Gujarat Board | Class 9Th | Science | Biology | Model Question Paper & Solution | Chapter – 13 Why Do We Fall Ill (સજીવોમાં વિવિધતા)
પ્રકરણસાર
- સ્વાસ્થ્ય અને રોગ (Health and Disease) :
- આપણા શરીરના કોષો, પેશીઓ અને અંગોમાં નિશ્ચિત પ્રકારની વિવિધ ક્રિયાઓ ચાલે છે.
- આ બધી ક્રિયાઓ આંતરસંબંધિત છે. તેના માટે બહારથી શક્તિ અને દ્રવ્યની જરૂર પડે છે.
- જ્યારે કોઈ વસ્તુ કે પરિબળ કોષ અને પેશીની ક્રિયાશીલતા અટકાવે છે, ત્યારે શરીરમાં નિશ્ચિત ક્રિયાશીલતાનો અભાવ સર્જાય છે. પરિણામે સ્વાસ્થ્ય જોખમાય છે.
- સારું સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ.
- વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા ખૂબ અગત્યની છે.
- વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સારી નોકરી પણ જરૂરી છે.
- મનુષ્ય તેમજ અન્ય પ્રાણીઓ કે વનસ્પતિઓમાં ચેપ, કુપોષણ કે કોષપેશીની અસામાન્ય ક્રિયાઓને પરિણામે સર્જાતી અસ્વસ્થતાને રોગ તરીકે ઓળખવામાં આવે છે.
- રોગનાં કારણો (Causes of Disease)
- રોગ થાય ત્યારે શરીરના એક અથવા વધારે તંત્રનાં કાર્યો અથવા બાહ્ય દેખાવ ખરાબ થાય છે કે તેમાં ફેરફાર થાય છે.
- આંતરિક કારણોમાં હૃદય, મૂત્રપિંડ અને યક્ત જેવાં વિવિધ અંગોનાં અસામાન્ય કાર્યો, જનીન વિકૃતિઓ, અંતઃસ્રાવોનું અસંતુલન કે શરીરના પ્રતિકારતંત્રની અસામાન્ય ક્રિયાવિધિ જવાબદાર હોઈ શકે.
- બાહ્ય કારણોમાં કુપોષણ (અતિપોષણ કે અલ્પપોષણ), રોગકારક સજીવો (Pathogens), પર્યાવરણીય પ્રદૂષકો, તમાકુ, મદ્યપાન કે નશાકારક દ્રવ્યો જવાબદાર છે.
- તીવ્ર અને હઠીલા રોગો (Acute and Chronic Diseases) :
- એકાએક અને ઝડપથી થતા અને જેમની અસર શ૨ી૨ ૫૨ થોડા સમય સુધી રહે તેવા રોગોને તીવ્ર રોગો કહે છે. દા. ત., ખાંસી, શરદી
- જે રોગોનાં લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી કે જીવનભર રહે અને તેની માનવસ્વાસ્થ્ય પર ઉગ્ર તેમજ લાંબા ગાળાની અસરો રહે તેવા લાંબા ગાળાના રોગોને હઠીલા રોગો કહે છે. દા. ત., ક્ષય (ટીબી), કૅન્સર, ડાયાબિટીસ
- વ્યક્તિના સ્વાસ્થ્ય ૫૨ તીવ્ર રોગો અને હઠીલા રોગોની અસરો જુદી જુદી હોય છે.
- તીવ્ર રોગોની સામાન્ય સ્વાસ્થ્ય પર કોઈ મોટી અસર થતી નથી, થોડા સમયમાં આ રોગો મટી જાય છે.
- હઠીલા રોગોની સ્વાસ્થ્ય પર મોટી અસરો જોવા મળે છે. આ રોગો માટે લાંબા સમયની કે જીવનભરની સારવાર જરૂરી બને છે.
પ્રશ્નોત્તર
પ્રસ્તાવના
પ્રશ્ન 1. સજીવોમાં થતી આંતરસંબંધિત ક્રિયાઓની સમજૂતી ટૂંકમાં આપો. [2 ગુણ]
ઉત્તર : કોષ સજીવોનો પાયાનો એકમ છે. કોષો કાર્બોદિત, પ્રોટીન, લિપિડ વગેરે વિવિધતા ધરાવતા દ્રવ્યોના બનેલા છે. ઉચ્ચ સજીવોમાં જીવંત કોષ વિવિધ જૈવિક ક્રિયાઓ દર્શાવતું ગતિશીલ સ્થાન છે. કોષોમાં સમારકામ તેમજ નવા કોષોના સર્જનની ક્રિયા સતત ચાલતી રહે છે.
આપણાં અંગો અથવા પેશીઓમાં વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ ચાલ્યા કરે છે. દા. ત., હૃદય ધબકવાનું કાર્ય કરી રુધિરને શરીરમાં ફરતું રાખે છે. આ સમયે ફેફસાં શ્વાસોચ્છ્વાસ ક્રિયા કરે છે. મૂત્રપિંડ ગાળણ દ્વારા મૂત્રનિર્માણ કરે છે. મગજ વિચારે છે. આમ, શરીરમાં થતી વિવિધ પ્રક્રિયાઓ આંતરસંબંધિત છે.
પ્રશ્ન 2. સમજાવો : કોષ, પેશી કે અંગોની ક્રિયાશીલતાનો અવરોધ રોગ સાથે સંબંધિત છે. [3 ગુણ]
ઉત્તર : સજીવોના શરીરમાં જુદાં જુદાં અંગો વડે થતી વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ સતત ચાલતી રહે છે. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે શરીરને કાચા પદાર્થો અને શક્તિની જરૂર પડે છે. આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આમ, કોષો અને પેશીઓની ક્રિયાશીલતા માટે ખોરાક જરૂરી છે.
પરંતુ અપૂરતો ખોરાક કે અપૂરતાં પોષક દ્રવ્યોને કારણે શરીરને જરૂરી શક્તિ પ્રાપ્ત થતી નથી. પરિણામસ્વરૂપ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા ઘટે છે કે અટકે છે. દા. ત., જો મૂત્રપિંડ ગાળણ ન કરે, તો શરીરમાં વિષારી દ્રવ્યો જમા થાય છે. ફેફસાં યોગ્ય રીતે શ્વાસોચ્છ્વાસ ન કરે તો શરીરના કોષોને જરૂરી O2 પ્રાપ્ત ન થાય અને શરીરમાંથી CO2 દૂર ન થઈ શકે. હૃદયની ધબકારપ્રક્રિયાની અનિયમિતતાથી રુધિરપરિવહન કાર્યમાં વિક્ષેપ સર્જાય છે. આ બધી પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. પરિણામે ચોક્કસ રોગની સ્થિતિ સર્જાય છે.
આમ, જ્યારે કોઈ પણ ઘટક કે કારક કોષો અને પેશીઓના યોગ્ય પ્રકારનાં કાર્યોને રોકે છે. તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે અને શરીરમાં રોગ પેદા થવાની સંભાવના ઊભી થાય છે.
13.1 સ્વાસ્થ્ય અને તેનું કથળવું
13.1.1 સ્વાસ્થ્યનું મહત્ત્વ
પ્રશ્ન 3. સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થ્યને કેવી રીતે મૂલવવામાં આવે છે, તે જણાવો. [2 ગુણ]
ઉત્તર : સામાન્ય રોજિંદા વ્યવહારમાં સ્વાસ્થ્ય શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે. ઘણી વાર આપણા માટે કે આપણા કોઈ કુટુંબીજન માટે સ્વાસ્થ્ય સારું નથી એવો વાક્યપ્રયોગ કરાય છે. આપણા શિક્ષક ઘણી વખત કહે છે : આ સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. આપણા વડીલ કોઈ પડોશી કે સંબંધીને ત્યાં કે કોઈ સામાજિક પ્રસંગે જાય છે ત્યારે પહેલાં પૂછે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે? આમ, વ્યવહારમાં જો તબિયત બરાબર હોય તો સ્વાસ્થ્ય સારું છે અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાસ્થ્ય સારું નથી એમ કહેવાય છે.
આમ, સામાન્ય વ્યવહારમાં શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય યોગ્ય રીતે કરવાની ક્ષમતા દ્વારા પ્રાપ્ત થતી અવસ્થાને સ્વાસ્થ્ય તરીકે મૂલવાય છે.
13.1.2 વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર
પ્રશ્ન 4. સ્વાસ્થ્ય એટલે શું? વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા કેવી રીતે અગત્યની છે તે જણાવો. [3 ગુણ]
ઉત્તર : સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય દર્શાવતી સ્થિતિ.
બધા સજીવોના સ્વાસ્થ્યનો આધાર તેમની ફરતે આવેલા પર્યાવરણ પર રહેલો છે. દા. ત., ચક્રવાત (Cyclone) દરમિયાન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે. વ્યક્તિ સમાજમાં રહે તે ખૂબ અગત્યનું છે, કારણ કે સામાજિક પર્યાવરણ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. મનુષ્યો ગામડાં, કસબા કે શહેરોમાં રહે છે. આવા રહેઠાણ વિસ્તારોની જાહેર સ્વચ્છતા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વની છે. આવા વિસ્તારોનું પર્યાવરણ પણ સ્વાસ્થ્ય પર અસર કરે છે. જો આવા વિસ્તારોમાં સર્જાતા કચરાનો નિકાલ કરવામાં ન આવે, તો શેરીઓમાં કચરાના ઢગલા થઈ જાય. ગટરો ઉભરાય અને ખુલ્લામાં ગટરનાં પાણી કે અન્ય પાણી ભરાઈ રહે. તેનો નિકાલ કરવામાં ન આવે તો તે વિવિધ રોગકારકો અને રોગવાહકોના ઉદ્ભવસ્થાન અને આશ્રયસ્થાન બની જાય. તેનાથી આપણું સ્વાસ્થ્ય જોખમાવાની પૂરી શક્યતા રહે છે. આમ, વ્યક્તિગત આરોગ્ય માટે સ્વચ્છ હવા-પાણીની સાથે જાહેર સ્વચ્છતા ખૂબ અગત્યની છે.
→તમારા સ્થાનિક પ્રશાસન (પંચાયત, નગરનિગમ) દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શું ઉપાય કરેલ છે તેની જાણકારી મેળવો.
♦ શું તમારા મહોલ્લામાં બધા જ રહેવાસીઓને સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે?
ઉત્તર : હા.
♦ તમારા સ્થાનિક પ્રશાસન તમારા મહોલ્લામાં ઉત્પન્ન કચરાનો નિકાલ કેવી રીતે કરે છે?
ઉત્તર : સફાઈ કામદારો મહોલ્લાની સફાઈ કરી કચરો ભેગો કરે છે. કચરો લઈ જવા માટેની ગાડી નિયત સમયે આવતાં મહોલ્લાનો તેમજ ઘરવપરાશનો ડસ્ટબિનમાં એકત્ર કરેલો કચરો લઈ જાય છે.
♦ શું સ્થાનિક અધિકારીએ કરેલા ઉપાયો પર્યાપ્ત છે?
ઉત્તર : ના.
♦ જો ન હોય તો તેમાં સુધારણા માટે તમે કયો ઉપાય સૂચવી શકો છો?
ઉત્તર : ઘરવપરાશમાં કચરાનું ઉત્પાદન ઘટાડવું.
♦ તમે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે શું કરશો?
ઉત્તર : ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે : (1) ખોરાકનો બગાડ અટકાવીશું. (2) શક્ય હોય ત્યાં સુધી શાકભાજીનો છાલ સાથે રસોઈમાં ઉપયોગ કરીશું. (3) જૈવવિઘટનીય કચરાને જમીનમાં દાટી દઈ ખાતર તરીકે ઉપયોગ કરવાની ટેવ વિકસાવીશું. (4) પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કપડાની થેલીનો ઉપયોગ કરીશું. (5) પુનઃઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓના ઉપયોગનો આગ્રહ રાખીશું.
પ્રશ્ન 5. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ આવશ્યક છે. સમજાવો. [3 ગુણ]
ઉત્તર : શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવા જરૂરી છે. આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આથી સ્વાસ્થ્ય માટે પૂરતાં પોષક દ્રવ્યો ધરાવતો ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવા જરૂરી છે. આ માટે સારું કામ કરવું જરૂરી છે. આમ, સારી આર્થિક સ્થિતિ તથા કાર્ય વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી બને છે.
સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું એટલું જ આવશ્યક છે. તેથી વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ. જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી લડતા કે ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા જરૂરી છે.
પ્રશ્ન 6. સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો જણાવો. [2 ગુણ]
ઉત્તર : સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો નીચે મુજબ છેઃ
( 1 ) ગટરનું પાણી, વરસાદી પાણી અને કચરાના નિકાલ જેવી જાહેર સ્વચ્છતા દ્વારા સ્વચ્છ ભૌતિક પર્યાવરણ પૂરું પાડવામાં આવે.
( 2 ) સ્વચ્છ પીવાના પાણીની પ્રાપ્તિ
( 3 ) પૂરતા અને પોષણક્ષમ ખોરાકની પ્રાપ્તિ
( 4 ) સામાજિક સમાનતા અને સંવાદિતા
13.1.3 સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા
પ્રશ્ન 7. સ્વાસ્થ્ય અને રોગમુક્ત વચ્ચેનો ભેદ યોગ્ય ઉદાહરણ વડે સ્પષ્ટ કરો. [3 ગુણ]
ઉત્તર : રોગનો અક્ષરશઃ અર્થ ‘અસ્વસ્થતા’ કે ‘સુવિધા’ થાય છે. અંગ્રેજીમાં આ શબ્દ DISEASE નો અર્થ ‘આરામમાં ખલેલ’ થાય છે. તેમ છતાં રોગ શબ્દ ખૂબ મર્યાદિત અર્થમાં વપરાય છે. રોગ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ અને ચોક્કસ અસ્વસ્થતા માટે થાય છે. ચોક્કસ રોગનાં લક્ષણો કે ચિહ્નોના ફેલાવા વગર પણ અસ્વસ્થતા સંભવિત છે.
સ્વસ્થ શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને સ્વાસ્થ્ય તરીકે; જ્યારે કોઈ ચેપ વગરની શારીરિક સ્થિતિને રોગમુક્ત તરીકે ઓળખાવી શકાય. સ્વાસ્થ્ય એ સમાજ઼ અને સમુદાય સાથે સંબંધિત ભાબત છે, જ્યારે રોગ એ વ્યક્તિગત ભાબત છે.
સ્વાસ્થ્યનો અર્થ વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. જેમ કે, એક નૃત્યાંગના માટે સારા સ્વાસ્થ્યનો અર્થ શિષ્ટાચારપૂર્વક શરીરને સહેલાઈથી આકર્ષક મુદ્રાઓમાં વાળી શકે તે છે. જ્યારે વાંસળીવાદક માટે લાંબો શ્વાસ લઈ શકે જેનાથી તે પોતાની વાંસળીમાં સૂરને નિયંત્રિત કરી શકે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 8. સારા સ્વાસ્થ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો. [1 ગુણ)
ઉત્તર : સારા સ્વાસ્થ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ :
(1) શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ અને
(2) આસપાસનું સ્વસ્થ પર્યાવરણ,
પ્રશ્ન 9. રોગમુક્ત રહેવા માટેની કોઈ પણ બે આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો. [1 ગુણ]
ઉત્તર : રોગમુક્ત રહેવા માટેની બે આવશ્યક પરિસ્થિતિઓ :
(1) વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા અને
(2) સ્વચ્છ પર્યાવરણ.
પ્રશ્ન 10. શું ઉપર્યુક્ત પ્રશ્નોના ઉત્તર એક જ જેવા છે કે ભિન્ન છે? શા માટે? [1 ગુણ]
ઉત્તર : ના, ભિન્ન છે. કારણ કે વ્યક્તિ રોગમુક્ત હોઈ શકે છે, પરંતુ તે માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ ન હોય તેવું બની શકે.
13.2 રોગ અને તેનાં કારણો
13.2.1 રોગોને કેવી રીતે ઓળખી શકાય?
પ્રશ્ન 11. રોગ થયો છે તે કઈ રીતે જાણી શકાય? [3 ગુણ)
અથવા
રોગના નિદાનની જરૂરિયાત ક્યારે સર્જાય છે ?
ઉત્તર : આપણા શરીરમાં અનેક પેશીઓ હોય છે. તે પેશીઓ આપણા શરીરનાં ક્રિયાત્મક અંગો કે અંગતંત્રોનું નિર્માણ કરે છે. તે શરીરનાં વિભિન્ન કાર્યો કરે છે. પ્રત્યેક અંગતંત્રમાં ચોક્કસ અંગ વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલાં છે. જુદાં જુદાં તંત્રો જુદાં જુદાં કાર્ય સાથે સંકળાયેલાં છે.
શરીરના એક અથવા વધારે અંગ તેમજ તંત્રનાં કાર્યો અથવા સંરચનામાં ફેરફારો થાય કે તે ખરાબ થાય ત્યારે રોગનાં લક્ષણો કે ચિહ્નો ઉદ્ભવે છે.
રોગના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે. સારું ન લાગવું, માથું દુખવું, શરદી, ઝાડા, ઘા પડવાથી પરુ થવું, શરીરના કોઈ અંગમાં દુખાવો થવો વગેરે રોગના લક્ષણો છે. આવાં લક્ષણો પરથી રોગ થયો છે તે જાણી શકાય છે, પરંતુ કયો રોગ થયો છે તે જાણી શકાતું નથી. દા. ત., માથાનો દુખાવો પરીક્ષાની તાણ (Stress), ઘોંઘાટ, મગજનો તાવ (Meningitis – મેનિન્જાઇટિસ) કે અન્ય રોગના એક ચિહ્ન તરીકે હોઈ શકે. આથી રોગના નિદાનની જરૂરિયાત સર્જાય છે. ચિકિત્સક લક્ષણોના આધારે રોગનું નિદાન કરે છે. કેટલીક વખત ચિકિત્સક લૅબોરેટરીમાં વિવિધ પરીક્ષણ (ટેસ્ટ) કરાવી ચોક્કસ રોગનું નિદાન કરે છે.
13.2.2 તીવ્ર અને હઠીલા રોગો
પ્રશ્ન 12. ટૂંક નોંધ લખો : તીવ્ર રોગો અને હઠીલા રોગો [2 ગુણ]
અથવા
માનવસ્વાસ્થ્ય પર રોગોની અસરના સમયગાળાના આધારે રોગોના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો.
ઉત્તર : મનુષ્યમાં થતા રોગો મુખ્યત્વે બે પ્રકારના છે ઃ
( 1 ) તીવ્ર રોગો : જે રોગોની શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે, પરંતુ તેનો સમયગાળો ટૂંકા સમય સુધી રહે તેવા રોગોને તીવ્ર રોગો કહે છે. તેની મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની કોઈ ખરાબ અસર થતી નથી. દા.ત., ખાંસી, શરદી, ટાઇફૉઇડ, કૉલેરા વગેરે.
( 2 ) હઠીલા રોગો : આ લાંબા ગાળાના રોગ છે. શરીરમાં રોગનાં લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી અથવા જિંદગીભર રહે છે. આ રોગની અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની હોય છે. દા. ત., હાથીપગો, ક્ષય, ડાયાબિટીસ, કૅન્સર, આર્થરાઇટિસ વગેરે.
• તમારી આસપાસના પર્યાવરણનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
( 1 ) છેલ્લા ત્રણ મહિનાઓમાં કેટલા લોકો તીવ્ર રોગોથી પીડાય છે?
ઉત્તર : અવલોકનમાં જણાયું કે મોટા ભાગના લોકો છેલ્લા ત્રણ મહિનાઓમાં તીવ્ર રોગોથી પીડાય છે.
( 2 ) છેલ્લા ત્રણ મહિનામાં કેટલા લોકોને હઠીલા રોગો થયા?
ઉત્તર : છેલ્લા ત્રણ મહિનામાં ખૂબ જ ઓછા લોકોને હઠીલા રોગો થયા.
( 3 ) તમારા પડોશના કુલ કેટલા લોકો હઠીલા (Chronic – ક્રૉનિક) રોગથી પીડાય છે?
ઉત્તર : અમારા પડોશના કુલ 8 લોકો હઠીલા (ક્રૉનિક) રોગથી પીડાય છે.
♦ શું ઉપર્યુક્ત પ્રશ્ન (1) તથા (2)ના ઉત્તરો ભિન્ન છે?
ઉત્તર : હા.
♦ શું ઉપર્યુક્ત પ્રશ્ન (2) તથા (3)ના ઉત્તરો ભિન્ન છે?
ઉત્તર : હા.
♦ આ ભિન્નતાનું કારણ શું હોઈ શકે છે? આ ભિન્નતાની લોકોના સામાન્ય સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
ઉત્તર : આ ભિન્નતાનું કારણ તીવ્ર રોગો વારંવાર થાય છે, પરંતુ તેનો સમયગાળો ટૂંકો હોય છે. તીવ્ર રોગો સ્વાસ્થ્ય પર બહુ મોટી અસર સર્જતા નથી અને દર્દી થોડા સમયમાં સાજો થઈ જાય છે. જ્યારે હઠીલા રોગોનો ગાળો લાંબો કે જીવનપર્યંત હોવાથી દર્દીના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો સર્જાવાને કારણે સામાન્ય જીવન મેળવવું મુશ્કેલ પડે છે.
13.2.3 હઠીલા રોગો અને નબળું સ્વાસ્થ્ય
પ્રશ્ન 13. મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર તીવ્ર અને હઠીલા રોગોની અસરો સમજાવો. [3 ગુણ]
અથવા
સમજૂતી આપો : આપણા સ્વાસ્થ્ય પર તીવ્ર અને હઠીલા રોગોની અસર જુદી જુદી હોય છે.
ઉત્તર : કોઈ પણ રોગ જે આપણા શરીરના કોઈ ચોક્કસ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે, તો તે વ્યક્તિના સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર કરે છે. કારણ કે, સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરનાં બધાં અંગોનાં કાર્યોનું સામૂહિક સંક્લન જરૂરી છે.
તીવ્ર રોગોની સ્વાસ્થ્ય પર અસરો ઃ આ રોગો ખૂબ થોડા સમય સુધી રહે છે અને સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા તેમને પૂરતો સમય મળતો નથી. ઉદાહરણ તરીકે, શરદી, ખાંસી (ઉધરસ). લગભગ દરેક વ્યક્તિને સમયાંતરે આ તકલીફ થતી હોય છે, પરંતુ મોટા ભાગની વ્યક્તિઓ લગભગ એક અઠવાડિયામાં સાજી થઈ જાય છે. તેનાથી શરીરના વજનમાં ઘટાડો, શ્વાસોચ્છવાસમાં વધારો કે થાકનો અનુભવ વગેરે જેવી કોઈ ખરાબ અસરો સ્વાસ્થ્ય પર થતી નથી. વિદ્યાર્થી આવી તક્લીફમાં 2-4 દિવસ શાળાએ જઈ શકતો નથી.
હઠીલા રોગોની સ્વાસ્થ્ય પર અસરો ઃ હઠીલા રોગથી વ્યક્તિ રોગગ્રસ્ત હોય ત્યારે સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે. દા. ત., વ્યક્તિ ફેફસાંના ક્ષયથી સંક્રમિત થાય તો કેટલાંય વર્ષો બિમાર રહેવાથી તેનું વજન ઓછું થઈ જાય છે અને સતત થાકનો અનુભવ થાય છે. જો વિદ્યાર્થી હઠીલા રોગથી પીડાતો હોય તો અભ્યાસને સમજવામાં મુશ્કેલી પડે, શીખવાની ક્ષમતા ઘટતી જાય. હઠીલા રોગમાં દર્દી ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહે છે.
આમ, તીવ્ર રોગની સાપેક્ષમાં હઠીલા રોગ લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમયગાળા સુધી વિપરીત અસરો ઉત્પન્ન કરે છે.
13.2.4 રોગનાં કારણો
પ્રશ્ન 14. રોગનાં આંતરિક અને બાહ્ય કારણો વિસ્તૃત રીતે જણાવો. [3 ગુણ]
અથવા
મનુષ્યનું સ્વાસ્થ્ય કાં કાં કારણોથી જોખમાય છે અને રોગ થાય છે?
ઉત્તર : મનુષ્યનું સ્વાસ્થ્ય વિવિધ કારણોથી જોખમાય છે અને રોગ થાય છે. રોગ થવાનાં કેટલાંક કારણો નીચે મુજબ છેઃ
( 1 ) આંતરિક કારણો ઃ હૃદય, મૂત્રપિંડ, યકૃત વગેરે શરીરનાં વિવિધ અંગોના કાર્યમાં સર્જાતી અનિયમિતતા.
→ આનુવંશિક વિકૃતિ (ખામી)
→ અંતઃસ્ત્રાવોનું અસંતુલન
→ પ્રતિકારતંત્રની અસામાન્ય ક્રિયાશીલતા. દા. ત., ઍલર્જી.
( 2 ) બાહ્ય કારણો : કેટલાક રોગો બહારથી શરીરમાં પ્રવેશ કરતા ઘટકોને કારણે થાય છે.
→ અસમતોલ આહાર કે અપૂરતું પોષણ.
→ રોગકારક સજીવો જેવાં કે, વાઇરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિનો શરીરમાં પ્રવેશ.
→ પર્યાવરણીય પ્રદૂષકો.
→ તમાકુ, દારૂ, નશાકારક દ્રવ્યો જેવી ખોટી આદતો.
પ્રશ્ન 15. સમજાવો : રોગો માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોઈ શકે છે. [૩ ગુણ]
અથવા
વિસ્તૃત રીતે ચર્ચોઃ રોગ ઘણાં કારણોથી થાય છે.
ઉત્તર : રોગ થવાનાં કારણોમાં એક કારણ સ્વાસ્થ્ય સારું ન હોવું તે છે. દા. ત., કોઈ બાળક વધુ પડતા ઝાડાથી પીડાય છે. આ રોગ માટેનું મુખ્ય (પ્રાથમિક) કારણ વાઇરસનો ચેપ છે અને આ વાઇરસના ચેપનો સ્રોત પીવાનું પ્રદૂષિત પાણી છે. પરંતુ આવું પ્રદૂષિત પાણી પીનાર બધાં બાળકોને ઝાડા થતા નથી, પરંતુ કોઈ એક બાળકને જ થાય છે. આ માટે એવું કહી શકાય કે અન્ય બાળકોની સરખામણીમાં આ બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, જેથી તેમાં રોગનું જોખમ જોવા મળે છે.
નબળી રોગપ્રતિકારક શક્તિનું કારણ આનુવંશિક ખામી કે અપૂરતું પોષણ હોઈ શકે. માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકતા નથી. પણ તે રોગના કારણમાં સહભાગી છે. આ ઉપરાંત બાળકનો પરિવાર નિવાસ કરતો હોય ત્યાં નબળી સુવિધાઓ હોવાના કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન પણ હોય. આ રીતે ગરીબી અને સુવિધાઓના અભાવને કારણે બાળક બિમાર થાય છે.
આમ, પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે રોગો થાય છે અને વિવિધ પ્રકારના રોગો થવાના એક કરતાં વધારે કારણો હોઈ શકે છે.
13.2.5 સંસર્ગજન્ય (ચેપી) અને બિનસંસર્ગજન્ય (બિનચેપી) કારણો
પ્રશ્ન 16. રોગોના ફેલાવાના આધારે રોગના પ્રકાર સમજાવો. [3 ગુણ]
અથવા
ટૂંક નોંધ લખો : સંસર્ગજન્ય (ચેપી) રોગો અને બિનસંસર્ગજન્ય (બિનચેપી) રોગો
ઉત્તર : રોગોના ફેલાવાના આધારે રોગોના બે પ્રકાર છે : ( 1 ) સંસર્ગજન્ય (ચેપી) રોગો અને (2 ) બિનસંસર્ગજન્ય (બિનચેપી) રોગો.
( 1 ) સંસર્ગજન્ય (ચેપી) રોગો : (1) આવા રોગો થવાનું કારણ વાઇરસ, બૅક્ટેરિયા, પ્રજીવો, પૃથુમિ, સૂત્રકૃમિ અને ફૂગ જેવા રોગકારક સજીવ છે. (2) રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી તંદુરસ્ત વ્યક્તિ આવા રોગોનો ભોગ બની શકે છે. (4) ચેપી રોગનો ફેલાવો ઝડપી હોય છે. (4) ચેપી રોગો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શારીરિક સંપર્ક, હવા, પાણી, ખોરાક, કીટકો વગેરે કારકો દ્વારા પ્રસરે છે. (5) ઇન્ફ્લુએન્ઝા, કૉલેરા, મરડો, કમળો, ટાઇફૉઇડ, ક્ષય વગેરે ચેપી રોગો છે.
( 2 ) બિનસંસર્ગજન્ય (બિનચેપી) રોગો : (1) આવા રોગો થવાનું કારણ રોગકારક સજીવ નથી, પરંતુ જનીનિક અનિયમિતતા, મેદસ્વિતા, કસરતનો અભાવ, કુપોષણ કે વારસાગત કારણ હોય છે. (2) રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિને આ રોગ થવાનું કોઈ જોખમ નથી. (૩) આવા રોગો ઝડપથી થતા કે ફેલાતા નથી. (4) બિનચેપી રોગો પ્રસરવા માટે કોઈ કારકો જવાબદાર નથી. (5) કેટલાક કૅન્સર જનીનિક અનિયમિતતાને કારણે થાય છે. ઊંચું રુધિર દબાણ હોવાનું કારણ વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું છે.
રોગોના ફેલાવાની રીતો અને ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર રોગોના નિવારણની રીતો જુદા જુદા રોગો માટે જુદી જુદી હોય છે. તે પ્રાથમિક કારણ સંસર્ગજન્ય છે કે બિનસંસર્ગજન્ય તેના પર આધાર રાખે છે.
પ્રશ્ન 17. પેપ્ટિક અલ્સર શું છે? આ રોગ થવાના કારણ, રોગકારકનું નામ અને રોગની સારવાર / ઉપચારની માહિતી આપો. [3 ગુણ]
ઉત્તર : પેપ્ટિક અલ્સર જઠર અને પક્વાશયની ઍસિડિટીના કારણે થતો દુખાવો અને રુધિરસ્રાવ છે.
પેપ્ટિક અલ્સર થવાના કારણ : રહેણીકરણી, તણાવયુક્ત જીવન, ખૂબ જ તીખો-તળેલો ખોરાક.
રોગકારક : હેલિકોબૅક્ટર પાયલોરી (Helicobacter pylori) નામના વક્રાકાર બૅક્ટેરિયા.
આ બૅક્ટેરિયા જઠરના નીચલા ભાગમાં જોવા મળે છે અને તેમના વસવાટની આસપાસ જઠરમાં સોજાનાં ચિહ્નો જોવા મળે છે.
ઉપચાર : રોબિન વોરેન અને બેરી માર્શલે સૂચવેલા પ્રતિજૈવિક (ઍન્ટિબાયોટિક)ની ચોક્કસ સમય માટે સારવાર લઈને રોગમુક્ત થઈ શકાય છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 18. એવાં ત્રણ કારણ લખો કે જેના આધારે તમે વિચારી શકો કે તમે બિમાર છો અને ચિકિત્સકની પાસે જવા માગો છો. જો આમાંથી એક પણ લક્ષણ હોય તોપણ ચિકિત્સક પાસે જવા માગો છો? શા માટે અથવા શા માટે નહિ? [1 ગુણ)
ઉત્તર : (1) માથાનો દુખાવો, (2) શરદી તથા ખાંસી અને (૩) શરીર કળતર – આ ત્રણ કારણ કે લક્ષણના આધારે વ્યક્તિ વિચારી શકે તે બિમાર છે અને ચિકિત્સક પાસે જવા માગે છે.
→ જો આમાંથી એક પણ લક્ષણ હોય તોપણ ચિકિત્સક પાસે જઈ ચોક્કસ સારવાર લેવી જોઈએ.
પ્રશ્ન 19. નીચે આપેલા પૈકી કોનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડેલી છે? અને કેમ? [2 ગુણ]
(1) જો તમને કમળો થયો હોય. (2) જો તમને જૂ પડી હોય. (૩) જો તમને ખીલ થયા હોય.
ઉત્તર : જ્યારે કમળો થયો હોય ત્યારે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કારણ કે, કમળો થયો હોય ત્યારે આપણા યકૃત પર તેની ખૂબ જ વિપરીત અસર થાય છે. આ બિમારી હઠીલા રોગ તરીકે ગણાય છે અને તેની લાંબા સમય સુધી અસરકારક સારવાર જરૂરી છે.
13.3 સંસર્ગજન્ય રોગો (ચેપી રોગો)
13.3.1 સંસર્ગજન્ય કારકો (ચેપી કારકો)
પ્રશ્ન 20. રોગજન્ય સજીવોનું વર્ગીકરણ કરી, તેમના દ્વારા થતા રોગોની માહિતી આપો. [3 ગુણ]
અથવા
રોગકારક સજીવોનું વર્ગીકરણ શાના આધારે કરાય છે? આ રોગકારકો કયા રોગો માટે જવાબદાર છે તે જણાવો.
ઉત્તર : જીવસૃષ્ટિમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. તેથી તેનું વર્ગીકરણ કેટલાક સમૂહોમાં કરવામાં આવ્યું છે. જુદા જુદા સજીવોમાં જોવા મળતાં સામાન્ય લક્ષણો પરથી આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
જે-તે રોગ માટે જવાબદાર સજીવો પણ બહોળા પ્રમાણમાં મળી આવે છે. તેના પરથી રોગકારક સજીવોના વર્ગીકરણના પ્રકારો પાડ્યા છે:
પ્રશ્ન 21. ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. સમજાવો. [3 ગુણ]
ઉત્તર : જુદા જુદા ચેપી રોગો જુદા જુદા ચોક્કસ રોગકારક સજીવ વડે થાય છે. આ રોગકારકોના પ્રકાર અલગ હોવાથી તેમનાં લક્ષણો અલગ હોય છે.
ઉદાહરણ તરીકે, વાઇરસ કોષાંતરીય પરપોષી હોય છે. તેથી તે કોષોમાં જીવંતપણાનાં લક્ષણો દર્શાવે છે. રોગકારક બૅક્ટેરિયા પરપોષી છે, પરંતુ વાઇરસથી અલગ છે. વાઇરસ, બૅક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. તુલનાત્મક રીતે કૃમિમાં ગુણન ધીમું હોય છે.
વર્ગીકરણ અનુસાર વાઇરસ કરતાં વિવિધ બૅક્ટેરિયા એકબીજાની નજીક હોય છે. આથી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ મોટા ભાગના બૅક્ટેરિયામાં સમાન હોય છે, પરંતુ વાઇરસથી ભિન્ન હોય છે. તેના પરિણામે સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઔષધિ(ઍન્ટિબાયોટિક)ની અસરકારકતા કયા વર્ગના, કયા સજીવોમાં, કઈ ક્રિયાને અવરોધે તે પરથી નક્કી કરવામાં આવે છે.
આથી ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે.
પ્રશ્ન 22. માનવશરીરમાં બૅક્ટેરિયાના ચેપ સામે પેનિસિલિન ઍન્ટિબાયોટિક(ઔષધ)ની અસરકારકતા સમજાવો. [2 ગુણ]
ઉત્તર : ઍન્ટિબાયોટિક સામાન્યતઃ બૅક્ટેરિયામાં મહત્ત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા કે જૈવરાસાયણિક માર્ગને બંધ કરી દે છે.
દા. ત., પેનિસિલિન ઔષધ બૅક્ટેરિયાના જીવરાસાયણિક પથમાં અવરોધ સર્જે છે. ઘણા બૅક્ટેરિયા તેમના રક્ષણ માટે કોષદીવાલ બનાવે છે. પરંતુ પેનિસિલિન બૅક્ટેરિયાની કોષદીવાલ બનાવવાની ક્રિયાને અવરોધી દે છે. પરિણામે નવા બનતા બૅક્ટેરિયા કોષદીવાલ બનાવી શકતા નથી અને સરળતાથી મૃત્યુ પામે છે. આમ, પેનિસિલિન બૅક્ટેરિયામાં કોષદીવાલ બનાવવાની પ્રક્રિયા પર અસર કરતું ઔષધ છે. માનવશરીરના કોષો કોષદીવાલ બનાવતા નથી. પરિણામે માનવશરીરના કોષો પર પેનિસિલિનની કોઈ અસર થતી નથી.
પ્રશ્ન 23. શરદી-ઉધરસમાં ઍન્ટિબાયોટિક અસરકારક નીવડતી નથી, છતાં તબીબો શા માટે ઍન્ટિબાયોટિક આપે છે? [2 ગુણ]
ઉત્તર : શરદી-ઉધરસ વાઇરસના સંક્રમણથી થતી તકલીફ છે. વાઇરસ કૌષદીવાલ ધરાવતા નથી. તેમજ માનવશરીરના કોષોમાં જીવંતપણાનાં લક્ષણો દર્શાવે છે.
મોટા ભાગના ઍન્ટિબાયોટિક કોષદીવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે. વાઇરસમાં આવી પ્રક્રિયા થતી નથી. આથી વાઇરસથી સંક્રમિત શરદી-ઉધરસમાં ઍન્ટિબાયોટિક અસરકારક નીવડતી નથી. તેથી રોગની તીવ્રતા કે તેનો સમયગાળો ઓછો થતો નથી. આમ છતાં તબીબો ઍન્ટિબાયોટિક આપે છે, કારણ કે જો વાઇરસ સંક્રમિત શરદી-ઉધરસની સાથે બૅક્ટેરિયાનું સંક્રમણ હોય, તો ઍન્ટિબાયોટિક લાભકારક નીવડે છે.
13.3.2 રોગનો ફેલાવો
પ્રશ્ન 24. ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે થાય છે તે સમજાવો. અથવા [4 ગુણ]
અથવા
સંસર્ગજન્ય રોગો એટલે શું? સંસર્ગજન્ય રોગોનો ફેલાવો વિસ્તૃત રીતે ચર્ચો.
ઉત્તર : ઘણા રોગોનો ફેલાવો રોગી વ્યક્તિમાંથી અન્ય સ્વસ્થ વ્યક્તિમાં સંપર્ક દ્વારા થાય છે. આવા રોગોને સંસર્ગજન્ય રોગો કે ચેપી રોગો કહે છે.
ચેપી રોગોનો ફેલાવો વિવિધ રીતે થાય છે :
( 1 ) હવા દ્વારા : કેટલાક રોગકારકોનો ફેલાવો હવા દ્વારા થાય છે. દા. ત., ખાંસી, શરદી, ન્યુમોનિયા અને ક્ષય હવાથી ફેલાતા રોગો છે. આવા કોઈ પણ રોગના ચેપગ્રસ્ત કે રોગી વ્યક્તિના છીંક ખાવાથી, ખાંસી કે ગળફાથી નાના નાના છાંટા (બિંદુઓ) બહાર નીકળે છે. આવા નાના છાંટા હવાના વેગ સાથે મિનિટો કે કલાકો સુધી પર્યાવરણમાં પ્રવાહી સ્વરૂપે રહે છે. અથવા તેની નજીક ઊભા રહેવાથી શ્વાસ દ્વારા આ બિંદુઓ સાથે રોગકારક બૅક્ટેરિયા કે વાઇરસ સ્વસ્થ વ્યક્તિઓમાં પ્રવેશી તેમને ચેપગ્રસ્ત બનાવે છે. નાના બંધિયાર ઘરોમાં હવાની યોગ્ય અવરજવર (Ventilation) થઈ શકતી નથી. તેથી તેમાં રહેતી વ્યક્તિઓમાં હવા દ્વારા ફેલાતા રોગોની શક્યતા વધારે છે.
જ્યાં વધારે ભીડ રહેતી હોય ત્યાં પણ હવા દ્વારા ફેલાતા રોગો વધારે હોય છે.
( 2 ) પાણી દ્વારા : કેટલાક ચેપી રોગોનો ફેલાવો પાણી દ્વારા થાય છે. દા. ત., કૉલેરા, ટાઇફૉઇડ, કમળો (Hepatitis).
કૉલેરાગ્રસ્ત વ્યક્તિનો મળ જો પાણીમાં ભળે અને આવું પ્રદૂષિત પાણી પીવામાં આવે તો કૉલેરા થાય છે. આ ઉપરાંત કેટલાક કૃમિજન્ય રોગોનો ફેલાવો પણ પ્રદૂષિત પાણીના કારણે થાય છે.
( 3 ) પ્રાણીઓ દ્વારા : ઘણા રોગોનું વહન મચ્છર જેવા કીટક દ્વારા થાય છે. દા. ત., મેલેરિયા અને હાથીપગો. ઘણી જાતિઓની માદા મચ્છર મનુષ્ય અને બીજા પ્રાણીમાંથી રુધિર ચૂસીને મેલેરિયા અને હાથીપગાનો ફેલાવો કરે છે. મચ્છરની આવી જાતિઓ પરિપક્વ ઈંડાં ઉત્પન્ન કરવા વધારે માત્રામાં પોષણની જરૂર રહે છે.
હડકવાના વાઇરસ(Rabies virus)નો ફેલાવો કૂતરાં કે બીજાં પ્રાણીઓના કરડવાથી થાય છે.
( 4 ) ખોરાક દ્વારા : બજારમાં ખુલ્લા રાખેલા ખોરાક દ્વારા કૉલેરા, કમળો જેવા રોગો ફેલાય છે.
( 5 ) લૈગિંક ક્રિયાઓ દ્વારા : બે વ્યક્તિ શારીરિકરૂપથી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે કેટલાક રોગો ફેલાય છે. દા. ત., સિફિલિસ, એઇડ્સ (AIDS).
એઇડ્સગ્રસ્ત દર્દીનું રુધિર રુધિરાધાન માટે લેવાથી એઇડ્સ થાય છે. એઇડ્સગ્રસ્ત સ્રીની ગર્ભાવસ્થા દ્વારા કે એઇડ્સગ્રસ્ત માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બાળકને આ રોગ થાય છે. આ રોગ હાથ મિલાવવો, ભેટવું (hug) અથવા કુસ્તી જેવા સામાન્ય સંપર્ક દ્વારા ફેલાતો નથી.
પ્રશ્ન 25. ટૂંક નોંધ લખો : હવા દ્વારા ફેલાતા ચેપી રોગો [2 ગુણ]
ઉત્તર : હવા દ્વારા ફેલાતા ચેપી રોગો : જુઓ પ્રશ્ન 24ના ઉત્તરના મુદ્દા (1)ની સમજૂતી.
13.3.3 અંગ-વિશિષ્ટ અને પેશી-વિશિષ્ટ અભિવ્યક્તિ
પ્રશ્ન 26. રોગકારક સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? [3 ગુણ)
ઉત્તર : રોગકારક સૂક્ષ્મ જીવોની સરખામણીમાં આપણું શરીર ઘણું મોટું છે. આથી રોગકારક સૂક્ષ્મ જીવોના પ્રવેશ અને સ્થાયી થવા માટે આપણા શરીરમાં ઘણી જગ્યાઓ ઉપલબ્ધ છે. રોગકારક સૂક્ષ્મ જીવો જુદા જુદા માધ્યમ અને જુદા જુદા પ્રવેશદ્વાર દ્વારા શરીરમાં પ્રવેશે છે.
દા. ત., ( 1 ) ક્ષયના બૅક્ટેરિયા નાક દ્વારા શ્વાસ મારફતે ફેફસાંમાં પ્રવેશ કરે છે.
( 2 ) ટાઇફૉઇડના બૅક્ટેરિયા મુખ દ્વારા પાણી કે ખોરાક મારફતે આંતરડાંમાં પ્રવેશે છે.
( 3 ) હિપેટાઇટિસ(કમળા)ના વાઇરસ મુખ દ્વારા પ્રવેશી રુધિર મારફતે યકૃતમાં દાખલ થાય છે.
( 4 ) મચ્છર કરડવાથી મેલેરિયાના પ્રજીવ યકૃતમાં જાય છે અને ત્યારપછી રક્તકણમાં પ્રવેશે છે. આ જ પ્રમાણે મચ્છર કરડવાથી જાપાનીઝ એન્સિફેલાઇટિસ (મગજનો તાવ) માટેનો જવાબદાર વાઇરસ દાખલ થઈ મગજને ચેપગ્રસ્ત બનાવે છે.
( 5 ) એઇડ્સ રોગના વાઇરસ-HIV લિંગી અંગો કે રુધિર દ્વારા પ્રવેશી રુધિરના પ્રતિકાર કોષોમાં અને લસિકા ગાંઠોમાં ફેલાય છે.
પ્રશ્ન 27. નીચે આપેલા રોગો માટેના રોગકારકો કયા પ્રકારના છે અને શરીરમાં તેની લક્ષ્ય પેશી કે અંગ કયાં છે તે જણાવો : [૩ ગુણ]
ક્ષય, ન્યુમોનિયા, ટાઇફૉઇડ, મેલેરિયા, એઇડ્સ, કમળો (હિપેટાઇટિસ), કૉલેરા, હાથીપગો, જાપાનીઝ એન્સિફેલાઇટિસ.
ઉત્તર :
પ્રશ્ન 28. રોગકારકોએ નીચેનાં અંગોને લક્ષ્ય બનાવ્યાં હોય, તો શરીરમાં કઈ કઈ અસરો / ચિહ્નો જોવા મળે છે? શા માટે? ફેફસાં, યકૃત, મગજ [3 ગુણ]
ઉત્તર : સામાન્ય રીતે રોગનાં ચિહ્ન કે લક્ષણોનો આધાર રોગકારક સૂક્ષ્મ જીવો કઈ પેશી કે અંગને લક્ષ્ય બનાવે છે, તેના પર રહેલો છે.
( 1 ) જો ફેફસાંને લક્ષ્ય બનાવ્યા હોય, તો ખાંસી, શરદી કે હાંફી જવું જેવાં ચિહ્નો જોવા મળે છે.
( 2 ) જો યકૃતને લક્ષ્ય બનાવ્યું હોય, તો કમળાનાં ચિહ્નો જોવા મળે છે.
( 3 ) જો મગજને લક્ષ્ય બનાવ્યું હોય તો માથું દુખવું, ઊલટી થવી, ચક્કર આવવાં, બેભાન થવું જેવાં ચિહ્નો જોવા મળે છે.
આ બધા ચેપ સામે શરીરમાં અસ્તિત્વ ધરાવતું રોગપ્રતિકારતંત્ર સક્રિય બની, રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન સોજો આવવો, દુખાવો થવો, તાવ વગેરે જેવી સ્થાનિક અસરો પણ જોવા મળે છે.
પ્રશ્ન 29. HIVના ચેપથી પ્રતિકારક તંત્ર પર થતી અસરથી શું પરિણામો નીપજે છે તે જણાવો. [2 ગુણ]
ઉત્તર : HIV(હ્યુમન ઇમ્યુનોડેફિસીઅન્સી વાઇરસ)ના ચેપની પેશી વિશિષ્ટ અસરથી કેટલીક સામાન્ય અસરો સર્જાય છે. HIVના ચેપમાં પ્રતિકારક તંત્રના કોષોમાં વાઇરસ દાખલ થઈ, તેને નુકસાન કરી, તેના કાર્યને નષ્ટ કરે છે. આથી HIV – AIDSની ઘણી બધી અસરોને કારણે આપણું શરીર રોજબરોજ નાના નાના સંક્રમણનો લાંબો સમય સામનો કરી શકતું નથી. દા. ત., થોડીક શરદી થઈ હોય તો તે ન્યુમોનિયામાં ફેરવાય છે. આંતરડાંમાં લાગતો થોડો ચેપ રુધિરયુક્ત ઝાડા સર્જે છે. આમ, રોગપ્રતિકારક શક્તિ નષ્ટ થતી જાય છે. છેવટે અન્ય સંક્રમણથી HIV – AIDSના રોગીનું મૃત્યુ થાય છે.
પ્રશ્ન 30. રોગકારકના સંક્રમણ (ચેપ) સામે પ્રતિકારક તંત્ર કેવા પ્રતિભાવ આપે છે તે જણાવો. [2 ગુણ]
ઉત્તર : રોગકારકના સંક્રમણ(ચેપ)થી શરીરનું પ્રતિરક્ષાતંત્ર કે રોગપ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થાય છે. રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મ જીવોને મારવા માટે સક્રિય પ્રતિરક્ષાતંત્ર પ્રભાવિત પેશીની ચારેય બાજુ અનેક નવા કોષો બનાવવા લાગે છે. નવા કોષો બનાવવાની આ પ્રક્રિયાને સોજો કહે છે.
રોગકારકોના નાશ કરવાની પ્રક્રિયાને અંતર્ગત સોજો અને દર્દ થવાની સ્થાનિક અસર તથા તાવ આવવા જેવી સામાન્ય અસર જોવા મળે છે. પ્રતિકારક તંત્ર શરીરમાં જીવંત સૂક્ષ્મ જીવોની સંખ્યાને નક્કી કરતું એક કારક છે.
HIV ના સંક્રમણને કારણે ધીમે ધીમે પ્રતિકારક તંત્રનું કાર્ય નષ્ટ થતું જાય છે.
18.3.4 ઉપચારના સિદ્ધાંતો
પ્રશ્ન 31. ચેપી રોગના ઉપચારની બે રીત સમજાવો. [3 ગુણ]
અથવા
ચેપી (સંસર્ગજન્ય) રોગના ઉપચારના સિદ્ધાંતો સમજાવો.
ઉત્તર : ચેપી રોગનો ઉપચાર બે રીતે થાય છે : ( 1 ) રોગની અસર ઓછી કરી દેવી અને ( 2 ) રોગના કારણનો નાશ કરવો.
( 1 ) રોગની અસર ઓછી કરી દેવી ઃ રોગનાં લક્ષણોમાં ઘટાડો કરવા સારવાર અપાય છે. રોગનાં લક્ષણો સામાન્ય રીતે શરીરની બળતરાને કારણે હોય છે. આથી ઔષધ લઈ તાવમાં ઘટાડો અને દુખાવામાં ઘટાડો કે ઝાડા થતા બંધ કરાય છે. આવા સમયે આરામ કરવાથી ઊર્જા સચવાય છે. આ લક્ષણ-નિયંત્રિત સારવારથી રોગકારકોનો નાશ થતો નથી કે રોગમુક્તિ થતી નથી, પરંતુ રોગની તકલીફોમાં રાહત મળે છે. તે આપણને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે.
( 2 ) રોગના કારણનો નાશ કરવો ઃ રોગકારકોનો નાશ કરી રોગમુક્તિ મેળવવાની રીત એ સારવારનો બીજો સિદ્ધાંત છે. તે માટે ઍન્ટિબૅક્ટેરિયલ કે ઍન્ટિવાઇરલ કે અન્ય ઔષધ લઈ રોગકારકોનો નાશ કરવામાં આવે છે. આવા ચોક્કસ ઔષધ દ્વારા ચોક્કસ રોગકારકોની વિશિષ્ટ જીવરાસાયણિક પ્રક્રિયાઓ અવરોધી તેનો નાશ કરાય છે.
પ્રશ્ન 32. રોગમુક્તિ સારવારમાં ઔષધ(Antibiotic)ના ઉપયોગમાં કઈ બાબતો મહત્ત્વની છે તે જણાવો. [2 ગુણ]
ઉત્તર : રોગમુક્તિ સારવારમાં ઔષધ લઈ રોગકારકોનો નાશ કરવાનો માર્ગ અપનાવાય છે. રોગકારકો બૅક્ટેરિયા, વાઇરસ, ફૂગ, પ્રજીવો, કૃમિ વગેરે જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરાયેલા છે. આ પ્રત્યેક વર્ગના સજીવોમાં જીવનજરૂરી કેટલીક આવશ્યક જીવરાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રક્રિયાઓ જે-તે વર્ગની આગવી અને વિશિષ્ટ હોય છે. તે અન્ય વર્ગોમાં જોવા મળતી નથી. આથી ચોક્કસ
રોગમુક્તિ માટે જે-તે રોગના રોગકારક બૅક્ટેરિયા, વાઇરસ કે પ્રજીવની જીવરાસાયણિક પ્રક્રિયાઓ અવરોધતા હોય અને આપણા શરીરને અસર ન કરતા હોય એવા ઔષધનો ઉપયોગ કરવો પડે છે. આમ, ચોક્કસ રોગની સારવારમાં ચોક્કસ પ્રકારના ઔષધનો ઉપયોગ કરવો એ મહત્ત્વની બાબત બની રહે છે.
પ્રશ્ન 33. ( 1 ) જ્યારે તમે બિમાર પડો છો ત્યારે તમારા કુટુંબના સભ્યો શું કરે છે? ( 2 ) શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે થોડો સમય સૂઈ ગયા પછી સારો અનુભવ શા માટે કરો છો? (૩) ઉપચારમાં દવાનો ઉપયોગ ક્યારે કરો છો? [3 ગુણ]
ઉત્તર :
( 1 ) કુટુંબના સભ્યો બિમાર પડેલી વ્યક્તિને આરામ મળે તેમજ હળવા અને પ્રવાહી ખોરાક મળે તેની કાળજી લે છે.
( 2 ) હા, આરામ કરવાથી શરીરમાં ઊર્જાનું સંરક્ષણ થાય છે અને શરીરને સ્વસ્થ થવામાં મદદ મળે છે.
(૩) આરામ કરવા છતાં રોગની તીવ્રતામાં કોઈ ઘટાડો ન થાય ત્યારે ઉપચારમાં દવાનો ઉપયોગ કરવામાં આવે છે.
18.3.5 રોગ અટકાવવાના સિદ્ધાંતો
પ્રશ્ન 34. ચેપી રોગનો સામનો કરવામાં રહેલી મર્યાદાઓ જણાવો. [3 ગુણ]
ઉત્તર : ચેપી રોગનો સામનો કરવામાં નીચે મુજબ ત્રણ મર્યાદાઓ રહેલી છેઃ
( 1 ) કેટલાક રોગમાં, શારીરિક કાર્યોને ખૂબ નુકસાન થાય છે અને વ્યક્તિ ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઈ શકતી નથી. દા. ત., ફેફસાંના ક્ષયમાં ફેફસાંને થયેલું નુકસાન સંપૂર્ણપણે દૂર થઈ શકતું નથી.
( 2 ) સારવારમાં થતો વધુ સમય. કેટલાક રોગોમાં રોગથી પીડાતા દર્દીને વ્યવસ્થિત અને સાચો ઉપચાર આપવા છતાં અમુક સમય માટે પથારીવશ રહેવું પડે છે. દા. ત., ક્ષય, કમળો.
( 3 ) વ્યક્તિ ચેપી રોગથી પીડાતી હોય ત્યારે તે રોગના ફેલાવાનો સ્રોત બની બીજી વ્યક્તિઓમાં રોગનો ફેલાવો કરે છે. તેથી મુશ્કેલીઓ વધી જાય છે.
આવાં કારણોને લીધે રોગનો અટકાવ તેના ઉપચાર કરતાં વધુ સારો છે.
પ્રશ્ન 35. ચેપી રોગનો અટકાવ કેવી રીતે કરી શકાય તે સમજાવો. [3 ગુણ]
અથવા
રોગ અટકાવના માર્ગની માહિતી લખો.
ઉત્તર : ચેપી રોગના અટકાવ માટે બે માર્ગ છે
( 1 ) સામાન્ય માર્ગ : આ માર્ગ એટલે ચેપને ફેલાતો અટકાવવો. રોગકારક સજીવોનો ફેલાવો અટકાવવા નીચેનાં પગલાં જરૂરી છે :
( 1 ) હવા દ્વારા ફેલાતા રોગકારકો(બૅક્ટેરિયા, વાઇરસ)નો ફેલાવો અટકાવવા લોકોની ભીડ થતી રોકવી.
( 2 ) પાણી દ્વારા ફેલાતા રોગકારકો અટકાવવા સ્વચ્છ પાણી પૂરું પાડવું. પાણી ઉકાળીને પીવા માટે ઉપયોગમાં લેવું. ક્લોરિનેશન જેવી પ્રક્રિયા દ્વારા જીવાણુનો નાશ કરવો અને પાણીને દૂષિત થતું રોકવું.
( 3 ) મચ્છર જેવા વાહકોથી ફેલાતા રોગો અટકાવવા મચ્છરના પ્રજનનસ્થાનોનો નાશ કરી, સ્વચ્છ પર્યાવરણ ઊભું કરવું.
આમ, ચેપી રોગને અટકાવવા સાર્વજનિક સફાઈ અભિયાન એ એક મૂળભૂત રસ્તો છે.
( 2 ) વિશિષ્ટ માર્ગ : આપણા શરીરમાં આવેલું પ્રતિકારતંત્ર રોગકારક જીવો (Pathogens) સામે લડી તેનો નાશ કરે છે. તેથી આપણે દ૨૨ોજ વિવિધ ચેપનો ભોગ થવા છતાં આપણને રોગ લાગુ પડતો નથી. આ પ્રતિકારતંત્ર શરીરનાં અન્ય તંત્રોની જેમ કાર્ય કરે છે. જો પોષ્ટિક અને પૂરતો ખોરાક ન મળે તો પ્રતિકારતંત્રનું કાર્ય નબળું પડે છે. આમ, બીજા મૂળભૂત સિદ્ધાંત મુજબ દરેક વ્યક્તિને પૂરતો પૌષ્ટિક આહાર મળવો જોઈએ.
પ્રશ્ન 36. આપણે સૂક્ષ્મ જીવોને કેવી રીતે મારી નાખીએ છીએ? [1 ગુણ)
ઉત્તર : આપણા શરીરને અસર કર્યા વગર સૂક્ષ્મ જીવોની આવશ્યક જૈવપ્રક્રિયાઓને અવરોધતી ઔષધિઓનો ઉપયોગ કરીને આપણે સૂક્ષ્મ જીવોને મારી નાખીએ છીએ.
પ્રશ્ન 37. કોઈ વ્યક્તિમાં રોગ છે તો તેના સંક્રમણથી કેવી રીતે છુટકારો મેળવી શકે છે? [1 ગુણ]
ઉત્તર : કોઈ વ્યક્તિમાં રોગ છે તો તે ચોક્કસ ઔષધિઓના ઉપયોગ દ્વારા તેમજ આરામ કરીને તેના સંક્રમણથી છુટકારો મેળવી શકે છે.
પ્રશ્ન 38. આપણે રોગોને કેવી રીતે અટકાવી શકીએ? [1 ગુણ]
ઉત્તર : રોગીષ્ઠ વ્યક્તિથી દૂર રહી, ભીડવાળાં સ્થાનોથી દૂર રહી, સ્વચ્છ પાણી, હવા તેમજ યોગ્ય માત્રામાં પોષણક્ષમ ખોરાકના ઉપયોગથી આપણે રોગોને અટકાવી શકીએ.
પ્રશ્ન 39. આપણે દિન-પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થઈએ છીએ છતાં આપણે બધા વાસ્તવમાં રોગથી પીડાતા નથી. શા માટે? [2 ગુણ]
ઉત્તર : આપણે દિન-પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થવા છતાં આપણે બધા વાસ્તવમાં રોગથી પીડાતા નથી. તેનું કારણ આપણા શરીરમાં આવેલું રોગકારકો સામે લડતું રોગપ્રતિકારક તંત્ર છે. જ્યારે કોઈ સંસર્ગજન્ય રોગકારક આપણા શરીરમાં આવે કે તરત જ આ સક્રિય થઈ જાય છે. પ્રતિકારક કોષો સંક્રમણ ફેલાતા પહેલાં જ તેનો નાશ કરી નાખે છે અથવા તો રોગકારકોની સંખ્યા એટલી નિયંત્રિત કરી નાખે કે તે રોગની અભિવ્યક્તિ માટે અપૂરતી હોય.
પ્રશ્ન 40. રોગપ્રતિકારક તંત્રના પાયાના નિયમની માહિતી આપો. [2 ગુણ]
ઉત્તર : જ્યા૨ે રોગકારક જીવાણુઓથી શરીર પ્રથમ વખત સંક્રમિત થાય છે ત્યા૨ે રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓના સંપર્કમાં આવે છે. રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓ સામે પ્રતિક્રિયા કરી તેમનો નાશ કરે છે. આ ક્રિયા દરમિયાન રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ રાખે છે.
જ્યારે આ રોગકારકો વડે શરીર ફરીથી સંક્રમિત થાય ત્યારે શરીરનું રોગપ્રતિકારક તંત્ર વધા૨ે ક્ષમતાથી તેમનો નાશ કરી, શરીરને સુરક્ષિત રાખે છે.
આમ, પહેલા સંક્રમણની સાપેક્ષે બીજું સંક્રમણ ઝડપથી નાશ પામે છે. રોગપ્રતિકારક તંત્રનો આ પાયાનો નિયમ છે.
પ્રશ્ન 41. ટૂંક નોંધ લખો : રસીકરણ [3 ગુણ]
ઉત્તર : રસીકરણમાં શરીરના રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ રોગકારક જીવાણુઓ શરીરમાં દાખલ કરાવવામાં આવે છે. રસી દ્વારા દાખલ કરવામાં આવતા રોગકારક જીવાણુઓ ઓછી માત્રામાં અને ઓછી તીવ્રતા ધરાવતા હોવાથી વાસ્તવમાં રોગ કરતા નથી, પરંતુ ભવિષ્યમાં તેના જેવા જ રોગકારક જીવાણુઓથી થનારા રોગ સામે રક્ષણ આપે છે.
ઉપલબ્ધ રસી : અમુક રોગો રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. ધનુર, ડિફ્યેરિયા, ઓરી, પોલિયો, હડકવા, ટાઇફાઇડ, હિપેટાઇટિસ, સૂકી ખાંસી (ઊંટાટિયું) જેવા રોગો સામેની રસી ઉપલબ્ધ છે.
રસીકરણનું ધ્યેય : WHO(World Health Organızatton વિશ્વ આરોગ્ય સંગઠન)એ રજૂ કરેલ કાર્યક્રમનું ધ્યેય બાળકોને વિવિધ રોગો સામે રસીકરણ વડે સુરક્ષિત કરી બાળમૃત્યુ અટકાવવાનું છે. આ માટે બાળકોને નિયત સમયે અને નક્કી કરેલ ડોઝ (માત્રા) મુજબ ફરજિયાત રસી આપવી જોઈએ. સરકાર સંસર્ગજન્ય રોગોથી બાળકોને રક્ષણ આપવા રસીકરણ કાર્યક્રમ કરે છે.
કુદરતી રસીકરણ : હિપેટાઇટિસ – A માટે રસીકરણ થઈ શકે છે. હિપેટાઇટિસ – A વાઇરસ પાણી દ્વારા ફેલાય છે અને તેનાથી કમળો થાય છે. આપણા દેશના મોટા ભાગના પ્રદેશોમાં પાંચ વર્ષની વય સુધીમાં તેઓ પાણી દ્વારા હિપેટાઇટિસ – Aથી સંક્રમિત થઈ, તેની અસરમાં આવી જતાં આ વાઇરસ સામે પ્રતિકા૨ક થઈ ગયેલા હોય છે.
પ્રશ્ન 42. કયા વૈજ્ઞાનિકે શીતળાની રસી વિકસાવી? કેવી રીતે? [2 ગુણ ]
ઉત્તર : વૈજ્ઞાનિક એડવર્ડ જેનરે શીતળાની રસી વિકસાવી. તેમણે ગાયના શીતળાના રોગકારકથી સંક્રમિત ગોવાળિયામાં જોયું કે તેને શીતળા થયો નથી. ગાયના શીતળાનો રોગ નિર્બળ રોગ છે.
તેમણે ગાયના શીતળાના વાઇરસ લોકોના શરીરમાં દાખલ કર્યા અને જોયું કે લોકો શીતળાના રોગ સામે પ્રતિકારક બન્યા. આનું કારણ શીતળાના વાઇરસ, ગાયના શીતળાના રોગકારક વાઇરસ સાથે નજીકથી સંકળાયેલા છે. આ રીતે એડવર્ડ જેનરે શીતળાની રસી વિકસાવી.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 43. જ્યારે તમે બિમાર થાઓ છો, ત્યારે તમને સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ કેમ આપવામાં આવે છે? [ 1 ગુણ ]
ઉત્તર : રોગપ્રતિકારક તંત્રની ઓછી કાર્યક્ષમતાથી બિમારી થાય છે. જો આપણને પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત ન થતાં રોગપ્રતિકારક તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રોની જેમ યોગ્ય કાર્યક્ષમ થતું નથી. આથી બિમારીમાંથી ઝડપથી સ્વસ્થ થવા માટે સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ આપવામાં આવે છે.
પ્રશ્ન 44. સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો કઈ કઈ છે? [1 ગુણ)
ઉત્તર : સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો દૂષિત પાણી, દૂષિત ખોરાક, દૂષિત હવા, લિંગી સંપર્કો, મચ્છર કરડવાથી, હડકવાગ્રસ્ત પ્રાણી કરડવાથી કે પરોક્ષ સંપર્ક છે.
પ્રશ્ન 45. તમારી શાળામાં સંસર્ગજન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે કઈ કઈ સાવચેતીઓ આવશ્યક છે? [૩ ગુણ]
ઉત્તર : શાળામાં સંસર્ગજન્ય રોગોને ફેલાતા અટકાવવા નીચેની સાવચેતીઓ આવશ્યક છે :
( 1 ) વધારે ભીડ થતી રોકવી.
( 2 ) સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવી.
( 3 ) શાળાના વિસ્તાર અને વર્ગખંડોની સફાઈ કરવી તેમજ જંતુનાશકોના છંટકાવ કરવો.
( 4 ) ચોખ્ખા . શૌચાલયની વ્યવસ્થા કરવી.
( 5 ) શાળા કે તેની આજુબાજુના વિસ્તારમાં બંધિયાર પાણી ન રહે તેની તકેદારી રાખવી.
( 6 ) શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લા ખોરાક કે ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરે.
( 7 ) શાળામાં વખતોવખત સંસર્ગજન્ય રોગો સામે રસીકરણ કાર્યક્રમો યોજવામાં આવે.
(8) શરદી-ખાંસીથી બિમાર વિદ્યાર્થી છીંક કે ઉધરસ ખાતી વખતે નાક-મોં આગળ રૂમાલ રાખે.
(9) ગંભીર સંસર્ગજન્ય રોગથી પીડાતા વિદ્યાર્થી શાળામાં આવવાને બદલે ઘરે આરામ કરે અને ઉપચાર કરાવે.
પ્રશ્ન 46. રોગપ્રતિકારકતા એટલે શું? [1 ગુણ]
ઉત્તર : રોગપ્રતિકારકતા એટલે શરીરમાં બહારથી પ્રવેશતા રોગકારકો સામે લડી શરીરને સ્વસ્થ જાળવવાની ક્ષમતા.
પ્રશ્ન 47. તમારી નજીકમાં આવેલ સ્વાસ્થ્ય કેન્દ્રમાં રસીકરણના કયા કાર્યક્રમ થાય છે? તમારા વિસ્તારમાં કઈ કઈ સ્વાસ્થ્યસંબંધી મુખ્ય સમસ્યાઓ છે? [2 ગુણ]
ઉત્તર : અમારી નજીકમાં આવેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં ક્ષય, પોલિયો, ઓરી, હિપેટાઇટિસ, ડિસ્થેરિયા, ઊંટાટિયું, ધનુર રોગ અટકાવવાના રસીકરણ કાર્યક્રમો થાય છે.
અમારા વિસ્તારમાં મેલેરિયા, ટાઇફૉઇડ, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ, ક્ષય જેવી મુખ્ય સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ છે.
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
( 1 ) છેલ્લા એક વર્ષમાં તમે કેટલી વાર બિમાર પડ્યા હતા? બિમારી શું હતી?
(a) આ બિમારીઓને દૂર કરવા માટે તમે તમારી દિનચર્યામાં કયું પરિવર્તન કરશો? [1 ગુણ]
(b) આ બિમારીઓથી બચવા માટે તમે તમારી અડોશપડોશમાં શું પરિવર્તન કરશો? [1 ગુણ]
ઉત્તર : છેલ્લા એક વર્ષમાં હું ત્રણ વખત બિમાર પડ્યો હતો. મેલેરિયા, શરદી-ઉધરસ અને હિપેટાઇટિસની બિમારી હતી.
(a) આ બિમારીઓને દૂર કરવા માટે આસપાસનું પર્યાવરણ સ્વચ્છ, બંધિયાર પાણીનો નિકાલ, ખુલ્લા બજારુ ખોરાકનો ઉપયોગ ટાળવો, પોષણક્ષમ આહાર અને ચોખ્ખું ઉકાળેલા પાણીનો પીવા માટે ઉપયોગ તેમજ ઠંડાં પીણાંનો ઉપયોગ ટાળવા જેવાં પરિવર્તનો દિનચર્યામાં કરીશું.
(b) આ બિમારીઓથી બચવા અડોશપડોશમાં ભરાઈ રહેતા પાણીનો નિકાલ તેમજ કચરો એકત્રિત થતો રોકવા જેવાં પરિવર્તન કરીશું.
(2) ડૉક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અન્ય વ્યક્તિની તુલનામાં રોગીઓના સંપર્કમાં વધારે રહે છે. તપાસ કરો કે, તેઓ તેમની જાતને બિમાર થતા કેવી રીતે બચાવે છે? [2 ગુણ]
ઉત્તર : ડૉક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમની જાતને બિમાર થતા બચાવવા માટે નીચેની સાવચેતી રાખે છેઃ
( 1 ) દર્દીની તપાસ કરી સાબુથી હાથ ધુએ છે અથવા હૅન્ડ સેનિટાઇઝરના ઉપયોગથી હાથને જીવાણુમુક્ત કરે છે.
( 2 ) ફિનાઇલથી તેમના કાર્ય-સ્થાનની સફાઈ કરાવે છે.
( 3 ) ઉપયોગમાં લેવાતાં સાધનો જંતુરહિત (Sterilized) કરે છે.
( 4 ) જરૂર મુજબ હૅન્ડ-ગ્લોવ્ઝનો ઉપયોગ કરે છે.
( 5 ) દર્દી માટે ઉપયોગમાં લેવાયેલી સિરિંજ, નીડલ, પાટા, રૂ વગેરેનો યોગ્ય નિકાલ કરાવે છે.
(3) તમારી અડોશપડોશમાં એક સર્વેક્ષણ કરો અને તપાસ કરો કે સામાન્ય રીતે કઈ ત્રણ બિમારીઓ થાય છે? આ બિમારીઓને ફેલાતી અટકાવવા માટે તમારા સ્થાનીય પ્રશાસનને ત્રણ સૂચન કરો. [2 ગુણ]
ઉત્તર : સામાન્ય બિમારીઓ ઃ શરદી-ખાંસી, ટાઇફૉઇડ, ઝાડા. સ્થાનીય પ્રશાસનને આ બિમારી ફેલાતી અટકાવવા માટે સૂચનો ઃ
( 1 ) ચોખ્ખા પાણીનો પુરવઠો પૂરો પાડવો. પાણીને ક્લોરિનયુક્ત કરવું.
( 2 ) નિયમિત રીતે કચરાના નિકાલની વ્યવસ્થા અને જંતુનાશકના છંટકાવ કરાવવા.
( 3 ) સામાન્ય સંસર્ગજન્ય રોગો સંદર્ભે વખતોવખત રસીકરણ કાર્યક્રમોનું આયોજન કરવું.
(4) એક બાળક તેની બિમારી કહી શકતો નથી. આપણે તેની ઓળખ કઈ રીતે કરીશું? [2 ગુણ]
(a) શું બાળક બિમાર છે?
(b) બાળકને કઈ બિમારી થઈ છે?
ઉત્તર : ( a ) સતત રડવું, ઝાડા, ખોરાક પ્રત્યે અરુચિ તેમજ શરીર ગરમ રહેવું વગેરે લક્ષણો પરથી બાળક બિમાર છે તેની ઓળખ કરીશું.
(b ) બાળકને તાવ અને ઝાડાની બિમારી થઈ છે.
(5) નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિઓમાં કોઈ વ્યક્તિ પુનઃ બિમાર પડી શકે છે? શા માટે? [2 ગુણ]
(a) જ્યારે તે મેલેરિયામાંથી સાજી થઈ રહી છે.
(b) તે મેલેરિયામાંથી સાજી થઈ ગઈ છે અને તે અછબડાના રોગીની સેવા કરી રહી છે.
(c) મેલેરિયામાંથી સાજી થઈ ગયા પછી તે ચાર દિવસ ઉપવાસ કરે છે અને અછબડાના રોગીની સેવા કરી રહી છે. શા માટે?
ઉત્તર : ( c ) મેલેરિયામાંથી સાજી થઈ ગઈ પછી વ્યક્તિ ચાર દિવસ ઉપવાસ કરે છે અને અછબડાના રોગીની સેવા કરી રહી છે. તે વ્યક્તિ પુનઃ બિમાર પડી શકે છે, કારણ કે મેલેરિયાને કારણે વ્યક્તિ અશક્ત હોય છે ઉપરાંત ચાર દિવસ ઉપવાસ કરે છે. તેથી ખોરાકના અભાવે તે વધારે અશક્ત બને છે. આ સ્થિતિમાં રોગપ્રતિકારતંત્રની કાર્યક્ષમતા ખૂબ જ નબળી હોવાથી અછબડાના રોગીની સારવારમાં ચેપ ઝડપથી લાગી શકે છે અને પુનઃ બિમાર પડી શકે છે.
(6) નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિઓમાં તમે બિમાર થઈ શકો છો? [1 ગુણ]
(a) જ્યારે તમારી પરીક્ષાનો સમય છે.
(b) જ્યારે તમે બસ તેમજ રેલગાડીમાં બે દિવસ સુધી યાત્રા કરીને આવ્યા હોય.
(c) જ્યારે તમારો મિત્ર ઓરીથી પીડાય છે. શા માટે?
ઉત્તર : ( c ) કારણ કે ઓરી સંસર્ગજન્ય (ચેપી) રોગ છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ]
(1) રોગમુક્ત થવાની કોઈ પણ બે જરૂરી સ્થિતિ જણાવો.
ઉત્તર : રોગમુક્ત થવાની જરૂરી સ્થિતિ : (1) રોગની અસર ઘટાડવી અને (2) રોગ થવાના કારણનો નાશ કરવો.
(2) તીવ્ર રોગ એટલે શું?
ઉત્તર : જે રોગની અસર શરીર પર એકાએક અને ઝડપથી થાય છે તેમજ થોડા સમય સુધી રહે છે તથા તેની માનવસ્વાસ્થ્ય પર લાંબા ગાળે કોઈ ખરાબ અસર થતી નથી, તેને તીવ્ર રોગ કહે છે.
(3) હઠીલા રોગ એટલે શું?
ઉત્તર : જે રોગનાં લક્ષણો મહિનાઓ, વર્ષો કે જિંદગીભર રહે છે અને તેની માનવસ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની અસર જોવા મળે છે, તેને હઠીલા રોગ કહે છે.
(4) રોગનાં કારણો જણાવો.
ઉત્તર : રોગકારકોનો ચેપ, પૌષ્ટિક આહારનો અભાવ, જનીનિક ખામી, નબળી રોગપ્રતિકારશક્તિ, ગરીબાઈ તેમજ જાહેર સેવાનો અભાવ એ રોગ થવાનાં વિવિધ કારણો છે.
(5) નીચેનામાંથી કયા રોગો બૅક્ટેરિયા દ્વારા થાય છે?
કૉલેરા, હડકવા (રેબીસ), ટાઇફૉઇડ, ઇન્ફ્લુએન્ઝા, ક્ષય, એઇડ્સ, સ્વાઇન ફ્લૂ
ઉત્તર : કૉલેરા, ટાઇફૉઇડ અને ક્ષય બૅક્ટેરિયા દ્વારા થાય છે.
(6) નીચેનામાંથી કયા રોગો વાઇરસ દ્વારા થાય છે?
ટાઇફૉઇડ, ઇન્ફ્લુએન્ઝા, એઇડ્સ, કૉલેરા, ક્ષય, સ્વાઇન ફ્લૂ
ઉત્તર : ઇન્ફ્લુએન્ઝા, એઇડ્સ અને સ્વાઇન ફ્લૂ વાઇરસ દ્વારા થાય છે.
(7) ‘સ્વાસ્થ્ય’ શબ્દનો અર્થ શું થાય?
ઉત્તર : ‘સ્વાસ્થ્ય’ શબ્દનો અર્થ શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની યોગ્ય ક્ષમતા થાય.
(8) રોગ શબ્દનો સામાન્ય અર્થ શું થાય?
ઉત્તર : રોગ શબ્દનો સામાન્ય અર્થ આરામથી દૂર કે અસુવિધા છે.
(9) જીવનભર રહેતા હઠીલા રોગનું ઉદાહરણ જણાવો.
ઉત્તર : જીવનભર રહેતો હઠીલો રોગ હાથીપગો (એલિફન્ટાઇસિસ) છે.
(10) મેનિન્જાઇટિસ શું છે? તેનું મુખ્ય લક્ષણ કયું છે?
ઉત્તર : મેનિન્જાઇટિસ મગજનો તાવ છે. તેનું મુખ્ય લક્ષણ તાવ સાથે માથાનો ખૂબ તીવ્ર દુખાવો છે.
(11) રુધિરના ઊંચા દબાણનાં બે કારણ જણાવો.
ઉત્તર : રુધિરના ઊંચા દબાણનાં બે કારણ : (1) વધારે વજન હોવું અને (2) કસરતનો અભાવ.
(12) સંસર્ગજન્ય રોગો કોને કહે છે?
ઉત્તર : જે રોગોના પ્રાથમિક કારક સૂક્ષ્મ જીવો હોય છે, તેવા રોગોને સંસર્ગજન્ય રોગો કહે છે.
(13) પેપ્ટિક અલ્સર માટે રોગકારકનું નામ અને તેનો આકાર જણાવો.
ઉત્તર : રોગકારક : હેલિકોબૅક્ટર પાયલોરી
આકાર : વક્રાકાર
(14) કયા રોગકારકોનું ગુણન અત્યંત ઝડપથી થાય છે અને કોનું ગુણન ધીમું હોય છે?
ઉત્તર : વાઇરસ, બૅક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે અને કૃમિનું ગુણન ધીમું હોય છે.
(15) પેનિસિલિન ઍન્ટિબાયોટિક કઈ પ્રક્રિયાને અવરોધે છે?
ઉત્તર : પેનિસિલિન ઍન્ટિબાયોટિક બૅક્ટેરિયાની કોષદીવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે.
(16) પેનિસિલિનની વાઇરસ પર કે માનવના કોષો પર શા માટે અસર થતી નથી?
ઉત્તર : પેનિસિલિન કોષદીવાલ બનાવવાની ક્રિયાને અવરોધે છે. પરંતુ વાઇરસ કે માનવના કોષો પાસે કોષદીવાલ હોતી નથી. આથી પેનિસિલિનની વાઇરસ પર કે માનવના કોષો પર અસર થતી નથી.
(17) મચ્છર દ્વારા ફેલાતા ત્રણ રોગનાં નામ લખો.
ઉત્તર : મચ્છર દ્વારા ફેલાતા રોગ : મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગો.
(18) જાતીય સમાગમ સિવાય AIDS અન્ય કેવી રીતે ફેલાઈ શકે છે?
ઉત્તર : જાતીય સમાગમ સિવાય AIDS રુધિરાધાન અથવા ગર્ભાવસ્થા દરમિયાન કે રોગી માતા દ્વારા બાળકને સ્તનપાન દ્વારા ફેલાઈ શકે છે.
(19) મચ્છરની ઘણી જાતિઓ પોષણ માટે કોના પર નિર્ભર હોય છે?
ઉત્તર : મચ્છરની ઘણી જાતિઓ પોષણ માટે મનુષ્ય સહિતના અનેક સમતાપી પ્રાણીઓ પર નિર્ભર હોય છે.
(20) મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ મચ્છર કરડવાથી શરીરમાં પ્રવેશી કયા અંગ અને કયા કોષોને લક્ષ્ય બનાવે છે?
ઉત્તર : મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ મચ્છર કરડવાથી શરીરમાં પ્રવેશી યકૃત અને લાલ રુધિરકણિકાઓ(રક્તકણો)ને લક્ષ્ય બનાવે છે.
(21) સંક્રમણથી શરીરનું પ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થવાની પ્રક્રિયાને અંતર્ગત કઈ અસરો જોવા મળે છે?
ઉત્તર : સંક્રમણથી શરીરનું પ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થવાની પ્રક્રિયાને અંતર્ગત સોજો, દર્દ, તાવ જેવી અસરો જોવા મળે છે.
(22) વાઇરસની બે લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર : વાઇરસની બે લાક્ષણિકતા : (1) તેની પોતાની જૈવરાસાયણિક પ્રણાલી ખૂબ જ ઓછી છે. (2) તે યજમાન શરીરમાં પ્રવેશી યજમાનની મશીનરી(યાંત્રિકી)નો ઉપયોગ પોતાની જીવનપ્રક્રિયા માટે કરે છે.
(23) કઈ પ્રક્રિયાને સોજો કહે છે?
ઉત્તર : રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મ જીવોના નાશ માટે સક્રિય પ્રતિરક્ષાતંત્ર સંક્રમિત પેશીની ચારેય બાજુ નવા કોષો બનાવે છે. આ પ્રક્રિયાને સોજો કહે છે.
(24) રોગની તીવ્રતાની અસર શાના પર આધાર રાખે છે?
ઉત્તર : રોગની તીવ્રતાની અસ૨ શ૨ી૨માં પ્રવેશેલા સૂક્ષ્મ જીવોની સંખ્યા પર આધાર રાખે છે.
(25) રોગપ્રતિકારક તંત્રના નિયમનો પાયો શું છે ?
ઉત્તર : રોગપ્રતિકારક તંત્રના નિયમનો પાયો પહેલા સંક્રમણની સાપેક્ષે બીજા સંક્રમણનો ઝડપથી નાશ પામવો છે.
(26) લૅટિન ભાષામાં cow અને cowpoxનો અર્થ શું થાય છે?
ઉત્તર : લૅટિન ભાષામાં cow(ગાય)નો અર્થ ‘વાક્કા’ અને cowpox(ગાયના શીતળાનો રોગ)નો અર્થ ‘વેક્સિંનિયા’ થાય છે.
(27) ભારતના મોટા ભાગના પ્રદેશોમાં 5 વર્ષની વય પછી બાળકને હિપેટાઇટિસ – A પ્રતિકારક રસી શા માટે મુકાવવી જરૂરી નથી?
ઉત્તર : ભારતના મોટા ભાગના પ્રદેશોમાં 5 વર્ષની વય પછી બાળકને હિપેટાઇટિસ – A પ્રતિકારક રસી મુકાવવી જરૂરી નથી, કારણ કે બાળકો પાણી દ્વારા હિપેટાઇટિસ – Aના સંપર્કમાં આવી પ્રતિકારકતા વિકસાવી ચૂક્યા હોય છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં (1 થી 10 શબ્દોની મર્યાદામાં) ઉત્તર લખો : [ પ્રત્યેકનો 1 ગુણ)
(1) શરીરમાં રુધિરના વિષારી પદાર્થોનું ગાળણ કયા અંગમાં થાય છે?
(2) વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ સમન્વય સ્થિતિરૂપે શાનાથી દર્શાવાય છે?
(3) શરીરમાં પ્રવેશેલા સૂક્ષ્મ જીવોની સંખ્યાને કોણ નિર્ધારિત કરે છે?
(4) એલિફન્ટાઇસિસ કયા પ્રકારનો રોગ છે?
(5) સંસર્ગજન્ય રોગના પ્રાથમિક કારક કોણ છે?
(6) કેટલાક પ્રકારના કૅન્સર શાના કારણે થાય છે?
(7) લૈંગિક અંગો દ્વારા શરીરમાં પ્રવેશી લસિકાગાંઠોમાં ફેલાતા રોગકારક કયા છે?
(8) અંડાકાર અને લાંબી ચાબૂક જેવી રચના ધરાવતું રોગકારક પ્રજીવ કયું છે?
(9) પશુઓમાં એન્ટ્રેક્સ રોગ કોના કારણે થાય છે?
(10) બૅક્ટેરિયામાં કોષદીવાલ બનવાની પ્રક્રિયાને અવરોધતું ઍન્ટિબાયોટિક કયું છે?
(11) કોની ઘણી બધી જાતિઓને પરિપક્વ ઈંડાં ઉત્પન્ન કરવા વધારે માત્રામાં પોષણની જરૂરિયાત હોય છે?
ઉત્તર :
(1) મૂત્રપિંડ
(2) સ્વાસ્થ્ય
(3) પ્રતિકારક તંત્ર
(4) હઠીલો રોગ
(5) સૂક્ષ્મ જીવો
(6) જનીનિક અનિયમિતતા
(7) HIV
(8) લેશમાનિયા
(9) બૅક્ટેરિયા
(10) પેનિસિલિન
(11) મચ્છર
પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો : [પ્રત્યેકનો 1 ગુણ) :
(1) પેપ્ટિક અલ્સર માટે જવાબદાર વક્રાકાર બૅક્ટેરિયાની આસપાસ જઠરના નીચલા ભાગમાં ……. નાં ચિહ્નો હોય છે.
(2) રોગકારકોમાં …….. નું ગુણન ધીમું હોય છે.
(3) પેનિસિલિન ઔષધ બૅક્ટેરિયામાં ………. બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે.
(4) રોગકારક બૅક્ટેરિયા, પ્રજીવ વગેરે ……… સજીવો છે.
(5) નિદ્રારોગનો રોગકારક ……. છે.
(6) નાના આંતરડામાં જોવા મળતું રોગકારક સૂત્રકૃમિ ……. છે.
(7) મનુષ્ય સહિતનાં ઘણાં ……… પ્રાણીઓ પર પોષણ માટે મચ્છરની ઘણી જાતિઓ નિર્ભર છે.
(8) સંક્રમિત પેશીની આજુબાજુ રોગકારકોનો નાશ કરવા નવા કોષો બનાવવાની પ્રક્રિયા ……. છે.
(9) HIVના સંક્રમણને નિયંત્રિત કરતી ………. દવા ઉપલબ્ધ છે.
(10) ……… દ્વારા ચેપી રોગકારકો શરીરમાં દાખલ કરી રોગપ્રતિકારકતા વિકસાવાય છે.
(11) …….. એ યકૃતના રોગ તરીકે ઓળખાય છે.
(12) ગંભીર, ચેપી, અસાધ્ય અને જીવલેણ રોગ ……… છે.
(13) હેલિકોબૅક્ટર પાયલોરી બૅક્ટેરિયા ……… છે.
(14) જાપાનીઝ એન્સિફેલાઇટિસ (મગજનો તાવ) ઉત્પન્ન કરવા માટે જવાબદાર વાઇરસ …….. દ્વારા ફેલાય છે.
(15) ક્ષય એ ………. થી થતો રોગ છે.
(16) ખીલ માટે જવાબદાર બૅક્ટેરિયા …….. છે.
(17) જઠર અને પક્વાશયની ઍસિડિટીના સંદર્ભમાં થતા દુખાવા અને રક્તસ્રાવ …….. રોગના ચિહ્ન છે.
ઉત્તર :
(1) સોજા
(2) કૃમિ
(3) કોષદીવાલ
(4) એકકોષી
(5) ટ્રાયપેનોસોમા
(6) એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ
(7) સમતાપી
(8) સોજો
(9) ઍન્ટિવાઇરલ
(10) રસી
(11) કમળો
(12) એઇડ્સ
(13) વક્રાકાર
(14) મચ્છર
(15) બૅક્ટેરિયા
(16) સ્ટેફીલોકોકાઈ
(17) પેપ્ટિક અલ્સર
પ્રશ્ન 4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો : [પ્રત્યેકનો 1 ગુણ ]
(1) કૉલેરા હઠીલો રોગ છે.
(2) ડાયાબિટીસ બિનચેપી રોગ છે.
(3) મચ્છર કરડવાથી મેલેરિયા રોગ થાય છે.
(4) હાથીપગો એ ફૂગથી થતો રોગ છે.
(5) SARS એ બૅક્ટેરિયાજન્ય રોગ છે.
(6) ઍન્ટિવાઇરલ ઔષધની બનાવટ કરતાં ઍન્ટિબૅક્ટેરિયલ ઔષધની બનાવટ સહેલી છે.
(7) મેલેરિયા એ જિંદગીભર રહેતો ચેપી રોગ છે.
(8) ટાઇફૉઇડના દર્દીમાં રોગકારક બૅક્ટેરિયા પાચનનળીમાં જોવા મળે છે.
(9) પેનિસિલિન ઔષધની ચેપગ્રસ્ત વાઇરસ પર અસર થતી નથી.
(10) ઇન્ફ્લુએન્ઝા શ્વસનતંત્રનો રોગ છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખરું
(4) ખોટું
(5) ખોટું
(6) ખરું
(7) ખોટું
(8) ખરું
(9) ખરું
(10) ખરું
પ્રશ્ન 5. માગ્યા મુજબ ઉત્તર આપો : [પ્રત્યેકનો 1 ગુણ ]
(1) DISEASEનો સામાન્ય અર્થ જણાવો.
ઉત્તર : DISEASEનો સામાન્ય અર્થ સુવિધામાં ખલેલ છે.
(2) શીતળાની રસીના શોધકનું નામ જણાવો.
ઉત્તર : શીતળાની રસીના શોધક ડૉ. એડવર્ડ જેનર છે. :
(3) કરમિયું, સ્ટેફીલોકોકાઈ, ટ્રાયપેનોસોમા અને લેશમાનિયા પૈકી કયા પ્રજીવ છે?
ઉત્તર : ટ્રાયપેનોસોમા, લેશમાનિયા
(4) મને ઓળખો : હું એક ઉપયોગી ઔષધ છું અને માનવશરીરના કોષોને અસર કર્યા વગર બૅક્ટેરિયાનો કોષદીવાલ બનાવાનો જૈવરાસાયણિક માર્ગ અવરોધું છું.
ઉત્તર : પેનિસિલિન
(5) મને ઓળખો : હું લૈંગિક સંપર્ક ઉપરાંત રુધિરાધાન દ્વારા તેમજ ગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં સંક્રમિત થતો વાઇરસજન્ય રોગ છું.
ઉત્તર : એઇડ્સ (AIDS)
(6) ખોટી જોડ કઈ છે :
(i) HIV – લસિકાગાંઠ
(ii) હીપેટાઇટિસ વાઇરસ – યકૃત
(iii) મેલેરિયાના પ્રજીવ – ૨ક્તકણ
(iv) ટાઇફૉઇડ બૅક્ટેરિયા – ફેફસાં
ઉત્તર : (iv) ટાઇફૉઇડ બૅક્ટેરિયા – ફેફસાં
પ્રશ્ન 6. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : [પ્રત્યેકનો 1ગુણ ]
1. કયો રોગ ચેપી છે?
A. કૅન્સર
B. મેલેરિયા
C. ડાયાબિટીસ
D. ઊંચું રુધિર દબાણ
2. એઇડ્સ કોના દ્વારા થાય છે?
A. વાઇરસ
B. ફૂગ
C. બૅક્ટેરિયા
D. પ્રજીવ
3. ક્ષય કોના દ્વારા થાય છે?
A. બૅક્ટેરિયા
B. વાઇરસ
C. પ્રજીવ
D. કૃમિ
4. કમળો એ શેનો રોગ છે?
A. મૂત્રપિંડ
B. સ્વાદુપિંડ
C. યકૃત
D. આંતરડું
5. એઇડ્સનો ફેલાવો શાના દ્વારા થાય છે?
A. AIDS રોગી સાથે જાતીય સમાગમ દ્વારા
B. AIDS રોગીના રુધિરનો રુધિરાધાનમાં ઉપયોગ દ્વારા
C. AIDS ગ્રસ્ત માતા દ્વારા બાળકને સ્તનપાન દ્વારા
D. આપેલ તમામ દ્વારા
6. મેલેરિયા રોગના વાહક કોણ છે?
A. પ્રજીવ
B. કૃમિ
C. ફૂગ
D. મચ્છર
7. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે નીચેના પૈકી શું ભયજનક છે?
A. શેરીમાં કચરો છૂટો ફેંકવો
B. ખુલ્લી ગટરો
C. આપણી આસપાસ બંધિયાર પાણી
D. આપેલ તમામ
8. પેનિસિલિન બૅક્ટેરિયાનો નાશ કરે છે, પરંતુ આપણા કોષોનો નહીં, કારણ કે …
A. આપણા કોષો પેનિસિલિન સામે પ્રતિકારક છે.
B. પેનિસિલિન કોષદીવાલનું નિર્માણ અટકાવે છે.
C. આપણા કોષો કોષદીવાલ ધરાવતા નથી.
D. પેનિસિલિન માટે આપણા કોષો અપ્રવેશશીલ નથી.
9. જાતીય સંપર્ક દ્વારા ફેલાતો રોગ કયો છે?
A. મેલેરિયા
B. કાલા-અઝર
C. એલિફન્ટાઇસિસ
D. સિફિલિસ
10. નીચેના અવલોકન શું સૂચવે છે?
(1) માથાનો દુખાવો (2) ઝાડા (3) ખાંસી (4) ઘામાંથી પરું
A. રોગ
B. રોગનાં ચિહ્નો
C. હઠીલો રોગ
D. સંસર્ગજન્ય રોગ
11. નિદ્રારોગ માટે જવાબદાર પ્રજીવ કયો છે?
A. અમીબા
B. લેશમાનિયા
C. ટ્રાયપેનોસોમા
D. એસ્કેરિસ
12. નીચેના પૈકી કયો રોગ રોગી માતા દ્વારા તેના બાળકમાં સ્તનપાન દ્વારા સંક્રમિત થાય છે?
A. મેલેરિયા
B. એઇડ્સ
C. કાલા-અઝર
D. ડેન્ગ્યુ
13. એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ તરીકે ઓળખાતું ગોળકૃમિ મનુષ્ય શરીરના કયા અંગમાં જોવા મળી શકે?
A. અન્નનળી
B. જઠર
C. યકૃત
D. નાનું આંતરડું
14. હેલિકોબૅક્ટર પાયલોરી કયા અંગના નીચેના ભાગમાં સોજાનું લક્ષણ સર્જે છે?
A. ફેફસાં
B. જઠર
C. યકૃત
D. આંતરડું
15. જાપાનીઝ એન્સિફેલાઇટિસ કોના દ્વારા ફેલાય છે?
A. પ્રદૂષિત પાણી
B. મચ્છર કરડવાથી
C. હવા
D. કૂતરું કરડવાથી
16. કયો રોગ પ્રદૂષિત પાણી દ્વારા ફેલાય છે?
A. ટાઇફૉઇડ
B. ક્ષય
C. ધનુર
D. એન્ટ્રેક્સ
17. સંસર્ગજન્ય રોગ અટકાવવાનો ઉપાય ક્યો છે?
A. રસી
B. જાહેર સ્વચ્છતા
C. સલામત જાતીય સંપર્ક
D. આપેલ તમામ
18. નીચેના પૈકી કયું યુગ્મ ખોટું છે?
A. એઇડ્સ – બૅક્ટેરિયલ ચેપ
B. કૅન્સર – જનીનિક અનિયમિતતા
C. કાલા-અઝર – પ્રજીવજન્ય રોગ
D. હાથીપગો – કૃમિજન્ય રોગ
19. રોગના ફેલાવા માટે જવાબદાર કીટકને શું કહે છે?
A. વાહક
B. ભક્ષક
C. યજમાન
D. ભક્ષ્ય
20, કૅન્સર જેવો બિનચેપી રોગ શાને કારણે થાય છે?
A. પૌષ્ટિક આહારના અભાવ
B. જનીનિક ખામી
C. ઊંચા રુધિર દબાણ
D. જાહેર આરોગ્ય સેવાના અભાવ
21. હઠીલો રોગ એ …
A. રોગનો ગંભી૨ હુમલો છે.
B. રોગની મંદ અવસ્થા છે.
C. સ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની અસર કરે છે.
D. એકાએક થાય છે અને થોડા સમય સુધી અસર કરે છે.
22. નીચેનામાંથી હઠીલા રોગોનું જૂથ કયું છે?
A. હાથીપગો, ટાઇફૉઇડ
B. કૉલેરા, કમળો
C. ડાયાબિટીસ, કૅન્સર
D. શરદી, ખાંસી
ઉત્તર :
1. મેલેરિયા
2. વાઇરસ
3. બૅક્ટેરિયા
4. યકૃત
5. આપેલ તમામ દ્વારા
6. મચ્છર
7. આપેલ તમામ
8. આપણા કોષો કોષદીવાલ ધરાવતા નથી.
9. સિફિલિસ
10. રોગનાં ચિહ્નો
11. ટ્રાયપેનોસોમા
12. એઇડ્સ
13. નાનું આંતરડું
14. જઠર
15. મચ્છર કરડવાથી
16. ટાઇફૉઇડ
17. આપેલ તમામ
18. એઇડ્સ – બૅક્ટેરિયલ ચેપ
19. વાહક
20. જનીનિક ખામી
21. સ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની અસર કરે છે.
22. ડાયાબિટીસ, કૅન્સર
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)
(1) એઇડ્સ વૈશ્વિક સ્તરે ખૂબ ઝડપથી ફેલાતો રોગ છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓનું એક જૂથ તેના અટકાવાના ઉપાયો દર્શાવતું મૉડ્યુલ તૈયાર કરી અને તેને સોશિયલ નેટવર્કિંગ સાઇટ (Social Networking Site) પર મૂકી લોકજાગૃતિનો પ્રયાસ કરે છે. આ સાઇટ પર તમે અવલોકન કરેલા મૉડ્યુલ આધારે નીચેના પ્રશ્નોના
ઉત્તર આપો :
(a) એઇડ્સનું કારણ શું છે?
(b) તેને અટકાવવાના બે ઉપાયો જણાવો.
(c) તેને ગંભીર અને જીવલેણ બિમારી શા માટે ગણવામાં આવે છે?
ઉત્તર :
(a) HIV
(b) (i) ડિસ્પોઝેબલ સિરિંજ અને નીડલનો ઉપયોગ કરવો.
(ii) HIV પરીક્ષણ કરેલા રુધિરનો જ રુધિરાધાન માટે ઉપયોગ કરવો.
(c) એઇડ્સના દર્દીને બચાવવા માટે હજુ સુધી કોઈ અસરકારક દવા કે રસી ઉપલબ્ધ ન હોવાથી તેને ગંભીર અને જીવલેણ બિમારી ગણવામાં આવે છે.
(2) શ્રદ્ધાના 5 વર્ષના ભાઈને બે દિવસથી ખૂબ તાવ રહે છે. ચિકિત્સકને બતાવતાં તેમણે વાઇરસનો ચેપ કહી ઇલાજમાં ઍન્ટિબાયોટિક આપી. શ્રદ્ધાએ ઍન્ટિબાયોટિકનો ઉપચારમાં ઉપયોગ કરવાને બદલે બીજા એક ચિકિત્સકનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું.
(a) શું તાવ એ રોગ છે?
(b) ચિકિત્સકે વાઇરસના ચેપનું નિદાન કરી ઍન્ટિબાયોટિક આપી તે યોગ્ય છે? શા માટે?
(c) બીજા ચિકિત્સકે નિદાન માટે શાનો ઉપયોગ કરવો જોઈએ?
ઉત્તર :
(a) તાવ એ રોગ નથી. રોગનું લક્ષણ છે.
(b) ના, વાઇરસની પોતાની જૈવરાસાયણિક પ્રણાલી ખૂબ ઓછી હોવાથી વાઇરસના ચેપમાં ઍન્ટિબાયોટિક અસરકારક નથી.
(c) બીજા ચિકિત્સકે રોગનું સાચું નિદાન કરવા માટે લૅબોરેટરીમાં રુધિર પરીક્ષણનો ઉપયોગ કરવો જોઈએ.
(3) ચોમાસામાં ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ રોગ અટકાવ અને ઉપચારના મોટા પોસ્ટર બનાવી, આ વિસ્તારોમાં ફરી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરે છે.
(a) મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો કોના દ્વારા ફેલાય છે?
(b) તેના અટકાવના બે ઉપાયો જણાવો.
(c) વિદ્યાર્થીઓનો કયો હેતુ રજૂ થાય છે?
ઉત્તર :
(a) મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો મચ્છર દ્વારા ફેલાય છે.
(b) અટકાવાના ઉપાય : (1) બંધિયાર પાણી ધરાવતાં મચ્છરનાં પ્રજનનસ્થાનો નષ્ટ કરવાં. (2) કીટકનાશક દવાઓના છંટકાવ અને જાહેર સફાઈ દ્વારા સ્વચ્છતા જાળવવી.
(c) વ્યક્તિગત સ્વાસ્થ્ય એ સામુદાયિક સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.
(4) વિદિશાને ઘણા દિવસથી ખાંસી, કફ, તાવનાં લક્ષણો સાથે શરીરનું વજન ઘટતું જાય છે. ડૉક્ટરે આપેલી સામાન્ય દવાઓથી વિદિશાના સ્વાસ્થ્યમાં સુધારો જણાતો નથી.
(a) વિદિશામાં કયા રોગનાં ચિહ્નો જણાય છે?
(b) તેણીમાં કયું અંગ અસરગ્રસ્ત થયું છે?
(c) તેણીનો આ રોગ કયા પ્રકારનો છે?
ઉત્તર :
(a) ક્ષય
(b) ફેફસાં
(c) હઠીલો – સંસર્ગજન્ય રોગ
हमसे जुड़ें, हमें फॉलो करे ..