Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ
પ્રકરણસાર
- અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવવધારો કહે છે. જે એક સમસ્યારૂપ છે; પરંતુ સ્થિરતા સાથે થતો ભાવવધારો અર્થતંત્ર માટે પોષણરૂપ છે.
- સ્થિરતા સાથેનો ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.
- ભાવવૃદ્ધિનાં કારણો (પરિબળો) : (1) નાણાંના પુરવઠામાં વધારો (2) વસ્તીવધારો (3) નિકાસમાં વધારો (4) કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ (5) બિનનોંધાયેલ નાણાંનું ચલણ (કાળું નાણું) (6) સરકાર દ્વારા ભાવવધારો (7) કુદરતી પરિબળો (8) દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજાર.
- ભાવવધારાની અસરો : (1) બચત અને મૂડીસર્જનમાં ઘટાડો થાય છે. (2) વિદેશી મૂડીરોકાણ ઘટે છે. (3) આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે. (4) આયાત-નિકાસના ખર્ચમાં અસમતુલન સર્જાય છે. (5) ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન કથળે છે. સમાજનું નૈતિક અધઃપતન થાય છે.
- ભાવવધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો : (1) નાણાકીય પગલાં (2) રાજકોષીય પગલાં (૩) મૂડીરોકાણ પર અંકુશ (4) ભાવનિયમન અને માપબંધી (5) ભાવનિર્ધારણ તંત્ર
- ગ્રાહક શોષણનાં કારણો : (1) ગ્રાહક પોતે જવાબદાર (2) મર્યાદિત માહિતી (3) મર્યાદિત પુરવઠો (4) મર્યાદિત હરીફાઈ.
- ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે.
- સરકારે ગ્રાહકોનાં હિતો અને અધિકારોના રક્ષણ માટે ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ નામનો સર્વગ્રાહી કાયદો અમલમાં મૂકીને કાયદાકીય પગલું ભર્યું છે.
- ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે 15 માર્ચનો દિવસ ‘વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
- ગ્રાહકોના અધિકારો : (1) સલામતીનો અધિકાર (2) માહિતી મેળવવાનો અધિકાર (3) પસંદગી કરવાનો અધિકાર (4) રજૂઆત કરવાનો અધિકાર (5) ફરિયાદ-નિવારણનો અધિકાર (6) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર
- ગ્રાહકોની ફરજો : (1) ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ . (2) વસ્તુ વિશેની સંપૂર્ણ માહિતીની ખાતરી કરીને જવાબદારીપૂર્વક નિર્ણય કરવો જોઈએ. (3) એક સજ્જન અને પ્રામાણિક ગ્રાહકની ખાતરી કરાવવી જોઈએ. (4) ખરીદીનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની રસીદ લેવી જોઈએ. (5) સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવાં જોઈએ. (6) સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં ફરિયાદ કરવી જોઈએ. (7) સલામતીનાં ધોરણોમાં કોઈ બાંધછોડ ન કરવી જોઈએ. (8) ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ માગતી અરજી કરવી જોઈએ. (9) જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ વસ્તુઓ ખરીદવી જોઈએ. (10) તોલમાપનાં સાધનો ચકાસવાં જોઈએ. (11) ગૅસ સિલેન્ડર, પેટ્રોલ અને કેરોસીનની ખરીદીમાં કાળજી રાખવી જોઈએ. (12) રેલવે, બૅન્ક, વીમો, ટેલિફોન, હૉસ્પિટલ વગેરેની સેવાઓમાં નુકસાન થાય તો ‘ગ્રાહક ફોરમ’માં ફરિયાદ કરવી જોઈએ. (13) ગ્રાહક જાગૃતિની કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારમાં ભાગ લેવો જોઈએ.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભાવવૃદ્ધિનાં કારણોની વિગતે ચર્ચા કરો.
અથવા
ભાવવૃદ્ધિ માટે કયાં કયાં કારણો જવાબદાર છે? દરેકની ચર્ચા કરો.
ઉત્તર : ભારતમાં ભાવવૃદ્ધિનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છેઃ
- નાણાંના પુરવઠામાં વધારો : દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતાં તેમની ખરીદશક્તિ વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી. આમ, ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવવૃદ્ધિનું એક કારણ છે. સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થતાં તે ખાદ્યપુરવણી દ્વારા નવાં નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે.
- માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવવૃદ્ધિ થાય છે. આ ઉપરાંત, બૅન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્ધિ કરે છે. આમ, ભારતમાં ભાવવૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે.
- વસ્તીવૃદ્ધિ : ભારતમાં થતા ઝડપી વસ્તીવધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતાં ભાવવૃદ્ધિ થાય છે.
[ સમાજના અમુક વર્ગની આવકમાં વધારો થતાં અમુક પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં મોટો વધારો થાય છે. તેની સામે તે ચીજવસ્તુઓ અને સેવાઓનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ હોતો નથી. તેથી એ ચીજવસ્તુઓ અને સેવાઓની અછત સર્જાય છે, તેને કારણે ભાવવૃદ્ધિ થાય છે.]
- નિકાસમાં વધારો : વિદેશોનાં બજારોમાં દેશનાં ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે. પરિણામે નિકાસી ચીજવસ્તુઓની દેશમાં અછત સર્જાય છે. આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતાં ભાવવૃદ્ધિ થાય છે.
- કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ : ચીજવસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે, જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે.
- ચીજવસ્તુઓનો ભાવવધારો વેતનવધારાની માગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરીથી ભાવવૃદ્ધિમાં પરિણમે છે. આમ, ભાવવૃદ્ધિનું ચક્ર ચાલ્યા કરે છે.
- કાળું નાણું : હિસાબી ચોપડે નહિ નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવવધારો થાય છે.
- કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષે છે.
- કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્ધિ કરે છે.
- સરકાર દ્વારા ભાવવધારો (પ્રશાસિત ભાવો) : સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગૅસ, કોલસો, લોખંડ- પોલાદ, ઍલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે.
- સરકાર દ્વારા અનાજ અને અન્ય કૃષિપેદાશોના પ્રાપ્તિ ભાવોમાં – ટેકાના ભાવોમાં વખતોવખત કરવામાં આવતો વધારો તે વસ્તુઓના ભાવો વધારે છે.
- કુદરતી અને માનવીય પરિબળો : અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવાં કારણોસર ઉત્પાદનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. આમ, માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતાં ભાવવધારો થાય છે.
- સંગ્રહખોરી અને નફાખોરી : અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરે છે.
- ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુઓના ભાવવધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓ એ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે. એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે.
આમ, સંગ્રહખોરી અને નફાખોરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરે છે.
- ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુઓના ભાવવધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓ એ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે. એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે.
(2) ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની સમીક્ષા કરો.
અથવા
ભાવવૃદ્ધિને અંકુશિત કરવાનાં પગલાં નિર્દેશો.
અથવા
ભાવવૃદ્ધિને અંકુશિત કરવા માટે કયાં કયાં પગલાં લેવામાં આવે છે? કોઈ પણ ત્રણની માહિતી આપો.
અથવા
ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો.
ઉત્તર : ભાવવૃદ્ધિને અંકુશિત કરવા માટે નીચે પ્રમાણે પગલાં લેવામાં આવે છે :
- નાણાકીય પગલાં : ભારતની મધ્યસ્થ બૅન્ક – રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)નાણાંનો પુરવઠો ઘટાડે છે. તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ ૫૨ અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતાં તેમની કિંમતોમાં ક્રમશઃ ઘટાડો થાય છે.
- મધ્યસ્થ બૅન્ક — RBI બૅન્ક ધિરાણનીતિ અન્વયે વ્યાજના દર વધારે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતાં મૂડીરોકાણ ઘટે છે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતાં સંગ્રહખોરી અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે. તેમજ નફાખોરી અંકુશિત બને છે.
- વ્યાપારી બૅન્કો પણ ધિરાણ દર વધારતાં ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજદર વધતાં સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી મૂડીસર્જનનો દર વધે છે. નવા ધંધા-રોજગારનાં ક્ષેત્રો ખુલે છે.
- રિઝર્વ બૅન્ક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે.
- રાજકોષીય પગલાં : સ૨કા૨ અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા સબિસડીમાં ઘટાડો, જાહેર લોનોના પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજની ચુકવણીમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવાં પગલાં ભરે છે.
- સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે. તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખસગવડની વસ્તુઓ પર વધારે કરવેરા નાખે છે, જેથી એ વસ્તુઓ મોંઘી બનતાં ખરીદી ઘટે છે. આમ, માંગ ઘટતાં ભાવો ઘટે છે.
- જાહેરણની નીતિ અનુસાર સરકાર ‘ફરજિયાત બચત યોજના’ જેવી સ્કીમ જાહેર કરીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે. તેથી ચીજવસ્તુઓની માંગ ઘટતાં ભાવો ઘટે છે.
- મૂડીરોકાણ પર અંકુશ ઃ બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગોનાં ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે.
- ભાવનિયમન અને માપબંધી : સમાજના ગરીબીરેખાની નીચે જીવતા લોકો(BPL)ને અને આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ સસ્તા અનાજની કે વાજબી ભાવની દુકાનો (FPSS) ખોલવામાં આવે છે.
- ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળાબજાર કરી મનફાવે તેમ ભાવવધારો કરે છે, તેના પર જાહેર વિતરણ પ્રણાલી (PDS) અંકુશ લાવે છે.
- ભાવવધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) આશીર્વાદરૂપ બની છે.
- ભાવનિર્ધારણ તંત્ર : સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે.
- સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો – 1955′ અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.
- આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનાં સ્ટૉકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે.
- સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર ‘પાસા’ (પ્રિવેન્શન ઑફ ઍન્ટિ- સોશિયલ ઍક્ટિવિટિઝ ઍક્ટ) કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે.
- આમ, કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવવધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે.
- અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગૅસ, કેરોસીન, ખાંડ, ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદ, રેલવેનૂર, જીવનરક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવનિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે.
- અન્ય ઉપાયો : બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા સરકાર કેટલીક વખત એ ચીજવસ્તુઓની અન્ય રાજ્ય કે પરદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ, ઘઉં વગેરેની અછત સર્જાઈ હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે.
(3) ભાવનિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે?
અથવા
ભાવવધારા પર નિયંત્રણ શા માટે જરૂરી છે?
અથવા
“ભાવનિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર : સતત ભાવવધારાની અસરોથી બચવા ભાવનિયંત્રણ જરૂરી બન્યું છે. ભાવવધારાની અસરો નીચે મુજબ છે :
→ ભાવવધારાને લીધે સ૨કા૨ના ખર્ચા વધે છે. તેથી તેને ખાધપુરવણીનો આશરો લેવો પડે છે. પરિણામે નાણાંનો પુરવઠો વધતાં ભાવવૃદ્ધિ સર્જાય છે.
→ ભાવવધારાથી લોકોની બચતશક્તિ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે બચતો મળતી નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે. આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. મૂડીની તંગીને કારણે નવા ધંધા-ઉદ્યોગો અને રોજગાર શરૂ કરી શકાતા નથી.
→ ભાવવધારાને લીધે વસ્તુઓ મોંઘી બનતાં દેશમાં જ તેનું વેચાણ વધે છે, જેથી નિકાસો ઘટે છે. દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય તો દેશની આયાતો વધે છે. આમ, દેશની નિકાસ કમાણી ઘટે અને આયાતખર્ચ વધે એ સંજોગોમાં દેશની વેપારતુલામાં ખાધ ઊભી થાય છે.
→ ભાવવધારાને કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતાં તેમની આવકો ઝડપથી વધે છે. આથી સમાજમાં આવકની અસમાનતા વધે છે.
→ ભાવવધારાને લીધે લોકોની ખરીદશક્તિ ઘટે છે. તેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત ખૂબ કફોડી બને છે. જીવનનિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવનધોરણ નીચું જાય છે.
→ દેશમાં વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થાય છે. તેથી દેશમાં વિદેશી હૂંડિયામણની તંગી સર્જાય છે.
→ ભાવવધારાને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન કથળતાં તેઓ નીતિમત્તાનાં ધોરણો નેવે મૂકીને ચોરી, લૂંટફાટ, હત્યા, દેહવેપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળાબજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે. સમાજમાં અસામાજિક બદીઓનું પ્રમાણ વધી જાય છે.
(4) ભાવનિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો.
ઉત્તર : ભાવવધારાને અંકુશમાં રાખવાના એક વ્યૂહાત્મક પગલા તરીકે ઈ. સ. 1977થી જાહેર વિતરણ પ્રણાલી (PDS) અમલમાં આવી છે.
→ સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગ(અંત્યોદય)ને, ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબો(BPL)ને તેમજ આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ ‘જાહેર વિતરણ પ્રણાલી’ હેઠળ ‘વાજબી ભાવની દુકાનો’ (FPSS) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે પૂરી પાડવામાં આવે છે.
→ આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે.
→ વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતનો તફાવત સરકાર સબસિડીરૂપે ચૂકવે છે.
→ ભાવવધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે.
→ ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી, કાળાબજાર કરી, મનફાવે તેમ ભાવવધારો કરે છે તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે.
(5) “ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે.” વિધાન સમજાવો.
ઉત્તર : સામાન્ય રીતે ભાવો વધતાં ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવાં ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે.
→ પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે.
→ ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતાં તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે.
→ આમ, આમજનતાની આવક વધે છે, તેથી તેમની ખરીદશક્તિ વધે છે. તેઓ જીવનજરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પરિણામે તેમનાં જીવનધોરણનું સ્તર ઊંચું આવે છે. દેશનો આર્થિક વિકાસ વેગ પકડે છે.
→ આમ, સ્થિર ભાવવધારો વિકાસને પોષક બને છે.
લગભગ બધી જ ચીજવસ્તુઓ અને સેવાઓની ભાવસપાટીમાં એકસાથે સતત ઊંચા દરે વધારો થાય છે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે (Too much money chasing to few goods leads into inflation.) ત્યારે ફુગાવાજનક ભાવવધારો સર્જાય છે.
→ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઊથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનનાં સાધનોની કિંમતોની ગણતરીને અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. આ ફુગાવાજનક ભાવવધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે.
(6) વર્તમાન સમયમાં ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થઈ શકે છે? જણાવો.
અથવા
ગ્રાહકનું શોષણ બજારમાં કઈ કઈ રીતે થાય છે?
અથવા
“ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર : વર્તમાન સમયમાં ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકનું શોષણ નીચે દર્શાવેલી રીતે થઈ શકે છે:
- ઓછું તોલમાપ : ચીજવસ્તુની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપા૨ી તોલમાપના વજનમાં, ત્રાજવાં કે યંત્ર સાથે ચેડાં કરીને ગ્રાહકને ઓછા વજનમાં કે પૅકિંગ પર લખ્યું હોય તેના કરતાં ઓછા માપમાં ચીજવસ્તુ આપે છે.
- હલકી ગુણવત્તાવાળો માલ કે સેવા : હલકી ગુણવત્તા, ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગે તેમજ અંતિમતિથિ (ઍક્સપાઇરી ડેઇટ) વીતી ગઈ હોય એવી દવાઓ, સૌંદર્ય-પ્રસાધનો કે અન્ય વપરાશી ચીજોનું વેચાણ કરીને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે.
- વધુ કિંમત : ચીજવસ્તુ ૫૨ છાપેલી કિંમત કે વાજબી કિંમત કરતાં વધારે કિંમત કે ભાવ લઈને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે.
- આરોગ્યને હાનિકારક વસ્તુઓ : વાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વેપારી ગ્રાહકોના આરોગ્યને નુકસાન પહોંચાડે છે.
- આ ઉપરાંત, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેમાં ભેળસેળ કરીને તેના વિક્રેતાઓ ગ્રાહકોનું આર્થિક શોષણ કરે છે.
- વેચાણ પછીની અસંતોષકારક સેવા : મોટરકાર, સ્કૂટર, ઇલેક્ટ્રિક ઉપકરણો, એ.સી. મશીન, ટીવી, ફ્રિજ, ટ્રૅક્ટર જેવી મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને ક્યારેય સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી.
- નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહિ : કેટલીક વાર લખાણ, નિયત પ્રમાણ અને નિર્ધારિત શરતો કે ધારાધોરણો મુજબ ચીજવસ્તુઓ કે સેવાઓ પૂરી નહિ પાડીને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. દા. ત., મોટા ભાગના બિલ્ડરો નક્કી કરેલા સમય અને લખાણ મુજબ ઘર કે ઑફિસનો કબજો તેમજ બાંધકામ અને સુવિધા પૂરાં નહિ પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે.
- સેવાક્ષેત્રે ઊણપ : કૉર્પોરેશન, પંચાયતો, એસ. ટી., ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજળી કંપની, બૅન્ક, વીમાકંપની, ગૅસ સપ્લાયર, ટેલિફોન કંપની, ડૉક્ટર વગેરે ખામીયુક્ત સગવડો અને સેવાઓ પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે.
- ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો : કેટલીક વાર ઉત્પાદકો કે વિક્રેતાઓ ગ્રાહકો સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકનું અપમાન કે માનહાનિ થાય.
- પસંદગીમાં છેતરામણી : કેટલાક ઉત્પાદકો ટીવી જેવા પ્રચાર માધ્યમમાં લોભામણી જાહેરાતો કરી ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા લલચાવે છે. એ જાહેરખબરોથી પ્રભાવિત થઈને ગ્રાહકો સાચી જાણકારી મેળવ્યા વિના કે ચોકસાઈ કર્યા વિના વસ્તુઓની પસંદગીમાં ભૂલ કરી ખરીદી કરે છે ને પાછળથી પસ્તાય છે.
- જાનનું જોખમભરેલાં ઉપકરણો : કેટલાંક વિદ્યુત કે ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણોની બનાવટમાં સુરક્ષાની પૂરતી કાળજી લીધા વિના હલકી કક્ષાની અને બનાવટી સામગ્રી વાપરવામાં આવે છે, જે ગ્રાહક માટે જાનનું જોખમ ઊભું કરે છે. દા. ત., ઇસ્ત્રી જેવા સાધનથી કરંટ લાગવાના તથા કૂકર કે ગિઝર ફાટવાના બનાવો ગ્રાહકના જાનને ખતરામાં મૂકે છે.
- કૃત્રિમ અછત : કેટલીક વખત વેપારીઓ કે ઉત્પાદકો વધુ નફો મેળવવાની લાલચે વસ્તુઓની સંગ્રહખોરી કરી તે વસ્તુઓની બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ ઊંચા ભાવે એ વસ્તુઓ વેચીને ગ્રાહકોનું શોષણ કરે છે.
- અધૂરી કે અપૂરતી માહિતી : કોઈ વસ્તુની કિંમત, ગુણવત્તા, વિશ્વસનીયતા, વસ્તુનું આયુષ્ય, અંતિમતિથિ, વસ્તુ લાંબા સમય સુધી ચાલવાનું આશ્વાસન, આરોગ્ય અને પર્યાવરણ ૫૨ તેની અસર, સાવચેતી, સારસંભાળ અને ઉપયોગની રીત, વેચાણની શરતો વગેરે બાબતોમાં અધૂરી કે અપૂરતી માહિતી આપીને કે માહિતી બિલકુલ ન આપીને વિક્રેતા સરળતાથી ગ્રાહકોને છેતરી શકે છે.
(7) ગ્રાહકનું શોષણ થવાનાં કારણો જણાવો.
અથવા
ગ્રાહકના શોષણ માટેનાં જવાબદાર કારણો (પરિબળો) કયાં છે?
ઉત્તર : ગ્રાહકનું શોષણ થવાનાં મુખ્ય કારણો નીચે મુજબ છેઃ
- ગ્રાહક પોતે જવાબદાર : મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી, નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજારસંબંધી જાણકારી હોતી નથી.
- તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે.
- મર્યાદિત માહિતી : મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે.
- આ ઉપરાંત, ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવનિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી.
- આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે.
- આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વૉરંટી કે ગૅરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજવસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે.
- મર્યાદિત પુરવઠો : જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષાવું પડે છે.
- મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.
- મર્યાદિત હરીફાઈ : જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર (ઇજારો) ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડાં થવાની સંભાવના વધી જાય છે.
- આ સંજોગોમાં વસ્તુઓની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને શોષાવું પડે છે.
(8) ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો.
ઉત્તર : ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા માટે થયેલા પ્રયત્નો નીચે પ્રમાણે છે :
→ ભારતમાં ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે સૌપ્રથમ કોટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો છે. તેમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણની માહિતી આપવામાં આવી છે. તેમાં તોલમાપ અને ભેળસેળ કે નકલી માલ જેવી ગુનાહિત વેપારી-રીતરસમો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈઓ પણ દર્શાવી છે.
→ 15 માર્ચ, 1962ના રોજ અમેરિકન પ્રમુખ જ્હૉન ફ્રેન્કલીન કેનડીએ યુ.એસ.એ.ની સંસદમાં ગ્રાહકોના ચાર અધિકારોની જાહેરાત કરી હતી.
→ 15 માર્ચ, 1983ના રોજ કન્ઝ્યુમર્સ ઇન્ટરનૅશનલ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. તેથી વિશ્વમાં દર વર્ષે 15 માર્ચના દિવસને ‘વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.

→ એ પછી સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ 16 એપ્રિલ, 1985ની સામાન્ય સભામાં ‘યુનાઇટેડ નેશન્સ ગાઇડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રૉટેક્શન’ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારો ઘોષિત કર્યા.
→ એ ખરડામાં વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો (હુકો) અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.
→ સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદે ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ ઘડી કાઢ્યો અને 24 ડિસેમ્બર, 1986ના રોજ રાષ્ટ્રપ્રમુખની સહી થતાં તે અમલમાં આવ્યો.
→ ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
→ ગુજરાત સ૨કા૨ે 18 ફેબ્રુઆરી, 1988ના રોજ ‘ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો – 1988′ અમલમાં મૂક્યા હતા. આ નિયમો મુજબ રાજ્યમાં ગ્રાહક સુરક્ષાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.
(9) ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ’ અંતર્ગત ગ્રાહકના અધિકારો સવિસ્તર સમજાવો.
ઉત્તર : ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે :
- સલામતીનો અધિકાર : આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાનાં જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ-વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનો જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર છે.
- માહિતી મેળવવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાપ, શુદ્ધતા, ધોરણ (સ્તર) વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીની અયોગ્ય રીતરસમો અને વેચાણની યુક્તિ-પ્રયુક્તિઓથી સુમાહિતગાર રહે.
- પસંદગી કરવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ-તપાસીને અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે.
- પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે.
- એકહથ્થુ ઉત્પાદન અને વહેંચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે.
- રજૂઆત કરવાનો અધિકાર ઃ આ અધિકાર અન્વયે ગ્રાહકોનાં હિતો સાથે જોડાયેલી બિનરાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે.
- તદુપરાંત, એ સંસ્થાઓ કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓમાં ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે, જેથી તેઓ એ સમિતિઓમાં તેમની રજૂઆતો કરી શકે છે.
- ફરિયાદ-નિવારણનો અધિકાર : આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે તેમજ વેપારીની અયોગ્ય રીતરસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે.
- ગ્રાહક શિક્ષણનો અધિકાર : આ અધિકાર અન્વયે ગ્રાહકનાં હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અબાધિત હક આપવામાં આવ્યો છે.
- વળતર મેળવવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક હલકી ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે પોતાને થયેલા આર્થિક અને માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવી શકે છે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતરરૂપે માગી શકે છે.
- ગ્રાહક વળતર માગે કે ન માગે, છતાં તે રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે.
- ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર : વેપારી કે ઉત્પાદક દ્વારા વસ્તુઓનાં વજન, પ્રમાણમાપ, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ વગેરેમાં આચરવામાં આવતી ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકને થયેલા શોષણ વિરુદ્ધ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર છે.
- જીવનજરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર : આ અધિકાર અન્વયે ગ્રાહક દાક્તરી સારવાર, ગૅસ, પાણી, વીજળી, ટેલિફોન, રેલવે-બસ, તાર-ટપાલ વગેરેની સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે છે.
(10) ગ્રાહકોની ફરજો સવિસ્તર સમજાવો.
અથવા
ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો જણાવો.
અથવા
ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ?
અથવા
વસ્તુઓ ખરીદતાં પહેલાં શું ધ્યાન રાખવાનું હોય છે?
ઉત્તર : ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે :
- કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતાં પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગૅરંટી વગેરે તપાસી લેવાં જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગૅરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશાં બજારમાંથી બી.એસ.આઈ. (BSI), આઈ. એસ. આઈ. (ISI) કે એગમાર્ક(Agmark)ના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ.
- ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતાં પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ.
- ગ્રાહકે પોતાના વર્તન-વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ.
- ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વૉરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
- ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવાં જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ.
- ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ.
- ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પૅકિંગ, ચોખ્ખું વજન, અંતિમતિથિ, ઉત્પાદકનું નામ- સરનામું વગેરે જોઈ-તપાસીને ચકાસી લેવાં જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીનાં ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ.
- ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપા૨ીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ માગતી અરજી કરવી જોઈએ.
- ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે ‘સેલ’માંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ.
- ગ્રાહકે તોલમાપનાં દરેક પ્રકારનાં સાચાં અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીએ તોલમાપનાં સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલાં ન હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી.
- ગૅસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા કે ટૅક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર ૫૨ 0000 ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો.
- વીજળી, ટેલિફોન, વીમો, બૅન્ક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી. સેવાસંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. જાગ્રત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ટીવી ચૅનલોમાં જણાવી બીજાંને શોષણનો ભોગ બનતાં અટકાવવાં જોઈએ.
- ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશ, ગ્રાહકમંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ. »
(11) ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.
અથવા
ગ્રાહક સુરક્ષાના એક ઉપાય તરીકે ગ્રાહક અદાલતોની સમજૂતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો
ઉત્તર : સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો – 1986 અનુસાર ‘કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ(રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ)ની રચના કરી છે. એ જ રીતે રાજ્યકક્ષાએ ‘રાજ્ય ઉપભોક્તા આયોગ’ની રચના કરવામાં આવી છે. આ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા.
→ ‘રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે’ જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ(જિલ્લા મંચ)ની, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)ની રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)ની રચના કરી છે.
1. જિલ્લા ફોરમ (જિલ્લા મંચ) : તે દરેક જિલ્લાની એક મહત્ત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે.
→ તેમાં નિર્ધારિત ફી સાથે હૈં 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે.
→ જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50 % કે ર્ 25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપૉઝિટ જમા કરાવવાની હોય છે.
2. રાજ્ય કમિશન (રાજ્ય ફોરમ) : આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે.
→ તેમાં નિર્ધારિત ફી સાથે હૈં 20 લાખથી 7 1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે છે. દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.
→ જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની ૨કમના 50 % અથવા ર્ 35,000 ડિપૉઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે.
3. રાષ્ટ્રીય કમિશન (રાષ્ટ્રીય ફોરમ) : તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે. તે દિલ્લીમાં આવેલી છે.
→ આ અદાલતમાં 5 સભ્યોની એક બૅન્ચ હોય છે.
→ તેમાં નિર્ધારિત ફી સાથે હૈં 1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.
રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ(સર્વોચ્ચ અદાલત)માં અપીલ કરી શકે છે. અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50 % અથવા રૢ 50,000 બંનેમાંથી જે ઓછી હોય તે રકમ ડિપૉઝિટ પેટે કોર્ટમાં જમા કરવી ફરજિયાત છે.
→ આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે.
→ ગરીબીરેખા (બી.પી.એલ.) હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટિઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમને ‘જિલ્લા મફત કાનૂની સેવા’ માર્ગદર્શન કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે.
(12) ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો.
ઉત્તર : ( 1 ) ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈ. સ. 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ (ISI) નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ’(BIS)ના નામે ઓળખાય છે.

→ પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
( 2 ) મધ, ઘી, મરી-મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વનપેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત-ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર ‘એગમાર્ક’ (Agmark) લગાવવામાં આવે છે.

→ ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો – 1937’ને ઈ. સ. 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે.
→ આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ’ સંસ્થા (ડી.એમ.આઈ.) કરે છે.
→ આ સંસ્થા ઉત્પાદકોને ISI કે Agmark વાપરવાનો ૫૨વાનો (લાઇસન્સ) આપે છે.
→ જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.
(2) સોનાના દાગીના પર ‘BSI’ માર્કો હોય છે. તેની સાથે 22 કૅરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો ‘હોલમાર્ક’નો લોગો હોય છે. આ ઉપરાંત, દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે. દા. ત., J’ નું ચિહ્ન ઈ. સ. 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે.

→ દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્ધતા અને ગુણવત્તાની ગૅરંટી આપે છે.
( 4 ) ટીનમાં પૅક કરેલાં ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર એફ.પી.ઓ.(FPO)નો માર્કો લગાડવામાં આવે છે.
( 5 ) ટેક્ષ્ટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો વગેરે ૫૨ આઈ.એસ.આઈ.- (ISI)નો માર્કો લગાડવામાં આવે છે.


( 6 ) ઊનની બનાવટો અને તેના પોશાક ૫૨ વુલમાર્ક માર્કો લગાવવામાં આવે છે.
( 7 ) માંસ અને માંસની બનાવટો પર એમ.પી.ઓ.(MPO)નો માર્કો લગાડવામાં આવે છે.
( 8 ) યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકની બનાવટો પર એચ.એ.સી.સી.પી.(HACCP – હેઝાર્ડ એનાલીસીસ ઍન્ડ ક્રિટીકલ કન્ટ્રોલ પૉઇન્ટ)નો માર્કો લગાડવામાં આવે છે.
( 9 ) સાબુ, ડિટરર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ, પૅકેજિંગ મટીરિયવલ, રંગ-રસાયણો, પાવડર કોટિંગ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાંની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઈ.સી.ઓ.(ECO)નો માર્કો લગાડવામાં આવે છે.

→ ઉપર્યુક્ત દરેક માર્કો લગાવવાની મંજૂરી BIS દ્વારા આપવામાં આવે છે.
(13) ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો.
અથવા
ગ્રાહકોનાં હિતોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શી વ્યવસ્થા છે?
ઉત્તર : ગુણવત્તા માનક અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી રહી છે :
1. આઈ.એસ.ઓ. (ISO – ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઑર્ગેનાઇઝેશન) : આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈ. સ. 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISOની સ્થાપના કરવામાં આવી હતી.

→ તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલૅન્ડના પાટનગ૨ જિનીવા શહેરમાં છે. તે કોઈ સરકારી સંસ્થા નથી.
→ ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે.
→ આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની, વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી, ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ ૫૨ ISO 6000, ISO 9000, ISO 9100 કે ISO 14000 જેવાં નિશાનો છાપવામાં આવે છે.
2. સી.એ.સી. (CAC – કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન) : આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય ‘કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન’ (CAC) નામની સંસ્થા કરે છે.
→ આ સંસ્થાની સ્થાપના ઈ. સ. 1963માં સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ની સંસ્થાઓ ખાદ્ય અને ખેતી સંગઠન’ (FAO) અને વિશ્વ-સ્વાસ્થ્ય સંગઠન’ (WHO) દ્વારા કરવામાં આવી છે.
→ આ કમિશનનું મુખ્ય મથક ઇટલીના પાટનગર રોમ શહેરમાં છે.
→ તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે.
→ આ ઉપરાંત, તે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોનાં ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે.
→ ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે; જ્યારે CAS સાથે સંપર્કની કામગીરી ભારતની ‘ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસ’ કરે છે.
(14) ફરિયાદ કોણ કરી શકે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો.
અથવા
ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓને ફરિયાદ કોણ, ક્યાં કરી શકે? ગ્રાહકને અન્યાય થાય તો તે શી રીતે ફરિયાદ કરી શકે?
ઉત્તર : ફરિયાદ કોણ કરી શકે? : (1) ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે, અથવા (2) કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર, અથવા (3) કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ, અથવા (4) એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે, અથવા (5) કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે.
ફરિયાદ ક્યાં થઈ શકે? : અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે-તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહકમંડળો કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે.
ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે? : ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઇપ કરીને કે ઇ-મેઇલથી કરી શકાય છે.
→ જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે.
→ ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેનાં કારણો સ્પષ્ટ રીતે દર્શાવવાં.
→ આરોપ અંગે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવી નહિ.
→ અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી રસીદ બીડવી, જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધિયું કે ચેકની વિગત દર્શાવવી.
→ અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેરખબરની નકલ, પેમ્પફ્લેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ બીડવી.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો થાય છે તે જણાવો.
ઉત્તર : ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે :
→ ફુગાવાજનક ભાવવધારો મૂડીસાધનના ઉપયોગનું ખર્ચ વધારે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો જાય છે.
→ વધતી જતી ભાવસપાટી વ્યક્તિ, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઇચ્છા અને શક્તિ બંને પર પ્રતિકૂળ અસર કરે છે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચત કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવવધારાને કારણે વપરાશીખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદશક્તિ ઘટે છે.
→ નાણાંની ખરીદશક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી ‘શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત વગેરે બિનઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે. તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો – નાણાં મળતા નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન ૫૨ માઠી અસર થાય છે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે.
→ ભાવવૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા-રોજગાર શરૂ થઈ શકતા નથી.
(2) ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો.
અથવા
ટૂંક નોંધ : ગ્રાહક મંડળો (ગ્રાહક સુરક્ષા પરિષદો)
ઉત્તર : ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડત૨માં સ૨કા૨ોને મદદ કરવા સરકારમાન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યાં છે.
→ તે બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલાં હોય છે.
→ તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતોવખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સ૨કા૨ને સૂચનો કરે છે.
→ તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશરૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે.
→ તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ‘ગ્રાહક સુરક્ષા’, ‘ઇનસાઇડ’, ‘ધી કન્ઝ્યુમર’, ‘ગ્રાહક મંચ’ જેવાં સામયિકો પ્રકાશિત કરે છે.
→ આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે.
→ તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે.
(3) ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા જણાવો.
અથવા
ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986 હેઠળ માલ અને સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા જણાવો.
ઉત્તર : ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986 હેઠળ માલ અને સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે પ્રમાણે છે :
1. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ –
→ જે અવેજ (માલ) માટે ચુકવણી કરવામાં આવી હોય અથવા ચુકવણી કરવા માટે વચન આપવામાં આવેલ હોય તે અવેજ પેટે અથવા વિલંબિત ચુકવણીની અન્ય કોઈ પદ્ધતિ દ્વારા કોઈ પણ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.
→ માલની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ અથવા તેની મંજૂરીથી માલનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.
2. સેવાના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ –
→ જે અવેજ (સેવા) માટે ચુકવણી કરવામાં આવી હોય અથવા ચુકવણી કરવા માટે વચન આપવામાં આવ્યું હોય અથવા તેની આંશિક ચુકવણી કરવામાં આવી હોય અને બાકીની ચુકવણી માટે વચન આપવામાં આવ્યું હોય એવા અવેજ પેટે સેવાઓ ભાડાથી ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.
→ અવેજ (નાણાં) પેટે સેવાઓ ખરેખર ભાડાથી ખરીદનાર વ્યક્તિ સિવાયની કોઈ વ્યક્તિ કે જેને એ સેવાઓમાં પોતાનું હિત છે તેને પણ ગ્રાહક કહેવામાં આવે છે.
(4) કાળું નાણું ભાવવધારાનું એક કારણ છે. સમજાવો.
ઉત્તર : હિસાબી ચોપડે નહિ નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે.
→ કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવવધારો થાય છે.
→ કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષે છે.
→ કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે.
→ તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્ધિ કરે છે.
→ આમ, કાળું નાણું ભાવવધારાનું એક કારણ છે.
પ્રશ્ન 3. નીચેનાં વિધાનો કારણો આપી સમજાવો :
(1) નાણાંનો પુરવઠો ભાવવૃદ્ધિ પર અસર કરે છે.
ઉત્તર : ચીજવસ્તુઓના પુરવઠા કરતાં નાણાંનો પુરવઠો વધી જાય ત્યારે ભાવવૃદ્ધિ થાય છે.
→ વેતન, ભથ્થાં અને બોનસના વધારાની માગણીઓ સંતોષાતાં લોકોની વાસ્તવિક આવકમાં વધારો થાય છે ત્યારે ચીજવસ્તુઓની માંગ વધે છે. પરિણામે ભાવવૃદ્ધિ થાય છે.
→ સરકાર મધ્યસ્થ બૅન્ક – રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી તેમજ રાષ્ટ્રીય બૅન્કો પાસેથી નાણાં મેળવે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંના પ્રમાણમાં વધારો થાય છે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે.
→ માંગ વધતાં ભાવવૃદ્ધિ થાય છે.
આમ, નાણાંનો પુરવઠો ભાવવૃદ્ધિ પર સીધી અસર કરે છે.
(2) સંગ્રહખોરી ભાવવૃદ્ધિનું કારણ અને અસર પણ છે.
ઉત્તર : સંગ્રહખોરીને લીધે બજારમાં ચીજવસ્તુઓનો પુરવઠો ઓછો થઈ જાય છે.
→ અપૂરતા પુરવઠાને લીધે ચીજવસ્તુઓની કિંમતો ઊંચી જાય છે એટલે કે ભાવવૃદ્ધિ થાય છે.
→ સંગ્રહખોરીને લીધે ચીજવસ્તુઓની કૃત્રિમ અછત સર્જાય છે.
→ વેપારીઓ કાળાબજાર દ્વારા ગ્રાહકો પાસેથી ઊંચા ભાવ પડાવે છે.
આમ, સંગ્રહખોરી ભાવવૃદ્ધિનું કારણ અને અસર પણ છે.
(3) ફુગાવાજન્ય ભાવવધારો આર્થિક અને સામાજિક દૂષણ છે.
ઉત્તર : ફુગાવાજન્ય ભાવવધારાને લીધે લોકો જીવનનિર્વાહની ચીજવસ્તુઓ પૂરતી માત્રામાં ખરીદી શકતા નથી. તેથી તેમનું આર્થિક જીવનધોરણ નીચું જાય છે.
→ ફુગાવાજન્ય ભાવવધારાને લીધે નાણાંની ખરીદશક્તિ ઘટે છે.
→ તેથી નીચી અને સ્થિર આવકવાળા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની વાસ્તવિક આવક ઘટતાં તેમને ઘણું સહન કરવું પડે છે.
→ જીવનનિર્વાહનો ખર્ચ વધી જવાથી આ વર્ગના લોકોનું જીવનધોરણ નીચું જાય છે. ગરીબો વધુ ગરીબ બને છે.
→ ફુગાવાજનક ભાવવધારો સમાજમાં લોકોની નીતિમત્તા પર માઠી અસર કરે છે.
→ કમરતોડ મોંઘવારીને લીધે ઓછી અને બાંધી આવક મેળવતા લોકોને આવક અને ખર્ચના છેડા મેળવવા માટે નીતિમત્તાનાં ધોરણો નેવે મૂકીને ગમે તે પ્રકારે વધુ આવક મેળવવા પ્રયત્નો કરવા પડે છે. સમાજમાં અનીતિ, ભ્રષ્ટાચાર, દાણચોરી, ચોરી-લૂંટફાટ, કાળાબજાર વગેરે અનિષ્ટો વ્યાપક બને છે.
આમ, ફુગાવાજન્ય ભાવવધારો આર્થિક અને સામાજિક દૂષણ છે.
(4) વાજબી ભાવની દુકાનો (FPSS) ભાવવૃદ્ધિનું નિયમન કરે છે.
ઉત્તર : વાજબી ભાવની દુકાનો (FPSS) ગરીબીરેખાની નીચેના લોકોને તેમજ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અનાજ, કઠોળ, ખાંડ, ચોખા, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વાજબી ભાવે અને પૂરતી માત્રામાં પૂરી પાડે છે.
→ આ દુકાનોમાં વેચાતી ચીજવસ્તુઓના ભાવો ખુલ્લા બજારમાં વેચાતી એ જ વસ્તુઓના ભાવોની સરખામણીમાં ઓછા હોય છે.
→ આથી સંગ્રહખોરી અને કાળાબજાર દ્વારા કૃત્રિમ અછત ઊભી કરીને મનફાવે તેવા ઊંચા ભાવો લેવાની પરિસ્થિતિ પર અંકુશ આવે છે.
આમ, વાજબી ભાવની દુકાનો (FPSS) ભાવવૃદ્ધિનું નિયમન કરે છે.
(5) ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ એ પ્રાચીન છે.
ઉત્તર : ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા(ઈ. સ. 320 – 325)ના મહાઅમાત્ય કૌટિલ્યે (ચાણક્યું) તેમના ‘અર્થશાસ્ત્ર’ નામના ગ્રંથમાં ઉદ્યોગ અને વ્યાપાર સંબંધી અત્યાચારોથી ગ્રાહકનાં હિતોનું રક્ષણ કરવા જણાવ્યું હતું.
→ એ ગ્રંથમાં તેણે ઓછું તોલમાપ અને ભેળસેળ જેવા ગુનાઓ માટે ઉત્પાદકો અને વેપારીઓને દંડ કરવાનો ઉલ્લેખ પણ કર્યો છે.
આમ, ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ નવો નથી, પરંતુ પ્રાચીન છે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) આવશ્યક ચીજવસ્તુઓનો ધારો શું છે?
ઉત્તર : ‘આવશ્યક ચીજવસ્તુઓનો ધારો – 1955′ એ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું નિર્ધારણ કરી ભાવવૃદ્ધિને સ્થિર કે અંકુશમાં રાખવા માટે બનાવેલો કાયદો છે.
→ સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી અને કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે તેમજ આવશ્યક ચીજવસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે અને એ ચીજવસ્તુઓ ગ્રાહકોને સહેલાઈથી મળી રહે તે માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવો નક્કી કરે છે.
→ સરકાર વેપારીઓને બજારમાં તે જ નિર્ધારિત ભાવોએ ચીજવસ્તુઓ વેચવા જણાવે છે.
→ સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ જે વેપારી પોતાનો માલ વેચતો નથી તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.
(2) ગ્રાહક કોને કહેવાય?
ઉત્તર : ગ્રાહક એટલે ખરીદનાર. કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમતરૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ‘ગ્રાહક’ કહેવાય.
(3) ગ્રાહકના શોષણ માટેનાં જવાબદાર પરિબળો કયાં ક્યાં છે?
ઉત્તર : ગ્રાહકના શોષણ માટેનાં જવાબદાર પરિબળો આ પ્રમાણે છે : (1) ગ્રાહક પોતે જવાબદાર, (2) મર્યાદિત માહિતી, (3) મર્યાદિત પુરવઠો અને (4) મર્યાદિત હરીફાઈ.
(4) ગ્રાહક જાગૃતિ ઝુંબેશ શાથી જરૂરી છે?
ઉત્તર : ગ્રાહકને છેતરવાની ભ્રષ્ટાચારી રીતરસમો અને તરકીબો સામે લડત આપવા માટે ગ્રાહકને જાણકારી અને સમજ આપવાની તેમજ તેના અધિકારોનું રક્ષણ કરવાની આજના વૈશ્વિકીકરણના સમયમાં ખૂબ જ આવશ્યકતા છે. આથી ગ્રાહક જાગૃતિ ઝુંબેશ જરૂરી છે.
(5) ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986 શા માટે બનાવવામાં આવ્યો છે?
ઉત્તર : જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ગ્રાહકોનાં હિતોના રક્ષણ અને અધિકારોના જતન માટે તેમજ ગ્રાહકોને તેમની ફરિયાદોનો સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986 બનાવવામાં આવ્યો છે.
(6) ગ્રાહક સુરક્ષા અર્થે કાર્યરત વિવિધ અદાલતોનાં નામ જણાવો.
ઉત્તર : ગ્રાહક સુરક્ષા અર્થે રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રીય કમિશન’ (રાષ્ટ્રીય ફોરમ), રાજ્ય કક્ષાએ ‘રાજ્ય કમિશન’ (રાજ્ય ફોરમ) અને જિલ્લા કક્ષાએ ‘જિલ્લા ફોરમ’ (જિલ્લા મંચ) નામની અદાલતો કાર્યરત છે.
(7) ગ્રાહક જાગૃતિ અર્થે કયાં મૅગેઝિનો અને સામયિકો બહાર પડે છે?
ઉત્તર : ગ્રાહક જાગૃતિ અર્થે ‘ગ્રાહક સુરક્ષા’, ‘ઇનસાઇડ’, ‘ધી કન્ઝ્યુમર’, ‘ગ્રાહક મંચ’ વગેરે મૅગેઝિનો અને સામયિકો બહાર પડે છે.
(8) ભારતમાં ગુણવત્તા પ્રમાણપત્ર આપતી સંસ્થાઓનાં નામ જણાવો.
ઉત્તર : ભારતમાં ગુણવત્તા પ્રમાણપત્ર આપતી સંસ્થાઓનાં નામ નીચે પ્રમાણે છેઃ
→ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ (ISI) જે હવે ‘બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ'(BIS)ના નામે ઓળખાય છે.
→ ‘માર્કેટિંગ ઍન્ડ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ’ (DMI)
(9) આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા માપન અંગે કામ કરતી સંસ્થાઓ કઈ છે?
ઉત્તર : સ્વિટ્ઝરલૅન્ડના પાટનગર જિનીવા ખાતે આવેલી ‘ISO’ અને ઇટલીના પાટનગર રોમ ખાતે આવેલી ‘કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન’ (CAC) નામની સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા માપન અંગે કામ કરતી સંસ્થાઓ છે.
(10) ભાવવધારાને રોકવાના સરકારી ઉપાયો કયા કયા છે?
ઉત્તર : ભાવવધારાને રોકવા માટેના સરકારી ઉપાયો નીચે પ્રમાણે છેઃ
→ નાણાંના પુરવઠામાં ઘટાડો, બૅન્ક ધિરાણનીતિનું નિયંત્રણ જેવા નાણાકીય ઉપાયો,
→ સબસિડીમાં ઘટાડો, જાહેર લોનના પ્રમાણમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં ઘટાડો, પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણ અને વ્યાપમાં વધારો જેવા રાજકોષીય ઉપાયો,
→ વાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓના જાહેર વિતરણની વ્યવસ્થા,
→ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું નિર્ધારણ,
→ વસ્તીવૃદ્ધિના નિયંત્રણના ઉપાયો અને
→ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો.
(11) ગ્રાહકના અધિકારો કયા કયા છે?
ઉત્તર : ગ્રાહકના અધિકારો આ પ્રમાણે છે : (1) સલામતીનો અધિકાર, (2) માહિતી મેળવવાનો અધિકાર, (૩) પસંદગી કરવાનો અધિકાર, (4) રજૂઆત કરવાનો અધિકાર, (5) ફરિયાદ નિવારણનો અધિકાર, (6) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, (7) વળતર મેળવવાનો અધિકાર, (8) ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર અને (9) જીવનજરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર.
(12) જાહેર વિતરણ પ્રણાલી એટલે શું? જાહેર વિતરણ પ્રણાલીની સફળતાનો આધાર કઈ બાબતો પર રહેલો છે?
ઉત્તર : સમાજના નિમ્ન આવક ધરાવતા જૂથને તેમજ ગરીબીરેખાની નીચે જીવતાં કુટુંબોને અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વર્ગને આવશ્યક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું વાજબી ભાવે વિતરણ કરવા માટે રચવામાં આવેલી વ્યવસ્થા ‘જાહેર વિતરણ પ્રણાલી’ કહેવાય છે.
જાહેર વિતરણ પ્રણાલીની સફળતાનો આધાર મુખ્યત્વે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર તેમજ પ્રામાણિક અને પારદર્શક દુકાનદારો ૫૨ રહેલો છે.
(13) સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવનું નિર્ધારણ શા માટે કરે છે?
ઉત્તર : સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક ચીજવસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા તેમજ એ ચીજવસ્તુઓ ગ્રાહકોને સહેલાઈથી ઉપલબ્ધ કરાવવા સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવનું નિર્ધારણ કરે છે.
(14) ‘પાસા’નું પૂરું નામ લખો. ‘પાસા’નો કાયદો શા માટે બનાવ્યો છે?
ઉત્તર : ‘પાસા’નું પૂરું નામ ‘પ્રિવેન્શન ઑફ ઍન્ટી સોશિયલ ઍક્ટિવિટિઝ’ (ઍક્ટ) છે.
સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી અને કાળાબજાર જેવી સમાજવિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટેની સઘન ઝુંબેશના એક ભાગ તરીકે ‘પાસા’નો કાયદો બનાવ્યો છે.
(15) મર્યાદિત પુરવઠાનું અને મર્યાદિત હરીફાઈનું શું પરિણામ આવે છે?
ઉત્તર : જો વસ્તુ કે સેવાની માંગ સામે તેનો પુરવઠો મર્યાદિત હોય તો અછતની સ્થિતિ સર્જાય છે. પરિણામે ઉત્પાદકો અને વેપારીઓ વસ્તુ કે સેવાના ઊંચા ભાવો લઈને ગ્રાહકોનું શોષણ કરે છે.
જો કોઈ વસ્તુ કે સેવાનો કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ હોય તો તેની હરીફાઈ મર્યાદિત બનતાં ગ્રાહકોને ઊંચી કિંમતે હલકી ગુણવત્તાવાળી વસ્તુ કે ખામીયુક્ત સેવા મળે તેવું બની શકે છે.
(16) ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ શો છે?
ઉત્તર : ઉત્પાદકો, વેપારીઓ કે દુકાનદારો દ્વારા ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો અને ખોટી રીતરસમો સામે લડત આપવા માટે ગ્રાહકને વિવિધ ઉપાયોની જાણકારી આપવી તેમજ તેના અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે.
(17) ગ્રાહકે હંમેશાં કેવી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ? શા માટે?
ઉત્તર : ગ્રાહકે હંમેશાં આઈ. એસ. આઈ.’ (ISI) કે ‘એગમાર્ક’(Agmark)ના માર્કાવાળી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે તે ચીજવસ્તુઓ ગુણવત્તાની દૃષ્ટિએ ભરોસાપાત્ર હોય છે.
(18) સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ (કાયદો) ક્યારે અમલમાં મૂક્યો? આ અધિનિયમનો મુખ્ય હેતુ શો છે?
ઉત્તર : 24 ડિસેમ્બર, 1986માં સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ (કાયદો) અમલમાં મૂક્યો.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986નો મુખ્ય હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વસ્તુઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે.
(19) ભારત સરકારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’(ISI)ની સ્થાપના ક્યારે અને શા માટે કરી છે? તે હવે કયા નામે ઓળખાય છે?
ઉત્તર : ચીજવસ્તુઓની ગુણવત્તાનું ધોરણ જાળવવા માટે ઈ. સ. 1947માં ભારત સરકારે ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ'(ISI)ની સ્થાપના કરી છે.
‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ હવે ‘બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ'(BIS)ના નામે ઓળખાય છે.
(20) ‘CAC’ નામની સંસ્થાની સ્થાપના ક્યારે, કોણે કરી હતી? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે શું કાર્ય કરે છે?
ઉત્તર : ‘CAC’ નામની સંસ્થાની સ્થાપના ઈ. સ. 1963માં સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના ‘ખાદ્ય અને ખેતી સંગઠને’ (FAO) અને ‘વિશ્વ-સ્વાસ્થ્ય સંગઠને’ (WHO) કરી હતી. તેનું મુખ્ય મથક ઇટલીના પાટનગર રોમમાં આવેલું છે.
‘CAC’ નામની સંસ્થા દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી જેવા ખાદ્ય પદાર્થોના ઉત્પાદનને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો ઘડવાનું કાર્ય કરે છે.
(21) ISO’ નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે શું કાર્ય કરે છે?
ઉત્તર : ‘ISO’ નામની સંસ્થાની સ્થાપના ઈ. સ. 1947માં થઈ હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા શહેરમાં આવેલું છે. તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન એકમો અને સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય કરે છે.
(22) મિ. લોબો એક પ્રતિષ્ઠિત દુકાનમાંથી જાણીતી કંપનીનું TV ખરીદે છે. પરંતુ ગેરંટી સમય પહેલાં તે TV બગડી ગયેલ, તો કંપનીને ફરિયાદ કરતાં કંપની સંતોષજનક જવાબ આપતી નથી. આ સર્જાયેલ પરિસ્થિતિમાં મિ. લોબોને તમે શું સૂચન કરશો?
ઉત્તર : ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે ઘડવામાં આવેલો એક કાયદો છે.
→ મિ. લોબોને ગેરંટી સમય પહેલાં બગડી ગયેલ TV અંગે કરેલી ફરિયાદનો જો વિક્રેતા સંતોષકારક જવાબ આપતી ન હોય, તો મિ. લોબોએ ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
→ આ માટે મિ. લોબો સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન રાષ્ટ્રીય કમિશનમાં વિક્રેતા વિરુદ્ધ કેસ કરીને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળ કે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ફરિયાદ કેવી રીતે કરી શકાય?
→ ફરિયાદની અરજી સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઇપ કરીને કરી શકાય. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ. અરજીમાં ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેનાં કારણો લખવાં.
→ બિલની રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય, તો તેનું અડધિયું કે ચેકની વિગત લખવી. એ સાથે ગેરંટી કે વૉરંટી કાર્ડ મૂકવું.
→ બે વર્ષની અંદર ફરિયાદ કરવી, વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ અને પેમ્પફ્લેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ બીડવી.
→ ફરિયાદ અંગે ફરિયાદી મિ. લોબો રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે.
પ્રશ્ન 5. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો :
(1) સંગ્રહખોરી
ઉત્તર : ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં ભાવવધારાના લાભ ઉઠાવી શકે અને તેની સામે રક્ષણ મેળવી શકે એ ઉદ્દેશથી સમાજના બધા વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વગે૨ે એ વસ્તુઓનો જથ્થો મોટા પ્રમાણમાં સંઘરે છે, જેને ‘સંગ્રહખોરી’ કહેવામાં આવે છે.
(2) કાળાબજાર
ઉત્તર : કેટલીક વખત ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓની સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ છૂપી રીતે ગેરકાયદે નફાખોરી કરી એ વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરે છે, જેને ‘કાળાબજા૨’ કહેવામાં આવે છે.
(3) દાણચોરી
ઉત્તર : દાણચોરી એટલે આયાતો પરની જકાતચોરી. કેટલીક વખત જકાતો વધવાને કારણે તેમજ અમુક વસ્તુઓની આયાતો પર નિયંત્રણોને કારણે ચોરીછૂપીથી કરવેરો નહિ ચૂકવીને વિદેશી માલસામાન દેશમાં ઘુસાડી તેનું વેચાણ કરવાની સમાજવિરોધી પ્રવૃત્તિ ‘દાણચોરી’ કહેવાય છે.
(4) નફાખોરી
ઉત્તર : કેટલીક વાર ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓનો સંગ્રહ કરીને બજારમાં એ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળાબજાર દ્વારા ગ્રાહકો પાસેથી ખૂબ ઊંચા ભાવો પડાવે છે, જેને ‘નફાખોરી’ કહેવામાં આવે છે.
(5) ગ્રાહક સુરક્ષા
ઉત્તર : ગ્રાહક જે માલ કે સેવા નાણાં આપીને કે અવેજના બદલામાં ખરીદી કરે તે નક્કી કરેલ ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ‘ગ્રાહક સુરક્ષા’ કહે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે.
(6) ISI
ઉત્તર : ISIનું પૂરું નામ ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ છે, જે હવે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ(BIS)’ના નામે ઓળખાય છે. ભારત સરકારે વસ્તુની ગુણવત્તા પ્રમાણિત કરવા માટે ISIની સ્થાપના ઈ. સ. 1947માં કરી હતી. ખેત-ઉત્પાદન સિવાયની યોગ્ય ગુણવત્તા ધરાવતી ચીજવસ્તુઓને પ્રમાણિત કરવા ઉત્પાદકોને ISI માર્કો વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
(7) ISO 14000
ઉત્તર : આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન એકમો અને સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ ૫૨ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનો ‘ISO 14000′ માર્કો અંકિત કરવામાં આવે છે.
(8) જાહેર વિતરણ પ્રણાલી
ઉત્તર : સમાજના નિમ્ન આવક ધરાવતા જૂથને તેમજ ગરીબીરેખાની નીચે જીવતાં કુટુંબોને અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વર્ગને આવશ્યક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું વાજબી ભાવે વિતરણ કરવા માટે રચવામાં આવેલી વ્યવસ્થા ‘જાહેર વિતરણ પ્રણાલી’ કહેવાય છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
(1) સ્થિરતા સાથેનો ભાવવધારો એ …….. વિકાસની પૂર્વશરત છે.
A. ઔદ્યોગિક
B. દેશના
C. આર્થિક
ઉત્તર : C. આર્થિક
(2) હંમેશાં ભાવવધારો …….. હોતો નથી.
A. સમસ્યારૂપ
B. ફુગાવાજન્ય
C. યોજનાબદ્ધ
ઉત્તર : B. ફુગાવાજન્ય
(3) ભારતમાં સરેરાશ ………. % ના દરે વસ્તી વધે છે.
A. 1.9
B. 2.4
C. 2.8
ઉત્તર : A. 1.9
(4) ઈ. સ. 2011માં ભારતની કુલ વસ્તી ……… કરોડ જેટલી નોંધાઈ હતી.
A. 121
B. 132
C. 110
ઉત્તર : A. 121
(5) કરવેરા નહિ ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય તેને …….. કહે છે.
A. નફાખોરી
B. સંગ્રહખોરી
C. દાણચોરી
ઉત્તર : C. દાણચોરી
(6) સરકારે …….. ના પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે.
A. ચીજવસ્તુઓ
B. નાણાં
C. અનાજ
ઉત્તર : B. નાણાં
(7) ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો ……… કરે છે.
A. કાળાબજાર
B. સંગ્રહખોરી
C. નફાખોરી
ઉત્તર : B. સંગ્રહખોરી
(8) ………. એ ભાવવધારાનું એક પરિબળ ગણાય છે.
A. રાજકોષીય પગલાં
B. ભાવનિયમન
C. નફાખોરી
ઉત્તર : C. નફાખોરી
(9) …….. નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ, કરવેરાવિષયક અને જાહેરણની નીતિ.
A. ભાવનિયમન
B. નાણાકીય
C. રાજકોષીય
ઉત્તર : C. રાજકોષીય
(10) ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) ઈ. સ. ………માં અમલમાં આવી છે.
A. 1977
B. 1980
C. 1992
ઉત્તર : A. 1977
(11) આજે દેશમાં અંદાજે ……. લાખ ‘વાજબી ભાવની દુકાનો’ (FPSS) છે.
A. 3.7
B. 5.8
C. 4.92
ઉત્તર : C. 4.92
(12) સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો – …….. અમલમાં મૂકયો છે.
A. 1955
B. 1950
C. 1960
ઉત્તર : A. 1955
(13) સંગ્રહખોરો, કાળાબજારીયાઓ, સટ્ટાખોરો વગેરે સામે સઘન ઝુંબેશરૂપે ‘……….’ હેઠળ જરૂર પડ્યે કાયદેસર અટકાયત કરવામાં આવે છે.
A. FPSS
B. PASA
C. PDS
ઉત્તર : B. PASA
(14) ……. એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે.
A. જાગો ગ્રાહક જાગો
B. દોડો ગ્રાહક દોડો
C. ઊઠો ગ્રાહક ઊઠો
ઉત્તર : A. જાગો ગ્રાહક જાગો
(15) ……. ને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.
A. જ્યૉર્જ મૂરે
B. બ્યોર્ડ ઓરે
C. રાલ્ફ નાડર
ઉત્તર : C. રાલ્ફ નાડર
(16) વિશ્વમાં દર વર્ષે ……..…ના દિવસને ‘વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
A. 15 માર્ચ
B. 1 જાન્યુઆરી
C. 10 ડિસેમ્બર
ઉત્તર : A. 15 માર્ચ
(17) 15 માર્ચનો દિવસ ભારતમાં ………. તરીકે ઊજવાય છે.
A. વિશ્વ ગ્રાહકદિન
B. વિશ્વ ગ્રાહક અધિકારદિન
C. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
ઉત્તર : B. વિશ્વ ગ્રાહક અધિકારદિન
(18) ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને ……… તરીકે ઊજવવામાં આવે છે.
A. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
B. વિશ્વ ગ્રાહકદિન
C. વિશ્વ ગ્રાહક અધિકારદિન
ઉત્તર : C. વિશ્વ ગ્રાહક અધિકારદિન
(19) ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ‘………..’ એક સીમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે.
A. રાષ્ટ્રીય ગ્રાહક અધિનિયમ – 1988
B. ગ્રાહક તકરાર અધિનિયમ – 1982
C. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
ઉત્તર : C. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
(20) કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે ……… નામની સંસ્થા સ્થાપી છે.
A. ગ્રાહક સુરક્ષા આયોગ
B. રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
C. રાષ્ટ્રીય ગ્રાહક મિશન
ઉત્તર : B. રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) સ્થિરતા સાથેનો ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.
(2) હંમેશાં ભાવવધારો ફુગાવાજન્ય હોય છે.
(3) ભારતમાં સરેરાશ 1.9%ના દરે વસ્તી વધે છે.
(4) ઈ. સ. 2011માં ભારતની કુલ વસ્તી 125 કરોડ નોંધાઈ હતી.
(5) ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો દાણચોરી કરે છે.
(6) રાજકોષીય નીતિ એટલે સ૨કા૨ની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ, કરવેરાવિષયક અને જાહેરઋણની નીતિ.
(7) ભાવવધારાને અંકુશમાં રાખવા માટે ભારતમાં ઈ. સ. 1985થી જાહેર વિતરણ પ્રણાલી (PDS) અમલમાં આવી છે.
(8) આજે દેશમાં અંદાજે 4.92 લાખ ‘વાજબી ભાવની દુકાનો (FPSS)’ છે.
(9) સ૨કા૨ે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો – 1965′ અમલમાં મૂક્યો છે.
(10) ‘જાગો ગ્રાહક જાગો’ એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે.
(11) અમેરિકાના ‘રાલ્ફ નાડરે’ ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે.
(12) વિશ્વમાં દરેક વર્ષે 15 જાન્યુઆરીના દિવસને ‘વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
(13) ગ્રાહકોના અધિકારો અને હિતોના સંરક્ષણ માટે ભારતની સંસદે ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ ઘડી કાઢ્યો.
(14) ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
(15) ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 1998ના રોજ ‘ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો – 1998′ અમલમાં મૂક્યા.
(16) ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ એક સિમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે.
(17) ‘રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે’ દ્વિસ્તરી અદાલતોનું માળખું ઊભું કર્યું છે.
(18) જિલ્લા ફોરમ (જિલ્લા મંચ) કોર્ટમાં ₹ 50 લાખ સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે.
(19) રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)માં 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે.
(20) રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)માં ₹ 1 કરોડથી વધુ વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે.
(21) ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈ. સ. 1947માં ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ (ISI)’ નામની સંસ્થા સ્થાપી હતી.
(22) ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ’ સંસ્થા હવે ‘બ્યૂરો ઑફ નૅશનલ સ્ટાન્ડર્ડ્ઝ’ નામે ઓળખાય છે.
(23) ખેતી પર આધારિત ચીજો, વનપેદાશો અને પશુપેદાશોની ગુણવત્તાનો માનક ‘એગમાર્ક’ છે.
(24) ભારત સરકારના ‘ડિપાર્ટમેન્ટ ઑફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા (DMI) દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
(25) એફ.પી.ઓ.(FPO-Food Product Optımıser)નો માર્કો જામ, ફ્રુટ, જ્યુસ, ટિનમાં પૅક કરેલાં ફળો અને શાકભાજીની વસ્તુઓ પર લગાડવામાં આવે છે.
(26) વુલમાર્ક માર્કો સોનાના દાગીના પર લગાડવામાં આવે છે.
(27) એમ.પી.ઓ.નો માર્કો માંસ અને તેમાંથી બનેલી વસ્તુઓ પર લગાડવામાં આવે છે.
(28) એચ.એ.પી.પી.નો માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકનાં ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે.
(29) ઈ.સી.ઓ.નો માર્કો સાબુ, કાગળ, રંગરસાયણો તેમજ ચામડાં અને પ્લાસ્ટિકની બનાવટો પર લગાડવામાં આવે છે.
(30) આઈ.એસ.ઓ.(ISO – ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઑર્ગેનાઇઝેશન)નું મુખ્ય મથક ડેન્માર્કના જિનીવા શહેરમાં છે.
ઉત્તર :
(1) ખરું
(2) ખોટું
(3) ખરું
(4) ખોટું
(5) ખોટું
(6) ખરું
(7) ખોટું
(8) ખરું
(9) ખોટું
(10) ખરું
(11) ખરું
(12) ખોટું
(13) ખરું
(14) ખરું
(15) ખોટું
(16) ખરું
(17) ખોટું
(18) ખોટું
(19) ખરું
(20) ખરું
(21) ખરું
(22) ખોટું
(23) ખરું
(24) ખરું
(25) ખોટું
(26) ખોટું
(27) ખરું
(28) ખોટું
(29) ખરું
(30) ખોટું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) શાનો વધારો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે ?
ઉત્તર : વસ્તીવધારો
(2) ભારતીય આયોજનનો હેતુ શાની સાથે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે?
ઉત્તર : ભાવસ્થિરતા
(3) પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહે છે?
ઉત્તર : સંગ્રહખોરી
(4) સ૨કા૨ે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે?
ઉત્તર : નાણાંના
(5) ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?
ઉત્તર : સંગ્રહખોરી
(6) સ્થિરતા સાથે ભાવવૃદ્ધિ શાના વિકાસ માટે આવશ્યક છે?
ઉત્તર : આર્થિક
(7) ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી-ઘટાડી શકે છે?
ઉત્તર : મધ્યસ્થ બૅન્ક
(8) સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે?
ઉત્તર : પેટ્રોલ-ડીઝલના
(9) ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે?
ઉત્તર : મધ્યસ્થ બૅન્ક
(10) મધ્યસ્થ બૅન્ક દ્વારા વ્યાજના દર વધારવામાં આવે તો કોના પર અસર પડે છે?
ઉત્તર : ભાવવધારા પર
(11) હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે?
ઉત્તર : કાળું નાણું
(12) ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું પગલું જણાવો.
ઉત્તર : જાહેર વિતરણ પ્રણાલી
(13) વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે, તેને શું કહે છે?
ઉત્તર : સબસિડી
(14) સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે?
ઉત્તર : પાસા(PASA)નો
(15) પ્રાચીન સમયમાં ‘અર્થશાસ્ત્ર’ નામના ગ્રંથની રચના કોણે કરી હતી ?
ઉત્તર : કૌટિલ્યે
(16) ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદેશ છે?
ઉત્તર : ગ્રાહક જાગૃતિનો
(17) ભારતમાં ખેતી પર આધારિત ચીજવસ્તુઓ ૫૨ કયો માર્કો લગાડવામાં આવે છે?
ઉત્તર : એગમાર્કનો
(18) ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી હતી?
ઉત્તર : યૂ.એસ.એ.માં
(19) ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?
ઉત્તર : જિનીવા(સ્વિટ્ઝરલૅન્ડ)માં
(20) કયા અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી પ્રવર્તે છે?
ઉત્તર : મૂડીવાદી
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. હાલમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર કેટલો છે?
A. 1.5%
B. 2.2%
C. 1.9%
D. 2.8%
ઉત્તર : C. 1.9%
2. પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહેવાય?
A. દાણચોરી
B. સંગ્રહખોરી
C. નફાખોરી
D. કાળાબજાર
ઉત્તર : B. સંગ્રહખોરી
3. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે?
A. ચીજવસ્તુઓ
B. અનાજ
C. કાચો માલ
D. નાણાં
ઉત્તર : D. નાણાં
4. ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?
A. કાળાબજાર
B. નફાખોરી
C. સટ્ટાખોરી
D. સંગ્રહખોરી
ઉત્તર : D. સંગ્રહખોરી
5. નાણાંનો પુરવઠો ચીજવસ્તુઓના પુરવઠા કરતાં વધી જાય ત્યારે …
A. ભાવો સ્થિર થાય છે.
B. ભાવો વધી જાય છે.
C. ભાવો ઘટી જાય છે.
D. ઉત્પાદન સ્થિર બને છે.
ઉત્તર : B. ભાવો વધી જાય છે.
6. ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી-ઘટાડી શકે છે?
A. કેન્દ્રીય નાણામંત્રી
B. મધ્યસ્થ બૅન્ક
C. ગ્રાહકો
D. દેશની રાષ્ટ્રીયકૃત બૅન્કો
ઉત્તર : B. મધ્યસ્થ બૅન્ક
7. ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે?
A. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા
B. બૅન્ક ઑફ ઇન્ડિયા
C. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
D. ઓરિએન્ટ બૅન્ક ઑફ કૉમર્સ
ઉત્તર : C. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
8. ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે ?
A. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
B. ભારત સરકાર
C. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા
D. મધ્યસ્થ બૅન્ક
ઉત્તર : D. મધ્યસ્થ બૅન્ક
9. હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે?
A. રોકાણ
B. કાળું નાણું
C. બચત
D. નફો
ઉત્તર : B. કાળું નાણું
10. ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે … .
A. ઉદારીકરણ
B. પોલીસ પગલું
C. જાહેર વિતરણ પ્રણાલી
D. વેપારીઓની મદદ
ઉત્તર : C. જાહેર વિતરણ પ્રણાલી
11. વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સ૨કા૨ ઉઠાવે છે, તેને કહે છે.
A. વેરારાહત
B. આર્થિક સહાય
C. સબસિડી
D. છૂટ
ઉત્તર : C. સબસિડી
12. સરકારે ભાવસપાટીને અંકુશિત રાખવા માટે કયો ધારો અમલમાં મૂક્યો છે.
A. ગ્રાહક સુરક્ષા ધારો
B. આવશ્યક ચીજવસ્તુ ધારો
C. આવશ્યક સેવા ધારો
D. ભાવઅંકુશ ધારો
ઉત્તર : B. આવશ્યક ચીજવસ્તુ ધારો
13. સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે?
A. પાસા
B. ભાડા-નિયમન કાયદો
C. અટકાયતી ધારો
D. ભ્રષ્ટાચાર વિરોધી કાયદો
ઉત્તર : A. પાસા
14. ગ્રાહકોના વિવિધ અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદ્દેશ છે?
A. કેન્દ્ર સરકારનો
B. રાજ્ય સરકારનો
C. પોલીસતંત્રનો
D. ગ્રાહક જાગૃતિનો
ઉત્તર : D. ગ્રાહક જાગૃતિનો
15. દર વર્ષે 15 માર્ચનો દિવસ વિશ્વમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?
A. વિશ્વ ગ્રાહક અધિકારદિન
B. વન્ય પ્રાણીદિન
C. વિશ્વ પર્યાવરણદિન
D. જૈવ વિવિધતાદિન
ઉત્તર : A. વિશ્વ ગ્રાહક અધિકારદિન
16. 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?
A. ગ્રાહક અધિકારદિન
B. વિશ્વ ગ્રાહક અધિકારદિન
C. ગ્રાહક જાગૃતિદિન
D. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
ઉત્તર : B. વિશ્વ ગ્રાહક અધિકારદિન
17. કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે?
A. રાષ્ટ્રીય તકરાર નિવારણ તંત્ર
B. રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
C. રાષ્ટ્રીય ગ્રાહક કમિશન
D. ગ્રાહક સુરક્ષા આયોગ
ઉત્તર : B. રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
18. ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં કયો કાયદો સીમાચિહ્નરૂપે છે?
A. ગ્રાહક જાગૃતિ અધિનિયમ – 1980
B. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
C. વેપાર વાણિજ્ય કાનૂન – 1975
D. ગ્રાહક સહકાર સંગઠન – 1991
ઉત્તર : B. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
19. ભારતમાં 24 ડિસેમ્બરનો દિવસ કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?
A. ગ્રાહક જાગૃતિદિન
B. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
C. ગ્રાહક અધિકારદિન
D. વિશ્વ ગ્રાહક અધિકારદિન
ઉત્તર : B. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
20. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન ક્યારે ઊજવાય છે?
A. 15 માર્ચના દિવસે
B. 6 એપ્રિલના દિવસે
C. 24 ડિસેમ્બરના દિવસે
D. 24 જૂનના દિવસે
ઉત્તર : C. 24 ડિસેમ્બરના દિવસે
21. ગ્રાહકે હંમેશાં કેવા માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ?
A. ISD
B. PSI
C. STD
D. ISI
ઉત્તર : D. ISI
22. ગ્રાહકે શાની ચોકસાઈ કરીને વસ્તુ ખરીદવી જોઈએ?
A. ગુણવત્તાની
B. ઉત્પાદકની
C. ઉપયોગિતાની
D. દેખાવની
ઉત્તર : A. ગુણવત્તાની
23. ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે?
A. ‘ઇનસાઇટ’
B. ‘ગ્રાહક જાગૃતિ મંચ’
C. ‘ગ્રાહક શિક્ષણ’
D. કન્ઝ્યુમર ઍક્ટ
ઉત્તર : A. ‘ઇનસાઇટ’
24. ભારતમાં ખેત-આધારિત ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણિત કરવા …… માર્ક વપરાય છે.
A. એફ.એ.ઓ.
B. આઈ.એસ.આઈ.
C. આઈ.એસ.ઓ.
D. એગમાર્ક
ઉત્તર : B. આઈ.એસ.આઈ.
25. ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી હતી?
A. ઇંગ્લૅન્ડમાં
B. ભારતમાં
C. જાપાનમાં
D. યૂ.એસ.એ.માં
ઉત્તર : D. યૂ.એસ.એ.માં
26. ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?
A. જિનીવા(સ્વિટ્ઝરલૅન્ડ)માં
B. ન્યૂ યૉર્ક(યૂ.એસ.એ.)માં
C. પૅરિસ(ફ્રાન્સ)માં
D. દિલ્લી(ભારત)માં
ઉત્તર : A. જિનીવા(સ્વિટ્ઝરલૅન્ડ)માં
27. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે?
A. BIS
B. CAC
C. ISO
D. FPO
ઉત્તર : A. BIS
28. સરિતાબહેને અથાણા બનાવવાની ફૅક્ટરી (ગૃહઉદ્યોગ) શરૂ કરી, ગુણવત્તા માટે તેઓએ પોતાના ઉત્પાદન પર કયો માર્કો લગાવવો જોઈએ ?
A. આઈ.એસ.આઈ.
B. એગમાર્ક
C. ડી.એમ.આઈ.
D. આઈ.એસ.ઓ.
ઉત્તર : B. એગમાર્ક
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here