Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 1 ભારતનો વારસો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 1 ભારતનો વારસો

પ્રકરણસાર

  1. ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા, દક્ષિણે હિંદ મહાસાગર, પૂર્વે બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ છે. વિશ્વમાં ભારત વિસ્તારની દૃષ્ટિએ સાતમું અને વસ્તીની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.
  2. ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
  3. ભારતની સંસ્કૃતિમાંથી ‘ત્’, ‘શ્ર્વિત્’ અને ‘આનન્દ્ર’ આ ત્રણ બાબતોનો અનુભવ થાય છે. ભારતની સંસ્કૃતિનાં અહિંસા અને વિશ્વશાંતિ જેવાં મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યાં છે.
  4. ‘વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.’ શાળામાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણા વારસા અંગે આપણે કહીએ છીએ કે, “હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.’’
  5. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ ભારતના વારસાના મુખ્ય બે વિભાગો છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે ‘પ્રાકૃતિક વારસો’.
  6. ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, જંગલો, નદીઓ અને ખીણપ્રદેશો, ઝરણાં, સાગરો, દરિયાકિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનીજો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ-પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ભૂમિ-આકારો દ્વારા ભૂમિદશ્યો સર્જાય છે. દા. ત., હિમાલય.
  7. ભારતની પ્રાચીન સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓના કિનારે વિકસી હતી. નદીઓ પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્ત્વની જરૂરિયાતો સંતોષે છે.
  8. વડ, પીપળો અને તુલસીની પૂજા તેમજ વડસાવિત્રીનું વ્રત વગેરે બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્ત્વ સૂચવે છે. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણપ્રેમી રહી છે. તેની સાક્ષી તેનો વૃક્ષપ્રેમ, પુષ્પપ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરનાં જંગલોમાં જોવા મળે છે. વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવ-દેવીઓના વાહન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદ પ્રાણીઓની આકૃતિઓ દર્શાવવામાં આવી છે.
  9. વન્ય જીવોના સંરક્ષણ માટે દેશમાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉઘાનો તેમજ કાયદા બનાવવામાં આવ્યા છે.
  10. સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાનાં કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત, કલા-કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્ય છે, તેને ‘સાંસ્કૃતિક વારસો’ કહેવાય.
  11. ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે.
  12. નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) આફ્રિકામાંથી બલૂચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજાની શારીરિક વિશેષતા છે.
  13. શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એ ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ (મ્યાનમાર) વગે૨ે જાતિઓમાં ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાનાં લક્ષણો વિશેષ જોવા મળે છે.
  14. દ્રવિડો મોહેં-જો-દડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણાય છે. તેમનામાં માતૃમૂલક કે માતૃપ્રધાન કુટુંબપ્રથા પ્રચલિત હતી. દક્ષિણ ભારતમાં દ્રવિડકુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) વસે છે.
  15. મધ્ય એશિયામાંથી આવેલી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનૉઇડ નામની પ્રજા સમાન ભૌતિક ગુણો ધરાવે છે.
  16. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોર્ડિક) લોકો હતા. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં ‘સપ્તસિંધુ’ના પ્રદેશમાં વસતી હતી. અન્ય સમકાલીન પ્રજા કરતાં તેઓ વધુ વિકસિત હતા. તેઓ પ્રકૃતિપ્રેમી હતા. તેમણે પ્રકૃતિનાં તત્ત્વોની સ્તુતિઓ (વૈદિક ઋચાઓ – મંત્રો) રચી હતી. તેમણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
  17. આપણા બંધારણની કલમ 51 (ક)માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6), (7) અને (9)માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે કેટલીક ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  18. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીકસમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતાં સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતનાં પ્રકૃતિનિર્મિત રમ્ય ભૂમિદશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) “ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.” વિધાન સમજાવો. 
ઉત્તર : ભારતના પ્રાચીન ગ્રંથ ‘વિષ્ણુપુરાણ’માં ભારત વિશે નીચે મુજબનો ઉલ્લેખ છે :
“उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्,
वर्षं तद् भारत नाम भारती यत्र संसतिः ।। “
એટલે કે, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારતવર્ષ છે, જેનાં સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ‘ભારતવર્ષ’, ‘ભરતખંડ’, ‘જંબુદ્વીપ’, ‘આર્યાવર્ત’ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં વ્યાપાર માટે આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન-પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવાં મળ્યાં છે. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો.
આમ, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.
(2) ભારતની સંસ્કૃતિનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ભારતનો વારસો
ઉત્તર : ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે.
→ ભારતની સંસ્કૃતિ શાંતિપ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે.
→ ભારતની સંસ્કૃતિ ‘સત્’, ‘ત્િ’ અને ‘આનન્દ્વ’ની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે.
→ ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન-પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે.
→ ભારતની સંસ્કૃતિનાં અહિંસા અને વિશ્વશાંતિનાં મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યાં છે. જગતના દેશોએ એ મૂલ્યો સ્વીકાર્યાં છે.
→ સિંધુખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાનાં આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા-કૌશલ દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યાં છે.
→ અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજસુધારકો, ક્લાકારો, કારીગરો વગેરેએ ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
→ ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાનાં ધર્મ, શાસન-વ્યવસ્થા, રીતરિવાજો, પરંપરાઓ, ભાષા, લિપી, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યાં. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ પામી.
(3) સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.
અથવા
સંસ્કૃતિ એટલે શું? સમજાવો.
ઉત્તર : એક સૂત્રરૂપે કહી શકાય કે, ‘સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત.’
→ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતાં પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે.
→ મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી. મેલિનોવ્સ્કીના મતે, ‘સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ’.
→ સંસ્કૃતિ એટલે માનવસમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો.
→ સંસ્કૃતિ એટલે ‘ગુફાથી ઘર’ સુધીની માનવજાતની વિકાસયાત્રા.
→ ઇતિહાસમાં ‘સંસ્કૃતિ’ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ-સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે.
→ સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા-કૌશલ્ય અને સંસ્કારિતાનાં મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
→ માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલાં સાહિત્ય, તત્ત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિતકલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે.
→ સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાસમૂહની આગવી જીવનશૈલી(The Way of Life)નો સમાવેશ થાય છે.
(4) પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી, ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.
ઉત્તર : પ્રાકૃતિક વારસાનો અર્થ : પ્રાકૃતિક વારસો એટલે ‘‘પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ.” પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે.
પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો : ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધતાથી ભરેલો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :
→ ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણાં, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણપ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા-વેલીઓ, પર્ણો-પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે.
→ ભારતનાં ભૂમિદશ્યો(Land Scapes)માં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનીજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે.
→ હવામાનમાં થતાં પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે.
→ આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દૈવી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
→ આપણે સૌ પ્રકૃતિનાં સંતાન છીએ. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે.
→ પીપળો અને વડ જેવાં વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ.
→ ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
→ આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યાં છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે.
→ આપણાં ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેના વિષયવસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે.
→ આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર (નેચરોપથી) જેવી ચિકિત્સા-પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે.
(5) પ્રાકૃતિક વારસાનાં અંગો તરીકે ભૂમિદશ્યો (Land Scapes) અને નદીઓ(Rivers)નો પરિચય આપો.
અથવા
પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનું મહત્ત્વ સમજાવો.
અથવા
“ભારતની નદીઓ અતિપ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર ‘લોકમાતાઓ’ રહી છે.” શાથી?
ઉત્તર : પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિદશ્યો (Land Scapes) : ભૂમિના વિવિધ આકારો સુંદર ભૂમિદશ્યો સર્જે છે. દા. ત., હિમાલય પર્વત એક ભૂમિ-આકાર છે.
→ તેમાં બરફ-આચ્છાદિત ગિરિશિખરો, વિપુલ જલરાશિ ધરાવતી નદીઓ, અસ્ખલિત પ્રવાહે વહેતાં ઝરણાં, તરાઈનાં જંગલો, અમરનાથ, બદરીનાથ અને કેદારનાથ, માનસરોવર જેવાં પવિત્ર તીર્થધામો, માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોડવિન ઑસ્ટિન, નંદદેવી વગેરે ઉચ્ચ શિખરો આવેલાં છે. તે બધાં હિમાલય પર્વતે સર્જેલાં ભૂમિદશ્યો છે.
→ એ ભૂમિદશ્યોએ સદીઓથી ભારતના લોકજીવન, વ્યવસાયો, રહેણીકરણી, આચારવિચાર વગેરે પર ગાઢ અસર કરી છે.
→ હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો જ એક ભાગ છે. તેણે ભારતીય પ્રજાજીવનને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે.
→ આમ, આર્યોના સમયથી જ પર્વતો પવિત્ર અને પૂજનીય બન્યા છે.
પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓ (Rivers) : અતિપ્રાચીન સમયથી ભારતમાં નદીઓ ‘લોકમાતા’ તરીકે પુજાય છે.
→ ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો હતો. તેથી ભારતની સંસ્કૃતિ ‘નદી-સંસ્કૃતિ’ કહેવાય છે.
→ સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગૌઘવી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે.
→ પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો માટે નદીઓનાં પાણીનો ઉપયોગ કર્યો છે.
→ આપણી સંસ્કૃતિના સર્જકોએ નદીકિનારાની માટીમાંથી વાસો, લીંપણ, મકાનો અને રમકડાં બનાવ્યાં હતાં. આમ, નદીઓએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે.
→ નદીકિનારે જોવા મળતાં ઉષા અને સંધ્યાનાં વિવિધ ભુમિદોએ માનવીમાં સૌંદર્ય-સૂઝ, ક્લા-સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે.
→ આમ, અતિપ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેથી ભારતની નદીઓ અતિપ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર ‘લોકમાતાઓ’ રહી છે.
(6) પ્રાકૃતિક વારસાનાં અંગો તરીકે વનસ્પતિજીવન (Vegetation) અને વન્ય જીવન(Wildlife)નો પરિચય આપો.
ઉત્તર : 1. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિજીવન (Vegetation) : અતિપ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણપ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે.
→ મનુષ્ય, પ્રાણી અને પશુ-પક્ષીનો આહાર પ્રકૃતિ પર આધારિત છે.
→ આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે.
→ ધનધાન્યથી લહેરાતાં ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિએ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે.
→ અનાજ, કઠોળ, તેલીબિયાં વગેરે પાકોના છોડવાઓ; આમળાં, હરડે, બહેડાં, કુંવારપાઠું, તુલસી, અરડૂસી, લીમડો વગેરે ઔષધિઓના છોડ; ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશીગંધા, જૂઈ વગેરે પુષ્પો – આ બધાં માનવજીવનને સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવવામાં ખુબ ઉપયોગી બન્યાં છે.
→ વનસ્પતિજીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ છે.
→ તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા, વડસાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિજીવનનું ધાર્મિક મહત્ત્વ દર્શાવે છે.
2. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્ય જીવન (Wildlife) : સદીઓથી ભારતની પ્રજા પ્રાણીપ્રેમી છે. તેમણે વન્ય જીવોનું મહત્ત્વ સ્વીકાર્યું છે.
→ હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલાં, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી વગેરે અનેક વન્ય પ્રાણીઓએ ભારતની સંસ્કૃતિને વૈવિધ્યપૂર્ણ બનાવી છે.
→ વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતનાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે.
→ લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવ-દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે.
→ એ પ્રાણીઓની સુરક્ષા માટે કાયદા બનાવ્યા છે તેમજ તેમના જતન અને સંવર્ધન માટે સ૨કા૨ે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યાં છે.
→ ભારતના બંધારણે આપણી રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્ય જીવોનું ગૌરવ કર્યું છે.
(7) ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.
અથવા
ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો વિશે લખો.
ઉત્તર : સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા-કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે ‘સાંસ્કૃતિક વારસો’ કહેવાય છે.
→ ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલાં સ્થળો તેમજ સ્વાતંત્ર્યસંગ્રામ સહિતનાં ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ષા, બારડોલી, શાંતિનિકેતન (કોલકાતા), દિલ્લી જેવાં સ્થળો વગેરેનો સમાવેશ થાય છે.
→ આ ઉપરાંત, ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ-વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્ત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.
→ પ્રાગ્ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દા. ત., શિલ્પો કંડારવાની કળા. તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે.
→ એ અવશેષોમાંથી મળી આવેલ નર્તકી; દેવ-દેવીઓનાં, પશુઓનાં અને માનવ-આકૃતિનાં શિલ્પો, બાળકોને રમવાનાં કેટલાંક રમકડાં, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગે૨ે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે.
→ મૌર્યયુગનાં શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર-પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્તયુગની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓનાં શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિનાં દર્શન કરાવે છે.
→ પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે.
(8) આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો.
અથવા
ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો અને દ્રવિડોનો પરિચય આપો.
ઉત્તર : આર્યો અથવા આર્ય સંસ્કૃતિ : આર્ય (નોર્ડિક) પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી.
→ તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા.
→ તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓનાં ઉમદાં તત્ત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું.
→ આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા-આરાધના કરતા હતા.
→ તેમણે પ્રકૃતિનાં તત્ત્વોની સ્તુતિઓ (વૈદિક ઋચાઓ – મંત્રો) રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી.
→ આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને ‘આર્યાવર્ત’ નામ આપવામાં આવ્યું હતું.
→ આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી, તેથી એ પ્રદેશને ‘સપ્તસિંધુ’ નામ આપવામાં આવ્યું.
→ આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવાં નામોથી ઓળખાવા લાગ્યો.
→ આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
દ્રવિડો અથવા દ્રવિડ સંસ્કૃતિ : દ્રવિડો પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેં-જો-દડોની (સિંધુખીણની) સંસ્કૃતિના સર્જકો મનાય છે.
→ તેમણે દેવીને માતારૂપે અને પરમાત્માને પિતારૂપે માન્યાં હતાં, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો.
→ આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ-પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે.
→ ધૂપ, દીપ અને આરતી વડે દેવ-દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે.
→ દ્રવિડો માતૃમૂલક-માતૃપ્રધાન કુટુંબપ્રથા ધરાવતા હતા.
→ તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા.
→ ઉત્તર ભારત પર આર્યોએ કાબૂ મેળવતાં દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા.
→ દ્રવિડકુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે.
→ પ્રારંભિક તમિલ સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી સભર છે.
(9) ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો.
ઉત્તર : ભારતની પ્રાચીનતમ છ પ્રજા આ પ્રમાણે હતી : 1. નેગ્રીટો (હબસી), 2. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ), 3. દ્રવિડો, 4. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનૉઇડ, 5. મોંગોલૉઇડ (કિરાત) તથા 6. આર્યો.
  1. નેગ્રીટો (હબસી) : કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલૂચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી.
  2. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) : તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને ‘નિષાદ’ કહેતા હતા. શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઑસ્ટ્રેલૉઇડ પ્રજાનાં મોટા ભાગનાં લક્ષણો જોવા મળે છે. માટીનાં વાસણો બનાવવાં, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો.
  3. દ્રવિડો : દ્રવિડો સિંધુખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ- યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. તેમણે દેવીને માતારૂપે અને પરમાત્માને પિતારૂપે માન્યાં હતાં, જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો હતો. આ ઉપરાંત, પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. દ્રવિડો માતૃમૂલક-માતૃપ્રધાન કુટુંબપ્રથા ધરાવતા હતા. તેઓને આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી હતી. તીર, ભાલા, તલવાર વગેરે તેમનાં શસ્ત્રો હતાં. તેઓ ખેતીકામનાં અને સુતરાઉ કાપડ બનાવવાનાં સાધનોથી પરિચિત હતા. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડકુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) દક્ષિણ ભારતમાં જોવા મળે છે. બલૂચિસ્તાનમાં પણ આ જૂથની ભાષા બોલતો જનસમૂહ વસે છે.
  4. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનૉઇડ : આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.
  5. મોંગોલૉઇડ (કિરાત) : આ પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારત આવી હતી. તેઓ ઉત્તર અસમ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ વગેરે પ્રદેશોમાં વસ્યા હતા. સમય જતાં તેઓ ભારતીય જ બની ગયા. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગે૨ે તેમની શારીરિક વિશેષતાઓ હતી.
  6. આર્યો : આર્ય (નોર્ડિક) પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓનાં ઉમદા તત્ત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા-આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિનાં તત્ત્વોની સ્તુતિઓ (વૈદિક ઋચાઓ – મંત્રો) રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
(10) ‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ સવિસ્તર સમજાવો.
ઉત્તર :
  1. ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્ત્વીય સ્થળો : લોથલ (ધોળકા તાલુકો), રંગપુર (લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો), ધોળાવીરા (કચ્છ જિલ્લો), રોઝડી અથવા શ્રીનાથગઢ (રાજકોટ જિલ્લો) વગેરે મુખ્ય છે.
  2. ઐતિહાસિક સ્થળો : વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ; અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, હઠીસીંગનાં જૈન દેરાં, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીના વાડી વગેરે, પાટણનું સહસ્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહોબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતનાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળો છે.
  3. ધાર્મિક સ્થળો : દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદ્ગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો), બહુચરાજી (મહેસાણા જિલ્લો), મહાકાલીનું મંદિર (પાવાગઢ – પંચમહાલ જિલ્લો), મીરા દાતાર (ઉનાવા – મહેસાણા જિલ્લો), જૈનતીર્થ પાલિતાણા (ભાવનગર જિલ્લો), રણછોડરાયજીનું મંદિર (ડાકોર, ખેડા જિલ્લો), શામળાજી (અરવલ્લી જિલ્લો) વગેરે ગુજરાતનાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં તીર્થસ્થાનો છે.
  4. સાંસ્કૃતિક મહોત્સવો : પોળો (વિજયનગર – સાબરકાંઠા જિલ્લો), પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીરી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ – નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરે ગુજરાતનાં જાણીતાં સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે.
  5. મેળાઓ : મેળાઓમાં મોઢેરાનો મેળો (મોઢેરા – મહેસાણા જિલ્લો), ભાદરવી પૂનમનો મેળો (અંબાજી – બનાસકાંઠા જિલ્લો), ભવનાથનો મેળો (ગિરનાર – જૂનાગઢ જિલ્લો), તરણેતરનો મેળો (તરણેતર – સુરેન્દ્રનગર જિલ્લો) અને વૌઠાનો મેળો (ધોળકા – અમદાવાદ જિલ્લો) મુખ્ય છે.
  6. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ : ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ શાથી કહી શકાય?
ઉત્તર : નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દૈવી રૂપ આપ્યું છે. દા. ત., સિંધુ, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા તેમજ અન્ય સઘળી નદીઓને આપણે ‘લોકમાતા’ તરીકે પવિત્ર ગણીને પૂજીએ છીએ.
→ પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણીને તેમને ધાર્મિક મહત્ત્વ આપ્યું છે.
→ કેટલાંક પશુ-પંખીઓને દેવી-દેવતાઓનાં વાહનો તરીકે સ્વીકાર્યાં છે.
→ આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને ઋતુઓ સાથે સાંકળવામાં આવ્યું છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે.
→ આપણાં ગીતો, કાવ્યો, તહેવારો, ઉત્સવો અને ચિત્રાંકનોમાં વિષયવસ્તુ રૂપે પ્રકૃતિ અને ઋતુચક્રને સ્થાન અપાયું છે.
→ આયુર્વેદ, યુનાની ચિકિત્સા-પદ્ધતિ અને નેચરોપથી (પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ) સંપૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે.
→ ઉપર્યુક્ત બાબતો પરથી કહી શકાય કે, આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે.
(2) ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઑસ્ટ્રેલૉઇડ પ્રજાનો પરિચય આપો.
અથવા
ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો. 
ઉત્તર : ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજામાં નેગ્રીટો (હબસી), ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ), દ્રવિડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઇડ, આર્યો વગેરેનો ફાળો હતો.
[નોંધ : આ પ્રશ્નના ઉત્તર માટે ઉપર આપેલી પ્રજામાંથી કોઈ એક પ્રજાની માહિતીને પણ બોર્ડે ઉત્તરરૂપે માન્ય રાખી છે.]
→ ઑસ્ટ્રેલૉઇડ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને ‘નિષાદ’ કહેતા હતા.
→ શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી.
→ ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઑસ્ટ્રેલૉઇડ પ્રજાનાં મોટા ભાગનાં લક્ષણો જોવા મળે છે.
→ તેઓ માટીનાં વાસણો બનાવવાં, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો ધરાવતા હતા.
→ તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા.
→ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો.
(3) ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.
અથવા
આપણા બંધારણમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે કઈ કઈ ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
અથવા
ટૂંક નોંધ લખો : સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ
ઉત્તર : આપણા બંધારણના અનુચ્છેદ 51 (ક)માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6), (7) અને (9)માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે :
→ આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી.
→ દેશનાં જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ-પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી.
→ દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું.
→ હિંસાનો ત્યાગ કરવો.
→ આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાં પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતાં સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે.
→ ભારતનાં પ્રકૃતિનિર્મિત રમ્ય ભૂમિદશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) ભારતની વિશેષતાઓ જણાવો.
અથવા
સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો.
ઉત્તર : ભારતના પ્રાચીન ગ્રંથ ‘વિષ્ણુપુરાણ’માં ભારત માટે ‘ભારતવર્ષ’ નામનો ઉલ્લેખ છે.
→ ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંક્લ્પોમાં ‘ભારતવર્ષ’, ‘ભરતખંડ’, ‘જંબુદ્રીપ’, ‘આર્યાવર્ત’ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે.
→ ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે.
→ વિશ્વમાં ભારત વિસ્તારની દૃષ્ટિએ સાતમું અને વસ્તીની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.
→ ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
(2) સંસ્કૃતિ માનવીને ‘જીવન જીવવાની રીત’ (The Way of Life) શીખવે છે એમ શાથી કહી શકાય ?
ઉત્તર : વ્યક્તિનાં આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા- ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીતો વગેરે ‘સંસ્કૃતિ’ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે, સંસ્કૃતિ માનવીને ‘જીવન જીવવાની રીત’ (The Way of Life) શીખવે છે.
(3) ‘વારસો’ (Heritage) એટલે શું?
ઉત્તર : ‘સંસ્કૃતિ’ની અનેકવિધ બાબતો એક પેઢી (Generation) પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી, એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ, પેઢી-દર-પેઢી જે કાંઈ આપણને મળે છે, તેને ‘વારસો’ (Heritage) કહે છે.
(4) ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો દર્શાવી તેના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તે આલેખો.
ઉત્તર : ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો આ પ્રમાણે છે : (1) પ્રાકૃતિક વારસો અને (2) સાંસ્કૃતિક વારસો.
→ પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણાં, નદીઓના ખીણપ્રદેશો, જંગલો, વિશાળ ફળદ્રુપ મેદાનો, રણો, સાગરો, દરિયાકિનારા, ઋતુઓ, વૃક્ષો અને અન્ય વનસ્પતિ, જીવજંતુઓ, પશુ-પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
(5) ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોણે કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે?
ઉત્તર : ભારતના લોકોએ તેમજ અનેક ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો, વિદુષીઓ, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજસુધારકો, કલાકારો, કારીગરો વગેરેએ ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
(6) સિંધુખીણનાં કયાં શિલ્પો જોઈને આપણે આપણાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ?
ઉત્તર : સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી દેવ-દેવીઓની પ્રતિમાઓ, માનવ આકૃતિઓ, પશુઓ અને કેટલાંક રમકડાં તેમજ ઘઢીવાળા પુરુષનું શિલ્પ તથા નર્તકીની મૂર્તિ વગેરે શિલ્પો જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ.
(7) કયાં શિલ્પો અને સ્થાપત્યો જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે?
ઉત્તર : મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને ગુપ્તયુગની કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ વગેરે જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે.
(8) આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
ઉત્તર : મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય-સંગ્રામનાં ઐતિહાસિક સ્થળો વગેરેનો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.
(9) આપણે નદીને ‘લોકમાતા’નું બિરુદ આપ્યું છે. શા માટે?
ઉત્તર : પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓને કિનારે વિકસી હતી.
→ ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે.
→ નદીઓ પીવાનું, ઘરવપરાશનું અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્ત્વની જરૂરિયાતો પૂરી પાડવામાં મુખ્ય ફાળો આપી રહી છે.
→ માટીનાં વાસણો, મકાનો અને લીંપણ માટે તથા ઉદ્યોગોના વિકાસ માટે નદીઓ પાણી પૂરું પાડે છે.
→ પ્રાચીન કાળથી નદીઓએ ઉષા અને સંધ્યાનાં ભૂમિદશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપ્યો છે.
→ આમ, નદીની વિવિધલક્ષી ઉપયોગિતાને કારણે આપણે નદીને ‘લોકમાતા’નું બિરુદ આપ્યું છે.
(10) આર્યો પ્રકૃતિપ્રેમી હતા એમ શાથી કહી શકાય ?
ઉત્તર : આર્યો વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા-આરાધના કરતા હતા.
→ તેમણે પ્રકૃતિનાં તત્ત્વોની સ્તુતિઓ (વૈદિક ઋચાઓ – મંત્રો) રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી.
→ આથી કહી શકાય કે, આર્યો પ્રકૃતિપ્રેમી હતા.
(11) પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ‘ભારતીયકરણ’ કેવી રીતે થયું?
ઉત્તર : સમયાંતરે ભારતમાં અનેક વિદેશી પ્રજા આવી. લાંબા સમયના વસવાટને કારણે ભારત તેમનું વતન બની ગયું. આ બધી પ્રજા વચ્ચે લગ્નસંબંધો દ્વારા સંમિશ્રણ થતું ગયું. બધાંની વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ વગેરે દ્વારા પણ તેમનો સમન્વય થતો ગયો. આમ, પ્રારંભકાળથી જ ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. ભારતીય સંસ્કૃતિમાં વિદેશી પ્રજાનું વિલીનીકરણ એટલી હદે થયું કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, એટલે કે એ વિદેશી પ્રજાનું ‘ભારતીયકરણ’ થયું.
(12) ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં કોનો કોનો સમાવેશ થાય છે?
અથવા
ભારતની ભૂમિ પર અન્ય પ્રદેશોમાંથી આવેલી પ્રાચીન પ્રજા કઈ કઈ છે ?
ઉત્તર : ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં નેગ્રીટો (હબસી), ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ), દ્રવિડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઇડ, મોંગોલૉઇડ, આર્યો વગેરેનો સમાવેશ થાય છે. દ્રવિડો મૂળ ભારતના હતા.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :

(1) ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે?
ઉત્તર : ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ‘ભારતવર્ષ’, ‘ભરતખંડ’, ‘જંબુદ્રીપ’, ‘આર્યાવર્ત’ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે.
(2) ભારત કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે?
ઉત્તર : ભારત ઉત્તરે હિમાલયની ગિરિમાળા, દક્ષિણે હિંદ મહાસાગર, પૂર્વે બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે.
(3) ભારતની સંસ્કૃતિમાંથી કઈ ત્રણ બાબતોનો અનુભવ થાય છે.
ઉત્તર : ભારતની સંસ્કૃતિમાંથી ‘ત્’, ‘ત્િ’ અને ‘આનન્દ્’ આ ત્રણ બાબતોનો અનુભવ થાય છે.
(4) ભારતની સંસ્કૃતિ કેવી રીતે સમૃદ્ધ બની?
ઉત્તર : ભારતમાં આવીને સ્થાયી થયેલી જુદી જુદી વિદેશી પ્રજાની સંસ્કૃતિ સાથેની આદાન-પ્રદાનની પરસ્પરની પ્રક્રિયા દ્વારા ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની.
(5) ભારતની સંસ્કૃતિનાં કયાં મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા થઈ છે અને સ્વીકાર થયો છે?
ઉત્તર : ભારતની સંસ્કૃતિનાં અહિંસા અને વિશ્વશાંતિ જેવાં મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા થઈ છે અને તેનો સ્વીકાર થયો છે.
(6) ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
ઉત્તર : ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, જંગલો, નદીઓ અને ખીણપ્રદેશો, ઝરણાં, સાગરો, દરિયાકિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનીજો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ-પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
(7) પ્રકૃતિ સાથેનો આપણો વારસો શ્રદ્ધાપૂર્ણ છે તેનાં દૃષ્ટાંતો ક્યાં જોવા મળે છે?
ઉત્તર : પ્રકૃતિ સાથેનો આપણો વારસો શ્રદ્ધાપૂર્ણ છે તેનાં દૃષ્ટાંતો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે.
(8) કઈ કઈ ચિકિત્સા-પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે?
ઉત્તર : નિસર્ગોપચાર (નેચરોપથી), આયુર્વેદિક, યુનાની વગેરે ચિકિત્સા-પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે.
(9) હિમાલયમાં કયાં પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે?
ઉત્તર : હિમાલયમાં અમરનાથ, બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી વગેરે પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે.
(10) ભારતની કઈ કઈ નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો કરી છે?
ઉત્તર : ભારતની સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો કરી છે.
(11) કઈ બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્ત્વ સૂચવે છે?
ઉત્તર : વડ, પીપળો અને તુલસીની પૂજા તેમજ વડસાવિત્રીનું વ્રત વગેરે બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્ત્વ સૂચવે છે.
(12) ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણપ્રેમી રહી છે તેની સાક્ષી કોણ પૂરે છે?
ઉત્તર : ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણપ્રેમી રહી છે, તેની સાક્ષી તેનો વૃક્ષપ્રેમ, પુષ્પપ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે.
(13) અતિપ્રાચીન કાળથી આપણા જીવનને કોણે સમૃદ્ધ બનાવ્યું છે?
ઉત્તર : અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન્ય-ધાન્યથી લહેરાતાં ખેતરો, વનસમૃદ્ધિથી ભરેલાં જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ વગેરેએ અતિપ્રાચીન કાળથી આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે.
(14) માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ કોણે બનાવ્યું છે?
ઉત્તર : હરડે, આંબળાં, બહેડાં, કુંવારપાઠું, અરડૂસી, લીમડો વગેરે ઔષધિઓએ અને મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશીગંધા, જૂઈ વગેરે પુષ્પોએ માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે.
(15) ભારતમાં કયાં કયાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર : ભારતમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલાં, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહૂડી વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે.
(16) ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયાં કયાં પ્રાણીઓ દર્શાવાયેલાં છે?
ઉત્તર : ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદ – આ પ્રાણીઓ દર્શાવાયેલાં છે.
(17) સાંસ્કૃતિક વારસો એટલે શું?
ઉત્તર : સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાનાં કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત, કલા-કૌશલ દ્વારા જે કાંઈ સર્જ્ય છે; તેને ‘સાંસ્કૃતિક વારસો’ કહેવાય.
(18) ગુજરાતમાં કયાં કયાં સ્થળોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે ?
ઉત્તર : ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે.
(19) નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) ક્યાંથી ભારતમાં આવ્યા હતા? 
ઉત્તર : નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) આફ્રિકામાંથી બલૂચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા.
(20) નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજાની શારીરિક વિશેષતા શી છે?
ઉત્તર : શ્યામ વર્ણ, 4થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજાની શારીરિક વિશેષતા છે.
(21) ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાની શારીરિક વિશેષતા શી હતી?
ઉત્તર : શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એ ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાની શારીરિક વિશેષતા હતી.
(22) કઈ જાતિઓમાં ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાનાં લક્ષણો વિશેષ જોવા મળે છે?
ઉત્તર : ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ (મ્યાનમાર) વગેરે જાતિઓમાં ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાનાં લક્ષણો વિશેષ જોવા મળે છે.
(23) કયાં કૌશલો માટે ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા જાણીતી હતી?
ઉત્તર : માટીનાં વાસણો બનાવવાં, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલો માટે ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા જાણીતી હતી.
(24) દક્ષિણ ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલતા લોકો વસે છે?
ઉત્તર : દક્ષિણ ભારતમાં દ્રવિડકુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) વસે છે.
(25) મધ્ય એશિયામાંથી આવેલી કઈ ત્રણ પ્રજા સમાન ભૌતિક ગુણો ધરાવે છે?
ઉત્તર : મધ્ય એશિયામાંથી આવેલી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનૉઇડ નામની પ્રજા સમાન ભૌતિક ગુણો ધરાવે છે.
(26) આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે?
ઉત્તર : આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે.
(27) મોંગોલૉઇડ (કિરાત) પ્રજાની શારીરિક વિશેષતાઓ શી હતી? 
ઉત્તર : પીળો વર્ણ, ચપટો ચહેરો અને ચપટું નાક, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ મોંગોલૉઇડ (કિરાત) પ્રજાની શારીરિક વિશેષતાઓ હતી.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ

(1) ભારત પ્રાચીન …….. ધરાવતો દેશ છે.
A. સભ્યતા
B. સંસ્કૃતિ
C. વારસો
ઉત્તર : B. સંસ્કૃતિ
(2) ભારતના પ્રાચીન ગ્રંથ ……………’માં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે.
A. વિષ્ણુપુરાણ
B. શિવપુરાણ
C. ગરુડપુરાણ
ઉત્તર : A. વિષ્ણુપુરાણ
(૩) ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના …….. માં ભળી ગઈ. 
A. પ્રવાહ
B. પરંપરા
C. આદર્શો
ઉત્તર : A. પ્રવાહ
(4) ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ……… સ્થાન ધરાવે છે.
A. ચોથું
B. પાંચમું
C . સાતમું
ઉત્તર : C . સાતમું
(5) ભારત જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં …….. સ્થાન ધરાવે છે.
A. બીજું
B. ત્રીજું
C. ચોથું
ઉત્તર : A. બીજું
(6) ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને ……… વારસો આપ્યો છે. 
A. ભવ્ય
B. વૈવિધ્યસભર
C. આધ્યાત્મિક
ઉત્તર : B. વૈવિધ્યસભર
(7) ભારતીય સંસ્કૃતિ ……… અને વેપારી રહી છે.
A. શાંતિપ્રિય
B. વિકાસશીલ
C. અહિંસક
ઉત્તર : A. શાંતિપ્રિય
(8) સંસ્કૃતિ એટલે …….. .
A. પ્રગતિ
B. સૌંદર્યપ્રધાન વિકાસ
C. જીવન જીવવાની રીત
ઉત્તર : C. જીવન જીવવાની રીત
(9) ‘પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે …….. વારસો.’’
A. સાંસ્કૃતિક
B. પ્રાકૃતિક
C. પર્યાવરણિક
ઉત્તર : B. પ્રાકૃતિક
(10) આપણે સૌ ……… નાં સંતાન છીએ.
A. પ્રકૃતિ
B. ધરતી
C. સંસ્કૃતિ
ઉત્તર : A. પ્રકૃતિ
(11) ભૂમિ-આકારો દ્વારા અનેક …… નું સર્જન જોવા મળે છે.
A. પર્વતો
B. ઉચ્ચપ્રદેશો
C. ભૂમિદશ્યો
ઉત્તર : C. ભૂમિદશ્યો
(12) હિમાલયમાં …….. નાં જંગલો આવેલાં છે. 
A. વિષુવવૃત્તીય
B. પર્વતીય
C. તરાઈ
ઉત્તર : C. તરાઈ
(13) ભારતીય સંસ્કૃતિ સિંધુ અને …….. નદીના કિનારે પાલનપોષણ પામી છે.
A. રાવી
B. બિયાસ
C. જેલમ
ઉત્તર : A. રાવી
(14) આપણે નદીને ‘……..’નું બહુમાન આપ્યું છે.
A. જનદેવી
B. લોકમાતા
C. જગમાતા
ઉત્તર : B. લોકમાતા
(15) ભારતની પ્રજા આદિ સમયથી …….. રહી છે.
A. પ્રકૃતિપ્રેમી
B. શાંતિપ્રિય
C. પર્યાવરણપ્રેમી
ઉત્તર : C. પર્યાવરણપ્રેમી
(16) ……… વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે.
A. વટસાવિત્રી
B. ગૌરી
C. જયા-પાર્વતીના
ઉત્તર : A. વટસાવિત્રી
(17) વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના …….. નાં જંગલોમાં જોવા મળે છે.
A. સાતપુડા
B. બરડા
C. ગીર
ઉત્તર : C. ગીર
(18) ભારતમાં …….. ની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યાં છે.
A. જંગલી પ્રાણીઓ
B. વન્ય જીવો
C. આદિવાસીઓ
ઉત્તર : B. વન્ય જીવો
(19) સાંસ્કૃતિક વારસો એટલે ……… વારસો.
A. માનવસર્જિત
B. ભૌતિક
C. જૈવિક
ઉત્તર : A. માનવસર્જિત
(20) …….. સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બાબતોની ભેટ આપી છે.
A. ઐતિહાસિક
B. પ્રાચીન
C. પ્રાગ્ ઐતિહાસિક
ઉત્તર : C. પ્રાગ્ ઐતિહાસિક

પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

(1) હિમાલયની ગિરિમાળા ભારતની દક્ષિણ સીમાએ આવેલી છે.
(2) ભારત વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ સાતમા ક્રમે છે. છે.
(3) ભારત વિશ્વમાં જનસંખ્યાની દૃષ્ટિએ પાંચમા ક્રમે
(4) ભારતની સંસ્કૃતિમાંથી સત્, વિદ્ અને ગૌરવનો અનુભવ પ્રાપ્ત થાય છે.
(5) વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.
(6) પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે.
(7) પ્રકૃતિ સાથેના આપણા વ્યવહારનાં ઉદાહરણો પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓમાં જોવા મળે છે.
(8) નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા-પદ્ધતિઓ પ્રકૃતિ પર આધારિત છે.
(9) હિમાલય પર્વત એ ભૂમિ-આકાર છે.
(10) આપણી રાષ્ટ્રમુદ્રામાં ત્રણ સિંહોની આકૃતિ છે.
(11) સાંસ્કૃતિક વારસો એટલે કુદરતસર્જિત વારસો.
(12) ભારતની શિલ્પ-સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.
(13) દાઢીવાળા પુરુષનું શિલ્પ એ સિંધુખીણની સંસ્કૃતિનો એક પુરાતન અવશેષ છે.
(14) સમ્રાટ અશોકનો શિલાલેખ ચાંપાનેરમાં આવેલો છે.
(15) 18 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર ગુજરાતનું એક તીર્થસ્થાન છે.
(16) શામળાજીનો પૂનમનો મેળો કારતક સુદ 11થી પૂનમ સુધી ભરાય છે.
(17) નેગ્રીટો અથવા નીગ્રો જાતિના લોકો (હબસી) ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે.
(18) નેગ્રીટો વર્ષે શ્યામ, 5થી 6 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.
(19) ઑસ્ટ્રેલૉઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી.
(20) ઑસ્ટ્રેલૉઇડ લોકો વર્ષે શ્યામ, લાંબું અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા.
(21) ભારતમાં આવેલા આર્યો ઑસ્ટ્રેલૉઇડ લોકોને ‘કિરાત’ કહેતા.
(22) ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો.
(23) ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં નેગ્રીટો પ્રજાનો ફાળો વિશિષ્ટ છે.
(24) વડોમાં માતૃમૂલક કુટુંબપ્રથા પ્રચલિત હતી.
(25) આર્યોમાં દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા હતી.
(26) અલ્પાઇન લોકો ‘કિરાત’ તરીકે ઓળખાતા હતા.
(27) ભારતની આર્ય-સભ્યતાના નિર્માતાઓ નોર્ડિક લોકો હતા.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખોટું
(5) ખરું
(6) ખરું
(7) ખોટું
(8) ખરું
(9) ખરું
(10) ખોટું
(11) ખોટું
(12) ખરું
(13) ખરું
(14) ખોટું
(15) ખોટું
(16) ખરું
(17) ખરું
(18) ખોટું
(19) ખરું
(20) ખરું
(21) ખોટું
(22) ખરું
(23) ખોટું
(24) ખરું
(25) ખોટું
(26) ખોટું
(27) ખરું

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :

(1) ભારતીય સંસ્કૃતિમાંથી શાનો અનુભવ થાય છે?
ઉત્તર : સત્, ચિત્ અને આનન્દ્રનો
(2) પ્રાકૃતિક વારસો કોની ભેટ છે?
ઉત્તર : કુદરતની
(3) કોના દ્વારા અનેક ભૂમિદશ્યોનું સર્જન જોવા મળે છે?
ઉત્તર : ભૂમિ-આકારો દ્વારા
(4) આપણે નદીને શાનું બહુમાન આપ્યું છે?
ઉત્તર : લોકમાતાનું
(5) વિશ્વમાં એશિયાઈ સિંહો ગુજરાતનાં કયાં જંગલોમાં જોવાં મળે છે?
ઉત્તર : ગીરનાં જંગલોમાં
(6) આપણી કઈ મુદ્રામાં ચાર સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે?
ઉત્તર : રાષ્ટ્રમુદ્રામાં
(7) સાંસ્કૃતિક વારસો એટલે શું?
ઉત્તર : માનવસર્જિત વારસો
(8) ભારતની શિલ્પ-સ્થાપત્યની કલા કેટલાં વર્ષ જેટલી પ્રાચીન છે?
ઉત્તર : 5000 વર્ષ
(9) સિંધુખીણની સંસ્કૃતિના એક પુરાતન અવશેષનું નામ આપો.
ઉત્તર : દાઢીવાળો પુરુષ (અથવા નર્તકીની મૂર્તિ)
(10) ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે?
ઉત્તર : નેગ્રીટો (અથવા નીગ્રો)
(11) શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એ કઈ પ્રજાની શારીરિક વિશેષતા હતી?
ઉત્તર : ઑસ્ટ્રેલૉઇડ પ્રજાની (નિષાદ પ્રજાની)
(12) દ્રવિડોમાં કઈ કુટુંબપ્રથા પ્રચલિત હતી?
ઉત્તર : માતૃમૂલક
(13) કઈ પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી ?
ઉત્તર : મોંગોલૉઇડ
(14) પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ કઈ પ્રજાનાં શારીરિક લક્ષણો હતાં?
ઉત્તર : મોંગોલૉઇડ
(15) કઈ પ્રજા ‘કિરાત’ તરીકે ઓળખાતી હતી?
ઉત્તર : મોંગોલૉઇડ
(16) આર્યો બીજા ક્યા નામે ઓળખાતા હતા ?
ઉત્તર : નોર્ડિક
(17) આર્યોએ વાયવ્ય ભારતને કયું નામ આપ્યું હતું ?
ઉત્તર : સપ્તસિંધુ
(18) મોઢેરામાં ક્યો મહોત્સવ ઊજવાય છે?
ઉત્તર : ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ
(19) 12 જ્યોતિર્લિંગો પૈકીનું ક્યું મંદિર ગુજરાતમાં છે?
ઉત્તર : સોમનાથ મંદિર
(20) વડનગરમાં ક્યો મહોત્સવ ઊજવાય છે?
ઉત્તર : તાના-રીરી
(21) ભાવનગર જિલ્લામાં કયું જૈન તીર્થ આવેલું છે?
ઉત્તર : પાલીતાણા
(22) પાટણમાં ક્યું જાણીતું તળાવ આવેલું છે?
ઉત્તર : સહસ્રલિંગ
(23) અમદાવાદમાં કઈ જાણીતી મસ્જિદ આવેલી છે?
ઉત્તર : જામા મસ્જિદ
(24) દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કઈ પ્રજાએ આપી હોવાનું મનાય છે?
ઉત્તર : દ્રવિડોએ
(25) જૈન તીર્થ પાલીતાણા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર : ભાવનગર
(26) શામળાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર : અરવલ્લી
(27) રણછોડરાયજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર : ખેડા
(28) તાના-રીરી મહોત્સવ ક્યાં ઊજવાય છે?
ઉત્તર : વડનગરમાં
(29) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે?
ઉત્તર : મોઢેરામાં
(30) ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?
ઉત્તર : જૂનાગઢમાં

પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

1. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી?
A. સિંધુ અને જેલમ
B. સિંધુ અને રાવી
C. સિંધુ અને બિયાસ
D. સતલુજ અને રાવી
ઉત્તર : B. સિંધુ અને રાવી
2. ‘લોકમાતા’શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?
A. ભારત
B. પ્રકૃતિ
C. નદીઓ
D. પનિહારીઓ
ઉત્તર : C. નદીઓ
3. ભારતની પ્રજા અતિપ્રાચીન યુગથી પર્યાવરણપ્રેમી રહી છે, તેની સાક્ષી છે પ્રજાનો…
A. કુટુંબપ્રેમ
B. દેશપ્રેમ
C. ઉત્સવપ્રેમ
D. વૃક્ષપ્રેમ
ઉત્તર : D. વૃક્ષપ્રેમ
4. ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્ત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે?
A. કચ્છ
B. બનાસકાંઠા
C. જૂનાગઢ
D. સાબરકાંઠા
ઉત્તર : A. કચ્છ
5. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે?
A. નેગ્રીટો
C. ઑસ્ટ્રેલૉઇડ
B. આર્મેનૉઇડ
D. મોંગોલૉઇડ
ઉત્તર : C. ઑસ્ટ્રેલૉઇડ
6. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે …
A. ઑસ્ટ્રેલૉઇડ પ્રજા હતી.
B. અલ્પાઇન પ્રજા હતી.
C. મોંગોલૉઇડ પ્રજા હતી.
D. આર્મેનૉઇડ પ્રજા હતી.
ઉત્તર : C. મોંગોલૉઇડ પ્રજા હતી.
7. રંગે શ્યામ, લાંબું-પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી તે …  .
A. દ્રવિડ પ્રજા હતી.
B. આર્મેનૉઇડ પ્રજા હતી.
C. મોંગોલૉઇડ પ્રજા હતી.
D. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી
ઉત્તર : D. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી
8. રંગે શ્યામ, 4થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે …
A. મોંગોલૉઇડ (કિરાત) પ્રજા હતી.
B. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી.
C. આર્મેનૉઇડ પ્રજા હતી.
D. નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજા હતી.
ઉત્તર : D. નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજા હતી.
9. ભારતમાં આવેલી કઈ ત્રણ જાતિઓ એકસમાન ભૌતિક ગુણો ધરાવે છે?
A. અલ્પાઇન, ડિનારિક, મોંગોલૉઇડ
B. ડિનારિક, આર્મેનૉઇડ, ઑસ્ટ્રેલૉઇડ
C. મોંગોલૉઇડ, અલ્પાઇન, આર્મેનૉઇડ
D. અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઇડ
ઉત્તર : D. અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઇડ
10. નીચે આપેલ ચિત્ર કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે?
A. લોથલની
B. સિંધુખીણની
C. રૂપડની
D. ધોળાવીરાની
ઉત્તર : B. સિંધુખીણની
11. કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે?
A. નેગ્રીટો
B. દ્રવિડ
C. ઑસ્ટ્રેલૉઇડ
D. આર્મેનૉઇડ
ઉત્તર : A. નેગ્રીટો
12. આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે?
A. કલમ – 51 (ક)માં
B. કલમ – 48 (છ)માં
C. કલમ – 57 (જ)માં
D. કલમ – 51 (છ)માં
ઉત્તર : A. કલમ – 51 (ક)માં
13. અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી ?
A. દ્રવિડો
B. મોંગોલૉઇડ
C. આર્યો (નોર્ડિક)
D. ઑસ્ટ્રેલૉઇડ
ઉત્તર : C. આર્યો (નોર્ડિક)
14. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી, તે શોધીને ઉત્તર લખો.
A. ગૌરવર્ણ, બદામી આંખો – દ્રવિડો
B. શ્યામ વર્ણ, વાંકડિયા વાળ – નેગ્રીટો (હબસી)
C. શ્યામ રંગ, ચપટું નાક – ઑસ્ટ્રેલૉઇડ
D. પીળો વર્ણ, ચપટો ચહેરો – મોંગોલૉઇડ
ઉત્તર : A. ગૌરવર્ણ, બદામી આંખો – દ્રવિડો
15. નીચેના પૈકી ગુજરાતનું ક્યું સ્થળ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું નથી ?
A. પાટણનું સહસ્રલિંગ તળાવ
B. ચાંપાનેરનો રાજમહેલ
C. વિરમગામનું મુનસર તળાવ
D. મોઢેરાનું સૂર્યમંદિર
ઉત્તર : B. ચાંપાનેરનો રાજમહેલ
16. દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?
A. હિન્દી
B. તમિલ
C. કન્નડ
D. મલયાલમ
ઉત્તર : A. હિન્દી
17. નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
A. શારદાપીઠ – સોમનાથ
B. પોળો ઉત્સવ – વડનગર
C. ઉત્તરાર્ધનૃત્ય મહોત્સવ – મોઢેરા
D. સીદી સૈયદની જાળી – ભાવનગર
ઉત્તર : C. ઉત્તરાર્ધનૃત્ય મહોત્સવ – મોઢેરા
18. ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા એક શબ્દનો ઉપયોગ થતો નથી?
A. ભારતવર્ષ
B. જંબુદ્વીપ
C. આર્યાવર્ત
D. હિંદુસ્તાન
ઉત્તર : D. હિંદુસ્તાન
19. હિમાલયની ગિરિમાળા ભારતની કઈ દિશામાં આવેલી છે?
A. ઉત્તર
B. દક્ષિણ
C. પૂર્વ
D. પશ્ચિમ
ઉત્તર : A. ઉત્તર
20. પ્રકૃતિ સાથેનાં આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનાં ઉદાહરણો ક્યાં જોવાં મળે છે?
A. હિતોપદેશની વાર્તાઓમાં
B. જૈન ધર્મની જાતક કથાઓમાં
C. બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં
D. બૃહદારણ્ય ઉપનિષદમાં
ઉત્તર : C. બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં
21. નીચેના પૈકી કઈ ચિકિત્સા-પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત નથી?
A. નિસર્ગોપચાર
B. ઍલોપથી
C. આયુર્વેદિક
D. યુનાની
ઉત્તર : B. ઍલોપથી
22. નીચેના પૈકી યાત્રાનું કયું સ્થળ હિમાલયમાં આવેલું નથી?
A. કેદારનાથ
B. અમરનાથ
C. શિવનાથ
D. બદ્રીનાથ
ઉત્તર : C. શિવનાથ
23. આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેના પૈકી કઈ આકૃતિ નથી?
A. ચાર સિંહોની
B. બળદની
C. ઘોડાની
D. વાઘની
ઉત્તર : D. વાઘની
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *