Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 9 વન અને વન્ય જીવ સંસાધન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 9 વન અને વન્ય જીવ સંસાધન

પ્રકરણસાર

  1. જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વિના કુદરતી રીતે જ થયો હોય તેને ‘કુદરતી’(અક્ષત –Virgin) વનસ્પતિ કહે છે.
  2. વહીવટી હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે : (1) અનામત (આરક્ષિત) જંગલો, (2) સંરક્ષિત જંગલો અને (3) અવર્ગીકૃત જંગલો.
  3. ભારતનાં જંગલો માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે: (1) રાજ્યની માલિકીનું જંગલ, (2) સામુદાયિક જંગલ અને (3) ખાનગી જંગલ.
  4. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું તે. નિર્વનીકરણ એ આપણા દેશની જ નહિ પરંતુ વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક છે.
  5. માનવી દ્વારા થતા જંગલોના વિનાશ માટેનાં કારણોમાં દેશનો વસ્તીવધારો, ખેતી માટે વધુ જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગીકરણ, નવી વસાહતોનું પ્રસ્થાપન, ઇમારતો અને બળતણ માટે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ, જંગલવાસીઓની ગરીબી, ઝૂમ પદ્ધતિની ખેતી; રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવાની નીતિ, બહુહેતુક યોજનાઓ, નહેરોનું નિર્માણ અને દાવાનળ વગેરે મુખ્ય છે.
  6. નિર્વનીકરણની અસરો : જંગલોના વિનાશથી પ્રદૂષણમાં વધારો થવો, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો, દુષ્કાળ પડવા, જમીનનું ધોવાણ થવું, વન્ય પશુઓ નિરાશ્રિત થવાં, કેટલાંક વન્ય પ્રાણીઓ લુપ્ત થવાં, વૈશ્વિક તાપવૃદ્ધિ થવી, હરિતગૃહ પ્રભાવ સમસ્યા સર્જાવી, પ્રાકૃતિક સૌંદર્યનો હ્રાસ થવો, નદીઓમાં પૂર આવવાં વગેરે માઠાં પરિણામો ભોગવવાં પડે છે.
  7. વન-સંરક્ષણના ઉપાયો : ઊર્જા મેળવવા માટે લાકડાને બદલે સૌરઊર્જા, પવનઊર્જા, બાયોઊર્જા, કુદરતી વાયુ વગેરેનો ઉપયોગ કરવો, કપાતાં વૃક્ષોની જગ્યાએ એ જ પ્રજાતિનાં નવાં વૃક્ષો વાવવાં, અપરિપક્વ વૃક્ષોના છેદન ૫૨ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને વનીકરણ માટે ફરજ પાડવી, ઇકો-ટુરિઝમથી જંગલની સ્થિતિ ન જોખમાય તેનું કડક નિયમન, વન-સંરક્ષણ માટેના જનજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન, શાળા- કૉલેજોનાં પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓને વન-સંરક્ષણની જરૂરિયાત સમજાવવી, ઘાસચારા અને બળતણ માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ માટે આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં, વન- સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ, દાવાનળ અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્રની જોગવાઈ, જંગલના વિસ્તારોમાં ભરાતા મેળા, યોજાતા ભંડારો કે પરિક્રમા સમયે એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ વગે૨ે વન-સંરક્ષણના મુખ્ય ઉપાયો છે.
  8. વૈવિધ્યસભર વન્ય જીવ : ભારતમાં ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવ-જંતુઓ, પશુ-પક્ષીઓ અને વનસ્પતિમાં ઘણી વિવિધતા છે. વિશ્વમાં પશુ-પક્ષીઓની આશરે પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વૈવિધ્યની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બારમું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડોનાં વન્ય જીવો જોવા મળે છે.
    ભારતમાં આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કશ્મીરી મૃગ, દક્ષિણ-પૂર્વ એશિયાના હાથી, ગીબન વાંદરા વગેરે જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રીંછ, એકશિંગી ભારતીય ગેંડા, હરણ, સાપ, અજગર, રાજનાગ, સમુદ્રી કાચબા, હિમાલયમાં જોવા મળતો હિમદીપડો, શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વગેરે વિશિષ્ટ પ્રાણીઓ છે. ભારતમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને ગુજરાતમાં નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે.
  9. લુપ્ત થતું વન્ય જીવન : આજે ઘણા વન્યજીવોના અસ્તિત્વ સામે જોખમ તોળાઈ રહ્યું છે. તે લુપ્ત થઈ રહ્યા છે. ભારતનાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો છે. ભારતમાં સિંહ, વાઘ, હિમદીપડો, ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ, ચિલોત્રો, કસ્તૂરીમૃગ, હંગુલ, ઘડિયાલ (મગરની પ્રજાતિ), ગંગેય ડૉલ્ફિન, સમુદ્રી કાચબા અને ગેંડાનું અસ્તિત્વ જોખમમાં છે. ગુજરાતમાં સિંહ, વાઘ, દીપડો, રીંછ અને જળબિલાડીનું અસ્તિત્વ જોખમમાં છે.
  10. વન્ય જીવોના વિનાશનાં કારણો : માનવની વિવિધ પ્રવૃત્તિઓના પરિણામે અને દાવાનળના કારણે જંગલોનો વિનાશ થવાથી વન્ય પ્રાણીઓ નિરાશ્રિત થયાં છે અને કેટલાંક લુપ્ત થયાં છે. આ ઉપરાંત, વિવિધ ઉદેશોથી કરવામાં આવતા શિકાર, પ્રદૂષણ, શહેરી વિસ્તારનો વધારો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનીજ ખનન, ઘાસચારો, બળતણ કે પશુચરાણ માટે જંગલો પર વધતું દબાણ, વન્ય જીવોનાં કુદરતી નિવાસો નષ્ટ થવાં વગેરે કારણોસર વન્ય જીવોનો વિનાશ થઈ રહ્યો છે.
  11. વન્ય જીવ સંરક્ષણના ઉપાયો : જંગલો માટે આપણી માનસિકતા અને દૃષ્ટિકોણ બદલવાની જરૂરિયાત, જંગલોમાં તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન, પાલતુ પશુઓના ચરાણ પર પ્રતિબંધ, શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખતાઈથી અમલ, ગેરકાયદેસર ખનનકાર્યના પ્રતિબંધના ભંગ બદલ કડક સજા અને દંડની જોગવાઈ, વન્ય જીવોના પ્રજનનકાળમાં ખલેલ ન પડે તેવી વ્યવસ્થાની ગોઠવણી, માછીમારી, વન્ય પેદાશ એકઠી કરવી, પ્રવાસન પ્રવૃત્તિ વગેરેની વન્ય જીવો પર પડનારી અસરો પર યોગ્ય પગલાં, જનજાગૃતિ કાર્યક્રમો, સામાજિક સંસ્થાઓએ વન્ય જીવ સંરક્ષણકાર્ય માટે સરકારી તંત્રને સક્રિય બનાવવું વગેરે ઉપાયો દ્વારા વન્ય જીવ સંરક્ષણ કરવું જોઈએ.
  12. ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે સરકારે અમલમાં મૂકેલી ખાસ યોજનાઓ :
    1. વાઘ પરિયોજના : વાઘને બચાવવાના હેતુથી આ યોજના ઈ. સ. 1971માં શરૂ કરવામાં આવી છે. હાલમાં દેશમાં કુલ 44 ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે.
    2. હાથી પરિયોજના : ઈ. સ. 1992માં આ યોજના શરૂ કરવામાં આવી છે. હાલ દેશમાં હાથીઓ માટે કુલ 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજના મુજબ પાલતુ હાથીઓના પાલનપોષણ માટે પણ કામગીરી કરવામાં આવે છે.
    3. ગેંડા પરિયોજના : આ યોજના અસમ રાજ્યના અને પશ્ચિમ બંગાળના સુંદરવનના એકશિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવી છે.
    4. ઘડિયાલ પરિયોજના : મીઠા પાણીમાં રહેતી ઘડિયાલ નામની મગરોની પ્રજાતિ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
    5. ગીધ પરિયોજના : ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને અટકાવવા માટે આ યોજના ઈ. સ. 2004માં શરૂ કરવામાં આવી.
    6. હિમદીપડા પરિયોજના : હિમાલયના આશરે 3000 મીટરની ઊંચાઈએ હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે તેમજ તેના સંરક્ષણ માટે લોકો જાગૃતિ કેળવે એ હેતુથી આ યોજના ઈ. સ. 2000માં શરૂ કરવામાં આવી.
      આ ઉપરાંત, દેશમાં કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના, ગંગા ડૉલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ અમલમાં છે.
  13. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્ય સ્થાપે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં માનવીને હરવા-ફરવાની અને પાળેલાં પશુઓને ચારવાની છૂટ મળે છે.
  14. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ્, સરિસ્કા વગે૨ે દેશનાં જાણીતાં અભયારણ્યો છે.
  15. અભયારણ્યની સરખામણીએ રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અહીં વન્ય પ્રાણીઓ, વનસ્પતિ અને કુદરતી સૌંદર્ય તેમજ મહત્ત્વનાં રાષ્ટ્રીય સ્થળોને જાળવી રાખવામાં આવે છે. અહીં શિકાર કરવા પર પ્રતિબંધ હોય છે અને લોકોના હરવા-ફરવા પર નિયંત્રણ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંક્લનથી કરાય છે.
  16. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચગામ વગેરે દેશનાં મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
  17. સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટા વિસ્તારમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે કરવામાં આવે છે. તેનો હેતુ જે-તે પ્રદેશની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો છે. આ ક્ષેત્રમાં વનસ્પતિ, જીવજંતુઓ, જમીન અને ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ રક્ષણ કરવામાં આવે છે. અહીં વન્ય જીવોના સંશોધન અને પ્રશિક્ષણ માટે ખાસ સગવડો હોય છે. આ ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
  18. નીલગિરિ, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી, કચ્છનું રણ વગે૨ે દેશનાં મહત્ત્વનાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો.
અથવા
વહીવટી દષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી, તેમનું વર્ણન કરો.
ઉત્તર : ( i ) વહીવટી હેતુસર જંગલોના પ્રકારો : વહીવટી હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે : 1. અનામત જંગલો (આરક્ષિત જંગલો) (Reserved Forest), 2. સંરક્ષિત જંગલો (Protected Forest) અને 3. અવર્ગીકૃત જંગલો (Unclassified Forest).
1. અનામત જંગલો (આરક્ષિત જંગલો) : જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલાં હોય તેને ‘અનામત’ કે ‘આરક્ષિત’ જંગલો કહે છે.
→ તેમાં વૃક્ષોને કાપવાની, લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.
→ આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે.
→ તે ભારતનાં જંગલોના કુલ વિસ્તારના 54.4% રોકે છે.
2. સંરક્ષિત જંગલો : ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે.
→ આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે.
→ તે ભારતના કુલ વનવિસ્તારના 29.2 % રોકે છે.
3. અવર્ગીકૃત જંગલો : જે જંગલવિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી, તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે.
→ તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી.
→ તે ભારતના કુલ વનવિસ્તારના 16.4% રોકે છે.
(ii) માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકારો :
1. રાજ્યની માલિકીનું જંગલ (State Forest) : આ પ્રકારનાં જંગલો ૫૨ કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશનાં મોટા ભાગનાં જંગલો આ પ્રકારનાં છે.
2. સામુદાયિક જંગલ (Communal Forest) : આ પ્રકારનાં જંગલો પર ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.
3. ખાનગી જંગલ (Private Forest) : આ પ્રકારનાં જંગલો વ્યક્તિગત માલિકીનાં હોય છે. આ પ્રકારનાં મોટા ભાગનાં જંગલો ક્ષત-અક્ષત કે ઉજ્જડ બની ગયાં છે. દેશનાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલાં છે.
(2) વન-સંરક્ષણના ઉપાયો વર્ણવો.
અથવા
જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો.
ઉત્તર : વન-સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે :
→ બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌરઊર્જા, પવનઊર્જા, બાયોઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા.
→ બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવાં.
→ જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવાં પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિનાં વૃક્ષો વાવવાં જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા ૫૨ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
→ જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ.
→ ઇકો-ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું.
→ સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું.
→ શાળા-કૉલેજોનાં પાઠ્યપુસ્તકોમાં વન-સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન-સંરક્ષણની જરૂરિયાત સમજાવવી.
→ ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ (Social Forestry) અને કૃષિ વનીકરણ (Agro Forestry) જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવાં.
→ વન-સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવાથી બીજાં તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે.
→ દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું.
→ જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જંગલ દૂષિત થાય છે.
→ પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ.
(3) ભારતનાં જંગલોમાં રહેતાં પ્રાણીઓનું વૈવિધ્ય જણાવો.
ઉત્તર : ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ઘણી વિવિધતા છે. આ ભૌગોલિક વિવિધતાને કારણે ભારતમાં જીવજંતુઓ, પશુ- પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા છે. વિશ્વમાં પશુપક્ષીઓની આશરે પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. જૈવ વિવિધતાની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન બારમું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડોના વન્ય જીવો જોવા મળે છે. ભારતના વન્ય જીવોની વિવિધતા નીચે પ્રમાણે છે :
→ ભારતનાં જંગલોમાં આફ્રિકાના ઝરખ અને ચિંકારા, યુરોપના વરુ અને દક્ષિણ-પૂર્વ એશિયાના હાથી તથા ગીબન વાંદરા જોવા મળે છે.
→ ભારતનાં જંગલોમાં કાળા રંગના રીંછ, એકશિંગી ગેંડા, કશ્મીરી મૃગ, હરણ, ઘુડખર, અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે જોવા મળે છે.
→ હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા, ત્યાંનાં શીત વનોમાં જોવા મળતા લાલ પાંડા અને ભારતના હિમાચ્છાદિત વિસ્તારોનું યાક પ્રાણી એ વિશિષ્ટ પ્રાણીઓ છે.
→ દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે.
→ શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુરમાં અને ગુજરાતના જલપ્લાવિત ક્ષેત્ર નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે.
→ ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડાં મૂકવા આવે છે.
(4) લુપ્ત થતા વન્ય જીવ વિશે નોંધ લખો.
અથવા
“લુપ્ત થતા વન્ય જીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.’ આ વિધાન સમજાવો.
અથવા
“માનવીય દખલના કારણે વન્ય જીવો વિનાશના આરે ઊભા છે.” તે સ્પષ્ટ કરો. 
ઉત્તર : જે પ્રાણીજાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશમાત્ર શંકા ન રહી હોય એ પ્રાણીજાતિ ‘લુપ્ત વન્ય જીવ’ કહેવાય છે.
→ આજે અસંખ્ય વન્ય જીવો વિનાશના આરે ઊભેલા છે.
→ ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રનાં જંગલોમાં જ વાઘ જોવા મળે છે.
→ એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને પંચમહાલ તથા ડાંગનાં જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતનાં જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે.
→ આજે ભારતનાં જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે.
→ અગાઉ ભારતનાં જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે.
→ ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલાં એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે.
→ અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી.
→ નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાલ અને ગંગેય ડૉલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે.
→ ઓડિશા અને ગુજરાતના સમુદ્રકિનારે રેતીના તટે ઈંડાં મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે.
→ ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જળબિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે.
(5) વન્ય જીવોના વિનાશનાં કારણો જણાવો. 
ઉત્તર : વન્ય જીવોના વિનાશનાં કારણો નીચે મુજબ છે :
→ જંગલોની ઘાસભૂમિ અને જળપ્લાવિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે વન્ય જીવોનાં કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયાં છે.
→ જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્ય જીવોની સંખ્યામાં ઘટાડો થયો છે.
→ શિકારીઓ વાળ, ખાલ (ચામડી), હાડકાં, શિંગડાં, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે.
→ પ્રાણિજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણાં વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યાં છે.
→ ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષચ્છેદન; રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનીજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્ય જીવોને પ્રભાવિત કરે છે. નિર્વાસિત થતા ઘણા વન્ય જીવો પ્રાણ ગુમાવે છે.
→ બળતણ, ઘાસચારો કે પશુચરાણ માટે જંગલો પર વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે.
→ જંગલમાં લાગતી આગ ઘણાં પ્રાણીઓને ભરખી જાય છે. બચ્ચાં ઉછેરવાના કે ઈંડાં સેવવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે.
→ પોતાનાં કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલાં પ્રાણીઓ ઘણી વાર માનવવસ્તીમાં આવી ચડે છે. એ વખતે માનવી સાથેની અથડામણોમાં તેઓ ક્યારેક જીવ ગુમાવે છે.
(6) વન્ય જીવોના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો.
ઉત્તર : વન્ય જીવોના સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છેઃ
→ વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતાં જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રિત થતાં બચાવવાં,
→ જંગલોમાં તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીઓની સમતુલા જાળવી રાખવી. તે માટે સમયગાળે તેમની વસ્તીગણતરી કરવી. આ ઉપરાંત, જંગલના જળસ્રોતોની જાળવણી કરવી, તેમજ પાલતુ પશુચરાણ પર પ્રતિબંધ મૂકવો.
→ વન્ય જીવો પર થતા અત્યાચાર અને તેમનો શિકાર થતો અટકાવવો, તે માટેના કાયદાઓ વધુ કડક બનાવી તેનો ચુસ્ત અમલ કરવો,
→ જંગલોનાં ક્ષેત્રોમાં થતા ગેરકાયદેસર ખનનકાર્ય પર મૂકેલા પ્રતિબંધના ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી.
→ વન્ય જીવોના પ્રજનનકાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી.
→ જંગલોનાં ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્યપેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્ય જીવો પર પડતી પ્રતિકૂળ અસરો નિવારવા યોગ્ય પગલાં ભરવાં.
→ વન્ય જીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા.
→ વન્ય જીવ સંરક્ષણ માટે કામ કરતું તંત્ર જો શિથિલ બન્યું હોય તો સામાજિક સંસ્થાઓએ તેના પર દબાણ લાવી તેને સક્રિય બનાવવું.
→ બીમાર વન્ય જીવોને સમયસર તબીબી સારવાર આપવાની વ્યવસ્થા કરવી.
→ વન્ય જીવોને પાણી, ખોરાક વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવું.
→ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો.
→ વન્ય જીવ સંદર્ભે જાગરૂકતા કેળવવા વિવિધ પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો.
→ વન્ય જીવોનાં ચિત્રોવાળી ટપાલટિકિટો બહાર પાડવી.
(7) વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.
ઉત્તર : વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓ :
  1. વાઘ પરિયોજના : અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશ(નિર્વનીકરણ)ને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈ. સ. 1971માં ‘વાઘ પરિયોજના’ (ટાઇગર પ્રૉજેક્ટ) શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલાં ક્ષેત્રો કાર્યરત છે.
  2. હાથી પરિયોજના : હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગો(Corridor)નું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈ. સ. 1992માં ‘હાથી પરિયોજના’ શરૂ કરી છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલનપોષણ માટે કામગીરી કરવામાં આવે છે.
  3. ગેંડા પરિયોજના : આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારત ‘રાઇનો વિઝન’ (Rhino Vision) 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
  4. ઘડિયાલ પરિયોજના : મીઠા પાણીમાં રહેતી ઘડિયાલ નામની મગરોની પ્રજાતિ ઈ. સ. 1970ના દસકામાં લુપ્ત થવાને આરે હતી. મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે.
  5. ગીધ પરિયોજના : ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈ. સ. 2004માં ‘ગીધ પરિયોજના’ શરૂ કરી છે.
  6. હિમદીપડા પરિયોજના : હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય એ ઉદ્દેશથી ભારત સરકારે ઈ. સ. 2000માં હિમદીપડા પરિયોજના’ શરૂ કરી છે.
ઉપર દર્શાવેલી પરિયોજનાઓ ઉપરાંત, દેશમાં ‘કશ્મીરી હંગુલ પરિયોજના’, ‘લાલ પાંડા પરિયોજના’, ‘મણિપુર થામિલ પરિયોજના’, ‘ગંગા ડૉલ્ફિન પરિયોજના’ વગેરે પરિયોજનાઓ કાર્યરત છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો માગ્યા મુજબ ઉત્તર લખો :

નિર્વનીકરણની અસરો જણાવો.
અથવા
જંગલોના વિનાશની અસરો જણાવો.
અથવા
નિર્વનીકરણના પ્રભાવ વિશે લખો.
ઉત્તર : નિર્વનીકરણની – જંગલોના વિનાશની – અસરો નીચે પ્રમાણે છે:
→ વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડની માત્રામાં વધારો થયો છે.
→ હરિત ગૃહ પ્રભાવ(ગ્રીનહાઉસ ઇફેક્ટ)ની અસરો વધારે ઘેરી બને છે.
→ માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે.
→ દ્વીપકલ્પીય ભારતનાં જંગલોનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે.
→ વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે.
→ વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.
→ દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે.
→ અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે.
→ વન્ય જીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે.
→ માંસાહારી વન્ય જીવો દ્વારા જંગલની નજીકનાં ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે.
→ કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયાં છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો : 

(1) અભયારણ્ય એટલે શું?
ઉત્તર : જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો ‘અભયારણ્યો’ કહેવાય છે.
→ કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે.
→ તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ-પ્રવૃત્તિઓ કરી શકાય છે.
→ સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે.
→ પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ્, સરિસ્કા વગેરે દેશનાં જાણીતાં અભયારણ્યો છે.
(2) રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
ઉત્તર : કુદરતી વનસ્પતિ, વન્ય જીવો, કુદરતી સૌંદર્યનાં સ્થળો તેમજ મહત્ત્વનાં રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો ‘રાષ્ટ્રીય ઉદ્યાનો’ કહેવાય છે.
→ તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે.
→ તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે.
→ તેમાં પાલતુ પશુઓને ચરાવવા ૫૨ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
→ અહીં સહેલાણીઓના હરવા-ફરવા પર પણ નિયંત્રણ હોય છે.
→ તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી.
→ તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે.
→ કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચિગામ વગેરે દેશનાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
(3) જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું?
ઉત્તર : જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે.
→ તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે.
→ આ ઉપરાંત, ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે.
→ અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
→ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
→ આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે.
→ નીલગિરિ, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી, કચ્છનું રણ વગેરે દેશનાં જાણીતાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :

(1) જંગલનો સામાન્ય અર્થ શો થાય છે?
ઉત્તર : જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાડી-ઝાંખરાં અને ઘાસનો સમુચ્ચય એવો થાય છે.
(2) કુદરતી વનસ્પતિ કોને કહેવાય?
ઉત્તર : જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી રીતે થયો હોય તેને કુદરતી (અક્ષત – Virgin) વનસ્પતિ કહેવાય.
(3) ભારતમાં કુદરતી વનસ્પતિ કયા વિસ્તારોમાં જોવા મળે છે?
ઉત્તર : ભારતમાં કુદરતી વનસ્પતિ માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે.
(4) વહીવટી હેતુસર જંગલોના કેટલા પ્રકાર પડે છે? કયા કયા?
ઉત્તર : વહીવટી હેતુસર જંગલોના ત્રણ પ્રકાર પડે છે : (1) અનામત જંગલો (Reserved Forest), (2) સંરક્ષિત જંગલો (Protected Forest) અને (3) અવર્ગીકૃત જંગલો (Unclassl- fied Forest).
(5) ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને કયા કયા વિકલ્પો અપનાવવા જોઈએ?
ઉત્તર : ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌરઊર્જા, પવનઊર્જા, બાયોઊર્જા, PNG (કુદરતી વાયુ) વગેરે વિકલ્પો અપનાવવા જોઈએ.
(6) બળતણ અને ઘાસચારાની જરૂરિયાત માટે કયા પ્રોત્સાહક કાર્યક્રમો વિકસાવવા જોઈએ?
ઉત્તર : બળતણ અને ઘાસચારાની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા પ્રોત્સાહક કાર્યક્રમો વિકસાવવા જોઈએ.
(7) ભારતમાં કયાં કયાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે?
ઉત્તર : ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.
(8) ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા?
ઉત્તર : ગુજરાતમાં અગાઉ ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગનાં જંગલોમાં વાઘ જોવા મળતા હતા.
(9) ભારતમાં સમુદ્રી કાચબા ઈંડાં મૂકવા ક્યાં આવે છે?
ઉત્તર : ભારતમાં ઓડિશાના સમુદ્રકિનારા નજીક રેતીના તટે અને ગુજરાતના સમુદ્રકિનારે સમુદ્રી કાચબા ઈંડાં મૂકવા આવે છે.
(10) એક સમયે ગુજરાતની કઈ કઈ નદીઓમાં જોવા મળતી જળબિલાડી આજે લગભગ લુપ્ત થવાના આરે છે?
ઉત્તર : એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી જળબિલાડી આજે લગભગ લુપ્ત થવાના આરે છે.
(11) વાઘ પરિયોજના અન્વયે શી કામગીરી કરવામાં આવી?
ઉત્તર : વાઘ પરિયોજના અન્વયે વાઘના રહેઠાણ વિસ્તારોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબંધ પગલાં ભરવામાં આવ્યાં.
(12) હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ શો છે?
ઉત્તર : હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી રહેઠાણ વિસ્તારોમાં રક્ષણ આપવાનો અને તેમના સ્થળાંતરના માર્ગો- (Corridor)ને સુરક્ષિત કરવાનો છે.
(13) હિમદીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી?
ઉત્તર : સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે તેમજ તેના સંરક્ષણ માટે તેઓ જાગૃત થાય એ હેતુથી હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવી.
(14) ભારતનાં મહત્ત્વનાં જૈવ આરક્ષિત ક્ષેત્રો કયાં કયાં છે?
ઉત્તર : નીલગિરિ, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી, કચ્છનું રણ વગેરે ભારતનાં મહત્ત્વનાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.
(15) ઈ. સ. 1971માં ભારતમાં વાઘ પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી?
ઉત્તર : અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણને પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી ઈ. સ. 1971માં ભારતમાં વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી.
(16) ઈ. સ. 2000માં હિમદીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી?
ઉત્તર : આ પરિયોજનાથી સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધા૨વાનો અને લોકોને તેના સંરક્ષણ માટે જાગૃત કરવાનો હેતુ હતો. તેથી ઈ. સ. 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવી.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :

(1) જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને ……… વનસ્પતિ કહે છે.
A. ક્ષત
B. અક્ષત
C. વિક્ષત
ઉત્તર : B. અક્ષત
(2) …….. જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે.
A. અનામત
B. સંરક્ષિત
C. અવર્ગીકૃત
ઉત્તર : A. અનામત
(3) ……… જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.
A. સંરક્ષિત
B. અવર્ગીકૃત
C. અનામત
ઉત્તર : A. સંરક્ષિત
(4) …….. જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. 
A. સામુદાયિક
B. સંરક્ષિત
C. અનામત
ઉત્તર : A. સામુદાયિક
(5) ………. એટલે જંગલોનું નષ્ટ થવું.
A. વનીકરણ
B. નિર્વનીકરણ
C. અવનીકરણ
ઉત્તર : B. નિર્વનીકરણ
(6) નિર્વનીકરણને લીધે વાતાવરણમાં ……… વાયુની માત્રા વધે છે. 
A. નાઇટ્રોજન
B. ઑક્સિજન
C. કાર્બન ડાયૉક્સાઇડ
ઉત્તર : C. કાર્બન ડાયૉક્સાઇડ
(7) વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ ………. લાખ જેટલી  પ્રજાતિઓ છે.
A. 12
B. 15
C. 18
ઉત્તર : B. 15
(8) ભારતમાં પશુ-પક્ષીઓની ……… પ્રજાતિઓ જોવા મળે છે.
A. 81851
B. 81251
C. 81100
ઉત્તર : B. 81251
(9) ………. માં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે.
A. ભારત
B. આફ્રિકા
C. શ્રીલંકા
ઉત્તર : A. ભારત
(10) શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ……… ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.
A. સરિસ્કા
B. રણથંભોર
C. કેવલાદેવ
ઉત્તર : C. કેવલાદેવ
(11) શિયાળા દરમિયાન ગુજરાતમાં ……… માં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.
A. નળ સરોવર
B. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
C. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન
ઉત્તર : A. નળ સરોવર
(12) આજે ગુજરાતનાં જંગલોમાંથી …….. સંપૂર્ણપણે નષ્ટ થયા છે. 
A. સિંહ
B. દીપડા
C. વાઘ
ઉત્તર : C. વાઘ
(13) ભારતનાં જંગલોમાંથી …….. સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે.
A. વાઘ
B. ચિત્તો
C. દીપડો
ઉત્તર : B. ચિત્તો
(14) હાલમાં ભારતમાં કુલ ……… જેટલાં ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે.
A. 44
B. 24
C. 34
ઉત્તર : A. 44
(15) ઈ. સ. …….. માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી.
A. 1971
B. 1985
C. 1992
ઉત્તર : C. 1992
(16) હાલમાં ભારતમાં હાથીઓ માટે ……… જેટલા સંરક્ષિત વિસ્તારો છે. 
A. 36
B. 26
C. 44
ઉત્તર : B. 26
(17) ગેંડા પરિયોજના ……….. શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. 
A. ત્રિ
B. દ્વિ
C. એક
ઉત્તર : C. એક
(18) ગીધ એ ……… નો સફાઇ કામદાર ગણાય છે.
A. કુદરત
B. માનવી
C. દુનિયા
ઉત્તર : A. કુદરત
(19) ભારતમાં ગીધની કુલ ……… પ્રજાતિઓ જોવા મળે છે. 
A. 12
B. 15
C. 9
ઉત્તર : C. 9
(20) …………માં ચોક્કસ મર્યાદામાં માનવ-પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. 
A. રાષ્ટ્રીય ઉદ્યાન
B. અભયારણ્ય
C. જૈવ આરક્ષિત ક્ષેત્ર
ઉત્તર : B. અભયારણ્ય

પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

(1) જેનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી રીતે થયો હોય તેને ક્ષત વનસ્પતિ કહે છે.
(2) અનામત જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.
(3) સંરક્ષિત જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે.
(4) સામુદાયિક જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.
(5) નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું.
(6) નિર્વનીકરણ એ માનવીની વિકાસયાત્રાનું પરિણામ છે.
(7 ) નિર્વનીકરણથી વાતાવરણમાં ઑક્સિજનની માત્રા વધે છે.
(8) વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ 21 લાખ જેટલી પ્રજાતિઓ છે.
(9) ભારતમાં પશુ-પક્ષીઓની કુલ 81,251 જેટલી પ્રજાતિઓ છે.
(10) જૈવ વિવિધતાની દૃષ્ટિએ વિશ્વમાં ભારત બારમા સ્થાને છે.
(11) ભારતમાં એશિયા, અમેરિકા અને આફ્રિકાના ત્રણેય પ્રકારનાં વન્ય જીવો જોવા મળે છે.
(12) ભારતમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે.
(13) તમિલનાડુના સમુદ્રકિનારે સમુદ્રી કાચબા ઈંડાં મૂકવામાં આવે છે.
(14) ગુજરાતનાં જંગલોમાંથી સિંહ સંપૂર્ણપણે નષ્ટ થયા છે.
(15) ભારતનાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે.
(16) ભારતમાં લાલ પાંડા પૂર્વ હિમાલયનાં શીત વનોમાં જોવા મળે છે.
(17) ભારતની ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગેય ડૉલ્ફિન ખારા પાણીની પ્રજાતિ છે.
(18) વાઘ પરિયોજના ઈ. સ. 1971માં શરૂ કરવામાં આવી હતી.
(19) હાલમાં ભારતમાં કુલ 55 જેટલાં ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે.
(20) દીપડો બિલાડી કુળનો છે.
(21) દેશમાં ઈ. સ. 1992માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી હતી.
(22) હાલ દેશમાં હાથીઓ માટેના 36 જેટલા સંરક્ષિત વિસ્તારો છે.
(23) હાલ ચિત્તો કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે.
24) એકશિંગી ભારતીય ગેંડો માંસાહારી જીવ છે.
(25) ગીધ એ માનવીનો સફાઈ કામદાર ગણાય છે.
(26) ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે.
(27) અભયારણ્યમાં માનવ-પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
(28) રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
(29) જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે.
(30) ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની કુલ સંખ્યા 12 છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખોટું
(3) ખોટું
(4) ખરું
(5) ખરું
(6) ખરું
(7) ખોટું
(8) ખોટું
(9) ખરું
(10) ખરું
(11) ખોટું
(12) ખરું
(13) ખોટું
(14) ખોટું
(15) ખરું
(16) ખરું
(17) ખોટું
(18) ખરું
(19) ખોટું
(20) ખરું
(21) ખરું
(22) ખોટું
(23) ખરું
(24) ખોટું
(25) ખોટું
(26) ખરું
(27) ખોટું
(28) ખરું
(29) ખરું
(30) ખોટું

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :

(1) જેનો ઉછેર કુદરતી રીતે થયો હોય તેને કઈ વનસ્પતિ કહે છે?
ઉત્તર : અક્ષત
(2) કયા પ્રકારનાં જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે?
ઉત્તર : અનામત જંગલો
(3) કયા પ્રકારનાં જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે?
ઉત્તર : સંરક્ષિત જંગલો
(4) કયા પ્રકારનાં જંગલો પર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે?
ઉત્તર : સામુદાયિક જંગલો
(5) નિર્વનીકરણ એટલે શું?
ઉત્તર : જંગલોનું નષ્ટ થવું
(6) નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે છે?
ઉત્તર : કાર્બન ડાયૉક્સાઇડ
(7) વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિઓ છે?
ઉત્તર : 15 લાખ
(8) દુનિયાના કયા દેશમાં વાધ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?
ઉત્તર : ભારત
(9) ભારતના કયા રાજ્યમાં એકશિંગી ભારતીય ગેંડા જોવા મળે છે?
ઉત્તર : અસમ રાજ્યમાં
(10) કઈ વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે?
ઉત્તર : રાઇનો વિઝન (Rhino Vision)
(11) હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ કયું પ્રાણી જોવા મળે છે?
ઉત્તર : હિમદીપડો
(12) અભયારણ્યની રચના કોણ કરે છે?
ઉત્તર : રાજ્ય સરકાર
(13) કોની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસા૨ ક૨વામાં આવે છે?
ઉત્તર : જૈવ આરક્ષિત ક્ષેત્રની
(14) કયા ક્ષેત્રનો વિસ્તાર એકંદરે 5000 ચો કિમીથી મોટો હોય છે?
ઉત્તર : જૈવ આરક્ષિત ક્ષેત્રનો
(15) ગુજરાતના કયા વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયો છે?
ઉત્તર : કચ્છના રણને
(16) કયા પ્રકારનાં જંગલોમાં વૃક્ષોને કાપના અને પશુચરાણ પર કોઈ પ્રતિબંધ નથી ?
ઉત્તર : અવર્ગીકૃત જંગલો
(17) માનવીની વિકાસયાત્રાનું પરિણામ કોને ગણી શકાય?
ઉત્તર : નિર્વનીકરણને
(18) હિમાલયનાં શીત વનોમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે?
ઉત્તર : લાલ પાંડા
(19) ગુજરાતનાં જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થયું છે?
ઉત્તર : વાઘ
(20) ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થયું છે?
ઉત્તર : ચિત્તો
(21) ઓડિશાના સમુદ્રકિનારાના રેતીના તટે કયું પ્રાણી ઈંડાં મૂકવા આવે છે?
ઉત્તર : સમુદ્રી કાચબા
(22) ભારતની કઈ નદીઓમાં ગંગેય ડૉલ્ફિન પ્રજાતિ જોવા મળે છે?
ઉત્તર : ગંગા અને બ્રહ્મપુત્રમાં
(23) કયું પક્ષી કુદરતનો સફાઈ કામદાર ગણાય છે?
ઉત્તર : ગીધ
(24) અભયારણ્યની તુલનામાં ક્યું ક્ષેત્ર વધારે સુરક્ષિત છે?
ઉત્તર : રાષ્ટ્રીય ઉદ્યાન
(25) કયા ક્ષેત્રનો હેતુ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો છે?
ઉત્તર : જૈવ આરક્ષિત ક્ષેત્રનો

પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

1. માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે?
A. ક્ષત
B. અખંડ
C. અક્ષત
D. ખંડિત
ઉત્તર : C. અક્ષત
2. વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી?
A. અનામત
B. સંરક્ષિત
C. અવર્ગીકૃત
D. વર્ગીકૃત
ઉત્તર : C. અવર્ગીકૃત
3. કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદનની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે?
A. અનામત
B. જાહેર
C. અવર્ગીકૃત
D. વર્ગીકૃત
ઉત્તર : A. અનામત
4. કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદન અને પશુઓને ચરાવવા પર કોઈ પ્રતિબંધ નથી?
A. અનામત
B. અવર્ગીકૃત
C. જાહેર
D. વર્ગીકૃત
ઉત્તર : B. અવર્ગીકૃત
5. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ(ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત)નું નિયંત્રણ હોય તે જંગલો ….
A. ગ્રામ્ય વનો
B. અભયારણ્ય
C. સામુદાયિક જંગલ
D. ઝૂમ જંગલ
ઉત્તર : C. સામુદાયિક જંગલ
6. ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારનાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે?
A. ખાનગી
B. જાહેર
C. સામુદાયિક
D. અનામત
ઉત્તર : A. ખાનગી
7. જંગલ વિનાશની અસર છે.
A. રણવિસ્તારમાં ઘટાડો થાય છે.
B. ભૂગર્ભજળમાં વધારો થાય છે.
C. તાપમાનમાં વધારો થાય છે.
D. વરસાદના પ્રમાણમાં વધારો થાય છે.
ઉત્તર : C. તાપમાનમાં વધારો થાય છે.
8. ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ ?
A. પેટ્રોલ ઊર્જાનો
B. સૌરઊર્જાનો
C. ડીઝલ ઊર્જાનો
D. કેરોસીન ઊર્જાનો
ઉત્તર : B. સૌરઊર્જાનો
9. વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?
A. બાર લાખ
B. એકવીસ લાખ
C. સાત લાખ
D. પંદર લાખ
ઉત્તર : D. પંદર લાખ
10. વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?
A. પંદરમું
B. બારમું
C. દસમું
D. આઠમું
ઉત્તર : B. બારમું
11. દુનિયામાં કયો એવો દેશ છે, જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?
A. રશિયા
B. ચીન
C. ભારત
D. બ્રાઝિલ
ઉત્તર : C. ભારત
12. ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે?
A. હાથી
B. દીપડો
C. ચિત્તો
D. ઘુડખર
ઉત્તર : C. ચિત્તો
13. ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે?
A. ઘુડખર
B. રીંછ
C. વાઘ
D. દીપડો
ઉત્તર : C. વાઘ
14. ભારતમાં કયાં પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યાં છે?
A. સિંહ, હાથી, ઘોરાડ
B. દીપડો, વાઘ, હાથી
C. સાબર, ઘુડખર, ડૉલ્ફિન
D. ગુલાબી ગરદનવાળી બતક, સારસ
ઉત્તર : D. ગુલાબી ગરદનવાળી બતક, સારસ
15. ભારતમાં મોટા ભાગના પેંડા કયા રાજ્યમાં જોવા મળે છે?
A. અસમ
B. નાગાલૅન્ડ પ્રદેશ
C. મિઝોરમ
D. અરુણાચલ
ઉત્તર : A. અસમ
16. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જૂજ સંખ્યામાં મળી આવે છે. આ વિધાન કોને લાગુ પડે છે?
A. ચિત્તાને
B. વાઘને
C. ગેંડાને
D. હાથીને
ઉત્તર : C. ગેંડાને
17. ગુજરાતના કયા વિસ્તારને ઈ. સ. 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે?
A. નળ સરોવરને
B. ગીરને
C. વેળાવદરને
D. કચ્છના રણને
ઉત્તર : D. કચ્છના રણને
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *