Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 10 ભારત : કૃષિ
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 10 ભારત : કૃષિ
પ્રકરણસાર
- ખેતી ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. ભારતની શ્રમશક્તિના લગભગ 60 % જેટલા લોકો ખેતી સાથે જોડાયેલા છે.
રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો લગભગ 22 % જેટલો છે. ભારતની નિકાસમાં કૃષિ-પેદાશોનો હિસ્સો લગભગ 18% જેટલો છે.
- ભારતમાં કૃષિ માટે વિશાળ ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી આબોહવા, મહેનતુ ખેડૂતો વગેરે હોવા છતાં સિંચાઈની અપૂરતી સગવડો, ગરીબ અને અભણ ખેડૂતો, વસ્તીવધારો, નાનાં કદનાં ખેતરો, રાસાયણિક ખાતરો અને સુધારેલાં બિયારણો તથા આધુનિક યંત્રોનો ઓછો ઉપયોગ શિક્ષિત વર્ગનો કૃષિ પ્રત્યે રસનો અભાવ, સમાજમાં ખેતીનો કહેવાતો ઊતરતો દરજ્જો વગે૨ે કારણોને લીધે ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી.
- ભારતમાં ખેતીના છ મુખ્ય પ્રકારો નીચે મુજબ છે :
(1) જીવનનિર્વાહ ખેતી, (2) સૂકી ખેતી, (૩) આર્દ્ર ખેતી, (4) સ્થળાંતરિત (ઝૂમ) ખેતી, (5) બાગાયતી ખેતી તથા (6) સઘન ખેતી.
- કૃષિ-પદ્ધતિઓ : ભારતનો ખેડૂત ખેત-ઉત્પાદનમાં વધારો કરવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વધુ પ્રચલિત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
- સજીવ ખેતી : જેમાં યૂરિયા કે બીજાં કોઈ પણ પ્રકારનાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેને સજીવ ખેતી કહે છે.
- ટકાઉ ખેતી : આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ-સંરક્ષણ વગેરે બાબતોની ખૂબ કાળજી રાખવામાં આવે છે.
- મિશ્ર ખેતી : નાના ખેડૂતો આવકની પૂર્તિ માટે ખેતી સાથે પશુપાલન, મરઘાં-બતકાંઉછેર, મત્સ્યઉછેર, મધમાખીઉછેર વગેરે પ્રવૃત્તિઓ કરે છે. તેને ‘મિશ્ર ખેતી’ કહે છે.
- ભારતમાં જમીન અને આબોહવામાં વિવિધતા હોવાથી કૃષિપાકોમાં પણ વૈવિધ્ય છે. ભારતમાં (1) ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરે ધાન્ય પાકો; (2) મગ, ચણા, તુવેર, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે કઠોળ; (3) મગફળી, સરસવ, તલ, નાળિયેર, એરંડા વગે૨ે તેલીબિયાં; (4) ચા-કૉફી, કોકો જેવાં પીણાં; (5) કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર જેવા રોકડિયા પાક અને (6) ફળો, શાકભાજી, ફૂલો, મરી-મસાલા અને ઔષધીય પાકો વગેરે અન્ય પાકો થાય છે.
- પાકને તેમની ઋતુઓ પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : ખરીફ (ચોમાસુ) પાક, રવી (શિયાળુ) પાક અને જાયદ (ઉનાળુ) પાક.
ખરીફ પાક : તે ચોમાસામાં લેવામાં આવે છે. ઉદા., ડાંગર, જુવાર, બાજરી, કપાસ.રવી પાક : તે શિયાળામાં લેવામાં આવે છે. ઉદા., ઘઉં, જવ, ચણા, સરસવ.જાયદ પાક : તે ઉનાળામાં લેવાય છે. ઉદા., વિવિધ શાકભાજી, કાકડી, તરબૂચ.
- ભારતમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરે ધાન્ય પાકો 75 % વાવેતર વિસ્તાર રોકે છે અને કુલ કૃષિ-ઉત્પાદનના 50 % આપે છે.
- કઠોળ : ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં જુદાં જુદાં કઠોળના પાક ઉગાડાય છે. ભારતમાં ચણા, મગ, મઠ, અડદ, તુવેર, મસૂર, વાલ, વટાણા વગેરે કઠોળ પાકે છે. અડદ અને મગ ખરીફ પાક છે, જ્યારે મસૂર અને ચણા રવી પાક છે.
- ભારતમાં મગફળી, સરસવ, તલ, એરંડો, સોયાબીન વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે. ખાદ્ય તેલ તરીકે મગફળી, સરસવ અને કોપરાના તેલનો ઉપયોગ વિશેષ થાય છે. હાલમાં કપાસિયા અને સૂર્યમુખીના તેલનો ઉપયોગ વધતો જાય છે.
- બધાં તેલીબિયાંમાં મગફળીનું મહત્ત્વ સૌથી વધુ છે. ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં મગફળી વધુ પાકે છે. સૌરાષ્ટ્રમાં તેનું ઘણું ઉત્પાદન થાય છે.
- સરસવનો પાક ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, અસમ અને બિહારમાં વધુ થાય છે.
- નાળિયેરનો પાક કેરલ, કર્ણાટક, તમિલનાડુ અને અંદમાન- નિકોબારમાં સારો થાય છે.
- તલના પાકનો આધાર વરસાદ પર છે. તે ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે તથા દક્ષિણ ભારતમાં રવી પાકની ઋતુમાં ઉગાડવામાં આવે છે. તે ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં વધુ થાય છે.
- એરંડો ખરીફ તેમજ રવી પાક છે. એરંડો વિશ્વના કુલ ઉત્પાદનનો 64 % હિસ્સો ભારત ઉગાડે છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તે વધુ પાકે છે.
- ચા : તે અસમ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વધુ પાકે છે. ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ કરતું રાષ્ટ્ર છે.
- કૉફી : તે કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં વધુ થાય છે. કર્ણાટકનો પૂર્ગ વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે પ્રખ્યાત છે.
- કોકો : કોકો વૃક્ષનાં બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. તે પેય પદાર્થ છે. આફ્રિકાના દેશોમાં કોકોનું ઉત્પાદન થાય છે.
- કપાસ : ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને હરિયાણામાં કપાસ સારો પાકે છે. કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં ભારતનું સ્થાન બીજું છે.
- શેરડી : ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં શેરડી વધુ પાકે છે. ગુજરાતમાં તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ થાય છે. શેરડીમાંથી ગોળ, ખાંડ અને ખાંડસરી બને છે. ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે.
- શણ : ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન ગંગાના મુખત્રિકોણ- પ્રદેશમાં થાય છે.
- તમાકુ : તે ખરીફ પાક છે. ભારતમાં આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં તમાકુ વધુ પાકે છે. ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ તમાકુના ઊંચા ઉત્પાદનના કારણે ‘સોનેરી પાનનો મુલક’ કહેવાય છે. તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
- રબર : તેનું ઉત્પાદન કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરામાં થાય છે. તેના ઉત્પાદનમાં મલેશિયા વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
- ભારતમાં કેળાં, કેરી, સફરજન, દ્રાક્ષ, સંતરાં વગેરે ફળોની ખેતી થાય છે. કેળાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં, સફરજન જમ્મુ- કશ્મીર, લડાખ અને હિમાચલ પ્રદેશમાં, દ્રાક્ષ મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં વિશેષ થાય છે. દેશભરમાં વિવિધ પ્રકારનાં શાકપાન અને ગુલાબ, મોગરો, જૂઈ, એસ્ટર જેવાં ફૂલોની ખેતી થાય છે. આ ઉપરાંત તજ, મરી, ઇલાયચી જેવા તેજાના અને ધાણા, જીરું, હળદર, મરચાં જેવા મસાલાઓની પણ ખેતી થાય છે.
- ટેક્નિકલ સુધારા : આઝાદી પછી ભારતમાં કૃષિક્ષેત્રે ઘણા સુધારા થયા છે. ખેતીમાં હવે પાણીના પંપ, ટ્રૅક્ટર, ટ્રેઇલર, થ્રેશર જેવાં યાંત્રિક સાધનો વપરાવા લાગ્યાં છે. સિંચાઈની સગવડો વધી છે. ખેડૂતો સુધારેલાં બિયારણો, રાસાયણિક ખાતરો અને બાયોફર્ટિલાઇઝર વાપરવા લાગ્યા છે.
ખેડૂતો પાકને કીટકોથી બચાવવા જંતુનાશક દવાઓ અને બાયોકંટ્રોલરનો ઉપયોગ કરવા લાગ્યા છે. પ્રસાર માધ્યમો દ્વારા ખેતીને લગતાં સંશોધનો અને જ્ઞાનની માહિતી ખેડૂતોને અપાય છે. લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, જ્યાં કૃષિવિદ અને કૃષિવૈજ્ઞાનિકો તૈયાર થાય છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રો સ્થપાયાં છે અને કૃષિને લગતી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામસેવકોની નિમણૂક કરવામાં આવી છે.
- સંસ્થાગત સુધારા : સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી જમીન ખેડનારને માલિકીનો હક આપ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદ દ્વારા જમીનની માલિકીની અસમાનતા દૂર કરી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાનાં કદનાં ખેતરોને એકત્રિત કરવાના પ્રયાસો થયા છે. ખેડૂતોને મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. તે માટે સહકારી બૅન્કો, સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંઘો, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો અને પરિવહનની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
- અસરો : ઉપર્યુક્ત સુધારાઓના પરિણામે કૃષિ-ઉત્પાદનમાં મોટો વધારો થયો છે અને ખેડૂતોની આવક વધી છે. અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી બન્યો છે અને થોડા અનાજની નિકાસ પણ કરી શકે છે. દેશમાં ‘રિયાળી ક્રાંતિ’ થઈ છે.
- રાષ્ટ્રીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન : કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે 60 % લોકોને રોજગારી પૂરી પાડે છે અને રાષ્ટ્રીય આવકનો 22 % હિસ્સો આપે છે. તે કાપડ, ખાંડ, કાગળ, જેવા કૃષિ-આધારિત ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. ચા, કૉફી, કપાસ, શણ, તેજાના જેવા પાકોની નિકાસથી ભારતને વિદેશી હૂંડિયામણ મળે છે.
- કૃષિક્ષેત્રે રોજગારી અને પરિણામો : કૃષિક્ષેત્ર પર ભારતના 60% લોકો નભે છે. આ બહુ મોટું ભારણ છે, કારણ કે ભારતની કૃષિ મોટા ભાગે વરસાદ પર આધારિત છે અને વરસાદ અનિયમિત તેમજ અનિશ્ચિત હોવાથી કૃષિ નિષ્ફળ જવાના સંજોગોમાં ઘણા લોકો બેકાર બને છે.
- અનાજ-સંરક્ષણ : ‘હરિયાળી ક્રાંતિ’થી દેશમાં અનાજનું ઉત્પાદન ઈ. સ. 2018 – 14માં 265.04 કરોડ ટન થયું હોવાથી અનાજ સ્વાવલંબન ક્ષેત્રે સારી સ્થિતિ ઊભી થઈ છે. પણ આ જ અરસામાં દેશની વસ્તી 36 કરોડથી વધીને 125 કરોડ થઈ ગઈ છે. હવે અનાજનું ઉત્પાદન ખાસ વધે તેમ નથી, પરંતુ વસ્તી વધ્યે જાય છે. એટલે દુષ્કાળોનો સામનો કરવા અનાજનું ભંડોળ વધારવાની ખાસ જરૂર છે.
- વૈશ્વિકીકરણની અસરો : ભારત સરકારે ખેતીક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેતપેદાશોની આયાત-નિકાસ માટેની પ્રક્રિયા સરળ બની છે. તેના કારણે વિશ્વના બજારમાં આપણી ઊંચી ગુણવત્તાવાળી કૃષિપેદાશોનું ‘પેટન્ટ’ મેળવી લેવું હિતાવહ બન્યું છે, તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેક્નોલૉજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરી શકશે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.
અથવા
ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને ક્યા કયા છે? તે દરેક પર ટૂંક નોંધ લખો.
ઉત્તર : ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો છ છે : 1. જીવનનિર્વાહ ખેતી, 2. સૂકી (શુષ્ક) ખેતી, 3. આર્દ્ર (ભીની) ખેતી, 4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી, 5. બાગાયતી ખેતી અને 6. સઘન ખેતી.
1. જીવનનિર્વાહ ખેતી : જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે, તે ખેતી ‘જીવનનિર્વાહ’ કે ‘આત્મનિર્વાહ ખેતી’ કહેવાય છે. આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે.
→ ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાનાં ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે.
→ વળી, ગરીબીને કારણે તેમને ખેતીનાં આધુનિક ઓજારો, મોંઘાં બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી.
→ અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે.
→ ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે.
2. સૂકી (શુષ્ક) ખેતી : જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં ‘સૂકી ખેતી’ કરવામાં આવે છે.
→ આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે.
→ અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે.
→ ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.
3. આર્દ્ર (ભીની) ખેતી : જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં આર્દ્ર ખેતી’ થાય છે.
→ વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે.
→ અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.
4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી : ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે.
→ તેમાં જંગલોનાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે.
→ બે-ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને ‘સ્થળાંતરિત’ ‘ઝૂમ ખેતી’ પણ કહે છે.
→ અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે.
→ આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.
5. બાગાયતી ખેતી : સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી ‘બાગાયતી ખેતી’ કહેવાય છે.
→ તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે.
→ તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેક્નિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે.
→ અહીં ચા, કૉફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, ફળફળાદિ વગેરેના પાક લેવામાં આવે છે.
→ આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરાં, દ્રાક્ષ, લીંબુ, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે.
6. સઘન ખેતી : જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ-ઉત્પાદન કરી શકે છે.
→ તેથી તે ઊંચી જાતનાં બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવાય છે.
→ આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે.
→ તેમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.
→ સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.
→ તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને વ્યાપારી ખેતી’ પણ કહે છે.
(2) વિવિધ કૃષિ-પદ્ધતિઓ સવિસ્તર વર્ણવો.
અથવા
ભારતમાં કઈ કઈ કૃષિ-પદ્ધતિઓ પ્રચલિત છે? દરેક વિશે માહિતી આપો.
ઉત્તર : ભારતમાં સજીવ ખેતી, ટકાઉ (પોષણક્ષમ) ખેતી, મિશ્ર ખેતી વગેરે કૃષિ-પદ્ધતિઓ પ્રચલિત છે.
1. સજીવ ખેતી : જે કૃષિ-પદ્ધતિમાં યૂરિયા કે બીજાં કોઈ પણ પ્રકારનાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને ‘સજીવ ખેતી’ કહે છે.
→ તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાંનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે.
→ તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
→ સજીવ ખેતી(જૈવિક ખેતી)ની પેદાશો પોષણયુક્ત હોય છે.
→ તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.
→ તેમાં ખનીજ, વિટામિન અને જીવનશક્તિ આપતાં તત્ત્વો હોય છે.
→ સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ રહે છે, તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે.
2. ટકાઉ ખેતી : આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ-સંરક્ષણ વગેરે બા તોની પૂરતી કાળજી લેવામાં આવે છે.
3. મિશ્ર ખેતી : આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાં-બતકાંઉછેર, મધમાખીઉછેર, મત્સ્યઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
(3) ભારતમાં કૃષિક્ષેત્રે આવેલા ટેક્નિકલ સુધારા જણાવો.
અથવા
કૃષિમાં ટેક્નિકલ સુધારાનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર : ભારતમાં ખેતીનાં સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલાં પરિવર્તનો ટેક્નિકલ સુધારા ગણાય છે.
→ ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલાં કોસ, રેંટ વગેરેનો ઉપયોગ કરતો હતો. તેની જગ્યાએ હવે તે સબમર્સિબલ કે મોનોબ્લૉક, સોલર પંપ વગેરે વાપરતો થયો છે.
→ ઓછા પાણીએ વધુ પાક લેવા માટે તે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે.
→ આજનો ખેડૂત સુધારેલાં બિયારણો અને બીજની સંકરણ જાતોનો ઉપયોગ કરવા લાગ્યો છે. તે NPK (નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ), DAP (ડાઇ અમોનિયમ ફૉસ્ફેટ) અને યૂરિયા જેવાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો થયો છે.
→ બાયોફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ થાય છે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા આર્થિક મદદ અને રાહત પણ આપે છે.
→ ખેડૂત તેના પાકને કીટકો અને રોગોથી બચાવવા કીટકનાશક અને જંતુનાશક દવાઓ તેમજ ‘બાયોકંટ્રોલર(જૈવિક નિયંત્રક)’નો ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી, માર્ગદર્શન તેમજ આર્થિક મદદ આપે છે.
→ ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન, DD કિસાન ચૅનલ, મોબાઇલ ૫૨ કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 (કિસાન કૉલ સેન્ટર), સરકારના ખેડૂત વેબપોર્ટલ, i-ખેડૂત અને agrimarket જેવી મોબાઇલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
→ જિલ્લા કક્ષાએ ‘ખેડૂત તાલીમ કેન્દ્રો’ની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે.
→ વળી, કૃષિક્ષેત્રે સરકાર દ્વારા થતાં સંશોધનો અને નવી તકનિકોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામસેવકોની નિમણૂક કરવામાં આવે છે.
→ કુશળ કૃષિવિદ અને કૃષિવૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમજ નવાં સંશોધનો કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
→ ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે.
→ કૃષિક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR)’ અને ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઍન્ડ એજ્યુકેશન (DARE)’ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે.
→ સરકાર ખેડૂતને ખેતી માટે વિવિધ પ્રકારની સબિસડી અને ઓછા વ્યાજદરે લોન આપી મદદ કરે છે.
(4) ભારતમાં કૃષિક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો.
ઉત્તર : ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે :
→ જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ખેડે તેની જમીન’ જેવા ગણોતધારા દ્વારા જમીન ખેડનારને જમીનમાલિકીનો હક આપવામાં આવ્યો છે.
→ ‘જમીન ટોચ મર્યાદા’ દ્વારા જમીનમાલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે.
→ ‘જમીન એકત્રીકરણ કાર્યક્રમ’ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે.
→ ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બૅન્કો, સહકારી બૅન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે.
→ બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે.
→ ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
→ દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે.
→ માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે.
→ ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ-વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે.
→ સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશવ્યવહારની સગવડો વધારવામાં આવી છે.
→ 1. ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ (Natural Agri- cultural Co-operative Marketing Federation of India- NAFED), 2. ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ (Gujarat Co-operative Oilseeds Growers’ Federation – GROFED), ૩. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board – NDDB) અને 4. ગુજરાત સ્ટેટ કૉ-ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ (GUJCOMASOL) વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સ૨કારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિપેદાશો ખરીદે છે.
(5) ટૂંક નોંધ લખો : હરિયાળી ક્રાંતિ
અથવા
ભારતમાં કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે એમ શાથી કહી શકાય?
અથવા
કારણો આપો : ભારતમાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે.
ઉત્તર : સુધારેલાં બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ- ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને રિયાળી ક્રાંતિ’ (Green Revolution) કહે છે.
→ કૃષિ-ઉત્પાદનોમાં વધારો કરવો એ હિરયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો.
→ ખેડૂતોને સુધારેલાં બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. પરિણામે કૃષિ-ઉત્પાદનોમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી.
→ હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. કપાસ, શેરડી, શણ, તેલીબિયાં જેવા રોકિડયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.
→ દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે.
→ આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી. અનાજના બફર સ્ટૉકને લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી સામનો કરી શકાયો છે.
→ અન્નક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ એક ઐતિહાસિક સિદ્ધિ છે.
(6) ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું શાથી જરૂરી બન્યું છે?
અથવા
ભારતમાં આજે અનાજનો સંગ્રહ કરવાનું શાથી જરૂરી બન્યું છે?
ઉત્તર : ભારતમાં આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજ ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બન્યો છે. એ સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે.
→ ઈ. સ. 1951માં ભારતની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી, તે વધીને ઈ. સ. 2011માં આશરે 121 કરોડ જેટલી થઈ હતી. તેથી દેશમાં અનાજની માંગમાં વધારો થયો છે.
→ ઈ. સ. 1950 – 1951માં ભારતમાં 51 કરોડ ટન અનાજ પેદા થયું હતું. તે વધીને ઈ. સ. 2013 – 2014માં વિક્રમજનક 265.04 કરોડ ટન થયું હતું.
→ આજે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય એટલું અનાજ દેશના ગોદામોમાં છે.
→ અનાજના એ ભંડારો જાળવી રાખવા અને તેમાં વધારો કરવો તે જરૂરી બન્યું છે.
→ અનાજનો બફર સ્ટૉક ઊભો કરીને દુષ્કાળ કે અનાજની અછતના સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય તેમ છે.
→ અનાજના ગોદામોના અનાજને બગડતું અટકાવવા માટે અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ.
→ દર વર્ષે ગોદામોમાં અનાજને બગડતું અટકાવવું ખાસ જરૂરી બન્યું છે. આ માટે અનાજના સંગ્રહણ અને પ્રબંધનની સંગીન વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે.
→ સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા (Food Security Act) દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વહેંચવાનું શરૂ કર્યું છે.
→ આમ, દર વર્ષે દેશમાં મબલખ અનાજ થતું હોવાથી તેનું સંરક્ષણ · કરવું અનિવાર્ય બન્યું છે.
→ આજે ભારત અનાજક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે, પરંતુ ભવિષ્યમાં ક્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશમાં અનાજનો સંગ્રહ કરવાનું જરૂરી બન્યું છે.
(7) વિશ્વબજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.
અથવા
ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો.
ઉત્તર : વૈશ્વિકીકરણની કૃષિક્ષેત્રે નીચે પ્રમાણે અસરો થઈ છેઃ
→ ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેતપેદાશોની આયાત-નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
→ તેના પરિણામે ગુજરાતનાં કપાસ, મરચાં, તલ વગેરે ચીનનાં બજારોમાં અને વિશ્વનાં વિવિધ ફળો ભારતનાં બજારોમાં વેચાવા લાગ્યાં છે.
→ આ સંજોગોમાં ખેતપેદાશોનાં પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયાં છે.
→ આપણાં કૃષિ-ઉત્પાદનોને પરદેશથી આવતાં એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઊતરવું પડે છે.
→ વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેતપેદાશોનું ‘પેટન્ટ’ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે, તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેક્નોલૉજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે.
→ વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતાં મોંઘાં ભાવનાં ‘જીનેટિકલી મૉડિફાઇડ’ બી.ટી. બિયારણો ભારતમાં મળવા લાગ્યાં છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે. જોકે, એ બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે.
→ વૈશ્વિક બજારોમાં થતી ખેતપેદાશોની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિક્ષેત્રે નવી ટેક્નોલૉજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે.
→ કૃષિક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવાં પડશે.
(8) ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક – સમજાવો.
અથવા
ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યોનાં નામ જણાવો.
અથવા
નીચે આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે. તે કયો પાક છે? તે પાકની વિસ્તૃત માહિતી આપો.

ઉત્તર : પ્રશ્નમાં આપેલ ચિત્ર ડાંગરના પાકનું છે.
ડાંગરની વિસ્તૃત માહિતી નીચે પ્રમાણે છે :
→ ડાંગર ભારતનો ખૂબ મહત્ત્વનો ધાન્ય પાક છે.
→ ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે.
→ વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે.
→ ડાંગર ઉષ્ણ કટિબંધનો ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે.
→ તેને નદીઓના મેદાનની કે મુખત્રિકોણપ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેમી કે તેથી વધુ વરસાદ અને લઘુતમ 20°સે તાપમાન માફક આવે છે.
→ ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ ડાંગરનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં વર્ષમાં તેના બે પાક લેવામાં આવે છે.

→ ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગે૨ે જિલ્લાઓમાં ડાંગર પાકે છે.
→ ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે.
→ ભારતની લગભગ 50 % વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે.
(9) ‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો.
અથવા ઘઉંના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તર : ભારતમાં ડાંગર પછીનો મહત્ત્વનો ધાન્ય પાક ઘઉં છે.
→ વિશ્વમાં ઘઉંના પાકનું મહત્ત્વ સૌથી વિશેષ છે.
→ ભારતની ૐ ખેતભૂમિ ૫૨ ઘઉંની ખેતી થાય છે.
→ તે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે.
→ ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવી પાક છે.
→ તેને ફળદ્રુપ ગોરાડુ કે કાળી જમીન, વાવણી વખતે 10થી 15°સે જેટલું અને લણણી વખતે 20થી 25 °સે જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.
→ ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે.
→ હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે.
→ ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી નુકસાન થાય છે.
→ ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં-ઉત્પાદનનો ૐ ભાગ આ રાજ્યોનો હોય છે.
→ આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ‘ઘઉંનો કોઠાર’ કહેવાય છે.
→ આ ઉપરાંત, ભારતમાં મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે.
→ ગુજરાતના ભાલ પ્રદેશમાં ‘ભાલિયા ઘઉં’ થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે.
→ પોષક તત્ત્વોની દૃષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફૉસ્ફરસ જેવાં તત્ત્વો હોય છે.
→ ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને ‘અનાજનો રાજા’ કહેવામાં આવે છે.
→ ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે.

(10) જુવાર, બાજરી અને મકાઈ માટે યા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેમનું નોંધપાત્ર ઉત્પાદન ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તર : જુવાર, બાજરી અને મકાઈ જાડાં ધાન્ય તરીકે ઓળખાય છે.
→ સામાન્ય રીતે જ્યાં વરસાદ થોડો ઓછો પડે છે, જમીન ઓછી ફળદ્રુપ છે અને સિંચાઈની સગવડ અલ્પ છે ત્યાં આ ખરીફ પાકો લેવામાં આવે છે.
1. જુવાર : તેને 50 સેમી જેટલો વરસાદ, 25થી 30 °સે જેટલું તાપમાન તથા કાળી અને ગોરાડુ જમીન અનુકૂળ છે.
→ ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે.
→ દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.
→ જુવાર ખરીફ અને રવી પાક છે.
→ જુવારનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે.
→ તે કર્ણાટક, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત રાજ્યોમાં પણ સારી પાકે છે.
→ ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લાઓમાં થાય છે.
→ જુવાર લીલા પશુચારા તરીકે વિશેષ વપરાય છે.
2. બાજરી : તે શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.
→ તે 40થી 50 સેમી જેટલો વરસાદ, 25થી 30 °સે જેટલું તાપમાન તથા ઓછી ફળદ્રુપ રેતાળ જમીનવાળા પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે.
→ ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ બાજરીનો પાક થાય છે.
→ ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ ઉપરાંત, કચ્છ અને સાબરકાંઠામાં પણ બાજરી થાય છે.
3. મકાઈ : તે ખરીફ ધાન્ય પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધારે વાવેતર થાય છે.
→ તે ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડાય છે, જ્યાં તે લોકોનો મુખ્ય ખોરાક છે.
→ મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢોળાવવાળી, કાળી, કઠણ અને પથરાળ જમીન, 50થી 100 સેમી જેટલો વરસાદ અને 21થી 27 °સે જેટલું તાપમાન વધુ માફક આવે છે.
→ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ વગેરે તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
→ ગુજરાતમાં મકાઈનો પાક પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં થાય છે.
→ મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનોમાં થાય છે.
(11) ‘ભારતના તેલીબિયાં પાક’ વિશે સવિસ્તર જણાવો.
ઉત્તર : ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળશી વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે.
→ આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવાય છે.
→ ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે.
1. મગફળી : બધાં તેલીબિયાંમાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.
→ તેના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતીમિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20થી 25 °સે જેટલું તાપમાન તથા 50થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે.
→ તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે.

→ તે ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે.
→ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.
→ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે.
→ ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાદ્યતેલ તરીકે વધારે વપરાય છે.
2. તલ : તેનો પાક વર્ષા આધારિત છે.
→ આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે.
→ તે લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધુ થાય છે.
→ તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.
→ ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
→ બધાં તેલીબિયાંમાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે.
→ ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.
3. સરસવ : તે રવી પાક છે. તે ઉત્તર ભારતનો મહત્ત્વનો તેલીબિયાં પાક છે.
→ સરસવનાં બીજ અને તેના તેલને ઔષધ અને ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
→ ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ સરસવનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
4. નાળિયેર : તેને દરિયાકિનારાની ક્ષારવાળી જમીન તથા ગ૨મ અને ભેજવાળી આબોહવા માફક આવે છે.
→ ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરલમાં થાય છે.
→ આ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અંદમાન- નિકોબારમાં નાળિયેરીના બગીચા આવેલા છે.
→ ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે.
→ નાળિયેરના કોપરાને સૂકવી તેમાંથી તેલ (કોપરેલ) મેળવાય છે.
→ દક્ષિણ ભારતમાં તેનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણાં તરીકે વપરાય છે.
→ ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે.
5. એરંડો : એરંડા એટલે દિવેલા. તે ખરીફ તેમજ રવી પાક છે.
→ ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્ર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે.
→ ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો 64 % હિસ્સો ભારતમાં થાય છે.
→ એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પછી ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે.

→ ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80 % ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય છે.
→ ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં થાય છે.
(12) ચા, કૉફી અને કોકોના પાકો માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તર : 1. ચા : તેના પાક માટે લોહતત્ત્વવાળી અને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન જરૂરી છે.
→ ચાના છોડનાં મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ કોહવાઈ જાય છે.
→ તેને 20થી 30°સે જેટલું તાપમાન અને 200 સેમી જેટલા વરસાદની જરૂર રહે છે.
→ લાંબી વર્ષાઋતુ અને આંતરે આંતરે ઝાપટાંરૂપે પડતો વરસાદ તેને વધુ માફક આવે છે.
→ ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધનો પાક છે.

→ ભારતમાં ચાનું વધુ ઉત્પાદન અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડના પહાડી ઢોળાવો પર થાય છે.
→ ભારતમાં ચાનું 75 % ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય છે.
→ વિશ્વમાં ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.
→ શ્રીલંકા, ચીન અને ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે.
2. કૉફી : તેના છોડને પહાડી ઢોળાવ ૫૨, સૂર્યનો સીધો તાપ બહુ ન લાગે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે.
→ તેને 15થી 28 °સે જેટલું તાપમાન અને 150થી 200 સેમી જેટલો વરસાદ અને પર્વતીય ઢોળાવવાળી જમીન માફક આવે છે.
→ ભારતમાં કૉફી કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં વધારે થાય છે.
→ કર્ણાટકનો કૂર્ગ વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.

3. કોકો : કોકો વૃક્ષના ફળનાં બીજમાંથી કોકો તૈયા૨ ક૨વામાં આવે છે. કોકો પેય પદાર્થ છે. તેમાંથી ચૉકલેટ પણ બનાવવામાં આવે છે.
→ કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધારે વરસાદની જરૂર રહે છે.
→ કોકોનું ઉત્પાદન આફ્રિકાના દેશોમાં થાય છે.
→ ભારતમાં તેનું વાવેતર અને ઉત્પાદન કેરલ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં થાય છે.
(13) કપાસના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તર : વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે.
→ કપાસમાંથી મળતું રૂ મુખ્યત્વે કાપડ બનાવવા માટે વપરાય છે. રૂ ભારતમાં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.
→ તેનાં બી(કપાસિયા)નું તેલ ખાદ્યતેલ તરીકે અને કપાસિયા દુધાળાં પશુઓના ખાણ તરીકે વપરાય છે.
→ કપાસ ખરીફ પાક છે. તેના પાકનો સમયગાળો 6થી 8 મહિનાનો હોય છે.
→ તેને કાળી અને ખનીજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી લાવારસની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20થી 35 °સે જેટલું તાપમાન અને 30થી 70 સેમી જેટલો વરસાદ માફક આવે છે.
→ લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ અનુકૂળ થાય છે. તેને હિમથી નુકસાન થાય છે.
→ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને રાજસ્થાન વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
→ ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે.
→ ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો ‘કાનમ પ્રદેશ’ ઊંચા પ્રકારના કપાસ માટે જાણીતો છે.
→ ગુજરાતના ખેડૂતો બી.ટી. કપાસનું વાવેતર કરે છે. પરિણામે તેના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે.

(14) નીચે જણાવેલ દરેક પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો : [ પ્રત્યેકના 3 ગુણ]
1. શણ
ઉત્તર : વિશ્વમાં શણના ઉત્પાદનમાં હાલમાં ભારત પ્રથમ સ્થાને છે. શણના રેસાંને ગોલ્ડન ફાઇબર’ કહે છે.
→ જેમાં દર વર્ષે નવો કાંપ પથરાતો હોય એવી નદીઓના મુખ- ત્રિકોણપ્રદેશોની ચીકણી અને ફળદ્રુપ જમીન શણના પાકને વધુ માફક આવે છે.
→ આ પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા, 30થી 40 °સે જેટલું તાપમાન અને 100 સેમીથી વધુ વરસાદ જરૂરી છે.
→ ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખત્રિકોણપ્રદેશમાં થાય છે. અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ શણ થાય છે.
→ શણમાંથી સૂતળી, કંતાન, કોથળા, સાદડી, દોરડાં, થેલીઓ, પગરખાં અને હસ્તકારીગરીના નમૂના બને છે.
2. તમાકુ
ઉત્તર : તમાકુ ખરીફ પાક છે.
→ તમાકુના પાકને રેતાળ ગોરાડુ જમીન, 20°સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે.
→ જ્યાં વ૨સાદ ઓછો પડે છે ત્યાં સિંચાઈથી પાક લેવામાં આવે છે.
→ તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીનનું મહત્ત્વ વધારે છે.
→ ભારતમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં તમાકુ વધુ પાકે છે.
→ ગુજરાતનો ખેડા અને આણંદ જિલ્લાઓનો ‘ચરોતર’ પ્રદેશ તમાકુના ઊંચા ઉત્પાદનના કારણે ‘સોનેરી પાનનો મુલક’ કહેવાય છે. આ ઉપરાંત, મહેસાણા, વડોદરા અને પંચમહાલમાં પણ તમાકુનું વધુ વાવેતર થાય છે.
→ ભારતમાં કુલ બીડી-તમાકુનું 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
→ દેશની તમાકુના પાંચમા ભાગની નિકાસ કરવામાં આવે છે.
→ તમાકુનો ઉપયોગ બીડી, સિગારેટ, છીંકણી, ગુટખા વગે૨ે બનાવવામાં થાય છે.
→ તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભારતમાં સિક્કિમ રાજ્યે તમાકુ-ગુટખાના સેવન ૫૨ પ્રતિબંધ મૂક્યો છે.
3. રબર
ઉત્તર : લેટેક્ષ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષી૨)માંથી રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકઠા કરેલ દૂધમાં એસેટિક ઍસિડ મેળવીને તેને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવવામાં આવે છે.
→ રબરમાંથી બનાવવામાં આવતાં વિવિધ ઉત્પાદનોમાં ટાયર અને ટ્યૂબ મુખ્ય છે.
→ રબરના ઉત્પાદનમાં વિશ્વમાં મલેશિયા પ્રથમ સ્થાને છે, જ્યા૨ે ભારત પાંચમા સ્થાને છે.
→ ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદવાળાં ક્ષેત્રોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે.
→ ભારતમાં કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરામાં રબરનું ઉત્પાદન થાય છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.
અથવા
ટૂંક નોંધ લખો : રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિનું યોગદાન
ઉત્તર : ભારતના અર્થતંત્રમાં કૃષિપ્રવૃત્તિનું બહુ મહત્ત્વનું યોગદાન છે, જે નીચે પ્રમાણે છે :
→ કૃષિપ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે.
→ તે દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે.
→ તે રાષ્ટ્રીય આવકનો 22 % જેટલો હિસ્સો આપે છે.
→ તે દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ 17% હિસ્સો ધરાવે છે.
→ તે નિકાસ વ્યાપાર માટે ચા, કૉફી, કપાસ, શણ, તેજાના, મસાલાઓ, તમાકુ, તેલીબિયાં, બટાટા જેવી કૃષિપેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે.
→ તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.
→ તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે.
→ કૃષિ-ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.
(2) ભારતની કૃષિપેદાશો જણાવો.
ઉત્તર : ભારતમાં જમીન અને આબોહવાના વૈવિધ્યને લીધે નીચે પ્રમાણે વિવિધ પ્રકારની કૃષિપેદાશો થાય છેઃ
→ ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાગી અને જવ જેવા ધાન્ય પાકો.
→ ચણા, અડદ, મગ, મઠ, વાલ, વટાણા, તુવેર અને મસૂર જેવાં કઠોળ.
→ મગફળી, સરસવ, તલ, સોયાબીન, કરડી, અળશી, એરંડા જેવાં તેલીબિયાં અને નાળિયેર.
→ ચા, કૉફી અને કોકો જેવાં પીણાં.
→ કપાસ, શણ, શેરડી, તમાકુ અને રબર જેવા રોડિયા પાકો.
→ મરી, તજ, ઇલાયચી, લવિંગ જેવા તેજાના તેમજ ધાણા, મેથી, જીરું, હળદર, રાઈ, સુવા, અજમો, મરચાં જેવા મસાલાઓ.
→ અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી આવળ, સફેદ મુસળી, મધુનાશીની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુંવારપાઠું વગેરે ઔષધીય પાકો.
→> ફુદીનો, મેંથોલ, પામરોઝા, લેમનગ્રાસ વગે૨ે સુગંધિત પાકો.
→ વિવિધ પ્રકારની શાકભાજી.
→ કેરી, કેળાં, દ્રાક્ષ, પપૈયાં, સફરજન, નાસપાતી, જામફળ, સીતાફળ, મોસંબી, સંતરાં વગેરે ફળો.
→ ગુલાબ, મોગરો, જૂઈ, ગલગોટા, એસ્ટર, રજનીગંધા વગેરે ફૂલો.
(3) કયાં કારણોસર ભારતમાં કૃષિક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી?
અથવા
ક્યાં કારણોસર વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન ઓછું છે?
ઉત્તર : નીચેનાં કારણોસર ભારતમાં કૃષિક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. પરિણામે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં કૃષિ-ઉત્પાદન ઓછું છે :
→ ભારતના ખેડૂતો મહેનતુ છે, પણ તેમાંથી બહુ મોટા ભાગના ગરીબ અને અભણ છે. તેમની ગરીબી અને નિરક્ષરતાને લીધે તેઓને નાનાં ખેતરો માટે ટ્રેક્ટર, થ્રેસર, પંપ વગેરે યાંત્રિક સાધનો વસાવવાં કે વાપરવાં મોંઘાં પડે છે. પરિણામે કૃષિ-ઉત્પાદન વધારી શકાતું નથી.
→ ભારતની ખેતી મુખ્યત્વે વરસાદ પર અવલંબે છે, જે ઘણો અનિયમિત અને અનિશ્ચિત છે. પરિણામે કૃષિ-ઉત્પાદન ઓછું થાય છે.
→ દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી, તેમજ સિંચાઈની પણ સગવડ નથી. આ ભાગોમાં કૃષિપેદાશ ઓછી થાય છે.
→ દેશના માત્ર 40% વાવેતર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. બાકીના વિસ્તારમાં વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે.
→ ભારતમાં થયેલા મોટા વસ્તીવધારાના કારણે ખેતરોનાં કદ નાનાં થતાં જાય છે. ખૂબ નાનાં ખેતરોમાં કૃષિ-ઉત્પાદન ઓછું થાય છે.
→ ભારતના ખેડૂતો કૃષિ-ઉત્પાદનો વધારવા માટે પ્રયોગાત્મક વલણ ધરાવતા નથી. તેઓ સુધારેલાં બિયારણો, રાસાયણિક ખાતરો, આધુનિક કૃષિયંત્રો, વૈજ્ઞાનિક કૃષિ-પદ્ધતિઓ વગેરેનો ઓછો ઉપયોગ કરે છે.
→ સમાજમાં ખેતીના વ્યવસાયનો દરજ્જો નીચો મનાતો હોવાથી શિક્ષિત લોકો આ વ્યવસાયમાં જોડાતા નથી.
(4) ભારતના કઠોળના પાક વિશે માહિતી આપો.
ઉત્તર : શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.
→ ભારતમાં જુદી જુદી ઋતુમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર વગે૨ે કઠોળ પાકે છે.
→ તુવેર, અડદ, મગ અને મઠ એ ખરીફ પાક છે; જ્યારે ચણા, વટાણા અને મસૂર એ રવી પાક છે.
→ વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધાં જ રાજ્યોમાં જુદાં જુદાં કઠોળ ઉગાડવામાં આવે છે.
→ ભારતમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યો કઠોળનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
→ ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં, મગ-મઠનું કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે.
→ કઠોળના પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે. તેથી ધાન્ય પાકની સાથે કે ધાન્ય પાકો પછી જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતરપાક (Inter crop) તરીકે વાવેતર કરવામાં આવે છે.
(5) શેરડીના પાક માટે ક્યા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તર : શેરડીના ઉત્પાદનમાં ભારત એક અગ્રગણ્ય દેશ છે.
→ શેરડીમાંથી ગોળ, ખાંડ, ખાંડસરી જેવા ખાદ્ય પદાર્થો બને છે.
→ વાવેતરની દૃષ્ટિએ વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે.
→ ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે.
→ શેરડીના પાકને લાવાની કાળી જમીન કે નદીઓનાં મેદાનની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21°થી 27°સે જેટલું તાપમાન તથા 75થી 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી પાક લેવામાં આવે છે.
→ ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, બિહાર અને ગુજરાતમાં શેરડી પાકે છે,
→ ભારતમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે, પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર મોખરે છે.
→ ગુજરાતમાં શેરડી મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકે છે.
→ ગુજરાતમાં કોડીનાર, બારડોલી, ગણદેવી અને પેટલાદમાં ખાંડની મિલો છે, જેમાંની મોટા ભાગની સહકારી ધોરણે ચાલે છે.
(6) કૃષિક્ષેત્રે આવેલા ટેક્નિકલ અને સંસ્થાગત સુધારાની શી અસરો થઈ છે?
ઉત્તર : કૃષિક્ષેત્રે આવેલા ટેક્નિકલ અને સંસ્થાગત સુધારાની નીચે પ્રમાણે વ્યાપક અસરો થઈ છે :
→ તેનાથી કૃષિમાં ‘હરિયાળી ક્રાંતિ’ આવી છે. અનાજના ઉત્પાદનમાં સારો એવો વધારો થવાથી દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યો છે.
→ પહેલાં અનાજની આયાત કરવી પડતી. તેની જગ્યાએ હવે થોડી નિકાસ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વળી, ‘સઘન કૃષિ’ અને વાવેતર વિસ્તારમાં વધારો (કૃષિ-વિસ્તરણ) શક્ય બન્યાં છે.
→ હરિયાળી ક્રાંતિથી અનાજનું રાષ્ટ્રીય ભંડોળ ઊભું કરી શકાયું છે. પરિણામે અર્થતંત્ર સ્વાવલંબનના માર્ગે પ્રગતિ કરતું થયું છે.
→ ખેડૂતોની આવક વધી છે. રોજગારી ક્ષેત્રે સુધારો થતાં રાષ્ટ્રનો વિકાસ થયો છે. —
→ ટેક્નિકલ સુધારાની કેટલીક વિપરીત અસરો પણ થઈ છે.
→ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન-પ્રદૂષણ થયું છે. તેનાથી જમીનની ફળદ્રુપતાને અને માનવીના સ્વાસ્થ્યને માઠી અસર પહોંચી છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભારતમાં કૃષિ માટે કઈ કઈ અનુકૂળતાઓ છે?
ઉત્તર : ભારતમાં કૃષિ માટે નીચે મુજબની અનુકૂળતાઓ છે :
→ ભારતમાં ખેતીલાયક ફળદ્રુપ મેદાનોનો મોટો વિસ્તાર છે. દેશમાં આશરે 46 % સ્પષ્ટ વાવેતર વિસ્તાર છે.
→ ભારતમાં લગભગ બારે માસ ખેતી થઈ શકે તેવી વિવિધ પ્રકારની આબોહવા છે અને જુદા જુદા પાકોને અનુકૂળ વિવિધ પ્રકારની જમીનો છે.
→ ભારતના ખેડૂતો ઘણા મહેનતુ અને કુશળ છે.
→ ભારતના લગભગ 40% વિસ્તારોમાં સિંચાઈની સગવડો છે અને તેનો વિસ્તાર વધારવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.
(2) ખેત-ઉત્પાદનમાં વધારો કરવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા કઈ ખેત-પદ્ધતિઓ ભારતમાં વધુ પ્રચલિત છે?
ઉત્તર : ખેત-ઉત્પાદનમાં વધારો કરવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા ભારતમાં સજીવ ખેતી, પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે ખેત-પદ્ધતિઓ વધુ પ્રચલિત છે.
(3) જાયદ પાક એટલે શું? તેનો સમય કયો છે ?
અથવા
ઉનાળાના પાકને કયા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તર : ઉનાળામાં માર્ચથી જૂન સુધીના સમયગાળામાં લેવામાં આવતા પાકને ‘જાયદ પાક’ કહે છે. ઉદા., તરબૂચ, શાકભાજી, કાકડી.
(4) રોકડિયા પાક એટલે શું? ભારતમાં પાકતા મુખ્ય રોકડિયા પાક કયા કયા છે?
ઉત્તર : જે પાકમાંથી બનતી વસ્તુઓની બજારમાં મોટી માંગ હોય છે, તે પાકને રોકડિયા પાક કહે છે. આ પાકનું ઉત્પાદન વેપાર-ઉદ્યોગ માટે કરવામાં આવે છે. ભારતમાં પાકતા મુખ્ય રોકડિયા પાક કપાસ, શણ, શેરડી, તમાકુ, રબર વગે૨ે છે.
(5) જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે?
ઉત્તર : જૈવિક ખેતીનાં ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનીજ, વિટામિન અને જીવનશક્તિ આપતાં તત્ત્વો વધારે હોય છે. તેથી જૈવિક ખેત- ઉત્પાદનોની માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે.
(6) ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે?
ઉત્તર : ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે. અહીં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાના પાક લેવાય છે.
(7) મકાઈનો ઉપયોગ જણાવો.
ઉત્તર : (1) ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ ક૨ે છે. (2) મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયો- ફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે. (3) મકાઈનો પશુઆહારમાં, ધાણી બનાવવામાં અને ખાદ્યતેલમાં ઉપયોગ થાય છે.
(8) કૉફીના પાકની અનુકૂળતાઓ જણાવો.
ઉત્તર : (1) કૉફીના પાકને 15° થી 28 °સે જેટલું તાપમાન અને 150થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે. (2) કૉફીના છોડને પહાડી ઢોળાવ ૫૨, સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે.
(9) ભારતમાં મુખ્યત્વે કયાં કયાં ફળોની ખેતી થાય છે? કેળાં, સફરજન અને દ્રાક્ષનું ઉત્પાદન મુખ્યત્વે કયાં કયાં રાજ્યોમાં વધુ થાય છે?
ઉત્તર : ભારતમાં મુખ્યત્વે કેરી, કેળાં, દ્રાક્ષ, પપૈયાં, સફરજન, નાસપાતી, મોસંબી, સંતરાં, ચીકુ, દાડમ, જામફળ, સીતાફળ વગેરે ફળોની ખેતી થાય છે. કેળાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં વધુ થાય છે. સફરજન મુખ્યત્વે કશ્મીરના ખીણ પ્રદેશમાં તેમજ લડાખમાં અને હિમાચલ પ્રદેશમાં થાય છે. દ્રાક્ષનું ઉત્પાદન મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને હરિયાણામાં વધુ થાય છે.
(10) ગુજરાતમાં કઈ સંસ્થાઓ ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે કૃષિપેદાશો ખરીદે છે?
ઉત્તર : 1. ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ (Natural Agricultural Co-operative Marketing Federation of India – NAFED), 2. ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ (Gujarat Co-operative Oilseeds Growers’ Federation – GROFED), 3. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board – NDDB) અને 4. ગુજરાત સ્ટેટ કૉ-ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ (GUJCOMASOL) વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિપેદાશો ખરીદે છે.
(11) કૃષિ-આધારિત ઉદ્યોગો કયા કયા છે?
ઉત્તર : સુતરાઉ કાપડ, શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે કૃષિ-આધારિત ઉદ્યોગો છે.
(12) હરિયાળી ક્રાંતિ એટલે શું?
ઉત્તર : સુધારેલાં બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ- ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને ‘હરિયાળી ક્રાંતિ’ કહે છે.
કૃષિ-ઉત્પાદનોમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો, હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું છે.
પ્રશ્ન 4. નીચેનાં વિધાનોનાં ભૌગોલિક કારણો આપો :
(1) ભારતની કૃષિપેદાશોમાં વિવિધતા જોવા મળે છે.
અથવા
ભારતની કૃષિપેદાશોમાં શાથી વિવિધતા જોવા મળે છે?
ઉત્તર : ભારતમાં પહાડી, કાંપની, રેતાળ, લાલ, કાળી, પડખાઉ વગેરે વિવિધ પ્રકારની જમીનો છે.
→ એ પ્રમાણે ઠંડી અને ગરમ, સમઘાત અને વિષમ, સૂકી અને ભેજવાળી એમ વિવિધ પ્રકારની આબોહવા છે.
→ એક તરફ ભારે વરસાદના પ્રદેશો છે, તો બીજી તરફ નહિવત્ વરસાદના સૂકા પ્રદેશો પણ છે.
→ જમીન અને આબોહવાની આ વિવિધતાઓ મુજબ ભારતના જુદા જુદા પ્રદેશોમાં અને ભિન્ન ભિન્ન ઋતુઓમાં જુદા જુદા પાક થાય છે.
→ તેથી ભારતની કૃષિપેદાશોમાં વિવિધતા જોવા મળે છે.
(2) ભારતમાં ડાંગર સૌથી વધુ મહત્ત્વનો ધાન્ય પાક છે.
અથવા
ભારતમાં ડાંગર સૌથી મહત્ત્વનો ધાન્ય પાક શાથી ગણાય છે?
ઉત્તર : ભારતના ઉત્તરના મેદાનના પૂર્વ ભાગમાં, ઈશાન પ્રદેશમાં તથા કિનારાનાં મેદાનોમાં ભારે વરસાદ પડે છે.
→ આ પ્રદેશોની આબોહવા ગરમ અને ભેજવાળી છે, એટલે અહીં અનાજોમાં માત્ર ડાંગરનો પાક લઈ શકાય છે. આ ઉપરાંત, વધુ વરસાદવાળા અન્ય ભાગોમાં પણ ડાંગર મુખ્ય પાક છે.
→ આમ, ભારતમાં તેના કુલ વાવેતર વિસ્તારના 1/4 ભાગમાં ડાંગર પકવવામાં આવે છે અને દેશના અડધા ભાગના લોકોનો તે મુખ્ય ખોરાક છે.
→ તેથી ભારતમાં ડાંગર સૌથી વધુ મહત્ત્વનો ધાન્ય પાક છે.
(3) પંજાબને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે.
અથવા
પંજાબને ઘઉંનો કોઠાર’ શાથી કહેવામાં આવે છે?
ઉત્તર : ઘઉંના પાકને ફળદ્રુપ ગોરાડુ જમીન, વાવણી વખતે 10° થી 15 સે જેટલું અને લલણી વખતે 20° થી 25 સે જેટલું તાપમાન અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં સિંચાઈની મદદથી ઘઉંનો પાક લેવામાં આવે છે.
→ પંજાબમાં નદીઓના કાંપની જમીન અને નહેરોની સિંચાઈની આદર્શ સગવડો છે તેમજ શિયાળામાં શીતળ આબોહવા અને થોડો વરસાદ પણ મળી રહે છે.
→ વળી, પંજાબમાં ‘હરિયાળી ક્રાંતિ’ની પદ્ધતિએ ઘઉંની ખેતી થવા લાગી હોવાથી ઘઉંનું હેક્ટરદીઠ ઉત્પાદન સૌથી વધારે થાય છે.
→ આ કારણે પંજાબમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે. આથી પંજાબને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે.
(4) ઘઉં અનાજનો રાજા ગણાય છે.
અથવા
ઘઉંને અનાજનો રાજા શા માટે કહેવામાં આવે છે?
ઉત્તર : ઘઉં દુનિયાનો સૌથી વધુ મહત્ત્વનો ખોરાકી પાક છે. ઘઉંમાં બીજા કોઈ પણ અનાજ કરતાં વધારે પોષક તત્ત્વો હોય છે.
→ તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફૉસ્ફરસ જેવાં જરૂરી ખનીજ તત્ત્વો પણ હોય છે.
→ તેમાંથી રોટલી, ભાખરી, બ્રેડ (પાંઉ), બિસ્કિટ, કેક, મૅકરોની, સ્પગેટી વગેરે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાંની કોઈ ને કોઈ વાનગી વિશ્વના કરોડો લોકોના રોજિંદા ખોરાકમાં વપરાય છે.
→ આથી ઘઉં ‘અનાજનો રાજા’ ગણાય છે.
(5) ચાનો પાક પહાડી ઢોળાવો પર ઉગાડવામાં આવે છે.
અથવા
ચાનો પાક શા માટે પહાડી ઢોળાવો પર ઉગાડવામાં આવે છે?
ઉત્તર : ચાના પાક માટે આશરે 200 સેમી જેટલો વરસાદ, 20 થી 30 સે તાપમાન તથા પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહતત્ત્વવાળી જમીન આવશ્યક છે.
→ લાંબી વર્ષાઋતુ અને આંતરે આંતરે ઝાપટાંરૂપે પડતો વરસાદ ચાને વધુ માફક આવે છે.
→ ચાના છોડનાં મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ કોહવાઈ જાય છે.
→ તેથી જ્યાં પાણી સહેલાઈથી વહી જાય એવા અને ચાના છોડને અનુકૂળ આબોહવા ધરાવતા પહાડી ઢોળાવો પર ચાનો પાક ઉગાડવામાં આવે છે.
(6) કૉફીના છોડને વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે.
અથવા
કૉફીના છોડને વૃક્ષોની છાયામાં કેમ ઉછેરવામાં આવે છે?
ઉત્તર : કૉફીના છોડને 15 થી 28 °સે જેટલું તાપમાન માફક આવે છે. આથી વધુ તાપમાન કે સૂર્યનો સીધો તાપ તેને માફક આવતો નથી.
→ આથી કૉફીના છોડને પહાડી ઢોળાવો પર મોટાં વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે.
(7) ભારતમાં શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે.
ઉત્તર : ઉત્તર પ્રદેશમાં નદીઓના કાંપની દળદાર અને રસાળ જમીન છે તેમજ નહેરોની અને કૂવાઓની સિંચાઈની સગવડ છે.
→ આ ઉપરાંત, શેરડીના પાકને અનુકૂળ આબોહવા, તાપમાન અને વરસાદ છે.
→ આથી લગભગ આખા ઉત્તર પ્રદેશમાં શેરડી ખૂબ પાકે છે. આમ, ભારતમાં શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે.
(8) ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે.
અથવા
ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં શાથી થાય છે?
ઉત્તર : શણના છોડને જેમાં દર વર્ષે નવો કાંપ પથરાતો હોય તેવી નદીઓના મુખત્રિકોણપ્રદેશની ચીકણી અને ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 30થી 40 °સે જેટલું ઊંચું તાપમાન અને 100 સેમી કરતાં વધારે વરસાદની જરૂર પડે છે.
→ આ બધી અનુકૂળતાઓ ગંગા નદીના મુખત્રિકોણપ્રદેશમાં ખૂબ મોટા પ્રમાણમાં મળી રહેતી હોવાથી ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
(1) ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ……. છે.
A. વ્યાપાર
B. પશુપાલન
C. કૃષિ
ઉત્તર : C. કૃષિ
(2) ભારતની શ્રમશક્તિના લગભગ ……… % લોકો ખેતીકામમાં જોડાયેલ છે.
A. 72
B. 60
C. 48
ઉત્તર : B. 60
(3) ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ …… % જેટલો હિસ્સો છે.
A. 22
B. 52
C. 35
ઉત્તર : A. 22
(4) ભારતની નિકાસમાં ખેતી-પાકો અને ખેતપેદાશોનો લગભગ ……… % જેટલો હિસ્સો છે.
A. 24
B. 12
C. 18
ઉત્તર : C. 18
(5) જીવનનિર્વાહ ખેતીને ………. ખેતી પણ કહે છે.
A. આર્દ્ર
B. આત્મનિર્વાહ
C. સ્થળાંતરિત
ઉત્તર : B. આત્મનિર્વાહ
(6) જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને ………. ખેતી કહે છે.
A. સૂકી
B. સ્થળાંતરિત
C. જીવનનિર્વાહ
ઉત્તર : A. સૂકી
(7) સ્થળાંતરિત ખેતીને ……… ખેતી પણ કહે છે.
A. ઝૂમ
B. જીવનનિર્વાહ
C. આત્મનિર્ભર
ઉત્તર : A. ઝૂમ
(8) ……. ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.
A. સઘન
B. આર્દ્ર
C. ઝૂમ
ઉત્તર : C. ઝૂમ
(9) ………. ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.
A. ટકાઉ
B. આર્દ્ર
C. બાગાયતી
ઉત્તર : C. બાગાયતી
(10) ……… ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.
A. સઘન
B. આર્દ્ર
C. મિશ્ર
ઉત્તર : A. સઘન
(11) ………. ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે.
A. જીવનનિર્વાહ
B. આર્દ્ર
C. સઘન
ઉત્તર : C. સઘન
(12) …….. ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
A. સજીવ
B. મિશ્ર
C. બાગાયતી
ઉત્તર : A. સજીવ
(13) …….. ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.
A. બાગાયતી
B. સઘન
C. સજીવ
ઉત્તર : C. સજીવ
(14) સજીવ ખેતીને ……… ખેતી પણ કહે છે.
A. સઘન
B. જૈવિક
C. બાગાયતી
ઉત્તર : B. જૈવિક
(15) …….. ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે.
A. સજીવ
B. જીવનનિર્વાહ
C. આર્દ્ર
ઉત્તર : A. સજીવ
(16) ……… ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાં-બતકાં- ઉછેર, મધમાખીઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
A. સજીવ
B. મિશ્ર
C. સઘન
ઉત્તર : B. મિશ્ર
(17) ચોમાસાના પાકને …….. પાક પણ કહે છે.
A. જાયદ
B. રવી
C. ખરીફ
ઉત્તર : C. ખરીફ
(18) શિયાળુ પાકને ………… પાક પણ કહે છે.
A. ૨વી
B. ખરીફ
C. જાયદ
ઉત્તર : A. ૨વી
(19) ઉનાળુ પાકને ……. પાક પણ કહે છે.
A. ખરીફ
B. જાયદ
C. રવી
ઉત્તર : B. જાયદ
(20) ……… એ ખરીફ અને જાયદ પાક બંને છે.
A. ચણા
B. ઘઉં
C. ડાંગર
ઉત્તર : C. ડાંગર
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) ભારતમાં શ્રમશક્તિના લગભગ 72 % જેટલા લોકો ખેતીના કામમાં જોડાયેલા છે.
(2) ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો લગભગ 22 % જેટલો છે.
(3) ભારત એક કૃષિપ્રધાન દેશ છે.
(4) સ્થળાંતરિત(ઝૂમ)ખેતીમાં ઉત્પાદન ઘણું ઓછું થાય છે.
(5) સઘન ખેતીમાં ધાન્ય પાકોનું વાવેતર વધુ કરાય છે.
(6) આર્દ્ર ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.
(7) સજીવ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
(8) ચોમાસામાં લેવામાં આવતો પાક જાયદ પાક કહેવાય છે.
(9) શિયાળામાં લેવામાં આવતો પાક રવી પાક કહેવાય છે.
(10) ઉનાળામાં લેવામાં આવતો પાક ખરીફ પાક કહેવાય છે.
(11) ડાંગર અને મકાઈ બંને ખરીફ અને જાયદ પાક છે.
(12) ઘઉં અને ચણા બંને રવી પાક છે.
(13) ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ નંબરે છે.
(14) ડાંગર એ સમશીતોષ્ણ કટિબંધીય પાક છે.
(15) ઘઉં એ ઉષ્ણ કટિબંધીય પાક છે.
(16) ગુજરાત ‘ઘઉંનો કોઠાર’ કહેવાય છે.
(17) ઘઉં અનાજનો રાજા ગણાય છે.
(18) જુવાર ખરીફ અને રવી પાક છે.
(19) ઘઉં એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.
(20) ગુજરાતમાં બાજરીના વાવેત૨માં બનાસકાંઠા જિલ્લો મોખરે છે.
(21) મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે.
(22) માંસાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.
(23) તુવેર, અડદ, ચણા, મગ, મઠ વગેરે ખરીફ પાક છે.
(24) ચણા, વટાણા અને મસૂર રવી પાક છે.
(25) મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે.
(26) દેશમાં કુલ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે છે.
(27) તેલીબિયાંમાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે.
(28) ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
(29) વિશ્વમાં ભારત શિંગતેલની સૌથી વધુ આયાત કરતો દેશ છે.
(30) સરસવ એ રવી પાક છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખરું
(4) ખરું
(5) ખોટું
(6) ખોટું
(7) ખરું
(8) ખોટું
(9) ખરું
(10) ખોટું
(11) ખરું
(12) ખરું
(13) ખોટું
(14) ખોટું
(15) ખોટું
(16) ખોટું
(17) ખરું
(18) ખરું
(19) ખોટું
(20) ખરું
(21) ખરું
(22) ખોટું
(23) ખોટું
(24) ખરું
(25) ખોટું
(26) ખોટું
(27) ખરું
(28) ખરું
(29) ખોટું
(30) ખરું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) ભારતની અર્થવ્યવસ્થા શાના પર આધારિત છે?
ઉત્તર : ખેતી પર
(2) ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી દ્વારા ચણા અને ઘઉંનો પાક લેવામાં આવે છે?
ઉત્તર : સૂકી ખેતી
(3) કઈ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે?
ઉત્તર : સ્થળાંતરિત (ઝૂમ) ખેતીમાં
(4) કઈ ખેતી ખૂબ જ માવજત સાથે કરવામાં આવે છે?
ઉત્તર : બાગાયતી ખેતી
(5) કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ખૂબ થાય છે?
ઉત્તર : સઘન ખેતીમાં
(6) કઈ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે?
ઉત્તર : સજીવ ખેતીની
(7) કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી?
ઉત્તર : સજીવ ખેતીમાં
(8) કઈ ખેતીમાં પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું અને કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે?
ઉત્તર : સજીવ ખેતીમાં
(9) કઈ ખેતીમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે?
ઉત્તર : સજીવ ખેતીમાં
(10) પાણીની વધુ જરૂરિયાતવાળો પાક કયો છે?
ઉત્તર : ડાંગર
(11) ભારતની એક તૃતીયાંશ ખેતભૂમિ પર કયા પાકની ખેતી કરવામાં આવે છે?
ઉત્તર : ઘઉંની
(12) કયો પાક અનાજનો રાજા ગણાય છે?
ઉત્તર : ઘઉં
(13) ગુજરાતમાં બાજરીના વાવેતરમાં કર્યો જિલ્લો મોખરે છે?
ઉત્તર : બનાસકાંઠા
(14) મકાઈનો પાક કયા વિસ્તારોમાં વધુ થાય છે?
ઉત્તર : ડુંગરાળ
(15) શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્રોત કયો છે?
ઉત્તર : કઠોળ
(16) ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે કયું તેલ વધુ વપરાય છે?
ઉત્તર : શિંગતેલ
(17) તેલીબિયાંમાં તેલનું સૌથી વધુ પ્રમાણ શામાં હોય છે?
ઉત્તર : તલમાં
(18) ઉત્તર ભારતનો મહત્ત્વનો તેલીબિયાં પાક કયો છે?
ઉત્તર : સરસવ
(19) કોનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે?
ઉત્તર : નાળિયેરનું
(20) ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ કયો છે?
ઉત્તર : ચા
(21) કયા પાકને કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે?
ઉત્તર : કૉફીના પાકને
(22) વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર કયા દેશમાં થાય છે?
ઉત્તર : ભારતમાં
(23) શણના રેસાને શું કહે છે?
ઉત્તર : ગોલ્ડન ફાઇબર
(24) વિશ્વમાં રબરના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ ક્રમે છે?
ઉત્તર : મલેશિયા
(25) ચૉકલેટ શામાંથી બનાવવામાં આવે છે?
ઉત્તર : કોકોમાંથી
(26) ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં કઈ પ્રવૃત્તિ ગણાય છે?
ઉત્તર : જીવનનિર્વાહની
(27) કયા પ્રકારની ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે?
ઉત્તર : આર્દ્ર ખેતીમાં
(28) કયા પ્રકારની ખેતીમાં રોકડિયા પાકોનું વધુ વાવેતર થાય છે?
ઉત્તર : સઘન ખેતીમાં
(29) કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે?
ઉત્તર : સઘન ખેતીને
(30) કઈ ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે?
ઉત્તર : સજીવ ખેતીની
(31) કયા પાકની ખેતીમાં માનવશ્રમની વધુ જરૂરિયાત રહે છે?
ઉત્તર : ડાંગરના પાકની
(32) કયા પાકની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે?
ઉત્તર : ઘઉંના પાકની
(33) રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં કર્યું અનાજ શ્રેષ્ઠ છે?
ઉત્તર : ઘઉં
(34) ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં કયા પાકનું સૌથી વધુ વાવેતર થાય છે?
ઉત્તર : મકાઈનું
(35) ભારતમાં તલના ઉત્પાદન અને વાવેતરના વિસ્તારમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે?
ઉત્તર : ગુજરાત
(36) ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં કયા પાકનું વાવેતર કરવામાં આવે છે?
ઉત્તર : નાળિયેરીનું
(37) કપાસના છોડ પરથી શાનું ઉત્પાદન મેળવવામાં આવે છે?
ઉત્તર : રૂનું
(38) હિમથી કયા પાકને નુકસાન થાય છે?
ઉત્તર : કપાસના પાકને
(39) ભારતમાં કયા રાજ્યે તમાકુ-ગુટખા પર સૌપ્રથમ પ્રતિબંધ મૂક્યો છે?
ઉત્તર : સિક્કિમ રાજ્યે
(40) જીરું, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે?
ઉત્તર : ગુજરાત
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં ક્યું એક પરિબળ સાચું નથી?
A. વરસાદનું વધુ પ્રમાણ
B. સિંચાઈની અપૂરતી સગવડો
C. નાના કદનાં ખેતરો
D. વધારે વસ્તી
ઉત્તર : A. વરસાદનું વધુ પ્રમાણ
2. કઈ ખેતીને ‘ઝૂમ ખેતી’ પણ કહે છે?
A. જીવનનિર્વાહ ખેતીને
B. સૂકી ખેતીને
C. સ્થળાંતરિત ખેતીને
D. સજીવ ખેતીને
ઉત્તર : C. સ્થળાંતરિત ખેતીને
3. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?
A. સ્થળાંતરિત ખેતીમાં
B. સજીવ ખેતીમાં
C. આર્દ્ર ખેતીમાં
D. સઘન ખેતીમાં
ઉત્તર : D. સઘન ખેતીમાં
4. નીચેનાંમાંથી કયું કઠોળ ૨વી (શિયાળુ) પાક છે?
A. અડદ
B. મગ
C. ચણા
D. મઠ
ઉત્તર : C. ચણા
5. ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે?
A. ઘઉં
B. જુવાર
C. બાજરી
D. ડાંગર
ઉત્તર : D. ડાંગર
6. ભારતના ક્યા રાજ્યને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે?
A. ગુજરાત
B. મહારાષ્ટ્ર
C. પંજાબ
D. બિહાર
ઉત્તર : C. પંજાબ
7. દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?
A. મગફળીનું
B. એરંડાનું
C. શેરડીનું
D. ઘઉંનું
ઉત્તર : D. ઘઉંનું
8. કયું ધાન્ય ‘અનાજનો રાજા’ ગણાય છે?
A. ડાંગર
B. મકાઈ
C. ઘઉં
D. જુવાર
ઉત્તર : C. ઘઉં
9. કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?
A. પોટાશનું
B. યૂરિયાનું
C. નાઇટ્રોજનનું
D. ફૉસ્ફરસનું
ઉત્તર : C. નાઇટ્રોજનનું
10. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?
A. કેરલ
B. તમિલનાડુ
C. મધ્ય પ્રદેશ
D. ગુજરાત
ઉત્તર : D. ગુજરાત
11. કર્ણાટકના કયા પ્રદેશમાં કૉફી પુષ્કળ થાય છે? અથવા કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?
A. કૂર્ગ
B. ધારવાડ
C. બેલગામ
D. ચિત્રદુર્ગ
ઉત્તર : A. કૂર્ગ
12. કયા પાકને હિમથી નુકસાન થાય છે?
A. કપાસ
B. ચણા
C. શેરડી
D. ડાંગર
ઉત્તર : A. કપાસ
13. ભારતમાં કયા પાકને ‘ગોલ્ડન ફાઇબર’ કહે છે?
A. શણ
B. કપાસ
C. રબર
D. તમાકુ
ઉત્તર : A. શણ
14. રેતાળ ગોરાડુ જમીન, 20°સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ કયા પાક માટે અનુકૂળ છે?
A. કપાસ
B. ઘઉં
C. બાજરી
D. તમાકુ
ઉત્તર : D. તમાકુ
15. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?
A. બાગાયતી ખેતીમાં
B. ઝૂમ ખેતીમાં
C. સઘન ખેતીમાં
D. આર્દ્ર ખેતીમાં
ઉત્તર : B. ઝૂમ ખેતીમાં
16. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?
A. સજીવ ખેતીમાં
B. મિશ્ર ખેતીમાં
C. બાગાયતી ખેતીમાં
D. ટકાઉ ખેતીમાં
ઉત્તર : A. સજીવ ખેતીમાં
17. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે?
A. ઇસબગૂલ
B. મેથી
C. સરસવ
D. ધાણા
ઉત્તર : A. ઇસબગૂલ
18. નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?
A. ઇસબગૂલ
B. અજમો
C. વરિયાળી
D. અશ્વગંધા
ઉત્તર : D. અશ્વગંધા
19. નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?
A. ગળો
B. ફુદીનો
C. ગરમર
D. અશોક
ઉત્તર : B. ફુદીનો
20. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લડાખમાં કયું ફળ વિશેષ થાય છે?
A. સફરજન
B. કેળાં
C. દ્રાક્ષ
D. સંતરાં
ઉત્તર : A. સફરજન
21. ચૉકલેટ શામાંથી બને છે?
A. તલમાંથી
B. કોકોમાંથી
C. રબરમાંથી
D. ચામાંથી
ઉત્તર : B. કોકોમાંથી
22. ગુજરાતમાં કયા સ્થળે ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી’ આવેલી છે?
A. દાંતીવાડા
B. વડોદરા
C. આણંદ
D. જૂનાગઢ
ઉત્તર : A. દાંતીવાડા
23. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?
A. જુવાર, બાજરી – શુષ્ક ખેતી
B. ચા, કૉફી – જીવનનિર્વાહ ખેતી
C. ડાંગર, શેરડી – આર્દ્ર (ભીની) ખેતી
D. રબર, કોકો – બાગાયતી ખેતી
ઉત્તર : B. ચા, કૉફી – જીવનનિર્વાહ ખેતી
24. ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી.
A. સામાજિક કારણો, નાનાં ખેતરો, ખેતીલાયક જમીન ઓછી
B. સિંચાઈની અપૂરતી સગવડો
C. વૈજ્ઞાનિક અભિગમનો અભાવ
D. શિક્ષિત ખેડૂતો
ઉત્તર : D. શિક્ષિત ખેડૂતો
25. હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?
A. પશુપાલનનો વિકાસ કરી દૂધ-ઉત્પાદન વધારવું.
B. વધુ વૃક્ષો વાવી વનવિસ્તારમાં વધારો કરવો.
C. ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય તેવી વનસ્પતિની ખેતી કરવી.
D. સંસ્થાગત સુધારા, સંકરણ બિયારણ, સિંચાઈ સુવિધા વગેરેના પરિણામે કૃષિ-ઉત્પાદનોમાં વધારો થવો.
ઉત્તર : D. સંસ્થાગત સુધારા, સંકરણ બિયારણ, સિંચાઈ સુવિધા વગેરેના પરિણામે કૃષિ-ઉત્પાદનોમાં વધારો થવો.
26. કયો પાક ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવી પાક તરીકે ઉગાડવામાં આવે છે?
A. એરંડા
B. તલ
C. સરસવ
D. મગફળી
ઉત્તર : B. તલ
27. ચા અને કૉફી બંને પાકો ક્યાં રાજ્યોમાં થાય છે?
A. અસમ અને મહારાષ્ટ્રમાં
B. પશ્ચિમ બંગાળ અને કેરલમાં
C. તમિલનાડુ અને કર્ણાટકમાં
D. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં
ઉત્તર : C. તમિલનાડુ અને કર્ણાટકમાં
28. ICARનું પૂરું નામ જણાવો.
A. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ
B. ઇન્ડિયન કૉર્પોરેશન ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ
C. ઇન્ડિયન કમિટી ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ
D. ઇન્ડિયન કૉર ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ
ઉત્તર : A. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here