં તત્ત્વોનો સામાજિક બહિષ્કાર કરવો પડશે. જનતામાં એવી સમજદૃઢ હોવી જોઈએ કે રાજ્યો અને જિલ્લાઓની રચના વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, પરંતુ અખંડ ભારતની સંપત્તિ કોઈ એક રાજ્ય કે જિલ્લાની નથી. તે સમગ્ર દેશની છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો, મેળાઓ, રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વગેરે કાર્યક્રમો દ્વારા આપણે જનતામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના વિકસાવી શકીએ, તેમજ દઢ કરી શકીએ છીએ. રાજકીય નેતાઓએ અંગત સ્વાર્થ સાધવા દેશની એકતાને નુકસાન થાય તેવો પ્રચાર કરવો જોઈએ નહિ. ધાર્મિક વડાઓએ પણ રાષ્ટ્રધર્મનું જ જતન કરવું જોઈએ. રેડિયો, ટીવી, વર્તમાનપત્રો વગેરે પ્રચારમાધ્યમો પણ દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવી શકે.
આપણા દેશ પર પરદેશી આક્રમણનો સતત ભય રહે છે. આપણા દેશમાં આતંકવાદીઓ માઝા મૂકી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભારતના સાર્વભૌમત્વ માટે આપણી રાષ્ટ્રીય એકતાને સુદઢ કરવી અનિવાર્ય છે. તે માટે સૌએ સહિયારો પ્રયત્ન કરવો પડશે.
18. પ્રદૂષણ – એક સાર્વત્રિક સમસ્યા (August 20) 
મુદ્દાઓ : પ્રસ્તાવના – ઔદ્યોગિક ક્રાંતિની અસરો – પ્લાસ્ટિકની વપરાશની અસરો – અણુશસ્ત્રોના અખતરાની અસરો – પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો – ઉપસંહાર
ઉત્તર : પર્યાવરણની સલામતી એ દરેક વ્યક્તિની સૌથી પહેલી જવાબદારી છે. પર્યાવરણ એ જીવસૃષ્ટિની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડીને તેની સુરક્ષા અને જાળવણી કરે છે. પણ જો પર્યાવરણની સુરક્ષા જોખમાય તો? હા એ સાચું પડ્યું છે. જાતજાતનાં પ્રદૂષણોને ઉત્પન્ન કરીને આપણે તો જે ડાળી પર બેઠા છીએ એ ડાળીને જ કાપી નાખી.
જગતની મુખ્ય સમસ્યાઓ વસ્તીવધારો, ગરીબી, બેકારી, આતંકવાદ છે, પણ સૌમાં માથું ઊંચકતી ગંભીર સમસ્યા કોઈ હોય તો તે છે સર્વવ્યાપી પ્રદૂષણ. ભારતમાં પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આધુનિક યુગમાં જિંદગી વધારે આરામદાયક બની છે, સુખસગવડો વધી છે. ઓછા સમયમાં વધારે ઝડપથી કાર્ય કરવા વિવિધ યંત્રોનો ઉપયોગ વધ્યો છે, પરંતુ તેની સાથે આ સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. પ્રદૂષણની સમસ્યા આપણા અસ્તિત્વ માટે જોખમકારક પુરવાર થાય તેવું લાગે છે.
વીસમી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગધંધા સ્થપાયા છે. આ ઉદ્યોગોમાં સતત ઝેરી પદાર્થો ઉત્પન્ન થયા કરે છે. તેની સાથે વાહનવ્યવહાર પણ ખૂબ વધી ગયો છે. ડીઝલ કે પેટ્રોલથી ચાલતાં વાહનો હવામાં કાર્બન મોનૉક્સાઇડ જેવો ઝેરી વાયુ છોડતાં રહે છે. આથી હવામાં કાર્બન મોનૉક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. વળી, વાહનોને લીધે અવાજનું પ્રદૂષણ પણ ઘણું વધવા પામ્યું છે.
કૃષિક્ષેત્રે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો હોવાથી અનાજ અને શાકભાજી પણ પ્રદૂષિત બન્યાં છે અને જમીનની ફળદ્રુપતા ઘટી છે. વળી, રાસાયણિક કારખાનાંમાંથી ઘણી વાર ઝેરી ગૅસનું ગળતર થાય છે અને તેનાથી ભયંકર દુર્ઘટના સર્જાય છે. ઈ. સ. 1984માં ભોપાલમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી. રસાયણોનાં કારખાનાં ધરાવતાં શહેરોમાં કોઈ પણ સમયે ગૅસગળતર જેવી દુર્ઘટના સર્જાવાનો સતત ભય રહે છે.
જળ, વાયુ, અવાજ તેમજ અનેકવિધ પ્રદૂષણોમાં જેણે વિશ્વભરમાં માથું ઊંચક્યું છે, તે છે : પ્લાસ્ટિક પ્રદૂષણ. ઘરવપરાશ તેમજ માર્કેટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે. ઘરનો કચરો પણ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને લોકો બહાર, જાહેરમાં ફેંકે છે. પ્લાસ્ટિક જમીનમાં પણ ઓગળતું નથી. એને બાળવામાં આવે તો એમાંથી ઉત્પન્ન થતો ઝેરી વાયુ પૃથ્વી પરના વાતાવરણને દૂષિત કરે છે ને જીવમાત્રનું સ્વાસ્થ્ય બગાડે છે. ફર્નિચરમાં, પાણીની પાઇપલાઇનમાં, પાણી પીવાની બૉટલરૂપે … પ્લાસ્ટિક ક્યાં વપરાતું નથી? આજે એનો ભેગો થયેલો કચરો કેવી રીતે નાશ કરવો એ વિકટ પ્રશ્ન છે. ક્યાંક ડામરમાં ભેળવીને રસ્તો – રોડ બનાવવામાં એનો ઉપયોગ થઈ રહ્યો છે એ સારી બાબત છે.
વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધો થયાં હતાં. તેમાં અણુબૉમ્બનો પણ ઉપયોગ થયો હતો. જાપાનના હિરોશીમા અને નાગાસાકી જેવાં શહેરોનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો અને પંચોતેર હજાર માણસો મૃત્યુ પામ્યા. ત્યારપછી સંયુક્ત રાષ્ટ્રો(UNO)ની સ્થાપના થતાં કોઈ પણ દેશ અન્ય દેશ પર હુમલો ન કરે અને તેમાં પણ અણુબૉમ્બનો ઉપયોગ તો ન જ કરે તે માટે યુનો દ્વારા ભારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આજે તો પ્રદૂષણ જ અણુબૉમ્બ જેવું ભયજનક બની ગયું છે. પ્રદૂષણને લીધે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બૉમ્બ ઝીંક્યા વગર પણ માનવી પ્રદૂષણના કારણે રિબાઈ રિબાઈને કમોતે મૃત્યુ પામે.
હવા, પાણી, અવાજ અને ઝેરી ગૅસના પ્રદૂષણને લીધે આજે માનવજીવન ભયમાં મુકાયું છે. આ ભય ઘટાડવાના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. 5મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે. વળી, દર વર્ષે ‘વૃક્ષારોપણદિન’ પણ ઊજવવામાં આવે છે. હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ઘટે તેવા ઉપાયોનો લોકોમાં પ્રચાર કરવામાં આવે છે.
ઠેર ઠેર વૃક્ષો વવાય, તેની માવજત થાય અને બિનજરૂરી રીતે વૃક્ષો કપાય નહિ તેની તકેદારી રાખવામાં આવે છે. કારખાનાં વસ્તીથી દૂર ખસેડાઈ રહ્યાં છે. વળી, જંગલો વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. વાહનોના ધુમાડાનું પ્રદૂષણ ઘટાડવા PUC સર્ટિફિકેટ મેળવવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરમાણુશસ્ત્રોનો નાશ કરવા માટે પણ ગંભીરતાથી વિચારણાઓ થઈ રહી છે.
પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોમાં સૌ કોઈ સહકાર આપીએ; નહિતર પ્રદૂષણરૂપી રાક્ષસ આપણને વિના શસ્ત્ર મોતને ઘાટ ઉતારી દેશે.
19. સ્વદેશપ્રેમ (August 20)
મુદ્દાઓ : પ્રસ્તાવના – સ્વદેશપ્રેમ – સ્વાભાવિક ગુણ – દેશસેવાનાં ઉદાહરણ – દેશદ્રોહીઓ – દેશપ્રેમીઓનાં ઉદાહરણ – મિથ્યા આડંબર – ઉપસંહાર
ઉત્તર : ‘‘जननी जन्मभुमिश्र्च स्वर्गादपि गरीयसी ।”
અર્થાત્ જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચિડયાતાં છે.
આપણી જનેતા માટે આપણને પ્રેમ હોય છે તેમ આપણી જન્મભૂમિ-માતૃભૂમિ – પ્રત્યે પણ પ્રેમ હોય તે સ્વાભાવિક છે.
જે ધરતી પર આપણો જન્મ થયો, જે ધરતીએ આપણને જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ પૂરી પાડી તે ધરતી માટે આપણા હૃદયમાં પ્રેમ તથા આદર હોય જ.
વતનનું જતન કરવું તે આપણી પહેલી ફરજ છે. શિવાજી મહારાજના વફાદાર સરદાર તાનાજીએ પોતાના પુત્રનાં લગ્ન પડતાં મૂકીને સિંહગઢ પર આક્રમણ કરવાની તૈયારી બતાવતાં કહ્યું હતું, ‘પત્તે વેશ, રિ ધર।’ આઝાદીની લડાઈમાં આપણા અસંખ્ય દેશબાંધવોએ તન, મન અને ધનનું બલિદાન આપીને માભોમની સેવા કરી હતી. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ છોડીને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા હતા. ઉદ્યોગપતિઓએ સ્વાતંત્ર્ય-સંગ્રામ માટે પોતાનું ધન સમર્પી દીધું હતું. નેતાઓએ પોતાનું સર્વસ્વ દેશસેવામાં અર્પણ કરી દીધું હતું. જ્યારે સાહિત્યકારોએ દેશભક્તિનાં ગીતો રચીને દેશસેવાનું કાર્ય કર્યું હતું. આઝાદી પછી પણ ચીન અને પાકિસ્તાનના આક્રમણ વખતે ફરી આપણી દેશદાઝની કસોટી થઈ હતી. આપણા દેશવાસીઓએ તન, મન અને ધન રાષ્ટ્રને સમર્પિત કરીને પોતાની ફરજ અદા કરી હતી.
દેશપ્રેમ એ મહાન ગુણ છે. દેશવાસીઓએ ભામાશાના દેશપ્રેમનું ઉદાહરણ હંમેશાં નજર સામે રાખવું જોઈએ. પચીસ હજાર યોદ્ધાઓને બાર વર્ષ સુધી નભાવી શકાય એટલો મોટો અનાજનો ભંડાર ભામાશાએ રાણા પ્રતાપને ચરણે ધરી દીધો હતો. એટલું જ નહિ, ભામાશાએ વેપારીઓને ચેતવણી આપી હતી કે જે વેપારી અક્બરના લશ્કરને શસ્ત્રસરંજામ પૂરો પાડશે તે ભામાશાના હાથે ધૂળ ચાટતો થઈ જશે. એ જ પ્રમાણે આપણે પણ જે વ્યક્તિ કાળાંબજાર કરે છે; લાંચરુશવત લે છે, ભ્રષ્ટાચાર આદરે છે; લાગવગના જોરે ખોટાં કામ કરાવે છે તે બધા દેશદ્રોહીઓને ખુલ્લા પાડવા જોઈએ.
“જન જન્મી જન્મભૂમિ જે ન ચહે, સૃષ્ટિક્રમ વિરુદ્ધ રાક્ષસ એ.”
વિશ્વના ઇતિહાસમાં અબ્રાહમ લિંકન, જ્યૉર્જ વૉશિંગ્ટન, જોન ઑફ આર્ક જેવા અનેક મહાન દેશભક્તોનાં નામો સુવર્ણ અક્ષરે લખાયાં છે. આપણા દેશમાં પણ દાનવીર ભામાશા, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રી જેવાં અનેક નામો દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયાં છે. એ સાથે જ સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા અનેક નામી-અનામી ક્રાંતિવીરોની શહાદતને પણ કેવી રીતે ભૂલી શકાય? એમાં સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, ચાફેકર બંધુઓ, વીર સાવરકર જેવા અનેક દેશભક્તોનો સમાવેશ થાય છે.
દેશપ્રેમ એ મહાન ગુણ છે એ વાત સાચી પરંતુ ‘ફક્ત આપણો દેશ જ મહાન છે’ એવું મિથ્યાભિમાન આપણા વિકાસને બાધક નીવડે. પશ્ચિમના દેશોની શિસ્ત, સ્વચ્છતા, નવુંનવું જાણવાની ધગશ, પરિશ્રમવૃત્તિ, નિષ્ઠા વગેરે ગુણો આપણા દેશવાસીઓએ જીવનમાં ઉતારવા જોઈએ. પશ્ચિમની સંસ્કૃતિને વગોવવાના બદલે આપણે પશ્ચિમનું જે સારું છે તે સ્વીકારીશું તો આપણો દેશ સાચી દિશામાં પ્રગતિ કરી શકશે. રવીન્દ્રનાથ ટાગોરે યોગ્ય જ કહ્યું છે કે, ‘તમે તમારા દેશને ચાહો પણ પૂજા તો સત્યની જ કરો.’
ખરેખર, નાગરિકોની રાષ્ટ્રભાવના તથા દેશપ્રેમ જ રાષ્ટ્રની ઉન્નતિની આધારશિલા છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *