Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 5 દીકરી (ગઝલ)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 5 દીકરી (ગઝલ)
કાવ્ય-પરિચય
‘દીકરી વહાલનો દરિયો’ એવી દીકરીનું ગૌરવ અહીં આ કાવ્યમાં ગઝલસ્વરૂપે થયું છે. અહીં કવિને દીકરીમાં સ્વર્ગની એક- એક દેવીની ઝલક દેખાય છે. તેમની દૃષ્ટિએ દીકરી તો જાણે કોઈ ખડકમાંથી કોતરેલું શિલ્પ ! કવિએ એક-એક પંક્તિમાં પોતાના જીવનમાં દીકરીનાં સ્થાન અને માન કેવાં રહ્યાં છે, તેને વાચા આપી છે. દીકરીને વળાવતી વખતે તેના માથે હાથ મૂકી તેને આશિષ આપનાર પિતાને આજે હાથ દેતી આ સમજણી દીકરી સહારો આપે છે. જ્યારે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે લગ્નની ભીડમાં પણ કવિની આંખો દીકરીની યાદમાં ભીની થાય છે અને એ ભીની પલકમાં દીકરી સાક્ષાત્ પ્રગટ થાય છે. કવિ બાલમુકુંદ દવેએ દીકરીને ‘તુલસીનો ક્યારો’ કહીને તેની પવિત્રતાને મૂલવી છે, જ્યારે અહીં કવિના મતે પિતા પ્રત્યે સ્નેહનું ઝરણું વહાવતી, શરમાળ, સુખડ-ચંદનની સુગંધ અને શીતળતા વરસાવતી દીકરી મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનું પવિત્ર રૂપ છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) ‘દીકરી’ ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે?
ઉત્તર : ‘દીકરી’ ગઝલમાં કવિએ દીકરીનાં ગૌરવ અને ગુણોને મૂલવ્યાં છે. કવિને સ્વર્ગની એક-એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ-ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે. કોઈ વરસો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશાં ફડક(બીક)માં ઊછરતી રહી છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશિષ આપ્યાં એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે! આજે એ મને હાથ દે છે અર્થાત્ મને સહારો દે છે. આવી વહાલી દીકરીને કેમ ભુલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગાંસંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ, વહાલી અને મીઠડી દીકરીનાં ગૌરવભર્યાં સ્થાન અને માન હંમેશાં પિતાના હૃદયમાં રહેવાનાં.
(2) દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી-મધુરી વાણીથી સૌનાં દિલ જીતી શકે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ.
(3) ‘દીકરી’ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તર : ‘દીકરી’ગઝલના પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વનાં વિધવિધ પાસાંને સુંદર રીતે વ્યક્ત કરે છે. કવિને સ્વર્ગની એક-એક દેવીની ઝલકમાં દીકરી પ્રતીત થાય છે. ખડકમાંથી, વરસોથી કોઈ શિલ્પ કોતરતું હોય એવું કવિને લાગે છે. જીવનમાં દીકરીનાં માન અને સ્થાન કવિએ વાત કરી છે. જેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા, એ પિતાને દીકરી હાથ આપે છે, સહારો આપે છે. શરણાઈ સૂર સાંભળી, લગ્નની ભીડમાં પિતાકવિની આંખ ભીની થઈ જાય છે. કવિએ પિતા પ્રત્યે નિર્મળ સ્નેહનું ઝરણું રેલાવતી, શરમાળ, સુશીલ, સુખડ-ચંદનની સુગંધ તેમજ શીતળતા વરસાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે?
ઉત્તર : દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય, મદદ કરે. આમ, દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે.
(2) જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે’ એમ કવિ શા માટે કહે છે?
ઉત્તર : ‘જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે’ એમ કવિ કહે છે એ દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે ! દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ ફેરવે છે. એમાં વહાલ છે તો દીકરીથી છૂટા પડવાની વેદના પણ છે. પિતાને ક્યાં ખબર હોય છે કે આ સમજુ દીકરી એક વખત એમને હાથ દેશે. એમનો સહારો બનશે, એમને હૂંફ આપશે.
(3) ‘સૂર, શરણાઈ, સગાંસંબંધીઓની ભીડમાં, ભીની પલક’ શબ્દો શું સૂચવે છે?
ઉત્તર : ‘સૂર, શરણાઈ, સગાંસંબંધીઓની ભીડમાં, ભીની પલક’ શબ્દો એક પિતાની દીકરીના વિરહની વેદના સૂચવે છે. જ્યારે શરણાઈના સૂર સંભળાય ત્યારે સગાંસંબંધીઓની ભીડમાં પણ પિતા સંયમ રાખી શકતા નથી. દીકરીની યાદમાં તેમની આંખ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં પિતાને પોતાની દીકરી જ પ્રત્યક્ષરૂપે દેખાય છે.
(4) ‘ઊછરે છે. રોજ કાયમથી ફડકમાં દીકરી’ એમ વિ શા માટે કહે છે? (March 20)
ઉત્તર : દીકરી બાપને ત્યાં ઊછરે છે, ત્યારે એના ઉછેરમાં કેટલાંક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી, તે ભય અને બંધનો સાથે ડરતાં ડરતાં જીવે છે, તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઊછરે છે.
પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
“સ્વર્ગની એકએક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ-ચંદન ને કુમકુમનાં તિલકમાં દીકરી.”
ઉત્તર : પ્રસ્તુત કાવ્યપંક્તિઓ ‘દીકરી’નું મહત્ત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક-એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દેવીઓની ઝલકમાં દીકરી જોવા મળે છે. સુખડ-ચંદનની સુગંધ તેમજ કુમકુમના તિલકમાં સ્વયં દીકરી જોવા મળે છે.
પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે?
ઉત્તર : સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ દીકરીને જુએ છે.
(2) કવિ શાના તિલકમાં દીકરીને જુએ છે?
ઉત્તર : કવિ સુખડ, ચંદન તેમજ કુમકુમના તિલકમાં દીકરીને જુએ છે.
(3) કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે?
ઉત્તર : કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે.
(4) કોઈ વરસોથી દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે?
ઉત્તર : કોઈ વરસોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે.
(5) કોઈ ખડકમાં વરસોથી કોતરે છે, એનું પરિણામ કવિ કોને ગણાવે છે?
ઉત્તર : કોઈ ખડકમાં વરસોથી કોતરે છે, એનું પરિણામ કવિ સ્નેહના ફૂટતા ઝરણાને ગણાવે છે.
(6) ‘કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી’ પંક્તિનો અર્થ શો છે?
ઉત્તર : ‘કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી’ – અર્થ : ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા-બાપ દીકરીને ઉછેરે છે.
(7) દીકરી કયું વ્રત કરે છે?
ઉત્તર : દીકરી ગૌરીવ્રત કરે છે.
(8) સંસ્કાર-સંવર્ધનની હારમાળામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી?
ઉત્તર : સંસ્કાર-સંવર્ધનની હારમાળામાં શિક્ષણનો ઉલ્લેખ નથી.
(9) સંસારમાં રોજ-કાયમથી દીકરી કેવી રીતે જીવે છે?
ઉત્તર : સંસારમાં રોજ-કાયમથી દીકરી ફડકમાં જીવે છે.
(10) ‘દીકરીને માથે હાથ ફેરવવો’ અને દીકરી હાથ દે’ એમાં શો ફરક છે?
ઉત્તર : ‘દીકરીને માથે હાથ ફેરવવો’ અને ‘દીકરી હાથ દે’ એમાં આ ફરક છે : પિતાનું વહાલ અને દીકરીનો સહારો.
(11) ‘સૂર, શરણાઈ અને ભીડ’ દ્વારા કયું દૃશ્ય ફૂટ થાય છે?
ઉત્તર : ‘સૂર, શરણાઈ અને ભીડ’ દ્વારા લગ્નનું દશ્ય ફૂટ થાય છે.
(12) ‘રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી’. આ પંક્તિમાં ‘પલક’ના કયા બે અર્થ છે?
ઉત્તર : ‘રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી’ આ પંક્તિમાંના ‘પલક’ શબ્દના બે અર્થ : આંખનો પલકારો અને ક્ષણ.
(13) ‘બેદિલ’ કોનું ઉપનામ છે?
ઉત્તર : ‘બેદિલ’ઉપનામ કવિ અશોક ચાવડાનું છે.
(14) ‘દીકરી’ કાવ્ય કયા કાવ્યસંગ્રહમાંથી લીધેલું છે?
ઉત્તર : ‘દીકરી’ કાવ્ય ‘પગરવ તળાવમાં’ કાવ્યસંગ્રહમાંથી લીધેલું છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here