Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 7 આપણા વારસાનું જતન
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 7 આપણા વારસાનું જતન
પ્રક૨ણસાર
- આપણા દેશનો વારસો ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અનેક દૃષ્ટિએ અદ્વિતીય છે.
- વારસો દેશની ઓળખ છે. વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.
- વિદેશી પ્રજાનાં આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે.
- વિદેશી પર્યટકો ભારતનાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનાં સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા માટે ભારતમાં આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગ અને પરિવહન ઉદ્યોગનો વિકાસ થાય છે. દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે.
- શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શક(ટુરિઝમ ગાઇડ)નો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે.
- વિદેશી પર્યટકોને લીધે દેશને વિદેશી હૂંડિયામણ મળે છે. સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળી રહે છે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલાકારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે.
- આપણા પ્રાકૃતિક વારસાની જાળવણી માટે ઈ. સ. 1952માં ભારતીય વન્ય જીવો માટે બોર્ડની સ્થાપના કરવામાં આવી.
- ઈ. સ. 1972ના વન્ય જીવોને લગતા કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ઈ. સ. 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ દેશના પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું કાર્ય કરે છે.
- આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સ૨કા૨ે બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે.
- આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ઈ. સ. 1958માં ‘પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો’ બનાવ્યો છે.
- ભારત સરકારે દેશનાં મહત્ત્વનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ જાહેર કરીને તેમની સારસંભાળ અને સંરક્ષણનું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વ ખાતા(ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી)ને સોંપ્યું છે.
- ઐતિહાસિક સ્મારકના સમારકામ વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગે૨ે યથાવત્ જળવાઈ રહેવાં જોઈએ. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India)’ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ નીચેનાં લગભગ 5000 સ્મારકો અને સ્થળોના સંરક્ષણનું કાર્ય કરે છે.
- આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી પર આવેલી નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં સંગમેશ્વર અને પાપનાશમ્ મંદિર સમૂહને ભારતીય પુરાતત્ત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર નામના સુરક્ષિત સ્થળે સ્થાનાંતરિત કર્યાં છે.
- તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા વાયુ-પ્રદૂષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા અને પીળા પડી ગયા હતા.
- તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા પુરાતત્ત્વ ખાતાએ તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી.
- ઈ. સ. 1876ના ભારતીય નિધિ વ્યાપાર કાનૂન પ્રમાણે કોઈ પણ નાગરિકને ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતાં ખોદકામ દરમિયાન અચાનક કોઈ પ્રાચીન મૂલ્યવાન કલાકારીગરીવાળી વસ્તુ મળી આવે તો તેની જાણ પુરાતત્ત્વ ખાતાને કરવાની હોય છે.
- પુરાતત્ત્વીય અથવા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના 1972ના કાયદા અન્વયે સરકારે વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી અને તેનો સંગ્રહ થાય છે.
- ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’, નવી દિલ્લી; ‘ભારતીય સંગ્રહાલય’, કોલકાતા; ‘છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ)’, મુંબઈ; ‘સાલારગંજ સંગ્રહાલય’, હૈદરાબાદ; ‘રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’, ભોપાલ; ‘લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય’, અમદાવાદ, ‘શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર’, કોબા-ગાંધીનગર; ‘શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય’, પાટણ; ‘વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરી’, વડોદરા વગેરે દેશનાં મહત્ત્વનાં સંગ્રહાલયો છે.
- ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો, કલાકારીગરીના નમૂનાઓ વગેરે એક વાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી, તેથી તેનો નાશ ન થવા દેવાય. તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયનાં વાવ, ઝરણાં, તળાવો, સરોવરો વગેરે આવેલાં છે. તેની વર્ષાઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે.
- આપણા દેશનાં પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્ત્વનાં પગલાં લઈ રહી છે. એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્ત્વ ધરાવતાં પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે. તેથી આપણી સરકાર આવાં સ્થળોની જાળવણી માટે પ્રયાસો કરી રહી છે.
- પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન ભારતને વિશ્વમાં નામના અપાવે છે. પ્રાચીન સમયના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના સહારે તેનું જતન કરવું જોઈએ.
- ભારતે “વસુધૈવ ટુમ્બમ્’ની ભાવનાને જગતમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ’નો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વ્યાપકતાનું દર્શન કરાવે છે.
- યૂ.એસ.એ.ના શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’મા સ્વામી વિવેકાનંદે ભારતના ધર્મની સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વની ભાવનાનાં જગતને દર્શન કરાવ્યાં હતાં. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.
- પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ‘ભારતવર્ષ’ એવું વિશાળ નામ આપ્યું હતું, કારણ કે તેમણે ભારતની સાંસ્કૃતિક એકતા પર ભાર મૂક્યો હતો.
- ભારતના ઋષિમુનિઓ, સૂફી-સંતો અને સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગપુરુષોએ શાંતિ, સમન્વય, વિશ્વબંધુત્વ વગેરે બાબતો પર ભાર મૂક્યો છે.
- વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. સમગ્ર ભારતની પ્રજા સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો.
ઉત્તર : પ્રાકૃતિક વારસાના જતન માટે નીચેના પ્રયાસો કરવામાં આવ્યા છે :
→ ઈ. સ. 1952માં ભારત સરકારે ભારતીય વન્ય જીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી. એ બોર્ડ વન્ય જીવોનું સંરક્ષણ કરે છે તેમજ તે માટેનાં સાધનો પૂરાં પાડે છે.
→ તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષીવિહાર અને પક્ષીઘરોના નિર્માણ કરવા સંબંધિત સલાહ-સૂચનો અને માર્ગદર્શન આપે છે. તે વન્ય જીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું કાર્ય કરે છે.

→ ઈ. સ. 1972માં ભારત સરકારે વન્ય જીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવાયાં છે.
→ એ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.
→ દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યાં છે.
→ ઈ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે. તે સૌથી જૂની સંસ્થા છે.
→ હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે.
→ ભારત સરકાર ઉપરાંત, દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું ઘણું ઉપયોગી કાર્ય કરે છે.
(2) પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો.
અથવા
આપણા વારસાના સંરક્ષણને સંબંધકર્તા કયા બે કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાયો છે?
ઉત્તર : પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની – વારસાની જાળવણીને સંબંધકર્તા બે કાયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે :
→ ઈ. સ. 1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો.
→ આ કાયદામાં પ્રાચીન ક્લાકૃતિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો, ભારતીય સંસ્કૃતિને લગતાં ઉત્ખનન કરેલાં સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી ચીજવસ્તુઓની જાળવણી કરવા સૂચવ્યું છે.
→ આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન (ખોદકામ) કરી શકે નહિ.
→ આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાંક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કરીને તેમની સારસંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વ ખાતા(ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી)ને સોંપ્યું છે.
→ પુરાતત્ત્વ ખાતું નષ્ટ પામેલાં કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવાં સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે.
→ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી પરની નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં સંગમેશ્વર મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહને પુરાતત્ત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યાં છે.
→ તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા વાયુ-પ્રદૂષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા.
→ તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી.
→ ઈ. સ. 1972માં ભારત સરકારે બે કાયદા બનાવ્યા :
(1) પુરાતત્ત્વીય અથવા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો. આ કાયદા મુજબ વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની માહિતી એકઠી કરવામાં આવી છે.
(2) વન્ય જીવોને લગતો કાયદો – 1972. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને સમાવી લેવામાં આવ્યાં છે. આ કાયદા અંતર્ગત દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.
(3) ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો.
અથવા
ભારતની વિવિધતામાં એકતા’ વિશે ઉદાહરણ સહિત સમજૂતી આપો.
ઉત્તર : ભારત દેશની વિવિધતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે.
→ વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મો અને સંપ્રદાયોને પોતાનામાં સમાવીને ભારતે ‘વસુધૈવ ટુમ્બમ્’ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે.

→ ભારતની પ્રાચીન સંસ્કૃતિએ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાનાં બી વાવ્યાં હતાં, જેમાંથી આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે.
→ યૂ.એસ.એ.ના શિકાગો શહેરમાં યોજાયેલ ‘વિશ્વધર્મ પરિષદ’માં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિના એ વિશિષ્ટ લક્ષણને રજૂ કરતાં કહ્યું હતું કે “મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો (હિન્દુ ધર્મનો) હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.”
→ ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જગતના લગભગ બધા જ ધર્મો પાળતી પ્રજા ભારતમાં વસે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ વગે૨ે ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર થયેલી જોવા મળે છે.
→ પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો હતો. આથી જ તેમણે સમગ્ર દેશને ‘ભારતવર્ષ’ એવું વિશાળ નામ આપ્યું હતું.
→ તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી સાત પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે.
→ ભારતના ઋષિમુનિઓ, સૂફી-સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી વગેરે યુગપુરુષોએ હંમેશાં શાંતિ, સમન્વય અને વિશ્વબંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે.
→ ભારતમાં અનેક ધર્મો – સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીતરિવાજો, પરંપરાઓ, ઉત્સવો-તહેવારોના લોકો સમરસતાથી જીવન જીવે છે. તેઓ સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
→ આમ, વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. પ્રત્યેક યુગમાં ભારતીય પ્રજાએ એ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે.
(4) વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયોનું વર્ણન કરો.
ઉત્તર : આપણા વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે :
→ આપણા વારસાનાં સ્થળોના રક્ષણ પરત્વે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ પરત્વે દેશના તમામ નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા કેળવાવી જોઈએ.
→ વારસાનાં સ્થળોને પુરાતત્ત્વીય રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સાફસફાઈ કરીને વ્યવસ્થિત રાખવાં જોઈએ.
→ આપણા વારસાની જાળવણી અને રક્ષણ કરતાં દેશનાં સંગ્રહાલયોને સારી રીતે જાળવવાં જોઈએ.
→ આપણા અમૂલ્ય વારસાનાં પ્રતીક સમાં શિલ્પો, સ્થાપત્યો અને કલાકૃતિઓને કોઈ વ્યક્તિ કે પર્યટક નુકસાન પહોંચાડતો હોય તો તેને અટકાવવો જોઈએ. તેને આપણા ભવ્ય વારસાનું મહત્ત્વ અને મૂલ્ય સમજાવવું જોઈએ.
→ જંગલો, નદીઓ, ઝરણાં, સરોવરો વગેરેના પર્યાવરણને પ્રદૂષિત ન કરવું તેમજ વન્ય જીવોની હિંસા ન કરવી.
→ ‘આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન જ થવા દેવાય’ એવો લોકમત કેળવવો જોઈએ.
→ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે તેમનું મૂળ સ્વરૂપ તેમજ તેમનાં આકાર, કદ, સ્થિતિ વગેરે મૂળ સ્થિતિમાં સચવાઈ રહેવાં જોઈએ. સમારકામ આયોજનપૂર્વક અને નિષ્ણાતોનાં સલાહ-સૂચનો મુજબ થવું જોઈએ.
→ રાષ્ટ્રીય હિતમાં કોઈ સ્મારકને નુકસાન પહોંચતું હોય તો તેને મૂળ સ્વરૂપમાં સલામત સ્થળે ફેરવી અસલ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવું જોઈએ.
(5) આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ?
અથવા
આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો.
અથવા
“વારસાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર : આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે.
→ આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે.
→ આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે.
→ આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે આપણા માટે માર્ગદર્શક છે.
→ ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે.
→ દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.
→ વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે.
→ વિદેશી પ્રજાનાં આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે.
→ આવા આપણા ભવ્ય વારસાના મહત્ત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે.
(6) પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો.
અથવા
પર્યટન ઉદ્યોગથી ક્યા ક્યા લાભ થાય છે?
ઉત્તર : યુનેસ્કોએ ભારતનાં 32 જેટલાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યાં છે. તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓએ સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પરિણામે દેશમાં પ્રવાસ-પર્યટનનો એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. આ ઉદ્યોગથી જે-તે રાજ્યને અને દેશને નીચે દર્શાવેલા આર્થિક અને અન્ય લાભ થાય છેઃ
→ પ્રવાસનને લીધે પ્રવાસનાં સ્થળોની હૉટલો અને રેસ્ટોરન્ટોના માલિકોને, ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને, સ્થાનિક કલાકારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે.
→ પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે.
→ ટૂર્સ-ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઑપરેટરોને કમાણી થાય છે.
→ જે-તે રાજ્ય સરકારને જુદા જુદા ટૅક્સની આવક થાય છે.
→ દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશને કીમતી વિદેશી હૂંડિયામણની કમાણી થાય છે.
→ પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે.
→ શૈક્ષણિક ક્ષેત્રે પર્યટનસંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતાં દેશમાં પર્યટન માર્ગદર્શક(ટુરિઝમ ગાઇડ)નો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે.
→ વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્વળ બનાવે છે.
→ સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશાવ્યવહાર, વીજળી, પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે.
→ પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી અને નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.
→ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે.
(7) (આપણા) વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો.
અથવા
આપણા વારસાના સંરક્ષણની બાબતમાં લોકોની શી ભૂમિકા હોઈ શકે?
ઉત્તર : આપણો વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે. તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ.
→ શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કૉલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ.
→ લોકોએ આપણાં રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્ત્વીય અવશેષોને ઓળખવાં જોઈએ અને તેમના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ.
→ લોકોએ વારસાનાં સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ.
→ સ્થાનિક કક્ષાએ શાળા-કૉલેજો અને બિનસરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, વક્તવ્યો અને ચર્ચાસભાઓ યોજી વારસાના મહત્ત્વની સમજ આપી લોકજાગૃતિ અને સભાનતા કેળવવાં જોઈએ.
→ ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એકવખત નષ્ટ થયા પછી તેમને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. તેથી એ સ્મારકો નષ્ટ ન થાય, તેમની તોડફોડ ન થાય અને તે ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ સૌએ બજાવવી જોઈએ.
→ પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો, સરોવરો, કૂવા, વાવ, કુંડ, ઝરણાં, ઝરા વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ.
→ ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, અડાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે વર્ષાઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકોની જેમ જ જળવાય તેનું ધ્યાન સૌએ રાખવું જોઈએ.
→ સરકાર દ્વારા જળવાતાં સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં સંગૃહીત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજવસ્તુઓ ચોરાઈને દેશમાં કે વિદેશમાં જતી ન રહે તેની લોકોએ સાવધાની રાખવી જોઈએ.
→ એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : સંગ્રહાલયો
ઉત્તર : ભારતીય નિધિ વ્યાપાર કાનૂન – 1876માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિકને જમીન ખોદતાં, ખેતર ખેડતાં તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતાં અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્ત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી, જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયોમાં કે જે-તે સ્થળે થઈ શકે.
→ ઈ. સ. 1972માં અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે.
→ ગુજરાતમાં અમદાવાદ ખાતે ‘લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય’ (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી) અને ‘ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન’ (ભો. જે. વિદ્યાભવન); કોબા – ગાંધીનગર ખાતે ‘શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર’, પાટણ ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર (ગ્રંથાલય) વગે૨ે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુ લિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી કરે છે.
→ આપણા દેશમાં નવી દિલ્લી ખાતે ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’, કોલકાતા ખાતે ‘ભારતીય સંગ્રહાલય’, મુંબઈ ખાતે ‘છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય’ (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), હૈદરાબાદ ખાતે ‘સાલારગંજ સંગ્રહાલય’, ભોપાલ ખાતે ‘રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’, વડોદરા ખાતે ‘વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરી’ વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે.
→ તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યાં છે. તેમનું જતન અને રક્ષણ કરવું એ નાગરિકોની પવિત્ર ફરજ છે.
(2) પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારાં મંતવ્યો લખો.
અથવા
તમારા શહેર કે ગામમાં આવેલ કોઈ પ્રવાસન સ્થળની સ્વચ્છતા અને જતન માટે શું કરશો? જણાવો.
અથવા
પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટેના ખ્યાલો વ્યક્ત કરો.
ઉત્તર : પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેનાં મંતવ્યો | ખ્યાલો નીચે પ્રમાણે છે :
પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે હું નીચે પ્રમાણે કરીશ :
- કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.
- કચરો ગમે ત્યાં ન ફેંકવો. નાનો-મોટો બધો જ કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ.
- ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ.
- ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
- પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂંકવું ન જોઈએ.
- પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય-સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહિ.
- ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં તળાવો, સરોવરો, વાવ, કૂવા, કુંડ વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ.
- રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફસફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. તેમનાં મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવાં જોઈએ.
- દેશ-વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ.
- કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્નો કરવા જોઈએ.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો.
અથવા
ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
ઉત્તર : ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :
→ કોઈ પણ ઐતિહાસિક સ્મારકનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવાં જોઈએ.
→ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સ૨કા૨ે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ.
(2) આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે?
ઉત્તર : આપણા વારસાને લોકો નીચે દર્શાવેલી રીતે નુકસાન પહોંચાડે છે ઃ
→ નદીઓ, ઝરણાં, સરોવરો વગેરેને પ્રદૂષિત કરીને;
→ જંગલો, વૃક્ષો વગેરેને આડેધડ કાપીને;
→ જીવજંતુઓ અને વન્ય જીવોને મારી નાખીને;
→ શિલ્પો, સ્થાપત્યો, ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને;
→ તેમની આજુબાજુ ગંદકી કરીને;
→ શિલાલેખોના લખાણને ભૂંસી નાખીને.
(3) ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની રચના ક્યારે થઈ હતી? તે શું કાર્ય કરે છે?
ઉત્તર : ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની રચના ઈ. સ. 1883માં થઈ હતી. તે પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે.
(4) ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે?
ઉત્તર : ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India) નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે.
(5) સ્વામી વિવેકાનંદે ‘વિશ્વધર્મ પરિષદ’માં ધર્મ વિશે શું કહ્યું હતું?
અથવા
સ્વામી વિવેકાનંદે ક્યા શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી? એ પરિષદમાં તેમણે ભારતીય ધર્મ વિશે શું કહ્યું હતું?
ઉત્તર : સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી.
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય ધર્મ વિશે આ પ્રમાણે કહ્યું હતું : “મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’
(6) આપણા વારસાનું સંરક્ષણ શાથી આવશ્યક બન્યું છે?
ઉત્તર : ભૂકંપ, નદીઓનાં ઘોડાપૂર, વાવાઝોડાં વગેરે ભૌગોલિક રિબળો આપણા વારસાને નુકસાન પહોંચાડી રહ્યાં છે.
→ નાગરિકો આપણા વારસાના મહત્ત્વ અને મૂલ્યને જાણવામાં ઓછી જાગૃતિ અને સભાનતા ધરાવે છે.
→ મોટા ભાગના પર્યટકો આપણા વારસાની જાળવણી પરત્વે બેદરકાર છે.
→ આથી આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
→ આથી આપણા વારસાનું સંરક્ષણ આવશ્યક બન્યું છે.
(7) આપણા વારસાના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?
ઉત્તર : આપણા વારસાના સંરક્ષણ માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ :
→ આપણા પ્રાકૃતિક વારસાનાં અને સાંસ્કૃતિક વારસાનાં તમામ સ્થળોના રક્ષણ પરત્વે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે વિનાશ પરત્વે દેશના બધા નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા આવવી જોઈએ.
→ આપણા વારસાનાં તમામ સ્થળોને સુવ્યવસ્થિત રાખવાં જોઈએ, જેથી તેમનું સાતત્ય જળવાઈ રહે.
→ આપણા દેશનાં સ્થાપત્યો, શિલ્પો, ક્લાકૃતિઓ વગેરેને કોઈ પણ વ્યક્તિ કે પ્રવાસી નુકસાન પહોંચાડતો હોય, તો તેને અટકાવવો જોઈએ.
(8) આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે આપણી સંસદે અને ભારત સરકારે શું કર્યું છે?
ઉત્તર : આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે આપણી સંસદે ઈ. સ. 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો’ પસાર કર્યો છે.
→ તેમાં પ્રાચીન મૂર્તિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, ઉત્ખનન કરેલાં ભારતીય સંસ્કૃતિને લગતાં સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો, સિક્કાઓ તેમજ અન્ય અવશેષોની જાળવણી કરવાનું સૂચવ્યું હતું.
→ ઈ. સ. 1958માં સંસદે પસાર કરેલા કાયદા અનુસાર ભારત સરકારે કેટલાંક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યાં છે.
→ તેમની સારસંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વીય ખાતા(ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી)ને સોંપ્યું છે.
→ આ ઉપરાંત, પુરાતત્ત્વીય વારસાના સંરક્ષણ માટે ભારત સરકારે કેટલાક પેટાકાયદા પણ બનાવ્યા છે.
(9) પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતા 1958’ના કાયદામાં કઈ કઈ ચીજવસ્તુઓની જાળવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે?
ઉત્તર : ‘પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતા 1958’ના કાયદામાં પ્રાચીન મૂર્તિઓ, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્મારકો, ઉત્ખનન કરેલાં ભારતનાં સાંસ્કૃતિક સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો તેમજ પ્રાચીન સિક્કાઓ અને અવશેષો વગેરેની જાળવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
(10) આપણા વારસાનાં કેટલાંક સ્થળો હજુ પણ અકબંધ શાથી સચવાઈ રહ્યાં છે ?
ઉત્તર : ઈ. સ. 1958ના પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોની જાળવણીના કાયદા અનુસાર કોઈ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન કરી શકતી નથી. પરિણામે ખાનગી કે છૂપી રીતે થતાં ખોદકામો અટક્યાં છે. તેથી આપણા વારસાનાં કેટલાંક સ્થળો હજુ પણ અકબંધ સચવાઈ રહ્યાં છે.
(11) ભારતીય નિધિ વ્યાપાર કાનૂન – 1876માં કયો નિયમ બનાવવામાં આવ્યો છે?
ઉત્તર : ભારતીય નિધિ વ્યાપાર કાનૂન – 1876માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિકને ઘર માટે જમીન ખોદતાં, ખેતર ખેડતાં તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતાં અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્ત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી.
(12) “ભારતે વિશ્વમાં ‘વસુધૈવ ટુવમ’ની ભાવનાને સાકાર કરી છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર : પ્રાચીન સમયમાં ગ્રીક, શક, પલ્લવ, કુષાણ, હૂણ, યુએચી વગેરે પ્રજાને, મધ્યયુગ દરમિયાન તુર્કો, અફઘાનો, મુઘલો વગેરે પ્રજાને તથા અર્વાચીન સમયમાં ડચ, વલંદા, અંગ્રેજો વગેરેની અનેક સંસ્કૃતિઓ, ભાષાઓ, જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો અને સંપ્રદાયોને પોતાનામાં સમાવ્યાં છે. આમ, અનેક સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મસંપ્રદાયો અને સમાજને પોતાનામાં સમાવીને ભારતે ‘વસુધૈવ કુટુમ્બમ્’ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) ઈ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ શું કાર્ય કરે છે?
ઉત્તર : ઈ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ દેશના પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું કાર્ય કરે છે.
(2) આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે કઈ જોગવાઈ કરી છે?
ઉત્તર : આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સ૨કા૨ે બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે.
(3) આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ક્યારે, કયો કાયદો બનાવ્યો છે?
ઉત્તર : આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સ૨કા૨ે ઈ. સ. 1958માં ‘પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો’ બનાવ્યો છે.
(4) રાષ્ટ્રીય સ્મારકોની સારસંભાળ અને સંરક્ષણનું કાર્ય આપણા દેશમાં કોને સોંપાયું છે?
ઉત્તર : ભારત સરકારે દેશનાં મહત્ત્વનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ જાહેર કરીને તેમની સારસંભાળ અને સંરક્ષણનું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વ ખાતા(ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી)ને સોંપ્યું છે.
(5) ઐતિહાસિક સ્મારકના સમારકામ વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?
ઉત્તર : ઐતિહાસિક સ્મારકના સમારકામ વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે યથાવત્ જળવાઈ રહેવાં જોઈએ.
(6) નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં મંદિરોને કોણે, કયા સ્થળે સ્થાનાંતરિત કર્યાં?
ઉત્તર : નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં મંદિરોને ભારતીય પુરાતત્ત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર નામના સુરક્ષિત સ્થળે સ્થાનાંતરિત કર્યાં.
(7) આંધ્ર પ્રદેશમાં પાપનાશમ્ મંદિરસમૂહને કયા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે?
ઉત્તર : આંધ્ર પ્રદેશમાં પાપનાશમ્ મંદિરસમૂહને મહેબૂબનગર જિલ્લાના આલમપુર નામના સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે.
(8) તાજમહાલના આરસ કયા કારણે ઝાંખા પડી ગયા હતા?
ઉત્તર : તાજમહાલના આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા વાયુ-પ્રદૂષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા અને પીળા પડી ગયા હતા.
(9) તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા પુરાતત્ત્વ ખાતાએ શું કર્યું?
ઉત્તર : તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા પુરાતત્ત્વ ખાતાએ તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી.
(10) ઋગ્વેદનો કયો સંદેશ ભારતની સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે?
ઉત્તર : ‘“અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ” એ ઋગ્વેદનો સંદેશ ભારતની સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે.
(11) ભારતે “વસુધૈવ ટુમ્બમ્’ની ભાવના કેવી રીતે સાકાર કરી છે?
ઉત્તર : ભારતે અનેક સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મો અને સંપ્રદાયો તેમજ અનેક જાતિઓના સમાજને પોતાની સંસ્કૃતિમાં સમાવીને ‘વસુધૈવ ક્’ની ભાવના સાકાર કરી છે.
(12) સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ કઈ રીતે કરી હતી?
ઉત્તર : સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ કરતાં આ પ્રમાણે કહ્યું હતું : “મને કહેતાં ગર્વ થાય છે કે, જે ધર્મનો હું પ્રતિનિધિ છું; તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.”
(13) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને કયું નામ આપ્યું હતું? શા માટે?
ઉત્તર : પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ‘ભારતવર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું, કારણ કે તેઓ ભારતની સાંસ્કૃતિક એકતા પર ભાર મૂકવા માગતા હતા.
(14) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ રચેલી પ્રાર્થનાઓમાં દેશની પવિત્ર મનાતી સાત નદીઓનો સમાવેશ શા માટે કર્યો હતો?
ઉત્તર : પ્રાચીન ભારતના જ્યોતિર્ધરો સમગ્ર ભારતને સંસ્કૃતિ અને સંસ્કારોની દૃષ્ટિએ એક અને અખંડ માનતા હતા, તેથી તેમણે રચેલી પ્રાર્થનાઓમાં દેશની પવિત્ર મનાતી સાત નદીઓનો સમાવેશ કર્યો હતો.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
(1) વારસો એ દેશની ……… છે.
A. સમૃદ્ધિ
B. ઓળખ
C. સંસ્કૃતિ
ઉત્તર : B. ઓળખ
(2) ઈ. સ. 1952માં ભારત સરકારે ભારતીય ………. માટે બોર્ડની રચના કરી.
A. વન્ય જીવો
B. પુરાતત્ત્વીય સ્થળો
C. પ્રાચીન સ્મારકો
ઉત્તર : A. વન્ય જીવો
(3) ઈ. સ. ……… માં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે.
A. 1982
B. 1962
C. 1972
ઉત્તર : C. 1972
(4) ઈ. સ. 1883માં સ્થપાયેલી ……….. પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ સૌથી જૂની સંસ્થા છે.
A. મુંબઈ
B. દિલ્લી
C. અમદાવાદ
ઉત્તર : A. મુંબઈ
(5) પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઈ. સ. 1958માં ‘પ્રાચીન ……… , પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો’ને લગતો કાયદો પસાર કર્યો છે.
A. કલાકૃતિઓ
B. સ્થાનકો
C. સ્મારકો
ઉત્તર : C. સ્મારકો
(6) કેન્દ્ર સરકારે મહત્ત્વનાં ………. સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યાં છે.
A. ઐતિહાસિક
B. ધાર્મિક
C. પુરાતત્ત્વીય
ઉત્તર : A. ઐતિહાસિક
(7) ……… રિફાઇનરીને પરિણામે આગરાના તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી ગયા હતા.
A. હલ્દિયા
B. મથુરા
C. કોયલી
ઉત્તર : B. મથુરા
(8) રાષ્ટ્રીય સંગ્રહાલય ……… માં આવેલું છે.
A. નવી દિલ્લી
B. ભોપાલ
C. કોલકાતા
ઉત્તર : A. નવી દિલ્લી
(9) ભારતીય સંગ્રહાલય …………માં આવેલું છે.
A. મુંબઈ
B. કોલકાતા
C. હૈદરાબાદ
ઉત્તર : B. કોલકાતા
(10) સાલારગંજ સંગ્રહાલય …….. માં આવેલું છે.
A. કોલકાતા
B. ભોપાલ
C. હૈદરાબાદ
ઉત્તર : C. હૈદરાબાદ
(11) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય …….. ખાતે આવેલું છે.
A. ભોપાલ
B. હૈદરાબાદ
C. નવી દિલ્લી
ઉત્તર : A. ભોપાલ
(12) લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ……. ખાતે આવેલું છે.
A. પાટણ
B. વડોદરા
C. અમદાવાદ
ઉત્તર : C. અમદાવાદ
(13) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ………. ખાતે આવેલું છે.
A. ગાંધીનગર
B. પાટણ
C. અમદાવાદ
ઉત્તર : A. ગાંધીનગર
(14) શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ……… ખાતે આવેલું છે.
A. રાજકોટ
B. વડોદરા
C. પાટણ
ઉત્તર : C. પાટણ
(15) ભારતે ………’ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
A. વસુધૈવ મનુષ્યકમ્
B. વસુધૈવ સંસ્કૃતિકમ્
C. વસુધૈવ કુટુંબકમ્
ઉત્તર : C. વસુધૈવ કુટુંબકમ્
(16) ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’ આ સંદેશ …….. આપ્યો છે.
A. ઋગ્વેદે
B. રામાયણે
C. શ્રીમદ્ભગવદ્ગીતાએ
ઉત્તર : A. ઋગ્વેદે
(17) ભારતે વિશ્વમાં …….. સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે.
A. સાંસ્કૃતિક
B. આધ્યાત્મિક
C. ધાર્મિક
ઉત્તર : C. ધાર્મિક
(18) સ્વામી …….. અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં હાજરી આપી હતી.
A. રામદાસે
B. રાજા રામમોહનરાયે
C. વિવેકાનંદે
ઉત્તર : C. વિવેકાનંદે
(19) ભારત એક ………. દેશ છે.
A. બિનસાંપ્રદાયિક
B. સાંપ્રદાયિક
C. સાંસ્કૃતિક
ઉત્તર : A. બિનસાંપ્રદાયિક
(20) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ………. એવું વિશાળ નામ આપ્યું હતું.
A. આર્યાવર્ત
B. ભારતવર્ષ
C. ભરતખંડ
ઉત્તર : B. ભારતવર્ષ
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) દેશની ઓળખ કઈ છે?
ઉત્તર : વારસો
(2) કયો ઉદ્યોગ જે-તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે?
ઉત્તર : પર્યટન ઉદ્યોગ
(3) પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં કો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે?
ઉત્તર : પર્યટન માર્ગદર્શકનો
(4) રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી કોને સોંપવામાં આવી છે?
ઉત્તર : પુરાતત્ત્વ ખાતાને
(5) ક્યા પ્રદૂષણને કારણે આગરાનો તાજમહાલ ઝાંખો અને પીળો પડી રહ્યો હતો?
ઉત્તર : વાયુ-પ્રદૂષણ
(6) પ્રાચીન ક્લાકૃતિઓ અને અતિમૂલ્યવાન વસ્તુઓને ક્યાં સાચવવામાં આવે છે?
ઉત્તર : સંગ્રહાલયોમાં
(7) આંધ્ર પ્રદેશના હૈદરાબાદ શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે?
ઉત્તર : સાલારગંજ
(8) કોલકાતા શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે?
ઉત્તર : ભારતીય સંગ્રહાલય
(9) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે?
ઉત્તર : ભોપાલમાં
(10) પાટણ શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે?
ઉત્તર : શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય
(11) ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે?
ઉત્તર : ‘વસુધૈવ કુટુંબકમ્’ની
(12) “અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.” આ સંદેશ કયા વેદનો છે?
ઉત્તર : ઋગ્વેદનો
(13) ધર્મની દૃષ્ટિએ ભારત કેવો દેશ છે?
ઉત્તર : બિનસાંપ્રદાયિક
(14) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને કયું નામ આપ્યું હતું ?
ઉત્તર : ભારતવર્ષ
(15) ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા કઈ છે?
ઉત્તર : વિવિધતામાં એકતા
(16) વિદેશી પર્યટકો આવવાથી ભારતને શું પ્રાપ્ત થાય છે?
ઉત્તર : વિદેશી હૂંડિયામણ
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે?
A. ભારતની સંસદ
B. આપણો વારસો
C. ભારતના ઉત્સવો
D. આપણા મેળાઓ
ઉત્તર : B. આપણો વારસો
2. વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે?
A. યુનેસ્કો
B. યુનિસેફ
C. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા
D. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ
ઉત્તર : A. યુનેસ્કો
3. ઈ. સ. 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી?
A. પશુ-પક્ષી અને પ્રાણીઓના સંરક્ષણની સમિતિની
B. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની
C. સંગ્રહાલય સંરક્ષણ અને વિકાસ સમિતિની
D. વનવિકાસ અને પર્યાવરણ જતન સમિતિની
ઉત્તર : B. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની
4. ભારત સરકારે ‘રાષ્ટ્રીય સ્મારકો’ની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?
A. પ્રવાસ અને પર્યટન ખાતાને
B. પર્યાવરણ ખાતાને
C. પુરાતત્ત્વ ખાતાને
D. શિક્ષણ ખાતાને
ઉત્તર : C. પુરાતત્ત્વ ખાતાને
5. કઈ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહાલ ઝાંખો પડ્યો હતો?
A. આગરાની
B. કાનપુરની
C. અલીગઢની
D. મથુરાની
ઉત્તર : D. મથુરાની
6. સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબમાં જાય તેમ હતાં, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે?
A. આલમપુર
B. કાઝીકોટા
C. આઝાદપુર
D. હૈદરાબાદ
ઉત્તર : A. આલમપુર
7. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો?
A. ઈ. સ. 1880માં
B. ઈ. સ. 1888માં
C. ઈ. સ. 1876માં
D. ઈ. સ. 1952માં
ઉત્તર : C. ઈ. સ. 1876માં
8. સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો?
A. ઈ. સ. 1968માં
B. ઈ. સ. 1972માં
C. ઈ. સ. 1978માં
D. ઈ. સ. 1962માં
ઉત્તર : B. ઈ. સ. 1972માં
9. સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે?
A. સંગ્રહાલયોમાં
B. સરકારી સંસ્થાઓમાં
C. પુસ્તકાલયોમાં
D. બિનસરકારી સંસ્થાઓમાં
ઉત્તર : A. સંગ્રહાલયોમાં
10. હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે?
A. સુલતાનગંજ સંગ્રહાલય
B. સાલારગંજ સંગ્રહાલય
C. આબાદગંજ સંગ્રહાલય
D. નિઝામ સંગ્રહાલય
ઉત્તર : B. સાલારગંજ સંગ્રહાલય
11. શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં કોણે વક્તવ્ય આપ્યું હતું?
A. સ્વામી રામકૃષ્ણ પરમહંસે
B. સ્વામી દયાનંદ સરસ્વતીએ
C. રાજા રામમોહનરાયે
D. સ્વામી વિવેકાનંદે
ઉત્તર : D. સ્વામી વિવેકાનંદે
12. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને કયા પાઠો શીખવ્યા છે?
A. સંસ્કૃતિ અને સભ્યતાના
B. સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના
C. સહિષ્ણુતા અને સાંપ્રદાયિકતાના
D. એકતા અને વિષમતાના
ઉત્તર : B. સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના
13. નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી ?
A. ભારતે ‘વસુધૈવ કુટુમ્બમ્’ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
B. ‘મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’ – સ્વામી વિવેકાનંદ
C. ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.
D. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.
ઉત્તર : D. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.
14. તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું?
A. ભૂમિ-પ્રદૂષણ
B. જળ-પ્રદૂષણ
C. વાયુ-પ્રદૂષણ
D. ધ્વનિ-પ્રદૂષણ
ઉત્તર : C. વાયુ-પ્રદૂષણ
15. સ્વામી વિવેકાનંદે જે ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ …
A. ન્યૂ યૉર્કમાં ભરાઈ હતી.
B. શિકાગોમાં ભરાઈ હતી.
C. દિલ્લીમાં ભરાઈ હતી.
D. વૉશિંગ્ટનમાં ભરાઈ હતી.
ઉત્તર : B. શિકાગોમાં ભરાઈ હતી.
16. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશને ક્યું નામ આપ્યું હતું?
A. આર્યાવર્ત
B. રામરાજ્ય
C. ભરતખંડ
D. ભારતવર્ષ
ઉત્તર : D. ભારતવર્ષ
17. ભારતની સાંસ્કૃતિક એકતા ૫૨ કોણે ભાર મૂક્યો?
A. સંતોએ
B. ઋષિ-મુનિઓએ
C. જ્યોતિર્ધરોએ
D. શાસકોએ
ઉત્તર : C. જ્યોતિર્ધરોએ
18. “અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.” આ સંદેશ કયો ગ્રંથ આપે છે?
A. અથર્વવેદ
B. રામાયણ
C. ઋગ્વેદ
D. મહાભારત
ઉત્તર : C. ઋગ્વેદ
19. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.
A. ભારતીય સંગ્રહાલય – નવી દિલ્લી
B. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ – મુંબઈ
C. સાલારગંજ સંગ્રહાલય – હૈદરાબાદ
D. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય – ભોપાલ
ઉત્તર : A. ભારતીય સંગ્રહાલય – નવી દિલ્લી
20. નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો.
A. સહસ્રલિંગ તળાવ – પાટણ
B. મલાવ તળાવ – ધોળકા
C. રાણીની વાવ – અડાલજ
D. નવઘણ કૂવો – જૂનાગઢ
ઉત્તર : C. રાણીની વાવ – અડાલજ
21. ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
A. ઈ. સ. 1883માં
B. ઈ. સ. 1882માં
C. ઈ. સ. 1983માં
D. ઈ. સ. 1915માં
ઉત્તર : A. ઈ. સ. 1883માં
22. “મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’’ આ વિધાન કોનું છે?
A. ગાંધીજીનું
B. સ્વામી વિવેકાનંદનું
C. રામકૃષ્ણ પરમહંસનું
D. જવાહરલાલ નેહરુનું
ઉત્તર : B. સ્વામી વિવેકાનંદનું
23. ઈ. સ. 1958માં કયો કાયદો પસાર થયો?
A. જળસ્રોતોના સંરક્ષણને લગતો કાયદો
B. પર્યાવરણના જતનના સંદર્ભનો કાયદો
C. પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો
D. વન્યસૃષ્ટિ અને જળસૃષ્ટિના સંરક્ષણનો કાયદો
ઉત્તર : C. પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો
24. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.

A. રાષ્ટ્રીય સ્મારક
B. વિવિધતામાં એકતા
C. વન્ય જીવો અને પર્યાવરણ સંરક્ષણ
D. પર્યટન ઉદ્યોગ
ઉત્તર : C. વન્ય જીવો અને પર્યાવરણ સંરક્ષણ
25. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.

A. ભારતના ઇતિહાસનો વારસો
B. ભારતની સંસ્કૃતિની ઓળખ
C. ધાર્મિક સહિષ્ણુતા
D. વિવિધતામાં એકતા
ઉત્તર : D. વિવિધતામાં એકતા
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here